Category Archives: પિનાકીન મહેતા

માંડવાની જૂઈ – જીતુભાઇ મહેતા

ગુજરાતી સુગમસંગીતના ‘Vintage Era’ નું આ ગીત.. સૌપ્રથમ પારૂલબેનની ફરમાઇશને કારણે મળ્યુ, અને લગભગ અઢી વર્ષથી ટહુકો પર ટહુકે છે..! વાચકો ઘણું બીરદાવ્યું આ ગીત, પણ જેમણે મૂળ ગીત સાંભળ્યું હશે, એમને માટે આટલા વર્ષો પછી મળેલું આ ગીત સોનું તો ખરું, પણ ૨૨ કેરેટનું, ૨૪નું કેરેટનું નહી.

અને મારા જેવા ઘણા જેમણે મૂળગીત પહેલા નો’તુ સાંભળ્યું, એમને પણ આ નવું રેકોર્ડિંગ સાંભળ્યા પછી એકાદ વાર તો ઇચ્છા થઇ જ હશે એને મૂળ ગાયકોના સ્વરમાં સાંભળવાની..!

તો આજે.. ટહુકો.કોમ proudly presents માંડવાની જૂઇ.. મૂળ ગાયકોના સ્વરમાં… (૧૯૬૨માં મુંબઇના કોઇક સંમેલનમાં થયેલી રજુઆતનું રેકોર્ડિંગ).

મૂળ ગાયકો : પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, પિનાકીન મહેતા

.

—————————-

Posted on February 21, 2007.

આજની આ પોસ્ટ ધવલભાઇ તરફથી 🙂
કવિ : જીતુભાઇ મહેતા
આ સ્વરાંકનમાં સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, પાર્થિવ ગોહિલ

.

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !

ગુજરાતી સુગમ સંગીતના દરિયાના મોતી જેવું આ ગીત એક વાચક, પારુલની ફરમાઈશને લીધે સાંભળવામાં આવ્યું. ગીત શોધવામાં થોડી મહેનત કરી અને છેવટે આ ગીત શ્રી મેહુલભાઇ નાયક પાસેથી મળ્યું.
જૂઈના રૂપકથી એમાં એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલા જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી ગઈ ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.