પ્રસ્તુત ગીતમાં કવિ સુરેશ દલાલની છટા પણ નોખી છે અને પુરુષોત્તમ ઉપાધ્યાયની તે સાવ અનોખી. પોતાની શૈલીથી જુદા થઈને આ બંને જણે કરેલું કમનીય કારસ્તાન કાબિલ-એ-દાદ છે. મદહોશ મિજાજમાં લખાયેલું અને અલ્લડ આવારગીમાં સ્વરાંકિત થયેલું ગીત જાણે Zen-G માટે તૈયાર થયું હોય એવું લાગે છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે એકવીસમી સદીમાં વીસમી સદીની આ સુ.દ.– પિયુ તાજગી માણીએ.
કવિઃ સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
આ પ્રથમ કદીય તે કદમ આ ડગમગ્યા નથીઃ
આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!
ચરણને ચાલવા હવે હૂંફાળો તારો હાથ દે
નિશા અને નશા મહીં સુંવાળો તારો સાથ દે
હજી તરસ મટી નથી, હજી તરસ ઘટી નથી
આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!
પલ મહીં ચીરી ગઈ એ વીજળીની વાત શી!
એ વિના કશા દિવસ ને આ અકેલી રાત શી!
આ જિંદગી ગમી નથી કે વેદના શમી નથીઃ
આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!
***










