ગ્લૉબલ કવિતા: મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

Do Not Stand At My Grave And Weep
Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.
– Mary Elizabeth Frye

મારી કબર પાસે

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું એ હજાર પવનો છું જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણાઓ પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

સૂંઠના ગાંગડે ગાંધી થવાય?

એક જ કવિતા લખીને અમરત્વ પ્રાપ્ત કરનાર કવિઓ કેટલા? ગણવા બેસીએ તો કદાચ આંગળીના વેઢા પણ વધુ પડે. ૧૯૦૫માં જન્મેલ અને છે…ક ૨૦૦૪માં ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી દુનિયાને ગુડ બાય કરનાર મેરી એલિઝાબેથ ફ્રે કદાચ આવા જ વિરલ કવયિત્રી છે જેમના વિશે માનવામાં આવે છે કે આ એક જ કવિતા એમણે લખી છે. એવું બની શકે કે બીજી કવિતાઓ સચવાઈ જ ન હોય. પણ એક દાયકા પહેલાં સુધી કવયિત્રી આપણી વચ્ચે હતા એ હકીકત ધ્યાનમાં લઈએ તો એમની અન્ય રચનાઓ કાળના વહેણમાં ખોવાઈ ગઈ હોવાનું માનવું જરા દુષ્કર થઈ પડે છે. એવું પણ માનવામાં આવે છે કે આ કવિતા કોઈ બીજાની જ છે. હકીકત જે હોય એ, પણ એક જ કવિતાએ કોઈ કવિને અમરત્વ બક્ષ્યું હોય એવી જવલ્લે જ જોવા મળતી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. વિશ્વભરના કબ્રસ્તાનોમાં, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં અને અસંખ્ય સ્થળૉએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે.

કહેવાય છે કે મેરીની સાથે રહેતી એક જર્મન યહૂદી મિત્ર માર્ગારેટ જર્મનીની ખરાબ રાજકીય પરિસ્થિતિના કારણે પોતાની બિમાર માતાને મળવા જઈ શકતી નહોતી. માતાના મૃત્યુ પર માર્ગારેટે મેરીને કહ્યું કે પોતાની માતાની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ આ કાવ્ય લખી નાંખ્યું. છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈ માહિતી નહોતી. એ પછી કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો અને જાણીતા લેખક એબિગેલ વાન બુરેને આ દાવો પુરવાર કર્યો. ઓહાયોમાં જન્મેલા, ત્રણ વર્ષની ઉંમરે અનાથ બનેલ મેરી એલિઝાબેથ ક્લર્ક બાલ્ટીમોર ખાતે ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ધ બુકવર્મ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. ૧૦ વર્ષ પછી ધ ટાઇમ્સએ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સમાજ અને દેશની તમામ સરહદો પાર કરી ચૂકી છે”

વાંચતા વાંચતા આંખ ભીની થઈ જાય એવા હજારો લોકોના પ્રતિભાવ ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાના ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

પ્રેમ કેવી અદભુત અનુભૂતિ છે ! એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા સ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન હવે ચાલ્યો ગયો છે. એ હવે કબરની નીચે છે. પણ પોતાના પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું એને ભાન છે, ચિંતા છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ કદી મરતો નથી. પોતે શું છે એ કહેવા માટે કવયિત્રી પવનનું બહુવચન વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા ? (જોયો આ “વરસાદો” શબ્દ?)

એક પછી એક પ્રતીકો વાપરી કવયિત્રી મૃતકના સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. પણ મોટાભાગના પ્રતીક જીવનની સંધ્યાનો અહેસાસ કરાવે છે. બરફ પર ચળકતી હીરાકણીઓ એ વાતનો પણ ઈશારો છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓ – એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે. નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિઓનું પુનરાવર્તન વાતને દૃઢ કરે છે કે મૃતક ખરેખર મૃત્યુ પામી જ નથી. એ કબરમાં છે જ નહીં એટલે કબર પાસે ઊભા રહી વિલાપ કરવાનો શો અર્થ?

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ,
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

6 replies on “ગ્લૉબલ કવિતા: મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. કવિતા તો સુન્દર , તેનિ સમજુતિ અતિ સુન્દર.

  2. કવયિત્રી મેરી એલિઝાબેથ ફ્રે જાણે કે આત્માનું વર્ણન કરે છે. તે મરતો નથી. તે શાષ્વત છે અને શક્તિ રુપે સર્વેમાં વશે હે. જડ અને ચેત શક્તિના ભૌવતિક સ્વરુપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *