Category Archives: કિર્તીકાંત પુરોહિત

ઝાકળ – કિર્તીકાંત પુરોહિત

રાતભર ફૂલનું દિલ બળે,
કીર્તિ જેવું ઝાકળ મળે.

માન હો કે અપમાન હો,
બન્નેમાં દશા ખળભળે.

લાગણીને શું દઉં હવા,
સહેજ તિરાડે નીકળે.

તું કહે તે મંજૂર હશે,
જો જરા આ પાંપણ ઢળે.

વાત થઇ શકશે આપણી,
જો અહંની આડશ ટળે.

ટેકરા-ખાડા નકશામાં,
સાવ સીધા છે કાગળે.

જે દુઆ તેં દીઘી નથી,
કોણ જાણે શાને ફળે !

આંખે વરસે વર્ષા પછી,
કોઇ વાદળની અટકળે.

‘કીર્તિ’ ત્યારે બસ ચેતજો,
દોસ્ત પાછળ ટોળે વળે.