ગ્લૉબલ કવિતા: ૬૯: કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ



I am a poet.
I am very fond of bananas.

I am bananas.
I am very fond of a poet.

I am a poet of bananas.
I am very fond.

A fond poet of ‘I am, I am’-
Very bananas.

Fond of ‘Am I bananas?
Am I?’-a very poet.

Bananas of a poet!
Am I fond? Am I very?

Poet bananas! I am.
I am fond of a ‘very.’

I am of very fond bananas.
Am I a poet?

– Wendy Cope


કવિની અનિશ્ચિતતા

હું એક કવિ છું.
હું ખૂબ શોખીન છું કેળાંની.

હું કેળાં છું.
હું ખૂબ શોખીન છું એક કવિની.

હું એક કવિ છું કેળાંની.
હું ખૂબ શોખીન છું.

એક શોખીન કવિ ‘હું છું, હું છું’ની-
ખૂબ કેળાં.

શોખીન છું ‘શું હું કેળાં છું?
છું હું?’ની- એક ખૂબ કવિ.

કેળાં એક કવિના!
શું હું શોખીન છું? શું હું ખૂબ?

કવિ કેળાં! હું છું.
હું શોખીન છું ‘ખૂબ’ની.

હું ખૂબ શોખીન છું કેળાંની.
શું હું કવિ છું?

– વેન્ડી કોપ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા તમાચાનો જવાબ તમાચાથી આપે?

ગાંધીજી તો કહી ગયા કે કોઈ તમારા એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરજો. પણ ગાંધીપગલે ચાલવું એટલે લોઢાના ચણા ચાવવા. સમાજની રક્તવાહિનીમાં આજે ભ્રષ્ટ-આચારના રક્તકણો જ વહે છે, માટે ગાંધીના પગલે ચાલવાનું નક્કી કરે એની તો આખી માત્ર ચાલવા પર ધ્યાન આપવામાં જ વ્યતીત થઈ જાય, માર્ગ કે મંઝિલ-બેમાંથી કશાયનો આનંદ લેવું એના માટે શક્ય જ ન બને. તમાચાનો જવાબ તમાચાથી ન આપો તો જીવવું દોહ્યલું થઈ પડે એવા (અ)સમાજમાં આપણે જીવી રહ્યાં છીએ. પણ શું કવિતા આવું કામ કરે ખરી? શું કવિતા એના કપડાં કાઢનારનાં કપડાં ઊતારે ખરી? વેન્ડી કોપની પ્રસ્તુત રચના આનો જવાબ આપે છે.

વેન્ડી કોપ. યુનાઇટેડ કિંગ્ડમમાં એરિથ, કેન્ટ ખાતે ૨૧-૦૭-૧૯૪૫ના રોજ જન્મ.માતા-પિતા એમને નાનપણથી કવિતાઓ સંભળાવતા એટલે કવિતા ગળથૂથીમાં જ મળી હતી એમ કહીએ તો ખોટું નથી. ૧૯૮૬થી માત્ર કલમના ખોળે માથું મૂકીને જીવવું આદરતા પૂર્વે ઓક્સફર્ડ અને લંડન ખાતે શિક્ષક હતાં. એમના પહેલા જ પુસ્તકની આશરે બે લાખ જેટલી પ્રતો વેચાઈ ચૂકી છે. બ્રિટિશ લાઇબ્રેરી દ્વારા ૨૦૧૧માં એમની હસ્તપ્રતો, રિપૉર્ટ્સ અને ૪૦૦૦૦ જેટલા ઇ-મેલ્સની કરવામાં આવેલી ખરીદી આજદિન પર્યંત કરવામાં આવેલ મોટામાં મોટી ખરીદી છે. ૧૯ વર્ષના સહવાસ બાદ ૨૦૧૩માં કવિ લોકલન મેકિનન સાથે લગ્ન કર્યા અને હાલ ઈલિ, કેમ્બ્રિજશાયર ખાતે રહે છે.

વ્યંગ એ એમનો પ્રમુખ કાકુ. અન્યોના વિષયવસ્તુનું વ્યંગ્યાત્મક અનુકરણ કરીને તેઓ મખમલમાં વીંટાળીને જૂતાં મારવામાં પ્રવીણ છે. ગંભીરતમ વિષયને હળવી રમૂજ સાથે રજૂ કરવામાં એક્કો. સમાજ અને સાહિત્યમાંના છીંડા તરફ એ તરોતાજા અને ખાસ તો, સ્ત્રીસહજ નમણા અભિગમથી જુએ છે, માટે એમની રચનાઓ વિવેચકોને અતિક્રમીને ભાવકો સુધી પહોંચી છે. કાવ્યસ્વરૂપ ઉપરની એમની સચોટ હથોટી અને ત્રુટિહીન ચોક્સાઈ એમને સમકાલીન પુરુષ કવિઓની બરાબરીમાં મોખરે બેસાડે છે. કવિતામાં એ સતત નવીનીકરણ રજૂ કરતાં રહ્યાં છે. સૉનેટ, લિરિક અને ક્રમશઃ ગદ્યકાવ્ય એમ એમની પરિવર્તનશીલ ગતિ નજરે પડતી રહે છે. લંડન રિવ્યૂ ઑફ બુક્સે એમને ‘જેટ-યુગના ટેનિસન’ કહી નવાજ્યાં છે.
કવિતા પર નજર કરતાં પહેલાં શીર્ષકને સમજવું જરૂરી બની રહે છે. ‘કવિની અનિશ્ચિતતા’ (The Uncertainty of the Poet) શીર્ષક જૉર્જો ડિ કિરિકો (Giorgio de Chirico) નામના ઇટાલિઅન ચિત્રકારે ૧૯૧૩ની સાલમાં ૨૫ વર્ષની નાની વયે બનાવેલા ચિત્રના નામ પરથી લેવામાં આવ્યું છે. જૉર્જો ચિત્રોમાં અધિભૌતિકી કળા (Metaphysical art)ના પ્રણેતા હતા, જેણે પરાવાસ્ત્વવાદીઓ(Surrealists)ને એ હદે આકર્ષ્યા કે લોકો એમને પરાવાસ્તવવાદના પિતાઓમાંના એક પણ કહે છે. પણ જેમ એઝરા પાઉન્ડની ઇમેજિસ્ટ ચળવળ ૧૯૧૨માં શરૂ થઈ એના જ હાથે ૧૯૧૭માં અંત પામી એ જ રીતે જૉર્જો પણ ૧૯૧૧માં અધિભૌતિકતા પ્રશસ્ત કરીને ૧૯૧૯માં પારંપારિક ચિત્રકળાના મૂલ્યો સ્વીકારીને અનુઆધુનિકતા તરફ વળી ગયા. કહે છે કે એમના અધિભૌતિક ચિત્રો પરિત્યક્તવ્યતા અને ખાલીપાની છબીઓ છે જે તાકાત અને આઝાદીનું નિરૂપણ કરે છે. એમનું ‘કવિની અનિશ્ચિતતા’ ચિત્ર પણ બહુચર્ચિત છે. આ ચિત્રની કિંમત આજે સાડા નવ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે. ચિત્રમાં હાથ-પગ અને માથું કપાયેલ સ્ત્રીનું ધડ નજરે ચડે છે, જે કમરમાંથી જોનાર તરફ વળેલ છે. માનવામાં આવે છે કે આ પ્રેમ અને કામની દેવી એફ્રૉડાઇટનું ધડ છે. એની બરાબર સામે જ પાકાં મોટા કદના કેળાંઓની એક લૂમ પડી છે, જે શિશ્નનો આભાસ પણ ઊભો કરે છે. જમણી બાજુએ દરવાજા વગરની ત્રણ ગોળ કમાનોવાળી ભીંત નજરે ચડે છે અને એ ભીંત જ્યાં પૂરી થાય છે ત્યાં ચિત્રના મથાળે ચિત્રના આ નાકેથી પેલા નાકા સુધી ખેંચાયેલી ઈંટોની બનેલી નાનકડી દીવાલ છે જેની પેલે બાજુ એક ટ્રેન ધુમાડા છોડતી દોડતી, ચિત્રની છેક ડાબી કિનારી સુધી પહોંચી ગયેલી નજરે ચડે છે. જમણી તરફ દીવાલની પેલે તરફ એક હોડીના સઢ જેવો આકાર નજરે પડે છે. ધડ અને કેળાંની લૂમના પડછાયા યથાતથ પડવાના બદલે તીક્ષ્ણ ધાર અને ગાઢા રંગથી ચિત્રમાં અલગ તરી આવે છે.

કહે છે કે, આ ચિત્રમાં વિશ્વની દેખાવે કામુક, ઊલટીસૂલટી અકારણની દુનિયાને ખૂબ બારીકાઈથી ઉપસાવવામાં આવી છે. સ્ત્રીનું ધડ અને પાકાં કેળાં ની પાછળ કમાનમાંથી નીકળી આગળ ધસતી દેખાતી ટ્રેન ઇન્દ્રિયજન્ય સુખ, એની નશ્વરતા અને બૌદ્ધિક તથા આધ્યાત્મીક મુસાફરી ઈંગિત કરે છે. આ ચિત્ર જેવું જે એક બીજું ચિત્ર ‘ધ ટ્રાન્સફૉર્મ્ડ ડ્રીમ’ છે. જૉર્જોના બીજા ચિત્રોના પણ શીર્ષકમાં પણ કવિનો સમાવેશ થયો છે, જેમ કે ‘ધ ડિપાર્ચર ઓફ ધ પોએટ’, ‘ધ ડ્રીમ ઓફ ધ પોએટ’ વિ. આ ચિત્રમાં જે અનિશ્ચિતતતા કેન્દ્રસ્થાને છે એને કવિ સાથે શા માટે સાંકળવામાં આવી હશે એ એક કોયડો છે પણ આ ચિત્ર બકવાસ છે એમ કહેનારો વર્ગ પણ છે. એ લોકો માને છે કે ચિત્ર નકરી અસંદિગ્ધતાથી ભર્યું પડ્યું છે અને ગમે એટલું ગણિત કેમ ન માંડો, દાખલાની રકમ જ મૂળે ખોટી મંડાઈ છે. અને ચિત્રને ‘કવિની અનિશ્ચિતતા’ નામ આપીને જૉર્જોએ કવિતાની ઠેકડી ઊડાડી હોય એમ લાગે છે.

વેન્ડી કોપ વરસો પછી ૧૯૯૨માં પ્રકાશિત ‘સિરીયસ કન્સર્ન્સ’માં જાણે tit for tat (જેવા સાથે તેવા) કરતાં હોય એમ એ જ શીર્ષક સાથે આ કવિતા લઈને આવે છે. વાત અનિશ્ચિતતાની છે એટલે વેન્ડી છંદોની નિયમિતતાનો ત્યાગ કરે છે, પ્રાસની પળોજણમાં પૂળો મૂકે છે અને બબ્બે પંક્તિઓના કુલ આઠ અંતરા આપણને આપે છે. સોળ પંક્તિની કવિતામાં કુલ મળીને માત્ર આઠ જ શબ્દો વપરાયા છે. માત્ર આ આઠ જ શબ્દોનો વાક્યવિન્યાસ ઊલટાવી-સૂલટાવીને આખી કવિતા લખવામાં આવી છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે કથકનું લિંગ દર્શાવવાની ફરજ પડી છે. અંગ્રેજીમાં પ્રથમપુરુષ એકવચન ‘આઇ’ વાપરતી વખતે લિંગને અધ્યાહાર રાખવાની સગવડ છે, જે ગુજરાતીમાં નથી. ‘પોએટ’નો પ્રથમદર્શી તરજૂમો તો કવિ જ થાય પણ અંગ્રેજીમાં નારીવાદી કવિઓ પોતાને કવયિત્રી કહેવડાવવામાં ‘સેકન્ડ જેન્ડર’ હોવાનો સ્વીકાર અનુભવતાં હોવાથી પોતાને કવયિત્રીના બદલે કવિ જ કહેવડાવે છે. બીજું, આ આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલી કવિતા છે. મૂળ અંગ્રેજી રચના લખનાર સ્ત્રી હોવાથી અનુવાદ કરતી વખતે કથકને સ્ત્રીજાતિ તરીકે જ દર્શાવવું ઉચિત જણાય છે.

‘આર્સ પોએટિકા’ કવિતામાં આર્ચીબાલ્ડ મેકલીશ કહે છે: ‘A poem should be palpable and mute.A poem should be wordless. A poem should be motionless in time. A poem should not meanbut be.’ (કવિતા ઇંદ્રિયગમ્ય અને મૂક હોવી જોઈએ. કવિતા શબ્દહીન હોવી જોઈએ. કવિતા સમયમાં ગતિહીન હોવી જોઈએ. કવિતાનો અર્થ જરૂરી નથી, બસ હોવી જોઈએ)કવિતામાં ઘણીવાર જે સમજાય છે તે કવિતા નથી હોતી પણ જે અનુભવાય છે એ કવિતા હોય છે. કવિતામાં કવિએ લખેલા શબ્દોનીવચ્ચેનો શૂન્યાવકાશ વાંચવાનો હોય છે. કવિતાના શબ્દો તો ચિનુ મોદીના શબ્દોમાં ‘લુચ્ચાના સરદાર’ છે, એ બોલે છે કંઈ અને કહે છે કંઈ. શબ્દ નહીં, શબ્દનો પડઘો ખરી કવિતા છે. ધ્વનિ નહીં, પ્રતિધ્વનિ સાંભળતા આવડી જાય ત્યારે ખરી કવિતા સમજાય.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

કવિતામાં વપરાયેલા આઠ શબ્દોમાંથી એકેયનો અર્થ સામાન્યજનથીય અજાણ્યો ન હોવા છતાં આ કવિતા જ્ઞાનથી નહીં, પણ કાનથી અને ધ્યાનથી સમજાય છે.એલિયટે પણ કહ્યું હતું:‘વિશુદ્ધ કવિતા સંવાદ સાધી લે છે, સમજી શકાય એ પહેલાં.’વેન્ડીની આ કવિતા પણ અર્થ આપણી સમજમાં ઊતરે એ પહેલાં તો આપણી સાથે વાતચીત કરી લે છે ને આપણા ચહેરા પર એક અકળ અકથ સ્મિત ભેટ ધરી દેછે. આ સમજી ન શકાય, કહી ન શકાય પણ કવિતામાંથી પસાર થતી વખતે બળજબરીથી આપણા ચહેરા પર ઊમડતું સ્મિત જ સાચી કવિતા છે.

પહેલી નજરે એમ લાગે કે શબ્દોની આ કેવી છોકરમત છે! આવું લખવું એ ડાબા હાથનો ખેલ પણ લાગે. પણ ધ્યાનથી જોતાં જ સમજાય કે વેન્ડીએ શબ્દોને આગળ-પાછળ ગોઠવીને, વાક્યવિન્યાસને તોડીમરોડીને નવા જ વાક્યવિન્યાસોનું, નવા જ અર્થોનું સર્જન કર્યું છે.ચિત્રમાં કેળાંઓની લૂમ પડી છે એ ધ્યાનમાં રાખીને વેન્ડી વાત માંડે છે. શીર્ષકમાં ‘કવિની અનિશ્ચિતતા’ પ્રસ્થાપિત કર્યા પછી પહેલું જ વાક્ય એ લખે છે કે ‘હું એક કવિ છું.’ મતલબ, હું અનિશ્ચિતતાથી ઘેરાયેલી છું અથવા હું પોતે જ એક અનિશ્ચિતતતા છું. અને પછી તરત જ શબ્દોની હેરફેર કરીને વાક્યોને પહેલી નજરે અર્થહીન બનાવીને રમૂજી લાગે એમ એકની એક વાત ગોળગોળ ફેરવીને એ કવિની અનિશ્ચિતતા નિશ્ચિત કરે છે. જૉર્જોના ચિત્રમાં જેમ કેળાંઓ એક પ્રતીક છે, એમ અહીં પણ કેળાંઓ પ્રતીકમાત્ર છે. શેનાં પ્રતીક છે એ કવિ કહેતાં નથી. કવિનું કામ બાંધી મુઠ્ઠી ખોલવાનું છે પણ નહીં. એ તો મુઠ્ઠી ધરે, મુઠ્ઠીમાં શું છે એ આપણે ધારી લેવાનું. કવિની મુઠ્ઠીમાંનો શૂન્યાવકાશ પણ પકડતાં આવડી જાય ત્યારે ખરી કવિતા તો હાથ લાગે છે, એ પહેલાંનું તો શબ્દોની રમત માત્ર.

ફકરે ફકરે સમીકરણ બદલાય છે. શરૂઆતમાં કવિને ખબર છે કે એ એક કવિ છે અને એ કેળાંની ખૂબ શોખીન છે. બીજામાં પોતે કેળાં જ છે ને કવિની શોખીન, સૉરી ખૂબ શોખીન છે એમ લાગે છે. ત્રીજામાં પોતે કેળાંની કવિ કે કેળાંની બનેલી કવિ હોય અને ખૂબ શોખીન છે એમ લાગે છે. અહીં શોખીન શેની એ અધ્યાહાર છે. આગળ એબ્સર્ડિટી વધે છે. ‘હું છું, હું છું’ની શોખીન એક કવિની વાત છે. આગળ હું કેળાં છું કે નહીંનો પ્રશ્ન હું છું?ના સનાતન હેમ્લેટિયા પ્રશ્ન સુધી લંબાય છે. ‘કેળાં એક કવિના’ વાંચીએ ત્યારે પ્રશ્ન થાય કે શું વેન્ડી સાચે જ કેળાંની વાત કરે છે કે કેળાં શબ્દોનું પ્રતીક છે? શું અહીં કેળાંનો અર્થ કવિના શબ્દો તરીકે લેવાનો છે? જો એમ હોય તો આખી કવિતામાં હવે ‘કેળાં’ના સ્થાને ‘શબ્દો’ મૂકીને વાંચીએ તો? કવિતાની તરત જ કેવી કાયાપલટ થાય છે, નહીં?! આને જ આપણે મેટામૉર્ફોસિસ કહેતાં હોઈશું ને? હવે ‘કેળાં’ને એના કઠબોલી (Slang) અર્થમાં જોઈએ તો? કેળાનો આકાર શિશ્નને મળતો આવે છે એટલે અશિષ્ટ ભાષામાં આપણે ‘કેળાં’ શબ્દને એ અર્થમાં અને ક્યારેક અપશબ્દ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. ત્રીસીના દાયકામાં અંગ્રેજીમાં પણ ‘કેળાં’નો એક સંદર્ભ સેક્સ, યૌન વિકૃતિ સાથે સંકળાયેલો હતો. ‘કેળાંનો કવિ!’ એમ આપણે કહીએ એટલે આખી વાત એક સ્તરેથી ઊતરીને બીજા સ્તરે જઈ પહોંચે છે. Going Bananasનો સંદર્ભ પાગલપન, મૂર્ખતા સાથે જોડાયેલો પણ જોવા મળે છે. ૧૯૦૧માં ઓ હેનરીએ રાજકીય અને આર્થિક રીતે અસ્થાયી દેશ માટે ‘બનાના રિપબ્લિક’ શબ્દ ‘કોઇન’ કર્યો હતો. પી. જી. વૂડહાઉસ ૧૯૨૭માં ‘કેરી ઓન જિવ્સ’માં લખે છે: ‘This is pure banana oil.’ અહીં પણ કેળાંનો મતલબ મૂર્ખતા અને પાગલપન સાથે સંકળાયેલો જોઈ શકાય છે. જંગલીપન કે ગુસ્સા સાથે પણ ‘બનાના’ના અર્થના છેડા જઈ મળે છે. Going Apes પરથી આ શબ્દપ્રયોગ ઊતરી આવ્યો હોવાનું મનાય છે. ૧૯૮૭માં તો ‘ગોઇંગ બનાનાસ’ નામની અંગ્રેજી ફિલ્મ પણ બની હતી. એટલે કવિતાને હવે આ બધા અર્થોના પ્રકાશમાં જોઈએ તો ફરીથી આખી વાત જ બદલાઈ જાય છે. અને વેન્ડી, ચિત્રકાર, એના ચિત્ર અને એ બંને વસ્તુને ભૂલી જઈએ તો પણ કવિ ઉપર, કવિની અનિશ્ચિતતા ઉપર અને એથીય આગળ વધીને જીવન અને જીવનની અનિશ્ચિતતા, જીવનના પાગલપન ઉપર ગાળસરીખો વ્યંગ કરે છે.

શબ્દોની અદલાબદલી અને વાક્યોના અર્થફેરની આ રમત અંતે ‘હું એક કવિ છું’થી શરૂ થઈને ‘શું હું કવિ છું?’ના પ્રશ્નની અનિશ્ચિતતામાં પરિણમે છે ત્યારે આખી કવિતામાં શબ્દોની માયાજાળ જોઈને મલકાયા કરતો ભાવક ઘડીભર માટે સૂન્ન થઈ જાય છે. વેન્ડી પણ આ જ કહેવા માંગે છે કદાચ… મસ્તી મસ્તીમાં એ અસ્તિત્વના શાશ્વત પ્રાણપ્રશ્નને છેડી દે છે. આખી વાત અનિશ્ચિતતતાની છે પણ આખી ગતિ નિશ્ચિતતા તરફની છે એ હવે સમજી શકાય છે. એ પણ સમજી શકાય છે કે ચિત્રકારના ચિત્રમાંનો કવિ તરફનો વ્યંગ કદાચ કવયિત્રીને પસંદ આવ્યો નહીં હોય એ કદાચ કવિતા લખવા માટેનું નિમિત્ત બન્યો હોય પણ કવિતા કદી બદલાની ભાવનાથી લખાતી નથી હોતી. આક્રોશ એક ઉદ્દીપક બને એ ખરું પણ અંતિમ રાસાયણિક પ્રક્રિયા તો કવિના આત્મા સાથે જ થાય અને કવિનો આત્મા કદી હલકટ હોય નહીં જે તમાચાનો જવાબ તમાચાથી આપે.

2 replies on “ગ્લૉબલ કવિતા: ૬૯: કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ”

  1. I…too am..a poet…
    A..poet..a..poet..
    and…so that…so..that…
    I…too..want to..act..and..
    This..is..the..result..of..that…! Narendrasoni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *