એવું કહી રહ્યાં છે – ભરત વિંઝુડા

હવા ખરેખર હવા નથી પણ પવન છે એવું કહી રહ્યાં છે,
હું શ્વાસ લઉં છું એ શ્વાસને સૌ જીવન છે એવું કહી રહ્યાં છે.

મને કવિતા ને વારતામાં કશી ખબર ના પડે પરંતુ,
કશુંક બોલું છું જો હું લયમાં કવન છે એવું કહી રહ્યાં છે.

ખબર ખુદાને કે ક્યાંથી આવ્યા ને અહીંથી પાછું જવાનું છે ક્યાં
જનમ થયો એ જગાને લોકો વતન છે એવું કહી રહ્યાં છે.

થઈ ગયેલો એ પ્રેમ વધતો ગયો ને એની નજીક પહોંચ્યો,
પછી હું ભેટી પડું છું ત્યારે બદન છે એવું કહી રહ્યાં છે.

કદીય કોલાહલો ભીતરના ન સંભળાયા અહીં કોઈને,
નગરની સ્થિતિ વિશે પૂછો તો અમન છે એવું કહી રહ્યાં છે.

– ભરત વિંઝુડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *