ગ્લૉબલ કવિતા : ૫૩ : ઊંઘમાં બબડાટ – એડિથ મટિલ્ડા થોમસ

Talking in their sleep

“You think I am dead,”
The apple tree said,
“Because I have never a leaf to show—
Because I stoop,
And my branches droop,
And the dull gray mosses over me grow!
But I’m still alive in trunk and shoot;
The buds of next May
I fold away—
But I pity the withered grass at my root.”

“You think I am dead,”
The quick grass said,
“Because I have parted with stem and blade!
But under the ground
I am safe and sound
With the snow’s thick blanket over me laid.
I’m all alive, and ready to shoot,
Should the spring of the year
Come dancing here—
But I pity the flower without branch or root.”

“You think I am dead,”
A soft voice said,
“Because not a branch or root I own.
I never have died,
But close I hide
In a plumy seed that the wind has sown.
Patient I wait through the long winter hours;
You will see me again—
I shall laugh at you then,
Out of the eyes of a hundred flowers.”

– Edith Matilda Thomas

ઊંઘમાં બબડાટ

“તને લાગે છે કે હું મરી ગયું છું?”
સફરજનના ઝાડે કહ્યું,
“કેમકે મારી કને એકે પાંદડું નથી બતાવવા માટે-
કેમકે હું છું ઝૂકેલ,
ને મારી ડાળો છે તૂટેલ,
અને શુષ્ક ભૂખરી શેવાળ મારા પર ફાલે!
પણ તોય મારા થડ અને ડાળમાં હું છું જીવંત;
આવતા મેની કૂંપળ
મેં ગોપવી છે ભીતર-
પણ મને દયા આવે છે મારા મૂળ નજીકના ઘાસની, જેનો આવી ઊભો છે અંત”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
ઝડપી ઘાસે કહ્યું,
“કેમકે હું થઈ ગયું છું ધડ-પત્તા વગર!
પણ આ ભૂમિગત
હું છું સહી સલામત
ઓઢીને બરફના જાડો ધાબળો માથા પર
હું બિલકુલ જીવંત છું, ફૂટવાને તૈયાર,
વસંત આ વર્ષની જ્યારે
નર્તંતી આવશે ત્યારે-
પણ મને આ ડાળ ને મૂળ વિનાના ફૂલની આવે છે દયા અપાર.”

“તને લાગે છે કે હું મરી ગયું છું?,”
એક મૃદુ અવાજે કહ્યું,
“કેમકે ન ડાળ-ન મૂળ, કાંઈ ન મારી કને.
હું કદી મર્યું જ નહોતું,
પણ સંતાઈ રહ્યું’તું
એક દળદાર બીમાં જેને વાવ્યું તું પવને.
શિયાળાના લાંબા કલાકોમાં મેં પ્રતીક્ષા કરી છે ધૈર્યથી
તમે મને જોશો ફરી-
હું તમારા પર હસીશ વળી,
સેંકડો ફૂલોની આંખથી.

– એડિથ મટિલ્ડા થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

શંકા મૃત્યુ છે, વિશ્વાસ જિંદગી છે…

લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ગ્રીક ફિલસૂફ હેરાક્લિટસે કહ્યું હતું, ‘માત્ર પરિવર્તન જ સ્થિર છે’ (Change is the only constant). પ્રકૃતિમાં ગતિમાં જ સ્થિરતા છે. એવી રાત જ નથી બની જેની પાછળ દિવસ નથી ઊભો અને એવો દિવસ જ ઊગ્યો નથી જે રાતમાં આથમતો નથી. કાળચક્ર અને ઋતુચક્ર સતત ફરતાં જ રહે છે. पुनरपि जननम, पुनरपि मरणम, पुनरपि जननी जठरे शयनम। (શંકરાચાર્ય). જે બિંદુથી શરૂ કરીએ છીએ, ફરી એજ બિંદુએ આવીને ઊભા રહેવાનું છે. ‘આ સમય પણ ચાલ્યો જશે’ એટલું સમજી લેવાય તો સુખમાં છકી ન જવાય ને દુઃખમાં મરી ન જવાય. પ્રસ્તુત રચના પણ કાળચક્રના પરિવર્તનના આ નિયમને જ સરળ-સહજ-સાધ્ય ભાષામાં રજૂ કરે છે.
એડિથ મટિલ્ડા થોમસ. ૧૨-૦૮-૧૮૫૪ના રોજ અમેરિકાના ઓહાયો ખાતે જન્મ. બાળપણથી જ કળા તરફ ઝૂકાવ. કાકાએ કીટ્સનો સંગ્રહ ભેટ આપ્યો, જેનાથી તેઓ ખાસ્સા પ્રભાવિત રહ્યાં. આ ઉપરાંત અમેરિકન લેખક હેલન હન્ટ જેક્સનનો પોતાના સર્જન પર પ્રભાવ હોવાનું એડિથે પોતે સ્વીકાર્યું છે. ૧૮૮૭ પછી ન્યૂયૉર્કમાં જ રહ્યાં અને ૧૩-૦૯-૧૯૨૫ના રોજ દેહાવસાન. ન્યૂયૉર્ક ટાઇમ્સે એમને ‘સૌથી વધુ નામાંકિત અમેરિકન કવિઓમાંના એક’ લેખાવ્યાં.

કવિતા ઉપરાંત નિબંધો અને વિવેચનગ્રંથો પણ એમણે આપ્યાં. છંદો પરની પકડ અને અમલ તથા અનવરત ગ્રીક ઉલ્લેખોની દૃષ્ટિએ સાચા અર્થમાં શાસ્ત્રીય કવિ હતાં. શાસ્ત્રીય કવિતાથી માંડીને હળવાંફૂલ ગીતો સુધી એમની સીમા વિસ્તરી હતી. આધુનિકીકરણ અને શહેરીકરણની ઉત્તેજનાને સાચા અર્થમાં વાચા આપનાર કદાચ તેઓ પ્રથમ કવયિત્રી હતાં. કેનેડિયને કવિ ચાર્લ્સ રૉબર્ટ્સે એડિથ માટે કહ્યું હતું: ‘આ ગીતો એટલા બધા રક્તરંગી છે, વિચારો અને કલ્પનાઓમાં એટલા બધા સઘન, એટલા બધા પરિપૂર્ણપણે વ્યક્તિગત અને વચનમાં મુક્ત છે કે એના લેખકનું નામ ક્યારનું દીવા જેવું સુસ્પષ્ટ બની ગયું છે…’ એન લિન્ચ બોટા નામની કવયિત્રી ‘ટુ મિસ એડિથ એમ. થોમસ’ કવિતામાં લખે છે કે, ‘એડિથ, તારો પાંખાળો ઘોડો એક તારો બની ગયો છે ને તને દૂરસુદૂરના સ્વર્ગમાં લઈ જાય છે. આ તારાઓ અથવા નાયકો અને દેવતાઓથી ભરેલું પ્રાચીન ગ્રીસ તારું ઘર છે, જ્યાં તું સૉનેટ અને ગીતો સાથે પ્રણયચેષ્ટા કરે છે; મા પ્રકૃતિ એનો પાસવર્ડ કે ચાવી અમારામાંથી શ્રેષ્ઠતમને પણ આપતી નથી પણ તારી પાસે એ બંને છે, અને તારી ફુરસદે તું એના સૌથી રહસ્યમયી ઠેકાણાઓ, અને સૌથી બહુમૂલ્ય ખજાના મેળવી શકે છે. અમારા ટટ્ટુઓ તો દોડ માટે બન્યાં જ નથી અને શ્રેષ્ઠ કોશિશો બાદ પણ તારી સાથે તાલમેલ રાખી શકે એમ જ નથી.’ આ કવિતા પરથી એડિથનું સ્થાન અને સન્માન બંને સમજી શકાય છે.

કવિતાનું શીર્ષક છે, “ટૉકિંગ ઇન ધેર સ્લીપ” પરથી સમજી શકાય છે કે આ નિદ્રાલાપ યાને સૉમ્નિલોકી (Somniloquy)ની વાત છે. સૉમ્નિલોકી ‘પેરાસોમ્નિયા’ (ઊંઘમાં થતા અકુદરતી વર્તનની બિમારીઓ)નો એક પ્રકાર છે. ઊંઘમાં બોલવું કે ચાલવું એ ઘણી સહજ વાત છે. આંકડાઓ કહે છે કે દુનિયામાં પચાસ ટકા બાળકો અને ચાર ટકા વયસ્કો ઊંઘમાં બોલતા હોય છે. ઊંઘમાં માણસ અસ્પષ્ટ બબડાટથી લઈને સુસ્પષ્ટ ઘાંટા પણ પાડી શકે છે. ક્યારેક દિવસ દરમિયાન ઘટેલ આખેઆખો ઘટનાક્રમ માણસ ઊંઘમાં બોલતો હોય છે, જેમાં ઊંઘમાં બોલનારને તો આપણે સાંભળી શકીએ છીએ પણ સામાના પાત્રોના સંવાદ અને સ્થળ વિશે આપણે કલ્પના જ કરવાની રહે. નવાઈ લાગે પણ નિદ્રાલાપ બહુધા વારસાગત હોય છે. શેક્સપિઅરના ‘મેક્બેથ’ નાટકમાં લેડી મેકબેથનું મીણબત્તી લઈને ઊંઘમાં ચાલવાનું અને બોલવાનું દૃશ્ય બહુખ્યાત છે. વૉલ્ટ વ્હિટમેને ‘ધ સ્લીપટૉકર’ નામની નવલકથા પણ લખી હતી. લૉર્ડ બાયરન પણ ‘પરિસિનિયા’માં નિદ્રાલાપનો ઉલ્લેખ કરે છે જ્યારે હ્યુગો પથારીમાં બીજાની સ્ત્રીને ભોગવવાની લાલચથી જાય છે અને એ સ્ત્રી દિવસે જે નામ બોલવાની હિંમત ન કરી શકાય એ નામ ઉચ્ચારે છે. (And mutters she in her unrest, a name she dare not breathe by day)

૧૮૮૫માં એડિથે આ ગીત લખ્યું ત્યારે તેઓ નામાંકિત કવયિત્રી થઈ ચૂક્યાં હતાં. શાળાના પાઠ્યપુસ્તકોમાં આવતી આ કવિતા પેઢી દર પેઢી હજારો-લાખો વિદ્યાર્થીઓએ મોઢે કરી હશે. ખૂબ જ સરળ ભાષામાં -લગભગ બાળકાવ્ય લાગે એટલી સરળ ભાષામાં કામ કરવાનું જોખમ એડિથે લીધું છે. કવિતામાં સજીવારોપણ કે વ્યક્તિકરણ (પર્સોનિફિકેશન)ના પ્રયોગ એ ચોથું પરિમાણ છે. નિર્જીવ વસ્તુના વિચારો રજૂ કરીને કવિ નવી જ દિશામાં ભાવકને લઈ જવાનો પ્રયાસ આ દ્વારા કરે છે. અહીં પણ એડિથે સજીવારોપણ વડે સામાન્ય લાગતી બાબતને અસામાન્ય બનાવીને કાવ્યતત્ત્વ જન્માવ્યું છે. ગુજરાતીમાં જેમ કટાવ છંદ પ્રયોજાય છે એમ કવયિત્રીએ અહીં આયંબ મીટર પ્રયોજ્યું છે. ત્રણ અંતરાની આ કવિતાના દરેક અંતરાની પ્રાસરચના AABCCB DEED પ્રકારની છે અને દરેક અંતરો એક જ સવાલની પુનરુક્તિથી શરુ થાય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે શિયાળાના કાતિલ દિવસોની અહીં વાત છે. હિમવર્ષાના કારણે સૃષ્ટિ સમગ્ર થીજી ગઈ છે. શીતનિદ્રા જ છે પણ મૃત્યુ જેવી લાગે છે. ‘વિન્ટર-સ્લીપ’ નામની એક કવિતામાં એડિથ કહે છે, ‘મને ખબર છે કે હું મરી જ રહી રહું છું, કેમકે હું વલખી રહી છું જિંદગી માટે- જિંદગી, મજબૂત જિંદગી, અને નથી કરી રહી વિચાર કબરનો, આ બર્ફિલા વરસમાં.’

સતત હિમવર્ષાના કારણે બધું મૃતપ્રાય ભાસે છે. સૃષ્ટિ સમગ્ર પ્રગાઢ નિદ્રામાં છે અને કવયિત્રી આ નિદ્રામાં સફરજનના ઝાડ, ઘાસ અને ફૂલને પ્રલાપ કરતાં સાંભળે છે. વાત ઊંઘમાં થઈ રહી છે પણ વાત જાગૃતિની છે. ઊંઘ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે. ઊંઘ અને મૃત્યુની વચ્ચે માત્ર શ્વાસ જેટલો જ તફાવત રહેલો છે. રાતના કાળા રંગના પોતથી કવયિત્રી જિંદગીની ચાંદનીનું મજાનું ચિત્ર દોરી આપે છે.

સૌપ્રથમ સફરજનનું ઝાડ કવયિત્રીને પૂછે છે, ‘તને લાગે છે કે હું મરી ગયું છું?’ શિયાળા અને બરફના કારણે ઝાડ પર એકે પાંદડાં બચ્યાં નથી, ડાળો બરફના ભારથી ઝૂકી-તૂટી ગયેલી છે અને થડ પર શેવાળ બાઝી રહી છે. પણ આવતા મે મહિનાની વસંત માટેની કૂંપળ એના હૈયામાં ગોપવીને એ ઊભું છે. મૃત્યુ બાહ્ય શરીર માત્ર છે, જીવન ભીતરની ચેતના છે. નાયિકાને જે ઝાડ મરણાસન્ન લાગે છે ને કદાચ એણે જેની દયા ખાધી હશે એ ઝાડને એના મૂળ પાસે પથરાયેલું ઘાસ મરણાસન્ન લાગે છે ને એ એની દયા ખાય છે. ઘાસ પણ તૂટી-ફૂટીને નિર્જીવ થઈ ગયેલું જ દેખાય છે. શિયાળામાં માથે ધાબળો ઓઢી લઈને આપણે જેમ બાહ્ય તાપમાનનો સફળ પ્રતિકાર કરીએ છીએ એમ જ આ સૂકું-કચડાયેલું ઘાસ પણ બરફનો ધાબળો માથે ઓઢીને પડ્યું છે ને બરફનો ધાબળો ઓઢીને જ ઋતુચક્રની વિષમતાનો સફળ પ્રતિકાર કરે છે. કલાપી યાદ આવે: ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ પણ અહીં એથી વિપરીત વાત કવિ કહે છે. અહીં જે સંહારક છે એનું જ શરણું લઈને ઘાસ મૃત્યુને હાથતાળી આપી રહ્યું છે. બરફ ઉષ્માનો ઉત્તમ અવાહક છે. તાજા પડેલા બરફના કણોમાં ૯૦-૯૫ ટકા હવા રહી જાય છે જેના કારણે અંદરની ઉષ્મા વાતાવરણમાં ભળીને લુપ્ત થઈ જતી નથી. પરિણામે ઘાસ કે બી જીવંત રહે છે.

વસંત જ્યારે નાચતી-ગાતી આવશે ત્યારે એ પુનઃફૂટવા માટે એકદમ તૈયાર જ બેઠું છે. સફરજનના ઝાડને એની દયા આવી હતી ને એને ડાળ અને મૂળ વિના પડેલા ફૂલની દયા આવે છે. ફૂલનો અવાજ મૃદુ છે. એ પણ ‘તને લાગે છે કે હું મરી ગયું છું?’ના પ્રશ્નથી જ કેફિયત આપવી આદરે છે. ફૂલ કહે છે કે એ ખર્યું ખરું પણ મર્યું નહોતું. પવન પરાગરજથી લઈને બી સુધી વહન કરે છે અને સૃષ્ટિચક્રને ગતિમંત રાખે છે. શિયાળામાં દિવસ તો ટૂંકા હોય છે પણ કલાક લાંબા હોય છે, કેમકે એ વીતતા જ અનુભવાતા નથી. આમેય પ્રતીક્ષા સમયને દ્વિગુણિત જ કરતી હોય છે. ધૈર્યપૂર્વક બીમાં સંતાઈ રહેલું ફૂલ વસંત આવતાં જ ફરી ખીલી ઊઠશે… અને જેણે જેણે દયા ખાધી છે એ બધા પર હસશે… આમ તો ફૂલોનું હાસ્ય નિર્દોષ હોય પણ અહીં પોતાના પર દયા ખાનારા પર વસંતમાં ખીલી ઊઠતાં સેંકડો ફૂલો જાણે કે મરણ ઉપર જેવનની જીતનું જશ્ન ન મનાવતાં હોય એમ અટ્ટહાસ્ય વેરે છે… એક હેસિડિક (યહૂદી) નેતાની પ્રાર્થના યાદ આવે: ‘મારે મરવું નથી, હું જ્યાં સુધી જીવું છું.’ મકરંદ દવે પણ યાદ આવે:

કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.

પુનરુક્તિ આ કવિતાની જાન છે. પ્રથમ પંક્તિમાં આવતા પ્રશ્નથી લઈને આખાય ઘટનાચક્રમાં સતત પુનરુક્તિ નજરે ચડે છે. એક જ સવાલ દરેક અંતરાની શરૂઆતમાં પુનરાવર્તિત કરીને કવયિત્રી સામાની ખાતરીની ખાતરી આપે છે અને પછી એનું નિરસન કરે છે. સામાને તો એમ જ છે કે આ મરી પરવાર્યું છે. કવયિત્રીને સફરજનનું ઝાડ, ઝાડને ઘાસ અને ઘાસને ફૂલ મરી પરવાર્યા હોવાની પતીજ છે એટલે એ દરેક એકમેકની દયા ખાય છે પણ દરેક પોતે જાણે છે કે પોતાની અંદરની ચેતના મરી પરવારી નથી. આ સામાના મૃત્યુની ખાતરી, સામા પર દયા, અને સ્વકીય ચેતનાની પુનર્જાગૃતિની ખાતરીનું પુનરાવર્તન આ કવિતાનો આત્મા છે. એક જ વાત અલગ અલગ મોઢેથી ફરી-ફરી કહીને કવયિત્રી ‘ક્યહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણિલાલ દ્વિવેદી)ની નીચે ગાઢી લીટી કરે છે. અને કહે છે, દેવહૂમા (ફિનિક્સ) પંખીની જેમ રાખમાંથી ફરી બેઠાં થવાનો આ વિશ્વાસ જ જિંદગી છે. એક કવિતામાં એ કહે છે, ‘મોત સામે હું નમતું જોખું છું, પણ શંકા સામે નહીં, જે પહેલાં જ મારી નાખે છે!’ શંકા મૃત્યુ પહેલાં જ મારી નાખે છે પણ શ્રદ્ધા મૃત્યુના કાંઠેથી પણ પરત લાવી શકે છે. સાવિત્રીની શ્રદ્ધા જ સત્યવાનને યમપાશમાંથી ફરી લાવી શકે.

2 replies on “ગ્લૉબલ કવિતા : ૫૩ : ઊંઘમાં બબડાટ – એડિથ મટિલ્ડા થોમસ”

  1. શિયાળામાં શ્રુષ્ટી સુસુપ્ત થઈ જાય છે. ઘણાં જિવીત ઝાડો અને પ્રાણીઓ ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે. તેઓની ચયાપચય પ્રવતિ મંદ થઈ જાય છે. બધેજ જાણે શોક અથવા તો મ્રુત્યુનું વાતાવરણ ફરીવળે છે. પરંતુ કવયિત્રીની આશા અમર છે. તે અંતરની ચેતનાની હુંફે વસંતની રાહ જુએ છે…અને જણે છે કે વસંત આવશે…
    ….ગઈ અમંગળ વેશ શિશિર શિર કેશ વિનાની જરજર કાય,
    મંગલ મુખડે મધુર મલપતી વસંત શી સુંદર શોહાય.
    જિવનનો ક્રમ અખંડ છે. મૃત્યુ એક અલ્પવિરામ જ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *