Category Archives: કાવ્યાસ્વાદ

ગ્લૉબલ કવિતા : ૧૫૦ : જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

ગુજરાતી ભાષાનું અમર કરુણપ્રશસ્તિ કાવ્ય

माया મનુષ્યમાત્રની લાક્ષણિકતા છે, કદાચ સજીવમાત્રની! સમયની સાથે આપણને આપણી આસપાસના માત્ર સજીવો જ નહીં, નિર્જીવો સાથે પણ માયા બંધાઈ જાય છે. આપણા ઘર-ઑફિસ-વાહન-સામાન આપણા જીવનના અવિભાજ્ય અંગો બની જાય છે. મોબાઇલ બગડી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ માત્ર નવા કરવા પડનાર ખર્ચ બાબતનું નથી હોતું કેમકે બગડતાં પહેલાં એ આપણી હથેળીના પરિવારનો એક સદસ્ય બની ચૂક્યો હોય છે. પાંડવો સ્વાર્ગારોહણ માટે હિમાલય પર ગયા, ત્યારે અનાયાસ એમની સાથે જોડાઈ ગયેલું કૂતરું એમના પરિવારનો જ હિસ્સો બની ગયું હતું, અને એને લીધા વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશવા તૈયાર નહોતા થયા. મૂંગા પ્રાણીઓ માટે આવી મમતા થઈ આવતી હોય તો માનવી-માનવીની તો વાત જ શી કરવી? અને એમાંય મૃતક જો નિકટનું સ્વજન હોય તો તો આ બંધન પરાકાષ્ઠાએ જ હોવાનું ને?! ઘરની દીવાલોની વચ્ચે સમય કાઢતા માનવી સમય જતાં અનાયાસે જ એ દીવાલોને શ્વસવાનું શરૂ કરી દેતો હોય છે. પરિવારજનો માટેના સ્નેહ અને નિર્જીવ ઘરવખરી માટેના ખેંચાણ વચ્ચે ક્યારેક ભેળસેળ પણ થઈ જાય છે. આવી જ માયા અને ભેળસેળવાળી પરિસ્થિતિ કેન્દ્રમાં રાખીને બાલમુકુન્દ દવેએ આપણને ગુજરાતી ભાષાનું અમર સૉનેટ આપ્યું છે.

બાલમુકુન્દ દવે. જન્મ ૦૭-૦૩-૧૯૧૬ના રોજ વડોદરા પાસેના મસ્તુપુરા ગામમાં. પિતા મણિશંકર ગિરજાશંકર દવે. માતા નર્મદાબેન. પિતા ગામોટ ગોર હતા. પ્રાથમિક શિક્ષણ પ્રકૃતિના ખોળે મસ્તુપુરા-કુંવરવાડાની ગુજરાતી સરકારી શાળામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૭માં જાસુદબહેન સાથે પ્રથમ લગ્ન. એમનું નિધન થતાં ૧૯૪૧માં ચંદનબહેન સાથે બીજાં લગ્ન. ૧૯૪૦માં નોકરીની શોધમાં અમદાવા આવી સ્થાયી થયા. શરૂઆતમાં ‘સસ્તું સાહિત્ય’ કાર્યાલયમાં. થોડો વખત પત્રકારિત્વ. ૧૯૬૮થી ૧૯૯૧ સુધી ‘નવજીવન’ પ્રકાશિત ‘લોકજીવન’ના તંત્રી. ૧૩-૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૨૮-૦૨-૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની વયે નિધન.

અનુગાંધીયુગીન કવિઓમાંના નોંધપાત્ર. ઘર-ગામ-તળાવ-ખેતર અને શાળાના રસ્તે અનવરત થયે રાખેલ પ્રકૃતિપાન ઉપરાંત પ્રાસંગિક ગીતો-પ્રભાતિયાં, વિશદ વાંચન, કુમારની બુધસભા અને વેણીભાઈ પુરોહિત જેવાઓની મૈત્રીનો કવિ બાલમુકુંદના ઘડતરમાં પ્રમુખ ફાળો. એમના મતે એમના પર ‘પ્રકૃતિસૌન્દર્ય, પ્રણય અને પ્રભુભક્તિ –એ ત્રણ ‘અંગ’માંથી પ્રકૃતિસૌન્દર્યની અસર વિશેષ વર્તાય છે.’ સુ.દ. લખે છે: ‘બાલમુકુંદ પડઘાઓના નહીં, પણ પોતીકા અવાજના કવિ છે…. …મૃત્યુનો અનુભવ બાલમુકુંદના વિષાદનું કેન્દ્ર છે. માતા, મિત્ર, પત્ની અને પુત્ર એ ચારેયનાં મૃત્યુની છાયા કવિના શબ્દ પર પડી છે.’ કવિએ બહુ લખ્યું નથી પણ જેટલું લખ્યું છે એ નખશિખ આસ્વાદ્ય છે. એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતો આપણી ભાષાનો આગવો ટહુકો બની રહ્યાં છે. એમની કવિતા જાત-અનુભૂતિની ભોંય ફાડીને અંકુરિત થયેલી છે. સરળ અને મધુર ભાષામાં લયાન્વિત એમની બાની હૃદયને તુર્ત જ સ્પર્શી લે છે. એક તરફ પરંપરા તો બીજી તરફ ગાંધીયુગીન સંસ્કારો સાથે તાદાત્મ્ય સાધીને પણ તેઓ સફળતાપૂર્વક નિજી છબી ઉપસાવી શક્યા છે. બાળકાવ્યોથી માંડીને પ્રૌઢશિક્ષણ અને મુક્તક, ભજન, ગીતોથી લઈને સૉનેટ-ખંડકાવ્યો સુધીની બૃહદરેખ પર એમનું સર્જનફલક વિસ્તાર પામ્યું છે. કવિતા વિશે બાલમુકુન્દ દવેના શબ્દો નોંધવા જેવા છે: ‘મૌનનું પડ ફોડીને કવિતાનો શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમ-ભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી, એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે…. બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી રહી જય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે એ જ કવિતાનું ‘વિશેષ’ છે!’

‘જૂનું ઘર ખાલી કરતાં’ આપણી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ સૉનેટોમાંનું એક છે. કવિએ અહીં કરુણ રસનિર્વાહ માટે વધુ અનુકૂળ મંદાક્રાંતા છંદ બે-ચાર નાની છૂટ લઈને પ્રયોજ્યો છે. અષ્ટક-ષટક મુજબની પ્રચલિત પંક્તિ સંખ્યાના સ્થાને એમણે ષટક-અષ્ટક પ્રયોજ્યાં છે અને ષટક પછી ભાવપલટો આણીને છેલ્લી બે પંક્તિમાં અભિપ્રેત ચોટ નિપજાવી છે. સૉનેટની પહેલી બારેય પંક્તિઓને કવિએ પ્રાસની પળોજણમાં નાંખી ન હોવાથી ભાવક મુક્તવિહારની અવસ્થા લઈને કાવ્યાંતે પહોંચે છે ત્યારે અચાનક જ ‘આઉટ ઑફ બ્લૂ’ છેલ્લી બે પંક્તિમાં એનો સામનો પ્રાસ સાથે, ના, ચુસ્ત પ્રાસ સાથે થાય છે ત્યારે આખરી બે પંક્તિઓની ચોટ વધારે ધારદાર બની રહે છે અને ભાવકના અસ્તિત્ત્વને ચીરી નાંખવામાં સફળ રહે છે. કવિએ અનાયાસે જ પ્રાસ મેળવી દીધો હોય તોય એટલું સહજ સ્વીકારવું પડે કે આ પ્રાસ સૉનેટને અત્યંત ઉપકારક નીવડ્યો છે. અને આમ તો કવિ नवरसरुचिरा ગણાય છે, પણ ભવભૂતિએ તો एको रसः करुण एव કહીને કરુણ રસને એકમાત્ર મુખ્ય રસ ગણાવ્યો છે. દુઃખ કરુણરસની નિષ્પત્તિનો વિભાવ છે અને દુઃખની ઉત્પત્તિના અનેક કારણોમાંનું એક તે મૃત્યુ. આમ તો આપણે જાણીએ જ છીએ કે जातस्य हि ध्रुवो मृत्युः પણ નિશ્ચિત હોવા છતાં સમયરેખા પર અનિશ્ચિત રહેતું મૃત્યુ હંમેશા અણધાર્યું દુઃખ જન્માવે છે અને આ મૃત્યુ જો નિકટતમ સ્વજનનું હોય તો તો વિષાદનો રંગ ઓર ઘેરો બની રહે છે. વેદનાથી ફાટફાટ કવિહૃદયમાંથી આવા સમયે ફૂટી નીકળતા ઝરણાંને આપણે કરુણપ્રશસ્તિ (Elegy) કાવ્યો તરીકે ઓળખીએ છીએ. રામાયણ-મહાભારતમાં જોવા મળતાં ‘મંદોદરીવિલાપ’ તથા ‘ઉત્તરાવિલાપ’; કાલિદાસના ‘કુમારસંભવમ્’માં ‘રતિવિલાપ’ અને ‘રઘુવંશમ્’માં ‘અજવિલાપ’માં કરુણપ્રશસ્તિ કાવ્યોનો સહજ ઈશારો જોવા મળે છે. ગુજરાતી ભાષામાં ૧૮૬૫માં દલપતરામે લખેલ ‘ફાર્બસવિરહ’ને આપણે ગુજરાતી કરુણપ્રશસ્તિકાવ્યોનું પ્રારંભબિંદુ ગણી શકીએ. એમના પુત્ર ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ પણ કરુણપ્રશસ્તિ કાવ્ય. નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’, પાઠકનું ‘છેલ્લું દર્શન’, ઉમાશંકરનું ‘સદગત્ મોટાભાઈ’ વગેરે આપણા ઉત્તમ કરુણપ્રશસ્તિ કાવ્યો છે. બાલમુકુન્દ દવેનું પ્રસ્તુત કાવ્ય આ કાવ્યોની પંગતમાં હારોહાર બેસે છે.

પ્રસ્તુત રચના કવિના પ્રથમ પુત્રના અવસાન નિમિત્તે લખાઈ છે. કવિતામાં ભલે ખાલી કરાતા ઘરમાં પુત્રપ્રાપ્તિની વાત કરાઈ હોય, હકીકતે પુત્રનો જન્મ તો રિવાજાનુસાર કવિપત્નીના પિયરના ગામ શેરખી ખાતે થયેલો અને પછી મા-દીકરા અમદાવાદના આ ઘરે આવ્યાં. પુત્ર ગંભીર બિમારીમાં સપડાયો એ જ સમયે ગામમાં કવિના પિતાની તબિયત પણ ગંભીર થઈ. એમની ખબર કાઢવા સૌ ગામ ગયા ત્યાં પુત્રનું અવસાન થયું અને બીજા દિવસે કવિના પિતાનું પણ. કવિ લખે છે: ‘મારી તો બંને પાંખ કપાઈ ગઈ! ખાલી હાથે અમદાવાદ આવ્યાં! ઘર તો ખાવા ધાય! (-જે ઘર પછી અમે ખાલી કર્યું.) આવા ઘેરા વિષાદ વચ્ચે ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ રચાયું –એમાં પિતાપુત્ર બંનેના મૃત્યુના વિષાદનો બેવડો ભાર છે. પુત્ર જન્મ્યો શેરખીમાં, અવસાન પામ્યો મસ્તુપુરામાં અને સૉનેટ રચાયું અમદાવાદમાં! કવિતાની ગતિવિધિ આવી મનસ્વિની છે! એ સ્થળકાળ વટાવીને પોતાની રીતે જ પ્રગટ થાય છે.’

પ્રસ્તુત સૉનેટ ગઈકાલની અને આજની ગુજરાતી ભાષા વચ્ચેના સંધિકાળ પર ઊભું છે, જે એની ખાસ વિશેષતા ગણી શકાય. ટૂથબ્રશ, લક્સ સાબુ, ચશ્માં, ક્લિપ, બટન જેવા અંગ્રેજી શબ્દોની અડોઅડ કૂખકાણી, અંક, દૃગ, કણિકા, મણીકા જેવા આજે અપ્રચલિત બની ગયેલા શબ્દો અહીં એકદમ સહજતાપૂર્વક વપરાયા છે. કદાચ એટલે જ આ સૉનેટ દરેક પેઢીને પોતીકું લાગતું આવ્યું છે, લાગતું રહેશે. શીર્ષકના કારણે કવિતા વાંચવી શરૂ કરતાં પહેલાં જ ભાવકને જાણ છે કે જૂનું ઘર ખાલી કરવામાં આવી રહ્યું છે, એટલે પ્રથમ પંક્તિ વાંચતાની સાથે આપણો મેળાપ મધ્યમવર્ગની માનસિકતા સાથે થાય છે. મમતાની દોર તોડવી કપરી છે એ કારણ તો ખરું જ પણ, મૂળે તો ઘર ખાલી કરી દીધા બાદ પણ મધ્યમવર્ગીય માનવી ‘કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો?’ની માનસિકતાથી આઝાદ થઈ શકતો નથી, એટલે એ ખાલી કરાયેલું ઘર માત્ર ફંફોસતો નથી, ફરી-ફરીને ફંફોસે છે. (એકીસાથે આવતા ત્રણ ‘ફ’ની વર્ણસગાઈ કવિતાના ઊઠાવને વધુ ગતિશીલ બનાવી દે છે.) અને એને નિરાશા પણ નથી મળતી. એને હાથ છૂટકમૂટક એકાદ-બે વસ્તુઓ નહીં, ‘ખાસ્સું’ લાગે છે. આ ‘ખાસ્સું’ની જે યાદી છે, એ ‘મિડલક્લાસ મેન્ટાલિટી’ની મહોર ઓર ગાઢી બનાવે છે.

નવા ઘરમાં સહેજે કામ ન આવે એવી જ બધી વસ્તુઓ કવિને હાથ આવે છે, કેમકે કામ આવે એ તમામ ઘરવખરી તો ક્યારની લારીમાં લદાઈ ચૂકી છે. ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. જૂનું ઝાડું, ટૂથબ્રશ, વપરાયેલા સાબુની બચેલી ગોટી, ઢાંકણ વગરની શીશી, ડબલું, કૂખેથી કાણી (અર્થાત્ કોઈ કાળે કામ ન આવે એવી) ડોલ, તૂટેલાં ચશ્માં અને છેલ્લે શોધવું પણ અઘરું થઈ પડે એવી સાઇઝની વસ્તુઓ – બટન, ટાંકણી, સોય અને દોરો! આમાં કઈ વસ્તુ નવા ઘરમાં કામ લાગી શકે એવી છે, કહો તો?! કવિએ આ યાદીમાં ભૂલથી પણ એકય કિંમતી કે કામની વસ્તુ આવી ન જાય એની ચીવટ લીધી છે. છેલ્લે દરવાજા બહાર લટકતું નામનું પાટિયું પણ કવિ પાછળ છોડી શકતા નથી. આ મધ્યમવર્ગીય માનવીની સંઘરાખોરીની વૃત્તિ છે. તો બીજી તરફ, એને એ પણ ખબર છે કે આ રાચરચીલું કાંઈ ગર્વ લેવા જેવું પણ નથી. ભલે ત્યાગી નથી શકાતું, પણ એ પોતાની માલિકીનું હોવાનો ઢંઢેરો પીટતાં એને શરમ પણ એટલી જ આવે છે. એટલે એ પોતાના નામનું પાટિયું છોડી ભલે નથી, શકતો, લારીમાં એને ઊંધું મૂકે છે, જેથી કોઈ જોઈ-જાણી ન શકે કે આ ‘બહુમૂલ્ય’ અસબાબ કોનો છે! મધ્યમવર્ગની માનસિકતાનું આથી વધુ અસરદાર ચિત્રણ બીજે જડવું દોહ્યલું છે.

કવિએ એ અહીં એક કાંકરે એકાધિક પક્ષીઓ માર્યાં છે. પ્રથમ ષટકમાં સામાનની મૂલ્યહીનતાની સાથોસાથ કવિતામાં રમૂજી હળવાશ અનુભવાય છે, જે ઉત્તરાર્ધ સાથે તીવ્ર વિરોધાભાસ સર્જવામાં સફળ નીવડે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ સામાન છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને ઘર તરફ છેલ્લી નજર નાંખે છે ત્યારે. ફરીફરીને ફંફોસી-ફંફોસીને ઝીણામાં ઝીણી વસ્તુઓ વીણી અંકે કરી લઈ, લારીને વિદાય કર્યા બાદ પણ દંપતી આગળ વધી શકતું નથી. પહેલાં તો હાથે ચડ્યો એ સૌ સામાન વીણીને લારીમાં ભરી લીધો, હવે હાથે ન ચડી શકે એવા ઘરને નજરમાં ભરી લેવાનું છે. ઘર તરફ નજર કરતાં જ એવું ઘણું યાદ આવે છે, જે એકેએક વસ્તુઓ ઉસેટી લેવાની લ્હાયમાં યાદ જ નહોતું આવ્યું. પ્રમાણમાં ઓછા જાણીતા કવયિત્રી ચંદ્રિકાબહેન પાઠકજીનું એક લઘુ કાવ્ય અહીં યાદ આવે છે:

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

બાલમુકુન્દ દવે કરતાં ખાસ્સા ઓછા વાક્યો અને ઓછા શબ્દોમાં લાગણીને સહેજ પણ મુખર થવા દીધા વિના કવયિત્રીએ સંતાન/નોએ બારી-દીવાલ-દાદરે કરેલાં, ખસેડી-સમેટી ન શકાતાં ચિતરડાંઓની વાત કરીને સંતાનશોક વધુ સંયત રીતે રજૂ કર્યો છે. પ્રસ્તુત સૉનેટમાં પણ ખાલી ઘર પર આખરી મીટ માંડતા કવિદંપતીની આંખ સામે વીતી ગયેલાં દસ વરસ ક્ષણાર્ધમાં આવી ચડે છે. લગ્ન કરીને બંને જણ આ ઘરમાં આવ્યાં હતાં. આ ઘરમાં જ સહજીવનની શરૂઆતનો મુગ્ધતાસભર આખો દાયકો વીતાવ્યો હતો. દસ વર્ષના લગ્નજીવનના ખટમીઠા સંભારણાંની સાથોસાથ જ બંનેને પહેલો દીકરો યાદ આવે છે. અરે! આ ઘરમાં તો ઈશ્વરકૃપા સમો પ્યારો પુત્ર મળ્યો! પ્રથમ સંતાન કયા મા-બાપને ઈશ્વરના વરદાનથી સહેજ પણ ઓછું લાગતું હશે? પણ સંતાનપ્રાપ્તિની આ મધમીઠી યાદનું આયુષ્ય કવિતામાં એક જ પંક્તિનું છે. સંતાનસુખ-પુત્રસુખ જો કે કવિના નસીબમાં હતું જ નહીં. આ ઘરમાં લગ્ન થયા, આ ઘરમાં પત્નીએ પગ મૂક્યો, આ ઘરમાં દીકરો મળ્યો અને આ ઘરમાં જ દીકરાને ગુમાવવાનું બદનસીબ પણ સાંપડ્યું. આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. પોતાને જીવતેજીવ સંતાન, પ્રથમ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. આ ઘર એ સંતાનની યાદોથી ભર્યુંભાદર્યું છે. ઘરના કોઈ એક ખૂણામાંથી અચાનક મરી ગયેલો દીકરો જાણે પુનર્જીવીત થઈ ઊઠે છે અને સામો આવીને મા-બાપને હૈયાસોંસરવો પ્રશ્ન પૂછે છે: ‘બા-બાપુ! તમે એકેય વસ્તુ આ ઘરમાંથી નવા ઘરમાં લઈ જવાની ભૂલ્યાં નહીં. સાવ તૂટલી-ફૂટલી, ઘસાયેલી વસ્તુઓય લેવાનું તમે બાકી ન રાખ્યું. એક મને જ ભૂલી ગયાં કે?’ અહીં વાક્યાંતે આવતો ‘કે’ છંદ જાળવવા માટે પ્રયોજાયેલો ભરતીનો અક્ષર નથી, એ આપણા તમામ છંદોલયને વેરવિખેર કરી નાંખતો વજ્રાઘાત છે.

કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે, ગમે ત્યાં ‘સાથે’ તો લઈ જવાતી હતી ને! પણ મહામૂલા પુત્રરત્નની પ્રાપ્તિ અને ખોવા વચ્ચેના સંસ્મરણો શું ફરીફરીને ફંફોસી ફંફોસીને પણ સાથે લઈ જવાશે ખરું? સાવ નકામી કહી શકાય એવી વસ્તુઓને સાથે લઈ જઈ શકાવાની ક્ષમતા અને પ્રિયમાં પ્રિય પુત્રના સ્મરણોને લઈ ન જઈ શકાવાની અક્ષમતા વચ્ચે કવિએ જે ધારદાર વિરોધાભાસ ઊભો કર્યો છે, એ વેદનાનું એવરેસ્ટ છે. મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. ક્ષુલ્લક ભાસતા વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

દંપતીની આંખો આંસુઓથી ભરાઈ આવે છે. પણ સાફ જોવા માટે તો આંખ કોરી જોઈએ. સજલ આંખો ઘર તરફ માંડેલી આખરી મીટને ધૂંધળી બનાવે છે, એ અનુભૂતિને આંખમાં કાચની કણી ભોંકાતી હોય એની સાથે સરખાવીને કવિએ દેખાવે કાચ જેવા પ્રવાહી આંસુનું ઘનીકરણ કરીને તકલીફને અસહ્ય બનાવી છે. નાનું ધૂળનું કણુંય આંખમાં પડ્યું હોય તો સહી શકાતું નથી, અહીં તો જાણે કાચની કણી ભોંકાઈ રહી છે. કેવી પીડા! વળી, જેમ કાવ્યારંભે ‘ફ’કારની વર્ણસગાઈ સૉનેટના ઊઠાવને મદદરૂપ નીવડે છે, એ જ રીતે કાવ્યાંતે ‘કાચ કેરી કણિકા’માં એકસાથે આવતા ચાર ‘ક’ની કઠોર વર્ણસગાઈ કણીની કર્કશતામાં વધારો કરીને શોકની પીડા વધુ તીવ્રતર બનાવે છે. વળી, આંખ માટે દૃગ શબ્દ પ્રયોજીને બીજી પંક્તિમાં કવિ પગલાં માટે ડગ શબ્દ વાપરીને આંતર્પ્રાસ વાપર્યો હોવાથી વાક્યાંતે આવતો કણિકા-મણીકાનો ચુસ્ત પ્રાસ વધુ બળવત્તર બને છે. સુરેશ જોષી લખે છે: ‘એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે!’

લારી ચાલી નીકળી છે. જૂનાં ઘર તરફ છેલ્લીવાર નજર નાંખવાનો લોભ દંપતિને ભારે પડ્યો છે. પુત્રસ્મૃતિને લઈને આંખમાં આંસુઓ ખૂંચી રહ્યાં છે અને આંસુસભર આંખે આગળ ચાલવાની કોશિશ કરવા જતાં સમજાય છે કે પગ પર કોઈને લોઢાના મણકાઓ બાંધી ન દીધા હોય એમ પગ પણ ઊપડી-ઊપાડી ન શકાય એવા ભારી થઈ ગયા છે. નગીનદાસ પારેખ લખે છે: ‘આખા કાવ્યની ભાષા સાદી, સ્વાભાવિક, સીધી અંતરમાંથી આવતી, અને લાગણીની સચ્ચાઈના રણકાવાળી છે- લગભગ નિરલંકાર છે, એ પણ કાવ્યની અસરકારકતામાં વધારો કરે છે.’ ચન્દ્રશંકર ભટ્ટ પણ આવું જ કહે છે: ‘ભાવની સ્પર્શક્ષમ અભિવ્યક્તિ માટે ભારેખમ પદાવલિ અનિવાર્ય નથી, તેનું સમર્થ ઉદાહરણ આ કાવ્ય.’ ગુજરાતી ભાષાના આ ઉત્તમ કરુણપ્રશસ્તિ સૉનેટનો સુગુના રામનાથન તથા રીટા કોઠારીએ ‘મૂવિંગ હાઉસ’ નામે અફલાતૂન અંગ્રેજી તરજૂમો પણ કર્યો છે. રસિક મિત્રોને એમાં પણ રસ પડે એમ છે.

જીવનની એક જ દારુણતમ ઘટનાની અભિવ્યક્તિ કાજે એક જ કવિ બે અલગ કાવ્યસ્વરૂપ પસંદ કરે ત્યારે કવિતામાં અકલ્પ્ય અંતર નજરે ચડે છે. પ્રાણપ્યારા પુત્રના મૃત્યુનો શોક સૉનેટમાં ઊતાર્યા બાદ કવિએ આ જ વિષય પર એક ગીત પણ લખ્યું. માત્ર કાવ્યસ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે. ગીત જોઈએ:

સોનચંપો

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

ગ્લૉબલ કવિતા : ૧૧૦ : વહાણવટું -રમેશ પારેખ

પછી તો
નાંગરેલું વહાણ છોડીને ધક્કેલ્યું.
ચાલ્યું.
અર્ધેક પહોંચતાં
સમુદ્રે પૂછ્યું : ‘થાક્યો ને ?’
‘તેથી શું ? જવું જ છે આગળ.’ મેં કહ્યું.
‘આટલા વજન સાથે ?’ સમુદ્ર હસ્યો.
જવાબમાં, હલેસાં વામી દીધાં.

એક તસુ આગળ.
સમુદ્ર ખડખડ હસ્યો.
પગ તોડીને વામી દીધા.
સમુદ્ર હસ્યો ખડખડ
કોણી સુધીના હાથ વામ્યા.
એક તસુ આગળ
ખડખડ હસ્યો સમુદ્ર.

કબંધ વામ્યું તે ક્ષણે
હવાઓ ચિરાઈ ગઈ.
રંગો ભર ભર ખરી પડ્યા આકાશના.
દિશાઓનાં થયાં ઊભાં ફાડિયાં.

સમુદ્ર ચુપ.
થરથરતો જુએ.
વહાણમાં આરૂઢ શેષ મસ્તકને,
જેમાં વળુંભે છે કાળી વીજળીઓ.

-રમેશ પારેખ

कुछ पाने के लिए कुछ खोना पडता है…

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનનાં મુસાફરને હિમાલય નથી નડતો

બે જ પંક્તિમાં શૂન્ય પાલનપુરી સફળતા માટે મક્કમ નિર્ધાર કેટલો આવશ્યક છે એ સમજાવી ગયા. કામ કોઈ પણ હોય, જ્યાં સુધી એને અંજામ આપવાનું નક્કી ન કરી લઈએ ત્યાં સુધી એ પરિપૂર્ણતાના દર્શન કરવા પામતું નથી. નિશ્ચયની અનુપસ્થિતિમાં ઘણીવાર તો કાર્યનો આરંભ જ થતો નથી હોતો. આપણે ‘પંગુ લંઘયતે ગિરિમ્’ અથવા ‘A will will find a way’ કહીએ છીએ ત્યારે પણ મનોબળનો જ મહિમા કરતાં હોઈએ છીએ. આ કામ કરવું જ છે એવું નક્કી કરીને ઘરેથી નીકળો તો જ ‘રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ’ (ગની દહીંવાળા) જેવા ચમત્કાર થાય. રમેશ પારેખની આ કવિતા મક્કમ મનોબળનું મહિમાગાન કરે છે.

રમેશ મોહનલાલ પારેખ. ૨૭-૧૧-૧૯૪૦ના રોજ અમરેલી ખાતે જન્મ. શાળામાં હતા ત્યારે જ એમની વાર્તા ચાંદનીમાં છપાઈ હતી. મેટ્રિક સુધી અભ્યાસ. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં ચિત્રકળા માટે જવું હતું પણ આર્થિક ભીડ આડી આવી. અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ૧૯૬૨ સુધી વાર્તાઓ લખી અને ૧૯૬૭માં કવિતા હાથ ધરી તે એવી ધરી કે આંબી ન શકાય એવું સીમાચિહ્ન બની ગયા. ૪૮ વર્ષની વયે સરકારી નોકરીમાંથી નિવૃત્તિ લઈ ફૂલ-ટાઇમ સરસ્વતીદેવીની નોકરી સ્વીકારી. રસીલાબેન પત્ની. નેહા અને નીરજ બે સંતાન. ૧૭-૦૫-૨૦૦૬ના રોજ ૬૫ વર્ષની વયે કર્મભૂમિ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાના કારણે નિધન. રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. પાટણમાં સિદ્ધરાજ જયસિંહે આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમ’ ગ્રંથની શોભાયાત્રા કાઢી હતી એની સદીઓ બાદ રમેશ પારેખની વર્ષગાંઠના દિવસે ૧૯૯૧માં અમરેલી શહેરના લોકોએ એમની સમગ્ર કવિતાના ગ્રંથ -‘છ અક્ષરનું નામ’-ની રથયાત્રા કાઢી હતી જેમાં રમેશ પારેખ પણ પગપાળા સામેલ હતા. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે.

ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. કવિતાનો એવો કોઈ પ્રકાર નથી જ્યાં ર.પા.એ પગ મૂક્યો હોય અને શબ્દોએ એનો ચરણાભિષેક ન કર્યો હોય. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ, બાળગીત, કટાક્ષ કાવ્ય, હાઈકુ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. મીરાંને નીચે પોતાની સહી કરવાનું મન થઈ જાય એ સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે.

કવિએ છંદ વિશે કહ્યું હતું: ‘મંને છંદો પર ઊંડે ઊંડે શ્રદ્ધા છે. એક વિશિષ્ટ અર્થમાં છંદની કાવ્યને મંત્ર બનાવી નાખતી શક્તિમાં શ્રદ્ધા છે. છંદની નાભિમાં એક એવી ઊર્જા છે જેના સ્પર્શ માત્રથી શબ્દને નિર્વીર્ય ભાષાની ભ્રમણકક્ષાની બહાર જ્યાં તર્કાતીત આનંદના અનુભવો આપણી રાહ જોઈ રહ્યા છે ત્યાં પહોંચાડી શકાય છે.’ છંદનાભિનું ભેદન થાય તો જ નવું વિશ્વ ખુલી શકે એવી શ્રદ્ધા ધરાવનાર ‘લયના કામાતુર રાજવી’ તરીકે ખ્યાત રમેશ પારેખ ‘વહાણવટું’ નામે અછાંદસ કવિતા લઈને આવ્યા છે. ઉત્તરાયણના દિવસે ૨૦૦૫માં લખાયેલું આ કાવ્ય અછાંદસ કવિતાઓમાં એક અલગ જ ભાત પાડે છે. વહાણવટુંમાંનો ‘વટું’ શબ્દ સંસ્કૃત ‘વૃત્તિ’ પરથી ઉતરી આવ્યો છે. વહાણ ચલાવવું જ જેની વૃત્તિ છે એવો કોઈ માછીમાર કે વેપારી વહાણ લઈને દરિયાની છાતી ધમરોળવા નીકળી પડ્યો છે એટલી વાર્તા તો શીર્ષક જ કહી દે છે. ત્રેવીસ પંક્તિઓ અને ૮-૭-૪-૪ પંક્તિઓના અંતરાઓમાં વહેંચાયેલા આ અછાંદસમાં કવિએ ક્યાંય કોઈ પણ લાંબું વાક્ય પ્રયોજ્યું નથી. હાથમાં લેતાં જ પૂરું થઈ જાય એવા ટબુકડા વાક્યો, સમુદ્ર અને નાવિક વચ્ચેની ત્રણેક ટૂંકી પ્રશ્નોત્તરીનો હાથ ઝાલીને કવિતા ઝડપભેર તોફાની જિદ્દી દરિયામાં અનુભૂતિની નાનકી નાવમાં બેસાડીને આપણને વહાણવટે લઈ જાય છે.

અછાંદસ કવિતા કેવી હોવી જોઈએ એ સવાલનો જવાબ આ કવિતા તંતોતંત આપી શકે એમ છે. એ સિવાય ર.પા.નું આ અછાંદસ ખરી કવિતાની વિભાવના સમજવામાં પણ મદદ કરે એવું છે. કવિતાનો ઉપાડ ‘પછી તો’ થી થાય છે એ કવિતા શરૂ થતા પહેલાના કાવ્યનાયક અને સમુદ્ર વચ્ચે થયેલા વણકહ્યા સંવાદ સાથે ભાવકનો સેતુ બાંધી આપે છે. બની શકે કે દરિયાએ પ્રવાસ શરૂ કરતાં પૂર્વે જ એને ચેતવ્યો હોય કે રહેવા દે, આ સફર હું તને ખેડવા નથી દેવાનો. નાયકે વાક્યુદ્ધમાં ઉતરવાના બદલે કાંઠે નાંગરેલી નાવને ધકેલવાનું જ વધુ ઉચિત ગણ્યું હશે. હશે, આગળની વાતો અપ્રસ્તુત છે અને કવિને નાયકની જેમ દરિયો લાંઘવાની ઉતાવળ હશે કે કેમ, પણ કવિતા અડધેથી શરૂ થાય છે. આ જ ખરી કાવ્યકળા છે ને! લંગર પરથી લાંગરેલું શબ્દ આપણે ત્યાં વધુ પ્રચલિત છે એટલે ‘નાંગરેલું’નો પ્રયોગ ભાવકને અટકાવે છે. લાંગરેલું શબ્દ જે રીતે સાચો છે એ જ રીતે નાંગરેલું શબ્દ પણ સાચો છે. દેશ્ય ભાષાના ણંગર કે ણંગલ અથવા ફારસી લંગર ઉપરથી આંગર શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં એને મળતો શબ્દ છે લાંગલ. નાંગરનો એક અર્થ થાય છે લંગર અથવા નાંગળ યાને વહાણ અટકાવી રાખવા માટે પાણીમાં નાંખવામાં આવતો અંકોડો. એ પરથી નાંગરવું એટલે નાંગર નાંખીને વહાણને ઊભું રાખવું, લંગરવું. એક રૂઢિપ્રયોગ પણ છે: “નાંગળ નાખવાં” યાને કે લાંબા વખત માટે ઉતારો કરવો. મેઘાણીની એક પંક્તિ પણ યાદ આવે: ‘ઊંડા જળ એલાણ નાંગળ તૂટ્યાં નાગડા.’

નાયક નાંગરેલ વહાણને દરિયામાં ધક્કેલે છે. ધક્કેલ્યુંમાં જે બેવડો ‘ક’કાર આવે છે એ નાવને સમુદ્રમાં ધકેલવાની ક્રિયામાં વધારાનો વેગ પૂરો પાડી કાવ્યને વધુ ગતિશીલ બનાવે છે અને નાયકના જોશ અને નિર્ધારને દ્વિગુણિત પણ કરે છે. ધકેલવું અને ધક્કેલવું વચ્ચેનો આ અડધા અક્ષરનો તફાવત સક્ષમ કવિકર્મની સાહેદી છે. વહાણ એનો ધર્મ નિભાવે છે. ‘ચાલ્યું’ કહીને એક જ શબ્દનું વાક્ય પ્રયોજીને ફરી કવિ અમૂર્ત ગતિને મૂર્ત કરવામાં સફળ થાય છે. પણ કાવ્યનાયકના વહાણવટાની ઈચ્છા સામે અફાટ અસીમ સમુદ્ર એક પડકાર સમો ઊભો છે. નાયક અર્ધેક પહોંચે છે ત્યારે સમુદ્ર એને થાક લાગ્યો હોવા બાબત ખાતરીપૂર્વક પૃચ્છા કરે છે. સમુદ્રને ખાતરી છે કે નાની અમથી નાવ સાથે સાગરપાર કરવા નીકળેલ આ કાળા માથાનો માનવી હવે થાક્યો જ હશે. નાયક પણ વાસ્તવવાદી છે. એને થાકનો ઇન્કાર નથી. સવાલનો જવાબ એ સવાલથી આપે છે- ‘તેથી શું?’ અને તરત જ ‘જવું જ છે આગળ’ કહીને પોતાનો ઇરાદો પણ સાફ બતાવે છે. હોડીમાંના વધારે પડતા વજન સામે સમુદ્ર ઉપાલંભભર્યું હાસ્ય વેરે છે. જવાબમાં નાયક સમુદ્રમાં હોડી આગળ ચલાવવાના એકમાત્ર ઓજાર હલેસાંઓને સમુદ્રમાં ફેંકી દે છે. તરત જ પ્રશ્ન થાય કે શું નાવમાં વજન સાચે જ ‘આટલું’ હશે? ભાર ઘટાડવાની નેમથી જો નાયક હલેસાં જ હોમી દેતો હોય તો એનો અર્થ જ એ કે નાવ, હલેસાં અને જાત –આ ત્રણ સિવાય નાવમાં બીજું કશું છે જ નહીં અને તોય સાગર ‘આટલા વજન સાથે?’ જેવો સવાલ કરે છે અને નાયક હલેસાં ત્યજી દઈને વળી સવાલની પુષ્ટિ પણ કરે છે. ‘જવાબમાં હલેસાં વામી દીધાં’ એમ સળંગ વાક્ય લખવાના બદલે કવિ જવાબમાં પછી અલ્પવિરામ પ્રયોજે છે, જે ભાવકને ક્ષણેક રોકે છે જેથી નાયકની ચેષ્ટા તરફ ધ્યાન આપ્યા વિના કવિતામાં આગળ વધવાની ગુસ્તાખી કે ઉતાવળ ભાવક ભૂલથીય ન કરી બેસે. વાહ કવિ! બીજું, અહીં કવિ એક અંતરો પૂરો કરીને બે પંક્તિ વચ્ચે એક પંક્તિ જેટલી ખાલી જગ્યા મૂકે છે. અને હલેસાંને વજન ગણવાની સમુદ્ર અને નાવિક- બંનેની ચેષ્ટા બાદ આવતો આ અવકાશ આપણને એ સમજવાનો સમય આપે છે કે દેખીતી વાત ભલે સાગર, નાવિક અને વહાણવટાંની હોય, પણ કવિ કોઈક બીજું જ નિશાન તાકી રહ્યા છે.

વેગપૂર્વક કવિતા આગળ વધતી રહે છે. માત્ર ૩-૩-૪-૩-૪-૩-૩ શબ્દોની બનેલી ટૂંકીટચરક પંક્તિઓમાં તસુભર જ આગળ વધી શકતી હોડી, સાગરનું અટ્ટહાસ અને નાયકનો નિર્ધાર રજૂ થાય છે. એક પછી એક વસ્તુ સમુદ્રમાં પધરાવતા જઈને પણ પોતાના આગળ વધવાના મક્કમ સંકલ્પને -ભલેને તસુભર જ કેમ ન વધાય- નાયક સતત જીવતો રાખે છે અને સમુદ્રને સામો પડકારતો રહે છે. પહેલાં હલેસાં, પછી પગ, પછી કોણી સુધીના હાથ અને છેલ્લે તો એ પોતાનું આખેઆખું ધડ હોમી દે છે. નાવમાંનો બોજ હળવો કરવા માટે ગમે એ હદ સુધી પોતે જશે પણ યેનકેન પ્રકારેય આગળ તો વધીશ જ એવા હુંકારથી હળવી થયેલી નાવ ભરાઈ જાય છે. આ આખી ક્રિયા દરમિયાન સમુદ્ર હસતો રહે છે. સાત પંક્તિઓમાં ઉપરાછાપરી ત્રણવાર પુનરાવર્તિત થતા વાક્યમાં માત્ર ‘ખડખડ’ શબ્દનું સ્થાન બદલીને કવિ એકતરફ સમુદ્ર દ્વારા નાયકની ઊડાડાતી ઠેકડીને ઉત્તરોત્તર તીવ્રતર બનાવે છે તો બીજી તરફ ખડખડનું બદલાતું જતું સ્થાન નાવની ગતિ પણ સૂચવે છે. આ જ કવિકર્મ છે. કવિતા ભલે અછાંદસ હોય, સાચો શબ્દ સાચા સમયે સાચી જગ્યાએ આવે તો અને તોજ એ ગૌરવાન્વિત થાય છે. ર.પા.ને શબ્દોનું ગૌરવ કરવાની કળા જન્મજાત હસ્તગત છે.

નાયક વડે આગળ વધના યજ્ઞમાં પોતાના કબંધ-ધડની આહુતિ આપવાની ક્ષણે કવિતામાંથી સમુદ્ર હટી જાય છે. ત્રીજા બંધમાં કવિએ એને હાજર રહેવા દીધો નથી. અચાનક આખી સૃષ્ટિ કવિતામાં આવી ઊભે છે. હવાઓ ચિરાઈ જાય છે, આકાશના રંગો ભર ભર યાને કે તત્કાળ ખરી પડે છે અને દિશાઓનાં ઊભાં ફાડિયાં થઈ જાય છે. બલિદાનની આ પરાકાષ્ઠા છે. હવા વહેતી બંધ થઈ જાય છે. આકાશમાંથી રંગો ગાયબ થઈ જાય છે. દિશાઓનું જાણે અસ્તિત્વ જ રહેતું નથી. ઓછામાં ઓછા શબ્દોમાં કવિ એક સક્ષમ ચિત્રકારની પીંછીના બળે આખેઆખું દૃશ્ય શ્રુતિસંવેદન અને ગતિવ્યંજનાથી આપણી સમક્ષ ચાક્ષુષ કરે છે. આ શબ્દની તાકાત છે. આ કવિનો જાદુ છે. કવિનો શબ્દ છંદના પહેરણનો મહોતાજ નથી એ વાત અહીં ખૂલે છે.

નાયકનો અભૂતપૂર્વ ત્યાગ અને न भूतो न भविष्यति તૈયારી જોઈને સાગરની બોલતી જ બંધ થઈ જાય છે. નાયકની સતત હાંસી ઊડાવતો સમુદ્ર થરથરી ઊઠે છે. કોઈપણ ભોગે આગળ વધવાની ઇચ્છાની પરિપૂર્તિ માટે નાયકનું આવું બલિદાન જોઈ પ્રકૃતિ અને સમુદ્ર બંને નમી જાય છે. ‘વજન’ ઓછું કરાયેલ વહાણમાં એકમાત્ર બચેલા મસ્તક માટે કવિ ‘આરૂઢ’ શબ્દ પ્રયોજે છે જે સિંહાસનારૂઢ શહેનશાહ જેવું ગૌરવ નાયકને બક્ષે છે. આરૂઢના બંને અર્થ ઊંચે ચડેલું અને દૃઢ, સ્થિર અહીં યથાર્થ ઠરે છે. વહાણમાંના એ એકલવાયા મસ્તકમાં ઊઠતા તરંગોને કાળી વીજળીઓનું સંબોધન કરીને કવિ વહાણવટા પાછળના આંધળુંકિયા સાહસ સુધી અર્થવલયો વિસ્તારે છે. ‘મસ્તક’ શબ્દનું પ્રયોજન પણ સાયાસ છે. પાણી અને વારિ વચ્ચે, ઘોડો અને અશ્વ વચ્ચે જે ફરક છે, એ જ માથું અને મસ્તક વચ્ચે છે. સાચો કવિ એકપણ શબ્દ કાચો પ્રયોજતો નથી. સંસ્કૃતમાં મોટાભાગે ભવભૂતિએ કહ્યું છે: ‘एकः शब्दः सुज्ञातः सुप्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति।’ (એક જ શબ્દને જો બરાબર સમજવામાં આવે અને બરાબર પ્રયોજવામાં આવે તો સ્વર્ગલોકની ઇચ્છા પણ પૂરી થાય છે.)

સુન્દરમની ‘ટિટોડી અને સાગર’ કવિતા તરત જ યાદ આવે, જ્યાં ડુંગર જેવાં જહાજોને ડૂબાડી ચૂકનાર સાગર ટિટોડીના ઈંડાં તાણી જાય છે અને ટિટોડીની વિષ્ટિ-વિનવણીને જ્યારે સાગર અવગણે છે ત્યારે ટિટોડી આખી દુનિયાના પંખીઓને એકઠાં કરે છે અને બધાં જ પંખીઓ ચાંચે જે સમાય એ તરણું કે કાંકરો લઈને દરિયાને પૂરવા માંડે છે. દરિયાનું અભિમાન ઊતરી જાય છે, અને ટિટોડીના ઈંડા લઈને કરગરતો આવે છે. ત્યાં પણ અડગ નિર્ધારનો મહિમા હતો, અહીં પણ એ જ છે. ગુજરાતી કવિતાઓની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો (layastaro.com) પર કવયિત્રી નેહા પુરોહિત આ કાવ્યનું કંઈક આ રીતે અર્થઘટન કરે છે: ‘હલેસાં અને હાથ-પગનો ત્યાગ ભૌતિક સુખ-સગવડના ત્યાગનું પ્રતીક છે. છાતી સહિત ધડને હોમી દેવાની બાબત એટલે હૃદય યાને કે લાગણીઓથી વિચારવાનું બંધ કરીને નાયક હવે ફક્ત મસ્તક, યાને બુદ્ધિથી કામ પાર પાડશે. કાળી વીજળીઓનો મતલબ –હવે આગળ જે થશે એમાં ભાવનાઓનું તેજ નહીં હોય- એવો લઈ શકાય.’ સરવાળે પ્રસ્તુત રચનામાં મનુષ્યને ખતમ કરી શકાય છે પણ પરાસ્ત નહીં એવી વિભાવના ઉજાગર થાય છે. મનુષ્યે કંઈક કરવું જ હોય તો એને અંજામ આપવા માટે કઈ હદ સુધી ત્યાગ કરવા તૈયાર રહેવું પડે છે એ પણ સમજી શકાય છે. બોજનો ત્યાગ કર્યા વિના કોઈ સિદ્ધાર્થ બુદ્ધ બનતો નથી અને નિર્ધારમાંથી પાછીપાની કરીને કોઈ વર્ધમાન મહાવીર નથી બનતો.

ગ્લૉબલ કવિતા: દ્રાક્ષ: – અનામી (ગ્રીક) અનુ. વિવેક મનહર ટેલર

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
તારી સૂકી દરાખના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?
– અનામી (ગ્રીક)
અનુ. વિવેક મનહર ટેલર

ઊંમરના કબાટમાં સાચવીને રાખેલો કાઢ્યો મેં બહાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

– મૂંછમાં ઊગી આવેલા પહેલા સફેદવાળની અક્ષુણ્ણ અનુભૂતિથી લઈને જીવનના અંત સુધી ઘડપણ માણસજાતને સતાવતું આવ્યું છે. નરસિંહ મહેતા જેવા સંતકવિ પણ કહી ગયા, “ઘડપણ કેણે મોકલ્યું? –જાણ્યું જોબન રહે સૌ કાળ.” નર્મદ જેવા ભડવીરે પણ ગાવું પડ્યું, “હરિ, તું ફરી જોબનિયું આપે” ચિરયૌવનની કામના આદિકાળથી રહી છે. વૃદ્ધાવસ્થાને પચાવવું હંમેશા કપરું જ રહ્યું છે. આપણા સૌની અંદર એક યયાતિ રહેલો છે જે સદૈવ યૌવન જ ઝંખે છે.

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે (મુકુલ ચોકસી)

મહાભારતમાં યક્ષ જે પ્રશ્ન પૂછે છે એમાંનો એક હતો, સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે જરા અને મૃત્યુ અફર હોવા છતાં દરેક માણસ એ જ રીતે જીવે છે જાણે એ કદી ઘરડો થવાનો નથી કે મરવાનો નથી.

આજે જે કવિતાની આપણે વાત કરીએ છીએ એ સેંકડો સદીઓ પહેલાં કોઈ અનામી ગ્રીક કવિએ લખી હતી. ગ્રીક સાહિત્યમાં એ જમાનામાં સ્ત્રી-પુરુષના અંગ-ઉપાંગ અને કામક્રીડાની બેબાક કવિતાઓ સહજ હતી. વૃદ્ધ સ્ત્રીઓની નિર્લજ્જ મજાક પણ એવી જ સામાન્ય હતી. તું તારા વાળ રંગી શકશે પણ ઉંમરને નહીં. તું રાત્રે તારા દાંત જ નહીં, તારી પથારીમાંની આવડત પણ બાજુએ મૂકીને સૂઈ જાય છે. રંગરોગાન તને હેકુબામાંથી હેલન નહીં બનાવી શકે. વૃદ્ધા સાથે સૂવા કરતાં પોતાનું ખસીકરણ કરાવવું યોગ્ય છે એવો મત પણ પ્રવર્તતો. આપણે ત્યાંય પરિસ્થિતિ કંઈ અલગ નથી. શંકરાચાર્ય લખી ગયા: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે કહ્યું: “સૂંઘે ન કો કરમાઈ જૂઈ” ચૌદસો વર્ષ પહેલાં ભર્તૃહરિ શૃંગારશતકમાં કહી ગયા:

इदमनुचितमक्रमश्च पुंसां
यदिह जरास्वपि मान्मथाः विकाराः ।
तदपि च न कृतं नितम्बीनां
स्तनपतनावधि जीवितं रतं वा ।।
(વૃદ્ધાવસ્થામાં પણ પુરુષોને કામવિકાર થાય છે એ અયોગ્ય અને મર્યાદાનો લોપ છે. એ જ રીતે એ પણ અયોગ્ય છે કે સુંદરીઓના જીવનને અને રતિક્રીડાને સ્તનોનું પતન થાય ત્યાં સુધી જ નથી રાખ્યા.) આપણે ત્યાં એવું પણ લોકનિરીક્ષણ છે કે ‘સ્ત્રીયા જોબન ત્રીસ વર્ષ”

પ્રાચીન ગ્રીસની વાત કરીએ તો વૃદ્ધ પણ આકર્ષક સ્ત્રીઓને સ્વીકાર્ય ગણતા વૃદ્ધ પુરુષો પણ હતા. અહીં રજૂ કરેલી કવિતા એવા જ કોઈક અનામી કવિએ લખી હશે જે ફિલોડેમસની વૃદ્ધ પણ ઘાટીલા સ્તનવાળી કામુક ચેરિટો જેવી કોઈક સિનિયર સિટિઝન માટે લખાઈ હશે.

ત્રણ પંક્તિની આ કવિતાને ઘણાએ હાસ્યપ્રેરક પણ ગણી છે. કવિ કહે છે, તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી સૂકી દરાખ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો?

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ દ્રાક્ષ સાથે કેવા ‘મેચ’ થાય છે !

બીજી પણ કેટલીક વાતો ધ્યાનાર્હ છે. જેમ પ્રતીક્ષા પ્રેમનો પ્રાણ છે તેમ વફાદારી આ કાવ્યનો પ્રાણ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની આખી વાડી હોય. પણ કવિની તો અર્જુનનજર છે. જેમ અર્જુનને વાટિકા-વૃક્ષ, ડાળ-પાંદડા અને પંખી સુદ્ધા નહીં, માત્ર પંખીની આંખ જ દેખાય છે એમ કાવ્યનાયક એક જ દ્રાક્ષની વાત કરે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને પ્રત્યેક ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અહીં ‘સ્વ’ એ જ ‘સર્વ’ છે. નાયિકા તરફની વફાદારી, એની એક ‘હા’નો ઇંતેજાર નાયકનું જીવનપાથેય છે. પ્રતીક્ષાની ચરમસીમાએ અપેક્ષાનો લોપ થવા માંડે છે. જીવનની સંધ્યાએ તો આ અપેક્ષા ‘એક’ આખી દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત બની રહે છે…

જીવન નાશવંત છે, પ્રતીક્ષા ચિરકાલીન છે પણ પ્રેમ અમર છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી પણ યથાતથ્ રહે છે પણ પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને, એની ચરંતન વફાદારીને અને સનાતન પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

ફરી એકવાર આદિ શંકરાચાર્ય યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहित्वा दण्डं
तदपि न मुच्यत्याशापिण्डम् ॥

(અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

Global કવિતા : (દોઢ લીટીની અમર કવિતા) મેટ્રો સ્ટેશન પર – એઝરા પાઉન્ડ (અનુ.: વિવેક મનહર ટેલર)

In a Station of the Metro

The apparition of these faces in the crowd;
Petals on a wet, black bough.
– Ezra Pound

મેટ્રો સ્ટેશન પર
ભીડમાં ઓછાયા આ ચહેરા તણા;
પાંદડીઓ ભીની, કાળી ડાળ પર.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતા લાઘવની કળા છે એમ સિદ્ધહસ્ત પંડિતો કહે અને આપણે બસ સાંભળી રહેવાનું. સામો પ્રશ્ન પૂછીએ કે દાખલો આપો તો આપણે તો ઠોઠ જ ઠરીએને? પણ એઝરા પાઉન્ડની આ ટૂંકીટચ કવિતા વાંચીએ તો તરત વાત સમજાઈ જાય. માત્ર દોઢ જ લીટીની કવિતા. સત્તર જ શબ્દો. પણ વિશ્વકવિતાના ઈતિહાસમાં દોઢ લીટીની આ કવિતા ઇમેજીસ્ટ પોએટ્રીના ઉદાહરણ તરીકે સૌથી વધુ ટંકાયેલી અને ચર્ચાયેલી કવિતા છે. આ દોઢ લીટીના કાવ્ય પર આખું દળદાર પુસ્તક થઈ શકે એટલા લેખ-સંશોધન થયા છે, થતા રહે છે.

પહેલાં તો ઇમેજીસ્ટ પોએટ્રી એટલે કે દૃશ્ય-કાવ્ય શું છે એ જરા સમજી લઈએ. ઓગણીસમી સદીના અંતભાગ સુધીમાં કવિતાની નાજુક લવચિક ડોક ભારીખમ્મ શબ્દાડંબર, દુષ્કર વર્ણાનુપ્રાસ, અને ક્લિષ્ટ અલંકારોના ઘરેણાંઓના બોજથી લચી પડી હતી. છંડોના બંઢન ફગાવીને મુક્તકાવ્ય (ફ્રી વર્સ) તરફ વળેલા કવિઓ સાહજિક રીતે આ કવિતાની કૃત્રિમતાથી અકળામણ અનુભવતા હતા. એટલે વીસમી સદીની શરૂમાં સુનિશ્ચિત દૃશ્ય-ચિત્રની મદદથી અભિવ્યક્તિની સુસ્પષ્ટતા તરફ વળ્યા. 1912ની સાલમાં એઝરા પાઉન્ડે અધિકૃતતાપૂર્વક ‘ઇમેજીસ્ટ મૂવમેન્ટ’ની સ્થાપના કરી. જેના જાહેરનામાનો પહેલો સિદ્ધાંત હતો, ‘સામાન્ય વાતચીતની જ ભાષા, પણ હંમેશા ચોક્કસ શબ્દનો જ પ્રયોગ, લગભગ-ચોક્કસ કે અલંકૃત શબ્દો નહીં જ.’ જીઓર્જીઅન રોમેન્ટિસિઝમની ઢીલી, પ્રમાદી ‘એબ્સ્ટ્રેક્ટ’ ભાષા અને બેદરકાર વિચારધારા સામેની આ પ્રતિક્રિયા હતી. ભાષાની કરકસર, તાદૃશ ચિત્રાંકન અને યથાર્થ રૂપક એ ઇમેજીસમની કરોડરજ્જુ હતી. કવિતામાં એક પણ શબ્દ વધારાનો ન જ હોવો જોઈએ આ પૂર્વશરત સાથે શરૂ થયેલી આ ચળવળ 1917માં તો પૂર્ણ થઈ ગઈ પણ આ અડધા દાયકામાં જે યાદગાર રચનાઓ મળી છે એણે આજપર્યંત સુધીની તમામ કવિતાઓને પ્રભાવિત કરી છે.

આ કવિતાની રચનાનો ઈતિહાસ પણ એવો જ રસપ્રદ છે. Imagist poetryના અગ્રણી પ્રણેતા એઝરા પાઉન્ડની આ કવિતા, પહેલાં તો ૩૬ પંક્તિની હતી. પણ કવિને બિનજરૂરી લંબાણ ખટક્યું અને એમણે કવિતાની સાઇઝ અડધી કરી દીધી. છત્રીસમાંથી અઢાર પંક્તિ. પાઉન્ડને હજી સંતોષ નહોતો. છેવટે કવિતાની સર્જરી કરતાં-કરતાં કવિતામાં માત્ર દોઢ લીટી અને ચૌદ શબ્દો બચ્યા ત્યારે કવિએ શ્વાસ લીધો. પણ આ છત્રીસ પંક્તિમાંથી દોઢ પંક્તિ સુધીની યાત્રા કાપવા માટે કવિએ એક આખા વરસ જેટલો સમય લીધો… એક આખા વરસની મથામણ માત્ર સાચા શબ્દ સાચી રીતે ગોઠવી શકાય એ માટે કેમકે ઇમેજિસમનો મૂળ સિદ્ધાંત જ તમામ બિનજરૂરી શબ્દોનો નિર્મમ ત્યાગ કરીને એક પ્રામાણિક ચિત્ર માત્ર જ ભાવકની સામે મૂકી દેવું તે છે.

લગભગ સો વર્ષ પહેલાં ૧૯૧૨માં લખાયેલી આ કવિતા લાઘવની દૃષ્ટિએ સુન્દરમની ખંડ શિખરિણીમાં લખાયેલ દોઢ લીટીની કવિતાની યાદ અપાવે: “તને મેં ઝંખી છે/ યુગોથી ધીખેલા સહરાની પ્રખર તરસથી” સુંદરમની આ કવિતા તો દોઢ લીટીમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ જ છે, જાણે !

પાઉન્ડની ચૌદ શબ્દોની આ કવિતાને કેટલાક સૉનેટ સાથે પણ સરખાવે છે. સૉનેટ કાવ્ય ચૌદ પંક્તિનું બનેલું હોય છે જેમાં પંક્તિઓની એક ગોઠવણી અષ્ટક (આઠ પંક્તિઓ) અને ષટક (છ પંક્તિઓ) સ્વરૂપે હોય છે. પાઉન્ડની આ રચનામાં પહેલી પંક્તિમાં આઠ શબ્દો (અષ્ટક?) અને બીજીમાં છ શબ્દો(ષટક?) છે, એ જોતાં પાઉન્ડની આ કૃતિને વિદ્વાનોએ નોખા પ્રકારના સૉનેટ તરીકે પણ બિરદાવી છે. વિદ્વાનો આ કવિતાને હાઇકુ પણ ગણે છે. પાઉન્ડે જાતે કહ્યું છે કે આ કવિતા ટૂંકી કરવા માટેની પ્રેરણા એમને જાપાનીઝ હાઇકુમાંથી મળી હતી. આ કાવ્ય આધુનિક (મૉડર્નિસ્ટ) કવિતાના આવણાંનું રણશિંગુ પણ ફૂંકે છે. આખી રચનામાં એકપણ ક્રિયાપદ વાપરવામાં આવ્યું નથી. બંને પંક્તિઓને જોડતું કોઈ પૂરક પદ પણ વપરાયું નથી.

પેરિસના લા-કૉન્કર્ડ મેટ્રો સ્ટેશન પર ટ્રેનમાંથી બહાર આવતી વખતે પાઉન્ડ સુંદર ચહેરાઓની આવજાવમાં ખોવાઈ ગયા અને આખો દિવસ આ દૃશ્યને જોતી વખતે જે લાગણી અનુભવી એને કેવી રીતે વ્યક્ત કરવી એની મથામણમાં રહ્યાં. આ લાગણીને કાગળ પર ઢાળવા માટે એમની પાસે શબ્દો નહીં, રંગો હતા પણ એ રંગો ચિતારાના નહીં, કવિના હતા. પોતાને જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ એવીને એવી જ રીતે ભાવક સુધી પહોંચે એની મથામણ એટલે આ શબ્દચિત્ર…

પેરિસના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પરની અધધધ ભીડ… ભૂતની જેમ ઉપસી આવતા અને તરત ખોવાઈ જતા હજારો ચહેરાઓ… આ ચહેરાઓની કોઈ ઓળખ નથી, જાણે કે ઓછાયા જ. નજરે ચડતા અને અલોપ થતા, ફરી દેખાતા અને ફરી ગાયબ થઈ જતા ચહેરાઓની ક્ષણભંગુરતા જાણે કે પૃથ્વી પરનું આપણું આવાગમન સૂચવે છે. લેટિન Memento Mori અર્થાત્ યાદ રાખો કે તમારે મરવાનું છે એ આ કવિતાનો મુખ્યાર્થ છે. કાળી ડાળી ભીની છે. મતલબ વરસાદ પડી ચૂક્યો છે અને વરસાદના મારથી ફૂલની પાંદડીઓ ખરી પડી છે. કેટલીક રંગબેરંગી પાંદડીઓ આ કાળી અને ભીની ડાળ પર હજી ચોંટી રહી છે. પણ સમજી શકાય છે કે થોડા સમય બાદ ડાળી સૂકાશે અને પવન વાશે ત્યારે આ પાંદડીઓ પણ ત્યાં નહીં હોય.

મેટ્રો સ્ટેશન પરના એ ચહેરાઓ હોય કે ન હોય, ભીની ડાળ પર ચોંટેલી પાંદડીઓ હોય કે ન હોય પણ આ કવિતા વિશેની ચર્ચા ચાલુ જ રહેશે…

કાવ્યાસ્વાદ ૧૧ : રઘુવીર ચૌધરી (પ્રાસ્તાવિક)

વર્ષ ૨૦૧૫ના જ્ઞાનપીઠ એવોર્ડના વિજેતા – ગુજરાતી નવલકથાકાર અને કવિ – શ્રી રઘુવીર ચૌધરીના કેટલાક કાવ્યોનો આસ્વાદ અને પછીની કાવ્યાસ્વાદ શૃંખલામાં માણીએ. શરૂઆત કરીએ થોડા પરિચય અને પ્રાસ્તવિક વાતોથી..!

કાવ્યાસ્વાદ ૮ : વૈષ્ણવજન તો તેને કહીએ – નરસિંહ મહેતા

સ્વર – લતા મંગેશકર

આસ્વાદ – મધુસુદન કાપડિયા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

– નરસિંહ મહેતા

કાવ્યાસ્વાદ ૭ : એક જ દે ચિનગારી, મહાનલ ! – હરિહર ભટ્ટ

સ્વર – સંગીત : ??

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…