Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા: ૩૪ : वाक्यानी – લાલ દીદ (અનુ. વિવેક મનહર ટેલર)

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि भु चू मि मिलो ना जाना
चू कु भु कु क्यों सन्देह् ॥

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

Lord, I have not recognized myself (as one with Thee)
Continually have I shown affection for this single body.
That Thou art I, that I am Thou, that these are joined in one I knew not.
It is doubt to say, ‘Who am I?’ and ‘Who art Thou?’

An idol is but a lamp of stone, a temple is but a lump of stone.
From crown to sole each is of but the one stuff.
O learned Pandit! What is this to which thou offerest worship?
Bring thou together a determined mind and thy vital airs.

When the sun disappeared, then came the moonlight;
When the moon disappeared then only mind remained;
When mind disappeared, then naught anywhere was left;
Then whither did earth, ether and sky go off together?

Whatever work I may do, the burden of the completion thereof lieth on myself,
But the earnings and the collecting of the fruits thereof are another’s.
If in the end, without thought for their fruits, I lay these works as an offering before the Supreme Self,
Then, where’er I may go, there is it well for me.

વાખ્યાની

નાથ ! ન જાણું, હું છું કોણ ?
ચાહ્યો કાયમ મેં આ કુદેહ,
તું હું, હું તું, આ મેળથી અજાણ,
તું કોણ ? હું કોણ ? શો સંદેહ ?

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ પથ્થર,
પૂજ્ય પૂજારી! તું શું પૂજે છે?
મન પવન એક ક્યારે કરશે?
સૂર્ય ગયો ત્યાં પ્રકાશ્યો ચંદ્ર,
ચંદ્ર ગયો તો બસ, બચ્યું ચિત્ત;
જો ચિત્ત ગયું તો ક્યાંય કશું નહીં,
આભ, ધરા, અવકાશ ગયા ક્યાં?

જે જે કરું એ મારે જ માથે,
ફળ એનું કોઈ બીજાના હાથે?
આશ વિના અર્પું સૌ એને,
જ્યાં જઉં ત્યાં સહુ શ્રેષ્ઠ છે મારે.

-લાલ દીદ
(અંગ્રેજી અનુવાદ: જ્યૉર્જ ગ્રિઅરસન, લાયનલ બાર્નેટ)
ગુજરાતી અનુ. વિવેક મનહર ટેલર

(મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી અનુવાદ કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાક્યાની’ પુસ્તકમાંના શબ્દકોશ અને સંસ્કૃત-અંગ્રેજી ભાષાંતરનો સહારો લીધો છે.)

ઉપર અલ્લા, નીચે લલ્લા !

લલ્લા કહો, લલ્લેશ્વરી કહો કે લાલ દીદ… એ ચૌદમી સદીની શરૂઆતમાં (જન્મ આશરે ૧૩૦૧ અથવા ૧૩૧૭-૨૦?; મૃત્યુ: ૧૩૭૩?) પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી શૈવ પંથની પ્રચારક, અર્ધનગ્ન વણજારણ સૂફી સાધ્વી અને કવયિત્રી યોગિની હતી. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. ૧૨ વર્ષની વયે લગ્ન. લગ્ન પછીનું નામ પદ્માવતી. કહેવાય છે કે સાસુએ ત્રાસ આપી આપીને એને ઘર ત્યાગવા મજબૂર કરી હતી. કાશ્મીરીઓ કહે છે, ‘होन्ड मारान किना काथ, लाली नलवुच बालि न झाह’ (મેંઢ માર્યો હોય કે ઘેટું, બધું સરખું જ; લલ્લાના ભાણામાં હંમેશા પથરો જ આવતો.) પથરા પર ભાત પાથરી દેવાતો જેથી વધુ માત્રામાં ભાત આપેલો દેખાય. લલ્લા કહેતી, ‘એ લોકોએ મને અપમાનોના કોરડા માર્યા, ગાળોથી વધાવી, એમનું ભસવું મારે મન કંઈ નથી. એ લોકો આતમફૂલ અર્પવા પણ આવે તો મને પરવા નથી. નિઃસ્પૃહ, હું આગળ વધું છું.’ લલ્લા બેવફા છે એની સાબિતી મેળવવા એની પાછળ ગયેલા પતિને લલ્લા જંગલના એકાંતમાં ભક્તિમાં લીન નજરે ચડી. આખરે ૨૬ની ઊંમરે ગૃહત્યાગ કરીને લલ્લાએ પરિવ્રાજિકા-વણજારણની જિંદગી અપનાવી. કહે છે, એ અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્ન રઝળપાટ કરતી, નૃત્ય કરતી અને ગીતો રચતી-ગાતી. લલ્લા જાતે કહે છે, ‘મારા સ્વામીએ મને એક જ નિયમ આપ્યો છે, બાહ્ય ભૂલી જા, ભીતર જા. મેં, લલ્લાએ, આ શિક્ષણ દિલમાં ઉતારી દીધું, એ દિવસથી હું નગ્ન નાચતી ફરું છું.’ રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે આજે ફરી રહ્યાં છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. લલ્લાની રચનાઓ પેઢી દર પેઢી કંઠોપકંઠ વહી આવી હોવાથી, કાળક્રમે ભાષામાં ઘણો બદલાવ આવ્યો હોવાથી વર્તમાન વાખ એના મૂળ વાખ કરતાં અલગ જ હશે એમાં શંકા નથી પણ છંદોલય અને લલ્લા માટેનો સ્નેહાદર લેશમાત્ર બદલાયા નથી. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. કાશ્મીરમાં એવા હિંદુ કે મુસલમાન જડવા મુશ્કેલ છે, જેમની જીભે લલ્લાની વાખ રમતી ન હોય.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એને અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા છે તો બીજી તરફ સમર્પણ, સાધના અને સ્વ જ સર્વ હોવાનો- अहम ब्रह्मास्मिના અનાહત નાદમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધુંજ રસાઈને ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં ગંગાસતીની પેઠે વીજળીના ચમકારે મોતીડાં પરોવી લે છે. ફરક એટલો જ કે લલ્લાની વીજળી એકવાર પ્રકાશે પછી સનાતન બની રહે છે, અચાનક અંધાર થાતો નથી. એમનેમ કંઈ ‘ઉપર અલ્લા, નીચે લલ્લા’ કહેવાયું નથી.

યજુર્વેદમાં વ્યાસના આગ્રહથી શિવ શુકદેવને બ્રહ્મ રહસ્યના ચાર સૂત્ર આપે છે:

प्रज्ञानं ब्रह्म (પ્રકટ જ્ઞાન બ્રહ્મ છે)
अहम् ब्रह्माऽस्मि (હું જ બ્રહ્મ છું)
तत्त्वमसि (એ તત્ત્વ તું જ છે)
अयमात्मा ब्रह्म (આ આત્મા બ્રહ્મ છે)

લલ્લાની પ્રથમ વાખનો પ્રધાન સૂર પણ આ બ્રહ્મરહસ્યની ફરતે જ ગૂંથાયેલ છે. ‘હું કોણ છું’નો સનાતન પ્રશ્ન લલ્લા ઊઠાવે છે અને કહે છે કે આખી જિંદગી હું જાતને ઓળખી ન શકી. આ દેહની આસક્તિ પાછળ જ જીવન પૂરું થઈ ગયું. જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ ગઈ. પણ આપણો ‘હું’ અને બ્રહ્મનો ‘તું’ – બંને અભિન્ન છે; દ્વૈત નહીં, અદ્વૈત છે એ તથ્ય જ વિસરાઈ ગયું. શ્રીકૃષ્ણ કહે છે, ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टो’ (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું.) મનુષ્ય, પ્રકૃતિ અને પરમેશ્વર-બધા એક જ છે. પરમબ્રહ્મની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું, શંકા સેવવી એ જ સૌથી મોટી ભૂલ છે. જીવમાત્ર શિવનો જ અંશ છે એ સત્ય ભીતર ઝળહળે નહીં ત્યાં લગી આપણે મોક્ષ માટે લાખ-હજાર વાનાં કેમ ન કરીએ, વ્યર્થ છે. લલ્લા કહે છે, ‘પ્રેમઘેલી હું ફરીફરીને પાછી આવું છું તો ગુરુજી મારા ઘર(શરીર)માં જ જડે છે.’

બીજા વાખમાં લલ્લા આજ વાત અલગ રીતે કરે છે. એ કહે છે, ઈશ્વર પથ્થર છે, મંદિર પણ પથ્થર છે. માથાથી પગ સુધી બધા માત્ર પથ્થર જ છે. આપણે શેની પૂજા કરીએ છીએ? શું પૂજીએ છીએ? પથ્થર? ખરો ઈશ્વર તો આપણી અંદર જ છે કેમકે આપણે ઈશ્વરના જ અંશ છીએ. નવાઈ લાગે પણ કાશ્મીરના જંગલોમાં સાતસો વર્ષ પહેલાં નગ્ન રખડતી એક યોગિની અને ચારસો વર્ષ પહેલાં ગુજરાતમાં સોનીનો ધંધો કરતો ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહેનાર અખો કેટલી હદે સમાન વિચાર ધરાવે છે:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

લલ્લા પણ આ જ કહે છે. બ્રહ્મજ્ઞાન બહારથી નથી આવવાનું. આપણું મન અને આપણા શ્વાસ – ચિત્ત અને પ્રાણ –એકાકાર ન થાય તો ઈશ્વર ક્યાંથી મળવાનો? યોગિની લલ્લાનો સાફ ઈશારો યોગિક પ્રાણાગ્નિહોત્ર, પવિત્ર શ્વાસોની આહૂતિ –પ્રાણાયમ તરફ છે. એ કહે છે, ‘પલાંઠી વાળીને શ્વાસ રોકવાથી સત્ય નહીં મળે. દીવાસ્વપ્ન મોક્ષના દરવાજા સુધી નહીં લઈ જાય. પાણીમાં ગમે એટલું મીઠું નાખો, એ સમુદ્ર નહીં બને.’ એ કહે છે, ‘એ જાણે છે કે એ જ ઈશ્વર છે, એ કોની પૂજા કરે?’ લલ્લા ભૂખ-તરસથી શરીરનું દમન કરવાની ના કહે છે. કહે છે, ‘એના બદલે શરીર ગબડે ત્યારે એને હાથ આપો. સોગંદો અને પ્રાર્થનાઓ જાય ભાડમાં, બસ, અન્યોને મદદ કરો. આથી વધુ સાચી કોઈ ભક્તિ જ નથી.’ આમ, લલ્લા સર્વેશ્વરને સ્વમાં અને સર્વમાં શોધવા કહે છે.

ત્રીજા વાખમાં પણ લલ્લા void in to voidની જ વાત કરે છે. યોગમાં ચંદ્ર અને સૂર્ય ક્રમાનુસાર સૌથી ઉપરના અને નીચેના ચક્રો ગણાય છે. સૂર્ય અદૃશ્ય થયો તો ચાંદો પ્રકાશ્યો. ધ્યાનની ચરમસીમાએ સૂર્ય-ચંદ્ર, અર્થાત્ સૃષ્ટિ એના સંદર્ભો ગુમાવી અદૃશ્ય થાય છે. ચિત્ત જ રહી જાય છે. ‘અદૃશ્ય થવા’નો ખરો અર્થ ‘ચેતનામાં ઉપસ્થિતિ ઓગળી જવી’ થાય છે. મતલબ યોગી એની ચેતનાને મર્ત્યલોકમાંથી ઊંચે લઈ જઈ બ્રહ્મલોક સુધી વિસ્તારે છે. અહીં, વ્યક્તિગત આત્મા અને સમષ્ટિ વચ્ચેનો તફાવત સર્વસમાવિષ્ટ ચેતનામાં ડૂબીને સમરસ થઈ જાય છે. લલ્લા ઘણીવાર અવકાશ અવકાશમાં ભળી જવાની વાત કરે છે.

ચોથા વાખમાં ભગવદગીતાનો कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन्નો શંખધ્વનિ સંભળાય છે. કહે છે, જે હું કરું છું એની જવાબદારી મારા જ માથે છે તો એનું ફળ બીજાને મળે એ કેમ ચાલે? વાલિયો લૂંટારો લૂંટ-ખૂન કરે અને પેટ પરિવારનું ભરાય? આપણા આ કર્મ બીજી દુનિયામાં કે બીજા જન્મમાં આપણી સાથે આવતાં નથી, એ અહીં જ વરસદારોના હાથમાં મજાક બનીને રહી જાય છે. સાચો ધ્યાની અને જ્ઞાની તો માત્ર કર્મ જ કરે છે અને ફળની આશા ન રાખી, બધાં જ ફળ ‘એ’ને સુપ્રત કરી દે છે. આમ કરીએ તો દુનિયામાં જ્યાં જઈએ, બધે અછોવાનાં જ છે. ફળની આશા વિનાના કર્મમાં अखिलम् मधुरम् જ હોવાનું. ભક્તિયોગ તરફ ધ્યાન આપીને મનુષ્ય ફળની આશા વિના કર્મયોગમાં પ્રવૃત્ત થાય તો એના કર્મના તમામ ફળ મોક્ષસ્વરૂપે એ પોતે જ પામનાર છે. પણ છોડવું એ મેળવવાની એકમાત્ર પૂર્વશરત છે.

લલ્લા કહે છે, ‘મૂર્ખ, પુસ્તકમાંથી પ્રાર્થના કરીને રસ્તો નહીં જડે, તમારા હાડપિંજર પરની સુગંધ કોઈ ઈશારો નહીં આપે. સ્વ પર ધ્યાન આપો. આજ ઉત્તમ સલાહ છે.’ એ કહે છે કે શિવ હિંદુ કે મુસલમાનમાં ફરક કરતો નથી. સૂર્ય બધા પર સમાનરીતે જ પ્રકાશે છે. સાધુ હો કે ગૃહસ્થ, લલ્લા ફરક જોતી નથી. કહે છે, ‘જો તમે તમારી ઇચ્છાઓને સમયની નદીમાં ઓગાળી દીધી હોય તો તમે જોઈ શકશો કે ઈશ્વર સર્વત્ર છે અને સંપૂર્ણ છે. જે તમે જાણો છો, એ જ તમે થશો.’

ટૂંકમાં, સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નાચતી-ફરતી લલ્લા નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આડંબરના વસ્ત્રો ઠેઠ ભીતરથી ફગાવી દઈ તમે સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કરો તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના દેહને મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે.

એક કાગળ જૂનો…. – વિવેક મનહર ટેલર

IMG_4784
(ડાઉન મેમરી લેન…. ….ગોવા, નવે., 2015)

*

કબાટના ખાનાં સાફ કરતી વખતે
એક જૂનો કાગળ
હાથ આવ્યો.
ગડીબંધ કાગળના રંગ-રૂપ જોઈને જ ઘણું ઘણું યાદ આવી ગયું.
સમયે પણ સમય જોઈને
કાંટા પર ફરવું પડતું મેલીને
મારી અંદર ઝંપલાવ્યું.
ઘસાવા આવેલ એ કાગળમાં શું હતું
એ આટલા વરસેય ભૂંસાયું નહોતું.
હાથના હળવા કંપને હૈયાથી ઝાલીને ગડી ઊઘાડી.
ક્યારેક લોહીમાં વહેતા એ કાગળમાંના ચિરપરિચિત અક્ષરો
ઘસાયેલા કાગળમાંથી ખડી પડી
મારી ચોકોર વીંટળાઈ વળ્યા.
મને…મને…મને…ની બૂમોથી હું આખો છલકાઈ ઊઠ્યો.
કોને તેડું ને કોને નહીંની અવઢવમાં
હું ત્યાં જ બેસી રહ્યો.
કેટલી વાર તે તો કેમ કહી શકાય ?
સમય તો કાંટા છોડીને…

છપાક્ કરતાંકને બે’ક અક્ષરોએ ભીંજાયા હોવાની બૂમો પાડી
ને હું સફાળો…
આંખમાંથી અદૃશ્ય થઈ ગયેલી દૃષ્ટિ ક્યાંકથી પાછી ફરી.
એક હળવા કંપ સાથે (હૈયા અને) કાગળની ગડી કરી ફરી ખાનામાં….
ગાલ લૂછ્યા
ને
ગળામાં હાડકાંની જેમ અટકી ગયેલો સમય
સમય વરતીને ફરી કાંટા પર ટંગાઈ ગયો,
નિરંતર ગોળ ગોળ ફરવા માટે.
મેં પણ ખાનું બંધ કર્યું
ને કામે લાગ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૨-૨૦૧૫)

*

ગ્લૉબલ કવિતા : ૩૩ : પ્રવાસ – મેરી ઓલિવર (અનુ. વિવેક મનહર ટેલર)

એક દિવસ આખરે તમે જાણી ગયા હતા
તમારે શું કરવાનું હતું, અને શરૂ કર્યું,
ભલે તમારી આસપાસના અવાજો
ચિલ્લાતા રહ્યા એમની બકવાસ સલાહો-
ભલે આખું ઘર
ધ્રુજવા કેમ ન માંડ્યું હોય અને તમને જૂનું ખેંચાણ વર્તાવા લાગ્યું હોય તમારી ઘૂંટીઓ પર.
“મારું જીવન દુરસ્ત કરો!”
-બધા જ ચિલ્લાયા હતા.
પણ તમે અટક્યા નહોતા.
તમે જાણતા હતા કે તમારે શું કરવાનું છે,
ભલે પવન ખણખોદ કરતો હતો એની અક્કડ આંગળીઓ વડે છેક પાયા સુધી,
ભલે એમની ગ્લાનિ
ભયંકર હતી.

પહેલાં જ વધુ પડતું મોડું
થઈ ચૂક્યું હતું, અને રાત જંગલી હતી,
અને રસ્તો ભર્યો પડ્યો હતો તૂટેલ
ડાળીઓ અને પથરાંઓથી.
પણ એક પછી એક,
જેમ જેમ તમે એમના અવાજોને પાછળ છોડતા ગયા,
તારાઓએ ચમકવું શરૂં કર્યું હતું વાદળોના ટોળાંમાંથી,
અને એક નવો જ અવાજ આવ્યો
જે ધીરે રહીને તમે
ઓળખ્યો કે તમારો જ હતો,
જેણે તમારી સંગત કરી
જેમ જેમ તમે ઊંડેને ઊંડે છલાંગ ભરતા ગયા આ દુનિયામાં,
કરવાના નિર્ધાર સાથે
એ એકમાત્ર વસ્તુ જે તમે કરી શકો છો-
બચાવવાના નિર્ધાર સાથે
એ એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો.

– મેરી ઑલિવર
(અનુ.: વિવેક મનહર ટેલર)

એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો

ઈસુથી લઈને મહંમદ સુધી અને ગૌતમથી લઈને ગાંધી સુધી – કંઈ કેટલાય મસીહા-પયગંબર-ધર્મગુરુ પૃથ્વીના પટ પર આવ્યા અને ગયા. માણસ બદલાયો નહીં. બદલાશે પણ નહીં. કેમકે સનાતન સત્ય માણસ માત્ર પોતાના રસ્તે ચાલીને જ મેળવી શકે છે, કોઈના ચીંધેલા કે ચાતરેલા રસ્તે નહીં. બુદ્ધ થવું હોય કે મહાવીર- પોતાનો રસ્તો તો જાતે જ શોધવો પડે. બીજાના બતાવેલા રસ્તે ચાલવાથી કંઈક કર્યાનો આત્મસંતોષ થાય એટલું જ, બાકી જ્ઞાન મેળવવું હોય, અંતિમ સત્ય શોધવું હોય તો तोबे एकला चलो रे(તમે એકલા ચાલો રે- ટાગોર). રૂમી પૂછે છે, ‘અને તમે? તમે ક્યારે શરૂ કરશો તમારી અંદરની એ લાંબી મુસાફરી?’ મેરી ઓલિવર આ જ વાત આ કવિતામાં લઈ આવ્યાં છે.

મેરી ઓલિવર. અમેરિકાના ઓહાયોમાં જન્મ (૧૦-૦૯-૧૯૩૫). પચાસથી વધુ વર્ષ માસાચુસેટ્સમાં ગાળ્યા. જીવનસાથી ફોટોગ્રાફર મોલી મેલોની કૂકના નિધન બાદ હાલ ફ્લોરિડામાં રહે છે. અગિયાર-બાર વર્ષની ઊંમરે કવિતા લખવી શરૂ કરી. મેરી કહે છે, ‘પેન્સિલની મદદથી હું ચંદ્ર સુધી જઈ આવી હતી. કદાચ ઘણી બધી વાર.’શાળામાંથી ગુલ્લી મારીને ચોપડીઓ સાથે જંગલમાં રખડવા જવામાં એ એક્કો હતાં. એમિલિ ડિકિન્સનની જેમ એકાકીપણું અને આંતરિક આત્મસંભાષણ એમની પ્રમુખ ચાહના. એકાંતવાસી. મિતભાષી. કવિતા જ બોલે એમ માનનારા. ચાલ-વાની બિમારી. જંગલમાં સ્વૈરવિહાર કરતાં કરતાં કવિતા લખવી એ કાયમની આદત. એક વિવેચકે તો કહ્યું હતું કે, ‘મેરી ઓલિવરની કવિતાઓ વધુ પડતા શહેરીકરણ માટે ઉત્તમ મારણ છે.’ બાળપણમાં ચર્ચમાં તો જતાં પણ ફાવતું નહીં. તોય ચર્ચ અને ખ્રિસ્તી ધર્મ એમના જીવનનો એક પ્રધાન રસ રહ્યો. રૂમીથી એટલા પ્રભાવિત છે કે રોજ એકવાર તો વાંચે જ છે. કોલેજ તો ગયાં પણ ડિગ્રી મેળવી નહીં. કવિ અને શિક્ષક તરીકે જીવ્યાં. ગરીબીમાં મોટા થયાં. ફેફસાના કેન્સરમાંથી ઊભાં થયાં પણ ધુમ્રપાનની આદત કવિતાની જેમ છોડી નહીં.

કવિતા, કાવ્યશાસ્ત્ર, કવિતા વિષયક પુસ્તકો અને નિબંધ – ખૂબ લખ્યું. હજી લખે છે. હમણાં જ ૮૦ વર્ષની ઊંમરે પણ ‘ફેલિસિટી’ નામનો કાવ્યસંગ્રહ એમણે આપ્યો. ઢગલાબંધ પુસ્તકો અને પુલિત્ઝર સહિતના ઢગલાબંધ પુરસ્કારો. મેરીની કવિતાઓ પ્રકૃતિના વણપ્રીછ્યાંવણચાહ્યાં પાનાંઓ ખોલી આપે છે. કુદરત, સ્થાનિક રંગ અને રોમેન્ટિસિઝમનાં મૂળિયાં એમના સર્જનમાં દૃઢીભૂત થયેલાં દેખાય છે. સ્પષ્ટ અને માર્મિક અવલોકન અને હૂબહૂ આલેખનના કારણે એમની કવિતાઓ દિલની વધુ નજીક અનુભવાય છે. કવિતામાં કુદરત ઉપરાંત ‘હું’ને કેન્દ્રસ્થાને રાખે છે કેમકે એમનું માનવું છે કે કવિનો ‘હું’ જ ભાવકનો ‘હું’ બની જાય છે. એમના મતે કવિતા એ ખૂબ જ એકાકી વ્યાસંગ છે.

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો આ કવિતા મુક્ત પદ્ય છે. કવિતા સળંગસૂત્રી પણ છે, સિવાય કે એક અંતરાલ જે છત્રીસ પંક્તિની કવિતાને અઢાર-અઢાર પંક્તિના બે સમાન અંતરામાં વહેંચે છે. કોઈ નિર્ધારિત પ્રાસરચના પણ અમલી નથી કેમકે જીવનની અંધાધૂંધીની આંધીમાંથી નીકળીને, બીજાઓ માટે નહીં પણ પોતાના માટે જીવવા નીકળતા માણસની આ કવિતા છે. જિંદગીમાં કેઓસ હોય છે, પ્રાસ કે છંદ નહીં. શારીરિક યાત્રાનું રૂપક લઈને કવયિત્રી વ્યક્તિગત પરિવર્તન તરફની એકાકી, આધ્યાત્મિક મુસાફરીની વાત કરે છે. એ જાણે છે કે આ રસ્તો એકલાએ જ કાપવાનો છે… મજરુહ સુલતાનપુરીએ કહ્યું હતું તેમ-
मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर,
लोग साथ आते गए और कारवाँ बनता गया।

બીજા તમારી સાથે આવે એ તબક્કો તો બહુ પાછળનો છે. ભોગીલાલ ગાંધી કહી ગયા, ‘તું તારા દિલનો દીવો થા ને.’ રઈશ મનીઆરનો એક શેર પણ આ જ દર્શનબોધ કરાવે છે: ‘મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દોસ્ત, સૌનું પોતિકું અજવાળું હોવું જોઈએ.; મેરી પણ બીજાઓના અવરોધ વટાવી એકલા આગળ જવાની વાત કરે છે. એક દિવસ આખરે તમને જાણ થાય છે. કવિતાની શરૂઆત કરતા આ ‘એક દિવસ’ અને ‘આખરે’ શબ્દ અગત્યના છે. આપણને બધાને એક દિવસ તો જાણ થાય જ છે કે આ सुब्ह होती है, शाम होती है; उम्र यूँही तमाम होती है (અમીરુલ્લાહ તસ્લીમ)ની ઘરેડમાં ઘાણીના બળદ પેઠે એક જ જગ્યાએ ગોળગોળ ફર્યા કરતી આપણી જિંદગીમાં यूँ भी होने का पता देते हैं, अपनी जंजीर हिला देते हैं (બાકી સિદ્દીકી)થી વિશેષ કંઈ સજીવ બચ્યું જ નથી.

અને જ્યારે અંદરથી ‘એ’ અવાજ જાગે છે ત્યારે બહારના કોલાહલ એનો સંદર્ભ ગુમાવી બેસે છે. ઝાડ જેમ બધા પાંદડાં ખેરવીને નવા પર્ણોની તૈયારી કરે છે એ જ રીતે તમે નવા માર્ગ, નવા જીવનની તૈયારી કરો છો. આપણા બધાના જીવનમાં મહાભિનિષ્ક્રમણની આ તક ‘આખરે’ એકાદવાર તો આવે જ છે, સવાલ માત્ર એટલો જ છે કે આપણા કાન શું એને સાંભળશે કે આપણી આજુબાજુની માયાજાળ એટલી બધી સદી ગઈ છે કે આપણે એને અવગણીને માત્ર સાંકળ હલાવતા બેસી રહીશું? મેરી એક જગ્યાએ કહે છે, ‘સાંભળો, તમે માત્ર જરા-તરા શ્વસી રહ્યાં છો અને એને જિંદગી કહો છો?’ મેરી સ્પષ્ટ છે એની જિંદગી વિશે. કહે છે, ‘મારે ખતમ થવું નથી, આ વિશ્વની માત્ર એક મુલાકાત લઈને.’ અને એ આપણને પણ પૂછે છે, ‘કહો મને, શું છે તમારી યોજના તમારી આ એક જંગલી અને કિંમતી જિંદગી વડે?’

તમે જ્યારે શરૂ કરો છો, ત્યારે દુનિયાની “સુગ્રથિત એન્ટ્રોપી” ચિલ્લાવા માંડશે, સલાહોનો ધોધ વરસશે, તમારું ઘર તૂટી જવાનું ન હોય એમ ધ્રૂજવા માંડશે, સગપણની-જવાબદારીઓની બેડી પગને પાછા ખેંચવા મથશે પણ એક વાર કોલ ઝીલી લીધા પછી આતમમાર્ગનો મુસાફર રોક્યો કેમ કરીને રોકાય? જૂનાને તોડ્યા વિના નવું કશું મળતું નથી. દુનિયાને અવલનવલ ઘાટ આપવા માટે સુન્દરમે કહ્યું, ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા.’ શ્રીધરાણી પણ કહે છે, ‘સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના’ કેમકે હોય એને સમારવાથી માત્ર નવીનીકરણ જ થાય, નવસર્જન માટે તો જૂનાંને તોડીને ખતમ કરવું પડે. પોતે જેમના માટે જીવે છે એ પોતાના નથી એનો અહેસાસ થવો જરૂરી છે. વાલિયા લૂટારાને જે દિ’ આ અહેસાસ થયો અને સમજણ ઉપર જામી ગયેલો રાફડો તૂટ્યો ત્યારે એ ઋષિ વાલ્મિકી બન્યો હતો. સિદ્ધાર્થને અટકાવવા માટે એના પિતાએ શું શું ન કર્યું, પત્નીએ પણ પુત્ર આગળ ધરેલો. એવું નહોતું કે સિદ્ધાર્થ પરિવારને પ્રેમ નહોતા કરતા. પણ એનો પરિવાર તો સમસ્ત જગત હતું એટલે મુસાફરી પર નીકળી પડ્યા. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘મુસાફરી કરો અને કોઈને ન કહો, લોકો સુંદર ચીજોને ખતમ કરી નાંખે છે.’ રૂમી કહે છે, ‘તમે પિંજરામાંથી છટકી ચૂક્યા છો, તમે તમારી પાંખો પ્રસારી લીધી છે, હવે ઊડો.’

જ્ઞાનમાર્ગનો મુસાફર જાણી જાય છે કે એણે શું કરવાનું છે. એ અટકતો નથી. ભલે આંધી પાયા હચમચાવી નાંખતી હોય, ભલે આજુબાજુવાળાઓની ગ્લાનિ ભયંકર હોય, પણ વટેમાર્ગુ સમજે છે કે ઓલરેડી મોડું તો થઈ જ ચૂક્યું છે. અંદરનો અવાજ એ જીવનગીતાના રથનો સારથિ છે. એ સાથે હશે તો ગ્લાનિ કમળપત્ર પરથી પાણી માફક સરી જશે. મુસાફરી તો ક્યારની શરૂ કરી દેવાની હતી. રાત અંધારી છે અને અંધારું જંગલી છે. રસ્તો વિપદાથી ભર્યોભાદર્યો છે પણ એકવાર પ્રવાસ શરૂ થઈ જાય તો રસ્તો બતાવવા માટે તારાઓ પણ ચમકવા માંડશે. પ્લુટાર્ક કહે છે, ‘તોફાનમાં જહાજની મુસાફરી પહેલાં કપ્તાન કહે છે કે હંકારવું અનિવાર્ય છે, જીવવું નહીં.’ જંગલી અંધારું સમાધાનથી પર હોય છે પણ આવામાં તમારો પોતાનો અવાજ જ તમને સંગાથ આપશે અને તમે જાણી જાવ છો એ સનાતન સત્ય કે તમે યદિ કોઈને બચાવી શકો છો તો એ માત્ર તમારી પોતાની જાતને જ. દુનિયાને બચાવવાની જરૂર નથી, જાતનો જ ઉદ્ધાર કરો. દરેક જણ પોતાને ઉગારી લેશે તો દુનિયા આપોઆપ જ ઉગરી જવાની. ગૌતમ, મહાવીર, કબીર- કોઈએ સંપ્રદાયની સ્થાપના કરી નથી. સંપ્રદાય તો ભક્તોએ ઊભા કર્યા. જે ધર્મગુરુ સંપ્રદાયની સ્થાપના જાતે કરે છે એ તો તરકટી તકસાધુ પયગંબરો છે.

બસ, યાદ રહે કે તમારું પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. બધું જ એના પર અવલંબિત છે. રૂમીએ કહ્યું હતું, ‘ચાલવું શરૂ કરો. તમારા પગ ભારી થશે અને થાકી જશે. પણ પછી તમને ઊંચકી જતી ઊગેલી પાંખોની અનુભૂતિની એ ક્ષણ આવશે.’ બસ, યાદ રહે કે આ મુસાફરી તમારી મુસાફરી છે અને તમારા સિવાય કોઈ બીજું આ મુસાફરી તમારા વતે કરી નહીં શકે. ધમ્મપદ કહે છે, ‘તમારી બરાબરીના અથવા બહેતર લોકો સાથે મુસાફરી કરો અથવા એકલા જ કરો.’ રાજેન્દ્ર શાહે કહ્યું, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’ પણ આ મુસાફરી હકીકતમાં ઘરબાર છોડીને જંગલમાં ચાલી નીકળવાની વાત નથી. આ મુસાફરી છે તમારા વળગણો, આસક્તિમાંથી મુક્ત થઈ તમારી પોતાની જાત સુધી પહોંચવાની. આ મુસાફરી જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે કેમકે જે સ્વને પામી લે છે એ જ સર્વને પામી શકે છે.

*

The Journey

One day you finally knew
what you had to do, and began,
though the voices around you
kept shouting
their bad advice–
though the whole house
began to tremble
and you felt the old tug
at your ankles.
“Mend my life!”
each voice cried.
But you didn’t stop.
You knew what you had to do,
though the wind pried
with its stiff fingers
at the very foundations,
though their melancholy
was terrible.

It was already late
enough, and a wild night,
and the road full of fallen
branches and stones.
But little by little,
as you left their voices behind,
the stars began to burn
through the sheets of clouds,
and there was a new voice
which you slowly
recognized as your own,
that kept you company
as you strode deeper and deeper
into the world,
determined to do
the only thing you could do–
determined to save
the only life you could save.

– Mary Oliver

ગ્લૉબલ કવિતા : ૩૨ : મને લાગે છે – સેફો (ગ્રીક)

પેલો પુરુષ મને ભગવાન બરાબર લાગે છે,
જે તારી સામે બેઠો છે
અને તને નજીકથી સાંભળી રહ્યો છે
મીઠું બોલતી

અને મજાનું હસતી, જે ખરેખર
મારા હૃદયને છાતીમાં ફડફડાવે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
મારા માટે કંઈ પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે.
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે.

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ફિક્કી પડી જાઉં છું
ઘાસ કરતાં, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામું છું.

પરંતુ બધામાં સાહસ કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર

ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ જેટલા ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળે છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦) નામની કવયિત્રી આગવું સ્થાન ધરાવે છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ પણ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇસવીસન પૂર્વે ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી અને કહેવાય છે કે એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસ હજાર જેટલી પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી એના જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. આજે સેફો સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતિક ગણાય છે. સેફો નામ ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય બની રહ્યું છે. સેફોના છસો વર્ષ પછી થઈ ગયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતિત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકા અનુસાર પોતાની સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. કેટલાક આ વાતનો વિરોધ પણ કરે છે. હકીકત ચકાસવાનું કામ ઇતિહાસકારોનું, આપણને તો એની કવિતાઓમાં રસ છે.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાન ખેંચે છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી પણ કહે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદન સેફોની રચનાઓનો પ્રમુખ કાકુ છે. સેફો એક રચનામાં કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ કાવ્યાત્મક પરાકાષ્ઠાના સર્વોચ્ચ ઉદાહરણ ગણાતા સેફોના ગીત વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ વિવેચક લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ એકીસાથે થીજાવી દે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફોની સર્વોચ્ચ ઉત્કૃષ્ટતા એના કસબમાં છે જેમાં તેણી આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને એમને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજદિન પર્યંતના તમામ કવિઓ અને ભાવકોને એટલા માટે પ્રેરણા આપતી રહી છે કે એની કવિતાઓ આપણા સૌના મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો છે.

સેફોની પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! મોટા ભાગના અનુવાદકોએ છેલ્લી મુખ્ય રચનાથી છૂટી લખાયેલી અને અધૂરી ગણાતી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર રહીને કરાયેલા અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે. સેફોના ગીત અને શૈલી એટલા બધા પ્રભાવક છે કે જે છંદોલયમાં એ રચના કરતી હતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિમાં અગિયાર-અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિમાં પાંચ (adonic) શબ્દાંશ (syllable) આવે છે. સેફોની ભાષા પણ લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. આપણે ત્યાં મરાઠી ભાષામાંથી ઊતરી આવેલું અંજનીગીત મૂળે આના પરથી ઊતરી આવ્યું હોય તો નવાઈ નહીં. અંજનીગીતમાં પણ ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ-સોળ માત્રા અને ચોથી પંક્તિ ટૂંકી-દસ માત્રાની હોય છે.

સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ આ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. કવયિત્રી અથવા કાવ્યનાયિકાની સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજી શકાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોઈ શકે. પ્રવર્તમાન ગ્રીસમાં જાહેરમાં પ્રણયકેલિઓ સામાન્ય હતી. નાયિકા જે સ્ત્રીના સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છિનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને ભગવાનની સમકક્ષ લાગે છે, કેમકે બીજું તો કોણ આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક કરી શકે?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને હસતાં-બોલતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. ‘तुम अगर मुझ को ना चाहो तो कोई बात नहीं, तुम किसी और को चाहोगी तो मुश्किल होगी’ એ જ આપના સૌની મૂળભૂત સમસ્યા છે. દિપ્તી મિશ્ર આ જ વાત એના અંદાજમાં કહે છે,

कब कहा मैंने कि वो मिल जाए मुझको, मैं उसे
गैर न हो जाए बस इतनी हसरत है, तो है

એરિસ્ટોટલે કહ્યું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ પ્રેમ અને ઈર્ષ્યા એ કોઈપણ સ્નેહસંબંધના બે પગ હોય એમ સાથે જ રહે છે. સંબંધ ચાલતો હોય ત્યારે વારાફરતી આગળ-પાછળ થયા કરે છે પણ બંને સાથે આવી જાય ત્યારે સંબંધ ઊભો રહી જતો હોય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ ઓથેલોમાં ઈર્ષ્યાને green-eyed monster નામ આપી શેક્સપિઅર કહે છે, ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જે માંસ પર જીવે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ શેક્સપિઅરના નાટકો અને કવિતાઓમાં તો ઈર્ષ્યા ડગલેને પગલે નજરે ચડે છે. માત્ર શેક્સપિઅરમાં જ નહીં, દુનિયાભરના સાહિત્ય-કળામાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સહજ ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ?

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ પણ અહીં પરિસ્થિતિ જરા જુદી છે. પોતાની પ્રેયસીને ઈશ્વર સમા સંપૂર્ણ પુરુષ પાસે જોઈને નાયિકાનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. જીભ ભાંગી ગઈ હોય એમ કશુંય બોલવું અશક્ય બની રહે છે. તનબદનમાં આગ ફરી વળે છે. આંખ આગળ ઝાંખપ ફરી વળે છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. શરીર કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી ઘેરી વળે છે. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

‘कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।’

જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદીનો અંદાજ અલગ જ છે:

‘तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।‘

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ નાયિકાની મજબૂરી અહીં નાયિકાના ગાત્રો ગાળી નાંખે છે. પ્રેમ ફરતેની લાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. કવયિત્રીનું ધ્યાન હકીકતમાં પ્રેયસી કે ભગવાન-જેવા પુરુષ તરફ છે જ નહીં, માત્ર અને માત્ર પોતાની તરફ છે. કાળજીપૂર્વક સભાનતા સાથે જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને સ્ટેપ-બાય-સ્ટેપ એ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

મૃતપ્રાય અવસ્થાની લાચારી ઘેરી વળે છે. કવિતાના પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજી શકાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ તો કરવું જ જોઈએ કેમકે આમેય પ્રેયસી કોઈ બીજું છિનવી ગયું જ હોય એવી ગરીબ-નિર્માલ્ય અવસ્થામાં આથી વધુ તો શું ગુમાવવાની બીક હોઈ શકે? રૂમી કહી ગયા, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને તમારી આસપાસના દરેક કબૂતર પેઠે ઊડી શકશે.’ આપણે જાણીએ જ છીએ કે ઈર્ષ્યાથી ભરેલો સંબંધ એ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. પણ ઈર્ષ્યાથી પર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho

ગ્લૉબલ કવિતા : ૩૧ : પ્રેમ પછી પ્રેમ (ડેરેક વૉલ્કોટ)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

જાત સુધીની જાતરા…

જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને તો આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી આપણે પૂરેપૂરા વાકેફ છીએ ને કદાચ એટલે જ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે જે કહ્યું, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે આ વર્ષે જ ૧૭-૦૩-૨૦૧૭ના રોજ. એક વર્ષની ઊંમરે તો ચિત્રકાર પિતા ગુમાવ્યા. માતા આચાર્યા હતી. એક બહેન અને બે જોડિયા ભાઈઓમાં ડેરેક એક. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી ઊતરી આવ્યાં હતાં. ડેરેક કહેતા કે પિતામાં જે અધૂરું રહી ગયું એ જ મારામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની મળી પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની ઊંમરે પહેલી કવિતા. ૧૮ વર્ષની ઊંમરે બસો ડૉલર ઉધાર મેળવીને પોતાનો પહેલો કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને પૈસા પરત પણ મેળવી લીધા ને ૧૯ની ઊંમરે તો બીજો કાવ્યસંગ્રહ.

બૉસ્ટન, ન્યુ યૉર્ક અને લુસિયા વચ્ચે એમનો જીવનકાળ વહેંચાયેલો રહ્યો પરિણામસ્વરૂપે એમના સર્જનમાં કરેબિઅનની લોકલથી લઈને આંતરરાષ્ટ્રીયની ગ્લૉબલ ફ્લેવર એકમેકમાં ભેળસેળ થઈને એક નવી જ સોડમ જન્મી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ઓછા ‘બ્લેક’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવળાઓએ એમના પર પસ્તાળ પણ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતનો આરોપ મૂક્યા જેને મિડિયાએ ખૂબ ચગાવ્યા હતા જેની કિંમત ડેરેકે ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન અને ત્રણવાર છૂટાછેડા.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનઅધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર. એમનો અવાજ ઇતિહાસમાં સતત ગૂંજતો રહેનારો છે. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતાનું સ્વરૂપ જોઈએ તો એ મુક્ત પદ્યમાં લખાઈ છે એટલે કોઈ નિયત છંદ કે પ્રાસરચના દેખાતા નથી પણ યતિનો પ્રયોગ ધ્યાનાર્હ છે. વોલ્કૉટ યતિ(caesura)ના શોખીન હતા. એ કહેતા કે યતિનો અયોગ્ય પ્રયોગ રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પડી પગ તોડે એના જેવો હોય છે. એકતરફ અવારનવાર આવતા અલ્પવિરામ અને વાક્યની વચ્ચે આવતા પૂર્ણવિરામ વડે કવિતાની ગતિ તેઓ નિયત માત્રામાં અવરોધીને ભાવકને ઝડપભેર આગળ દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિ (enjambment)થી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળી દઈને તેઓ ગતિ વધારી દે છે. જીવનની ગતિ સાથે આ રીતે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે.

કવિતાનું શીર્ષક વિચારતાં કરી દે છે. આપણે જે અર્થમાં ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ કવિ કહેવા માંગતા હશે?

કવિતા વાંચતા જ ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતા યાદ આવે. જેમાં અરીસામાં દેખાતો માણસ શું કહે છે એના પર ધ્યાન આપવાની અને એના તમારા માટેના ચુકાદાને સર્વોચ્ચ ગણવાની, એને જ ખુશ રાખવાની વાત આવે છે. સત્તરમી સદીમાં જ્યૉર્જ હર્બર્ટની ‘લવ’ કવિતાના અંશ પણ નજરે ચડે જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને સમજાવે છે કે એ અતિથિ તું પોતે જ છે અને પોતાની સાથે ખાવા-પીવા બેસાડે છે.

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’ કહીને કવિતા શરૂ થાય છે. મતલબ આ સમય આવવાનો જ છે એની ખાતરી છે અને આ સમય દરેકની જિંદગીમાં આવતો જ હોય છે જ્યારે માણસ પોતાની જાત સાથે જ મુખામુખ થતો હોય છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. જાત સાથે વાત કરવાનો સમય જ રહ્યો નહીં. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. તમારું હૃદય જીવનભર તમને ચાહે છે. હવે, તમારે એને ચાહવાનો સમય આવી ગયો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. મનની અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધોથી ઉભરાઈ ગઈ છે. આ બધાને ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ હોવાની મહેફિલ કરી દો. જિદગીની ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો…

ધર્મ અને ખ્રિસ્તીપણાનાં સંદર્ભ પણ નજરે ચડે છે. ‘Love thy neighbour’ (તારા પાડોશીને પ્રેમ કર), ‘Eat. Drink’ (ખાઓ. પીઓ.) વાઇન, બ્રેડ – બાઇબલના આ સંદર્ભ અછતા નથી રહેતા. દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેત સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો એમ પણ લાગે કે બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા કવિ ચહે છે.

અંગ્રેજી ‘I’ (હું) લેટિન શબ્દ ‘ઇગો’ પરથી ઉતરી આવ્યો છે. ફિલસૂફીમાં ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતિકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. પ્રખ્યાત લેખિકા એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. અંગ્રેજીમાં બિમારીની હદ સુધી વકરેલી સ્વરતિને narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાંથી ઉતરી આવ્યાં છે. યુવાન નાર્સિસસ તળાવમાંથી પાણી લેવા જતાં પોતનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે) લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ (રાલ્ફ એલિસન) કેમ કે ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ (માર્ક ટ્વેઇન) આજ વાત લાઓ-ત્ઝુ કહી ગયા, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’

જમાનો સેલ્ફીનો છે પણ સેલ્ફનો ફોટો લેવાનું આપણે ભૂલી ગયાં છીએ. જાત સાથે વાત કરતાં આવડી જાય તો સંસાર સરળ બની જાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે comfortable થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

ગ્લૉબલ કવિતા : ૩૦ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

મકાનમાલિક, મકાનમાલિક,
મારું છાપરું ગળતું છે.
મેં એના માટે કઇલું’તું તે હો યાદ નંઈ,
ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં હો તૂટી ગઇલાં છે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ઉપર આઇવો તિયારે.

દહ રૂપિયા, તું કે’ય કે મારે તને આલવાના છે?
તું કે’ય છે કે અજી બાકી છે દહ રૂપિયા?
અંહ, આ દહ રૂપિયા ફાલતુના છે તો બી આલી દઈશ,
તું ઘર તો રિપેર કરાવ પેલ્લા.

હું કીધું ? તું ખાલી કરાવવાનો ઓડર લાવહે?
તું મારી લાઇટ કપાવવાનો કે હું ?
મારો સામાન હો તું ઊંચકીને
હેરીમાં ફેંકાવવાનો કે હું?

ઉહ-અંહ ! બઉ મોટી ફિશિયારી ની માર.
બોલ, બોલ – જે બોલવું હોય એ બોલી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
હું એક જ ફેંટ આલીશ ને તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
ને ઉથલાવી દેવા માંગે છે જમીન!

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.
ભાડૂતને જામીન નહીં.
ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

*

રંગભેદ અને આપણી અંધારી માનસિકતા – વો સુબહ કભી ભી આયેગી?

મનુષ્યજાતિના શરીરે આજદિન સુધીમાં ફૂટી નીકળેલું સૌથી ગંધાતું ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજની તારીખે પણ એનો સંપૂર્ણ ઈલાજ થઈ શક્યો નથી એય મનુષ્યજાતિની અત્યાર સુધીની સૌથી મોટી કમનસીબી જ ને? અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. અબ્રાહમ લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ કાયદેસર અંત આવ્યો એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિ આ કવિતા લખે છે અને કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી અવગત કરાવે છે. કવિતા લખાયા બાદ બીજા ૭૫થી વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં?

લોહી થીજી જાય એવી આ કવિતાના સર્જક જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ (૦૧-૦૨-૧૯૦૨થી ૨૨-૦૫-૧૯૬૭) જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા હતા. મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જન્મતાવેંત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે અને વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં એ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. Harlem Renaissance એ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદની નીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈપણ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ એ બાદની કળાઓનો મુખ્ય પાયો બની રહ્યો.

વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે આગળ દોડી. ચોવીસ વર્ષની ઊંમરે તો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. અખબારોએ એમના વિશે અત્યંત નીચ કક્ષાનું ઘસાતું પણ લખ્યું પણ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની રહી. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે એ asexual હતા. પ્રોસ્ટેટના કેન્સર અંગેની સર્જરીના કોમ્પ્લિકેશનના કારણે 65 વર્ષની ઊંમરે એમણે વિદાય લીધી.

અંગ્રેજીમાં જૂના જમાનામાં બેલડ યાને લોકગીતમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. ચાર લીટીના અંતરામાં અ-બ-ક-બ પ્રાસ રચના અને પહેલી અને ત્રીજીમાં ચાર અને બીજી-ચોથીમાં ત્રણ ભારયુક્ત સ્વરની વ્યવસ્થા હોય છે. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર બ્લ્યુઝ જેવું છે જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબની પ્રાસ-છંદ યોજના જોવા મળે છે. છઠ્ઠો અંતરો ઇટાલિક્સમાં છે, એ વક્તા અને કવિતાના ટોનમાં પરિવર્તન પણ સૂચવે છે. પછી ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની સાથે જ છંદ અને પ્રાસ બંને બદલાતાં-ખોરવાતાં નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં (ગાઢા ટાઇપમાં) છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા બંનેની સૂચક છે.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી સમજાય છે કે કવિતામાં ભાડૂત પણ હોવાનો. અને કવિતામાં કટાક્ષ પણ ત્યાંથી જ શરૂ થઈ જાય છે કેમકે હકીકતમાં આ મકાનમાલિકનું નહીં, ભાડૂતનું ગીત છે. કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણે ગરીબી અને અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને અનુભવીએ છીએ પણ છે…ક છેલ્લી લીટીમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. અનૌપચારિક અને શેરીમાં બોલાતી વ્યાકરણના નિયમો વિનાની અભદ્ર ભાષા માત્ર અભણ ભાડુતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં પ્રાણ પણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં માલિકની હાજરી સાથે કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. ગયા અઠવાડિયે જ ભાડૂતે ગળતાં છાપરાંને રિપેર કરાવવાની તાકીદ કરી છે પણ મકાનમાલિકે ન તો કોઈ કાર્યવાહી કરી છે કે ન તો ફરિયાદને યાદ રાખવાની દરકાર કરી છે. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે માલિક પડ્યા નહીં એની જ નવાઈ છે અને આ પગથિયાં પરથી તો ભાડૂત અને એના કુટુંબે દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની, યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. ગળતું છાપરું, તૂટેલાં પગથિયાં – આ બધી મૂળભૂત તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી નકરી બેદરકારી ગરીબના શૂન્ય જીવનમૂલ્યનું દ્યોતક છે. આટલું ઓછું હોય એમ દુકાળમાં અધિકમાસ જેવો માલિક પાછી ઊઘરાણી કરે છે. ઘરનું સમારકામ કરાવી આપે તો ભાડૂત એ પણ આપવા તૈયાર છે.

માલિક સાચા અર્થમાં માલિક છે. જન્મસિદ્ધ અધિકાર હોય એમ એ ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, સામાન ઊંચકીને શેરીમાં ફેંકાવી દેવાની ત્રણ-ત્રણ ધમકી આપે છે. ભાડૂતની કમાન છટકતાં જ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી આપે છે અને કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, બેલડની પ્રાસરચના ભાંગી પડે છે, જે અવ્યવસ્થા ઈંગિત કરે છે.

ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવેર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. પોલિસનો અવાજ ફક્ત સીટી પૂરતો છે પણ છે સાવ હૃદયહીન અને વિચારહીન. પોલિસની કામગીરી કવિએ એક-બે શબ્દોમાં જ આટોપી લઈને કવિતાની અને કાનૂનની ઝડપ યથાર્થ ઊભી કરી છે. છાપાં પણ રાઈનો પર્વત કરીને હેડ-લાઇન્સ બનાવે છે. ભાડૂતની ફરિયાદ ત્યાંની ત્યાં રહી જાય છે પણ એક ગરીબનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળતી સિસ્ટમ ત્રણ મહિના માટે કીડા-મંકોડાની કિંમતના માણસને જેલમાં ધકેલી દે છે. છેક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે ભાડૂત હબસી પણ છે માટે માલિક ગોરો હોવો જોઈએ.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્ર અને એ રીતે પ્રવર્તમાન સમાજનો પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. એ જમાનામાં પાવલી જેવી વાત માટે અશ્વેતોને રૂપિયા જેવડી સજા છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં તો શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ જોએલ એફ. કહે છે, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ધોળાંને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

*

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’nI’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges

ગ્લૉબલ કવિતા : 29 : મને યાદ છે જ્યારે – માઇકલ હેટિચ

મને યાદ છે જ્યારે

મારા પિતા પશ્ચિમનો પર્વત ચડ્યા હતા.
દરરોજ એ વધુ કાપતા હતા
એનું શિખર જેથી અમે વધુ સૂર્યપ્રકાશ
મેળવી શકીએ અમારું અન્ન ઊગાડવા માટે, અને જ્યારે એણે
પૂરતું કાપી નાખ્યું કે જેથી ભરઉનાળે અમને મળી શકે
સૂર્ય વધારાની એક મિનિટ માટે, જે,
બિલકુલ, અતિશયોક્તિ જ છે, એમણે
જાણ્યું કે એમણે કંઈક નક્કર કરી લીધું છે, અને અમને જોવા બોલાવ્યા
સૂર્યને તિરાડમાં ઢળતો
અને અદૃશ્ય થતો.

બીજા દિવસે સૂર્ય હટી ગયો હતો, પણ એમણે ખોદવો ચાલુ રાખ્યો
એ જ ખાડો, વરસમાં એક દિવસ મેળવવા માટે.
એક દિવસ, એમણે અમને કહ્યું, પર્વત
બે ભાગમાં કપાઈ જશે અને
એક આખો દિવસ મળશે
પહેલાં કદી નહોતો એવા લાંબા કલાકોવાળો.

શહેરના લોકો પણ એમને ‘‘પિતા’’ જ કહેતા.
કેટલાકે મદદ કરવા તૈયારી પણ બતાવી, પણ ના,
એ એમનો, એમનો ખાડો હતો, એમનો પ્રકાશ હતો; તેઓ નસીબદાર હતા
કે એ વહેંચવા તૈયાર હતા. રાત્રે નવા તારા પણ ઊગ્યા.

– જ્યારે એમણે એક ઝરણું ખોદ્યું અને પાણી ધસી આવ્યું
ધોધ બનીને, ખીણ, શહેરને ભરી દેતું
એક સુંદર તળાવ બનાવતું, ઊંડું,
ઠંડું, અને કયાંય જોવા ન મળે
એવી માછલીઓથી ભરપૂર, પ્રાણીઓએ જેઓ પર્વત પર
જંગલી ફરતા હતા, હર્ષોલ્લાસ કર્યો, અને વધુ
જંગલી થયા, બધુ આવેશપૂર્ણ. એમણે હર્ષોલ્લાસ કર્યો!
અમે આજે પણ કરીએ છીએ.

– માઇકલ હેટિચ
(અનુ. : વિવેક મનહર ટેલર)

I Remember When

My father climbed the western mountain
Every day he chopped more
of its peak off so we could have more
daylight to grow our food in, and when he’d
chopped deep enough that in midsummer we had
sun for an extra minute, which
is, of course an exaggeration, he
knew he had done something real, and called us
to watch the sun settle
in the chink and disappear.

Next day the sun had moved, but he kept digging
the same dent, wanting one day a year.
One day, he told us, the mountain would be
chopped in two and there would be
one complete day
hours longer than there’d ever been.

People in the town called him “father” too.
Some volunteered to help, but no,
It was his, his dent and his light; they were lucky
he was willing to share. At night there were new stars.

-When he hit a spring and the water gushed out
a waterfall, flooding the valley, the town,
to form a beautiful lake, deep,
cold, and full of fish found
nowhere else, the animals that lived
wild on his mountain rejoiced and grew
wilder, more passionate. They rejoiced!
We still do.

– Michael Hettich

માય ડેડી સ્ટ્રોંગેસ્ટ !!

દુનિયાનો પહેલો સુપરમેન કોણ ? તો કે’ પપ્પા! છોકરા માટે તો કાયમ ‘માય ડેડી સ્ટ્રોંગેસ્ટ’ જ હોવાના. મૂછ અને સમજણના દોરા ન ફૂટે ત્યાં સુધી તો દીકરો હંમેશા બાપના પેંગડામાં પગ ઘાલવાની મથામણમાં જ રહેવાનો. ‘પપ્પા, હું તમારામાંથી ઊંચો’ એવું કહ્યા વિના કયો દીકરો મોટો થઈ ગયો હશે, કહો તો? અમેરિકન કવિ માઇકલ હેટિચની આ રચના એક દીકરાના વિપુલદર્શક કાચમાંથી દેખાતું આવું જ એક બાપનું ચિત્ર છે.

માઇકલ હેટિચનો જન્મ ૧૯૫૩માં ન્યૂયૉર્કના બ્રુકલિનમાં થયો. ન્યુયૉર્કમાં જ મોટા થયા. અંગ્રેજી અને અમેરિકન સાહિત્યમાં પી.એચ.ડી. માયામીની કોલેજમાં પચ્ચીસથી વધુ વર્ષોથી અંગ્રેજીના પ્રોફેસર છે. ધર્મપત્ની કોલિન સાથે રહે છે. બે સંતાનોના પિતા છે. કવિતાના બારથી વધુ નાનાં-મોટાં પુસ્તકો એમણે પ્રગટ કર્યાં છે. સાહિત્યને લગતી જર્નલ્સમાં તથા સંપાદનોમાં એમની કવિતા અને લેખો સતત પ્રગટ થતા રહે છે અને ઢગલાબંધ પુરસ્કાર પણ મેળવી ચૂક્યા છે. કવિતા વિશેનું એમનું અધિકારત્વ નમ્ર પણ છે અને પૂર્ણતયા આધારભૂત પણ છે. એમની કવિતાઓનો શાંત કરિશ્મા દંગ કરી દે એવું ઊંડાણ ધરાવે છે. કુદરત તરફની એમની દૃષ્ટિ અનોખી છે અને માનવજાત માટે એમના શબ્દોમાં અથાક કરુણા ભરી પડી છે. ડહાપણ અને કામણ એ એમના હુકમના પત્તા છે અને એ એમને બરાબર રમી પણ જાણે છે.

કોઈકે કહ્યું છે કે, પિતાના માથે પડેલી કરચલીઓના કારણે જ આજે તમે ઈસ્ત્રી કરેલા કપડાં પહેરી શકો છો; પિતા એટલે પર્વત જેવડા વિશાળ વ્યક્તિત્વમાંથી નીકળતી પ્રેમની ખળખળતી નદી; આપણા નસીબના કાણાં બાપ એના ગંજીમાં લઈ લે છે. રમણલાલ સોનીએ તો પિતાને પહેલો ગુરુ કહ્યું છે. દેવકી અને યશોદાને આપણે યાદ કરીએ છીએ પણ કાજળકાળી રાતે મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ચડેલી યમુના નદી ઓળંગવા વાસુદેવે કરેલું સાહસ બહુ યાદ કરતા નથી કેમકે બાપ તો આ બધું કરે જ એવી આપણી સર્વસ્વીકૃત માન્યતા છે. રામાયણમાં પણ રામના વિયોગમાં દશરથ પ્રાણ ત્યજે છે, કૌશલ્યા નહીં. શ્રવણના વિયોગમાં પણ માત્ર મા જ પ્રાણત્યાગ નથી કરતી, પિતા પણ કરે છે. મા પાલવમાં ઢાંકીને વહાલ કરે છે, બાપ ખભે બેસાડીને વિશ્વદર્શન કરાવે છે. મા પ્રેમ સીંચે છે, બાપ આત્મવિશ્વાસ. મા લાગણીના સિક્કા પૂરા પાડે છે, બાપ માંગણીની કરન્સી નૉટ્સ. બાપ રુક્ષ નથી, વૃક્ષ છે જેની છાયામાં સંતાન નામનો છોડ મહોરે છે. દીકરાની સાઇકલ પાછળનો હાથ છોડવાની હિંમત બાપ જ કરે છે અને એમ કરીને દીકરાને દુનિયામાં સહારા વિના અને પડ્યા વિના આગળ વધવાનો પ્રથમ પાઠ ભણાવે છે.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘का स्विद् गुरुतरा भूमेः स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता चोच्चतरं च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)
માની સરખામણીએ પિતાના ગુણગાણ જોકે બહુ ઓછા જ ગવાયા છે. ‘બા’નો ‘પા’ ભાગ એટલે ‘બાપા’ એમ મારા પપ્પા કાયમ કહેતા. પપ્પાનું ટી-શર્ટ પહેલવહેલીવાર બંધબેસતું આવે એ દિવસ દીકરાની જિંદગીનો સૌથી યાદગાર દિવસ હોવાનો. આવો જ એક દીકરો પોતાના પિતાને કઈ નજરે જુએ છે, પોતના પિતા માટે કેવા વિચારો ધરાવે છે એ વાત લઈને આ કવિતા આવે છે. કવિતા આત્મકથાનકસ્વરૂપે છે પણ એનો અર્થ એ નથી કે આ વાત માઇકલ હેટિચના પિતાની જ છે. આત્મકથાનકસ્વરૂપ કાવ્યમાં આવતા કાવ્યનાયક/નાયિકા માટે વિલિયમ બટલર યીસ્ટ ‘Mask’ (મહોરું) શબ્દ વાપરતા પણ કવિતામાં આવતા આવા અર્ધકાલ્પનિક (Quasi-fictional) પાત્રોને કવિતાનો ‘Persona’ (લેટિન Person-વ્યક્તિ પરથી) કહેવાય છે. જેમ કવિ એ એની કવિતા પોતે નથી એમ જ કવિતામાં આવતી આ વ્યક્તિ એ કવિ પોતે જ હોય એવું જરૂરી નથી. આત્મકથાનકસ્વરૂપે કહેવાયેલી કવિતા શુદ્ધ આત્મકથાનક પણ હોઈ શકે, અર્ધઆત્મકથાનક પણ હોઈ શકે અને બિલકુલ કપોળકલ્પિતકથાનક પણ હોઈ શકે. કવિતામાં કવિને કે કવિની જિંદગીને શોધવાને બદલે કવિતા જ શોધવી વધુ હિતકારી છે.

હેટિચ આજની તારીખના કવિ છે. પ્રવર્તમાન ચીલા મુજબ એમણે આ કવિતામાં છંદોના બંધન ફગાવી દીધા છે. છંદ નથી એટલે પ્રાસ પણ નથી. ચાર ફકરાઓમાં પંક્તિ સંખ્યા અને લંબાઈ પણ અનિયમિત છે, જાણે કપાઈ રહેલા પર્વતનો આકારાભાસ ન કરાવતી હોય!

કવિતાનું શીર્ષક એ જ કવિતાની પ્રથમ પંક્તિ પણ છે એ જોઈને પહેલી નજરે આશ્ચર્ય થાય પણ પછી આગળ જતાં ખ્યાલ આવે છે કે આ એક બાળકની સ્વગતોક્તિ છે અને બાળક પાસે શીર્ષક અલગ પાડીને કવિતા કરવા જેટલી પુખ્તતાની અપેક્ષા કેમ કરાય આવી સમજ પડે ત્યારે કવિકર્મને દાદ આપવાનું મન થાય. બાળક યાદ કરે છે એના વધુ નાનપણના દિવસોની, ગઈકાલની. અને કવિતા બાળકની યાદદાસ્ત પર આગળ વધે છે એટલે જ બાળસહજ ચંચળતાના ન્યાયે કવિતામાં પણ ભાવ અને વિચારના કૂદકાઓ જોવા મળે છે.

બાળક પિતાને પર્વતનું શિખર કાપીને ખાડો કરી બે ભાગમાં વહેંચવાની મથામણ કરતાં જુએ છે જેથી કરીને સૂર્ય વધુ સમય માટે મળે. કવિતામાં જાતે જ કહ્યું છે કે ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ અને ન કહ્યું હોય તોય સમજી શકાય છે કે અતિશયોક્તિ પણ વામણી લાગે એવી આ વાત છે. પિતા શું કામ કરે છે એ વાતથી અણજાણ બાળક કલ્પનાની છલાંગ ભરીને ‘મહામાનવ’ પિતાના ‘અતિમાનવ’ કાર્યો નક્કી કરે છે. એક મિનિટ જેટલો જ સૂર્યપ્રકાશ મેળવવા માટેની મહેનત છેવટે રાબેત કરતાં વધુ કલાકોવાળા એક આખા દિવસનો વધારો મેળવવાની આશા સુધી લંબાય છે. ‘નવા તારા’, ‘ક્યાંય જોવા ન મળે એવી માછલીઓ’ – પરિકલ્પના વધુને વધુ ઊંડી થતી જાય છે. બાળક પોતાના ‘ફાધર’ને આખા ગામના પણ ‘ફાધરફિગર’ તરીકે અને કોઈની મદદેય ન લે એવા સ્વાભિમાની તરીકે જુએ છે. વળી એના પિતા યથોચિત ઉદાર પણ ખરા જ. જાતમહેનતથી એકલપંડે હાંસિલ કરેલો વધારાનો સૂર્યપ્રકાશ, તારા, પાણી, માછલીઓ – આ બધું એ પોતાના હકનું જ હોવા છતાં બધાને વહેંચવા તૈયાર છે.

ટૂંકમાં, કવિતા બે સ્તરે વિહાર કરે છે. એક, વાંચવી ગમે એવી મજાની પરીકથા. બીજું, બાળમાનસ. બંનેની મજા છે. બીજો કોઈ અર્થ શોધવા ન જઈએ તો પણ કવિતા આનંદ આપે છે અને એટલું પૂરતું છે. वाक्यम् रसात्मकम् काव्यम्। (વિશ્વનાથ). શૅલીએ પણ કવિતાને Expression of imagination જ કહી છે. પણ, કવિતા જે તમને કહે છે એ જ કહેતી હોય એ જરૂરી નથી. ખરી કવિતા ઘણીવાર બે શબ્દોની વચ્ચેની જગ્યામાં કે બે લીટીઓ વચ્ચેના અવકાશમાં લખાયેલી હોય છે અને ભાવક પોતાના જે-તે સમયની ભાવાવસ્થા મુજબ એનું યથેચ્છ અર્થઘટન કરી શકે છે. સપાટીની નીચે, બીજા સ્તરે બાળસહજ મનોભાવો ઉદ્ધ્રુત થાય છે. જે કુશળતા-કાબેલિયતથી આ ભાવ સુવાંગ આલેખાયા છે એ જ ખરી કવિતા છે. ‘જે, બિલકુલ, અતિશયોક્તિ જ છે’ એમ કહી દેવાયા બાદ પણ આ અતિશયોક્તિ વાસ્તવિક લાગે છે. પર્વતના કપાવાની વાત, લાંબા કલાકોવાળા વધારાના દિવસની વાત, નવા તારા, નવી માછલીઓ, જળાશય – આ બધું જ સાચું લાગે છે અને એ જ સર્જકનો જાદુ છે. અને આ બધું આપણને એટલા માટે સાચું લાગે છે કે આપણે બધા બાળપણમાં સતત આવા સુપરમેનને જોઈ-જોઈને જ મોટા થયા છે. પિતા માટેની આપણી કલ્પનામાં યથેચ્છ રંગો ભરાતાં અનુભવાતાં હોવાથી રચના દિલની વધુ નજીક અનુભવાય છે. ‘મને યાદ છે જ્યારે’ની અનિશ્ચિતતાથી આરંભાતી રચના જ્યારે ‘અમે આજે પણ કરીએ છીએ’ની નિશ્ચિતતાને સ્પર્શે છે ત્યારે આપણું હૈયું પણ વધુ જંગલી બનીને, વધુ હર્ષોલ્લાસ પોકારી ઊઠે
છે!

ગ્લૉબલ કવિતા : 28 : યુવા ગૃહિણી – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

સવારે દસ વાગ્યે યુવા ગૃહિણી
તેના પતિના ઘરની લાકડાની વાડ પછીતે
પાતળા ગાઉનમાં આંટા મારી રહી છે.
હું મારી ગાડીમાં એકલો પસાર થાઉં છું.

અને ફરી તે વાડ પાસે આવે છે
બરફવાળા અને માછલીવાળાને બૂમ પાડવા માટે, અને ઊભી રહે છે
શરમાતી, અંતર્વસ્ત્રહીન, અંદર દબાવતી
વાળની ખુલ્લી લટને, અને હું એને સરખાવું છું
ખરી ગયેલા પાંદડા સાથે.

મારી ગાડીના નીરવ પૈડા
કિચૂડાટ સાથે ધસમસે છે
સૂકા પાંદડાઓ ઉપરથી ને હું નમીને સસ્મિત પસાર થાઉં છું.

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

The young housewife

At ten A.M. the young housewife
moves about in negligee behind
the wooden walls of her husband’s house.
I pass solitary in my car.

Then again she comes to the curb
to call the ice-man, fish-man, and stands
shy, uncorseted, tucking in
stray ends of hair, and I compare her
to a fallen leaf.

The noiseless wheels of my car
rush with a crackling sound over
dried leaves as I bow and pass smiling.

– William Carlos Williams
સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ લખવાનો અધિકાર કોનો?

પુરુષવાદી સમાજના વાડામાં કેદ ગૃહિણીની આ કવિતા પહેલાના, અને આજના – તમામ સમયગાળામાં સ્ત્રીઓનું સ્થાન અને પુરુષોની નજર પર પ્રકાશ ફેંકે છે. કવિ એક તબીબ હતા અને હોમ-વિઝિટ્સ પણ કરતા હતા, એ પશ્ચાદભૂ પણ આ કવિતા સમજવા કામ આવે એમ છે.

વિલિયમ કાર્લોસ વિલિયમ્સ. અમેરિકાના ન્યુ જર્સીના રુધરફૉર્ડ વિસ્તારમાં કળા અને સાહિત્યપૂર્ણ વાતાવરણવાળા પરિવારમાં જન્મ. (૧૭-૦૯-૧૮૮૩થી ૦૪-૦૩-૧૯૬૩) પિતાએ શેક્સપિઅર, દાન્તે, બાઇબલથી પરિચિત કરાવ્યા પણ વિલિયમનો મુખ્ય રસ ગણિત અને વિજ્ઞાન. હાઇસ્કૂલમાં પહેલીવાર એમને ભાષામાં રસ પડ્યો અને પ્રથમ કવિતા પણ એ સમયે જ લખી. જડ આદર્શવાદી અને પરિપૂર્ણતાવાદી મા-બાપનો ખાસ્સો પ્રભાવ રહ્યો. આ જ પ્રભાવ હેઠળ એ મેડિસીન ભણ્યા. તબીબ બન્યા. ચાળીસ વર્ષ સુધી તબીબ તરીકે સેવા બજાવી. તબીબ તરીકે ખૂબ સંવેદનશીલ, માયાળુ અને સામાજીક. પણ પુરુષવાદી અભિગમથી સાવ મુક્ત ન થઈ શક્યા. ઇંગ્લેન્ડની શુદ્ધ અંગ્રેજી કરતાં અમેરિકાની ઉડઝુડિયા અંગ્રેજી જ એમને ગમતી અને એ રીતે એ સાચા અર્થમાં અમેરિકન કવિ બનીને જીવ્યા. જીવનના છેલા બે દાયકામાં હૃદયરોગ અને લકવાના ઉપરાછાપરી હુમલાઓનો ભોગ બન્યા. પણ આ બિમારીઓમાં એમની સર્જનશક્તિ વધુ ખીલી ઊઠી. આખરી ઘડી સુધી તેઓ સર્જન કરતા રહ્યા.

કીટ્સ અને વ્હિટમેન એમના પ્રિય. કીટ્સને તો એ ભગવાન ગણતા. પણ મેડિકલ કોલેજના પહેલા જ વર્ષથી એઝરા પાઉન્ડ સાથેની દોસ્તી અને કવિતાનો એમના પર ભારે પ્રભાવ રહ્યો. એમણે પોતે પાઉન્ડ સાથેની મુલાકાતથી જિંદગીના બે ભાગ થયાનું – ઇસુ પહેલાં (B.C.) અને પછી (A.D.) જેવો ફરક થયાનું કબૂલ્યું છે. ઇમેજીસ્ટ અને મોડર્ન પોએટ્રી મુવમેન્ટમાં એમણે ખૂબ આગળ પડતું ને નોંધપાત્ર કામ કર્યું. એમનું સોળ જ શબ્દોનું ‘ધ રેડ વ્હિલબરો’ કાવ્ય ઇમેજિસ્ટ કવિતાની ખરી ઓળખ ગણાય છે. એલિયટની સફળતાથી એમને તકલીફ પણ થઈ અને એમની કવિતામાં વળાંક પણ આવ્યો. કવિતામાં છંદો સાથેના પ્રયોગ, તરોતાજા અમેરિકન ભાષા, ઇમેજીઝમ, રોજબરોજના પ્રસંગો અને સામાન્ય માણસની જિંદગીના પ્રામાણિક આલેખનના કારણે એમની કવિતા અલગ તરી આવે છે. એ કહેતા, ‘બધા નિયમોને ભૂલી જાવ, બધા બંધનો ભૂલી જાવ, જેમ ખાવાનું, બોલવાનું, એમ લખવાનું પણ માત્ર એના આનંદ ખાતર જ હોવું જોઈએ.’ કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, નાટક ક્ષેત્રે પણ ખૂબ પ્રભાવક ખેડાણ કર્યું.

પહેલી નજરે કવિતામાં સાવ સાદું દેખાતું દૃશ્ય જરા હળવા હાથે ઉઘાડીએ ત્યાં જ દામ્પત્યજીવનની અને સ્ત્રી-પુરુષના સામાજીક દરજ્જાની ખરી અને ખારી ભાતો ઉપસી આવે છે. કવિતાના આંચકા આપતા મૂડને અનુરૂપ કવિએ કવિતામાં દરેક પંક્તિમાં છંદના અનિયમિત આવર્તન પ્રયોજ્યા છે. ક્યાંય પ્રાસ મેળવ્યા નથી. ત્રણ અંતરા અને ત્રણેયમાં પંક્તિની સંખ્યા પણ અનિયમિત. ત્રણેય ફકરામાં વાત મોટા ફલક પર શરૂ થઈ ફકરાના અંત લગીમાં કોઈ એક બિંદુ પર કેન્દ્રિત થાય એ રીતની ગતિ જોવા મળે છે. ગૃહિણીના દામ્પત્યજીવનમાં છંદોલયનો અભાવ, પ્રાસહીનતા, અને અનિયમિતતા નિર્દેશવા કાવ્યસ્વરૂપ મદદરૂપ થાય છે.
‘તેના પતિના ઘર’ શબ્દ પ્રયોગ જ આંચકાની શરૂઆત કરે છે. જે ઘરમાં લગ્ન કરીને ગૃહિણી આવી છે એ ઘર હજી એનું થયું નથી. ગૃહિણી યુવાન છે એનો અર્થ એ કે લગ્નજીવનને હજી તાજું છે. શરૂઆતનું દામ્પત્યજીવન તો સ્ત્રી-પુરુષના ભેદનો છેદ ઊડાડી દે એવા પ્રેમના વાવંટોળ જેવું મદમસ્ત હોવું જોઈએ… પણ આ એક જ શબ્દપ્રયોગ દંપતિમાંથી સ્ત્રી અને પુરુષને અલગ કરી દઈ શરૂઆતમાં જ સ્તબ્ધ કરી દે છે.

નવું કશું નથી. પૂર્વ હોય કે પશ્ચિમ, ગઈ કાલ હોય કે આજ, સ્ત્રી અને પુરુષ વચ્ચેની ભેદરેખા કદી ઓગળી નથી. સ્ત્રી હંમેશા ભોગવવાનું સાધન જ રહી છે. જીવનના રંગમંચ પર भोज्येषु माता, कार्येषु दासी, शयनेषु रंभा આ બધા કિરદાર સ્ત્રીઓએ જ ભજવવાના લખાયા છે. શૃંગારશતકની શરૂઆતમાં જ ભર્તૃહરિ લખે છે:

स्मितेन भावेन च लज्जया भिया पराङ्गमुखैरर्धकटाक्षवीक्षणैः।
वचोभिरीर्ष्याकलहेन लीलया समस्तभावै: खलु बन्धनं स्त्रियः॥

(સ્મિતથી, ભાવથી, લજ્જાથી, અર્ધકટાક્ષભરી નજરવાળા મુખ સાથે પાછા વળીને, વચનથી, ઈર્ષ્યાથી, કલહથી, લીલાથી – સમસ્ત ભાવથી સ્ત્રીઓ ખરેખર બંધન છે)

સ્ત્રી જ બંધન? સ્ત્રી જ સમસ્યા? ઈવે સફરજન માંગ્યું: આદમે કામેચ્છાવશ તોડી આપ્યું, સીતાએ સુવર્ણમૃગ માંગ્યું: રામ દોડ્યા, ગૌતમઋષિએ પતિધર્મ ન નિભાવ્યો, ઈન્દ્ર સ્ખલન કરવા આવ્યો: અહલ્યા તણાઈ ગઈ – બધામાં સ્ત્રીઓ જ દોષી? ભર્તૃહરિ સ્ત્રીઓને अविनयभुवनम् (અવિનયનું ધામ), नरकपुरमुखम् (નરકપુરનું મુખ) કહી એમની કુટિલ વાંકી ભ્રમરોને નર્કદ્વાર ઊઘાડનારી કૂંચી (कुटिला भ्रूलता कुन्चिकेव) કહી ઓળખાવે છે. એક શ્લોકમાં એ કહે છે:

किं गतेन यदि सा न जीवति प्राणीति प्रियतमा तथापि किं।
इत्युदीक्ष्य नवमेघमालिकां न प्रयाति पथिकः स्वमन्दिरम्॥

(જો એ જીવતી ન હોય તો જવાથી શું અને (વિયોગ છતાં) જીવતી હોય તોય (ઘરે જવાથી) શું? એમ વિચારીને મેઘમાળા જોઈનેય પથિક સ્વગૃહે પાછો ફરતો નથી.) પણ શું વિયોગમાં પ્રાણ માત્ર સ્ત્રીના જ જવા જોઈએ? પુરુષનું શું? આ પ્રશ્ન સદા અનુત્તરિત જ રહ્યો છે. આદિ શંકરાચાર્ય પણ પુરુષમુખી સમાજથી અળગા થઈ શક્યા નથી. કહે છે: ‘नारीस्तनभरनाभीदेशं दृष्ट्वा मा गा मोहावेशम्।’ (નારીના સ્તનનો ઉભાર અને નાભિપ્રદેશ જોઈને મોહાવેશમાં ન આવતો.) ‘પેરેડાઇઝ લોસ્ટ’ મહાકાવ્યમાં મિલ્ટન પણ પ્રખર પુરુષવાદથી પીડાતા જોવા મળે છે. ‘Not equal, as their sex not equal seem’d’ કહીને એ કહે છે, ‘Hee for God only, and shee for God in him.’ પુરુષ ઈશ્વર માટે પણ સ્ત્રી માટે તો પુરુષ જ ઈશ્વર? એકને ગોળ ને એકને ખોળ? વાહ રે સંસાર!

કવિતા ભણી વળીએ. પતિ કામે નીકળી ગયા બાદનો સમય છે. કવિતા લખાઈ એ જમાનામાં સ્ત્રીઓ ઘર બહાર પાતળી નાઇટી પહેરી આવતી નહીં. નાયિકા નાઇટી પહેરીને પતિના ઘરની લક્ષ્મણરેખા પાછળ આઝાદીના બે’ક શ્વાસ ભરી રહી છે અને કાવ્યનાયક ત્યાંથી ગાડીમાં એકલો પસાર થાય છે. ગૃહિણી એના વાડામાં અને નાયક એની ગાડીમાં – બંને પોતપોતાની કેદમાં છે.

પહેલા ફકરામાં ‘husband’s house’ તેમ બીજામાં ‘uncorseted’ શબ્દ આંચકો આપે છે. Corset આપણી સંસ્કૃતિ માટે નવું અંતર્વસ્ત્ર છે. પાશ્ચાત્ય સ્ત્રીઓ પોતાના નિતંબ અને સ્તનના ઉભારને વધુ આકર્ષક ઘાટ આપવા માટે ખાસ પ્રકારનું કડક અંતર્વસ્ત્ર દોરીથી ખૂબ કસીને પહેરતી. ઘરમાં કોર્સિટ પહેરવાનો રિવાજ નહોતો પણ ઘર બહાર કોર્સિટ વિના નીકળવું મોટી વાત ગણાતું. ગૃહિણીએ આ કડક, કસાયેલું અંતર્વસ્ત્ર પહેર્યું નથી એ પતિના પ્રભાવ અને પ્રભુત્વમાંથી બે ઘડીની મુક્તિ સૂચવે છે? પણ મુક્તિ બંધનની ઉપસ્થિતિ પણ તો સાબિત કરે જ છે ને?

ગૃહિણી ફેરિયાઓને બૂમ પાડવાના બહાને વાડની નજીક સરે છે. એ શરમાય છે. ‘અંદર દબાવતી’ શબ્દ પર પંક્તિ પૂરી થાય છે. અંદર દબાવતી? શું? પાતળા નજીવા ગાઉન, કોર્સિટની ગેરહાજરી પછી સેક્સ્યુઆલિટી તરફ આ ત્રીજો ઈશારો છે. Enjambment-run off શૈલી પ્રયોજીને બીજી પંક્તિમાં ઘટસ્ફોટ કરે છે કે ગૃહિણી વિખરાઈ ગયેલી લટોને અંદર દબાવે છે. પતિની ગેરહાજરીમાં ‘અયોગ્ય’ વસ્ત્રપરિધાન અને ફેરિયાઓ સાથેના એના વિનિમયને જોઈને નાયક એની સરખામણી ખરેલા પાંદડા સાથે કરે છે. ખરેલું પાંદડું. ચારિત્ર્ય સ્ખલન? શું ગૃહિણી ફ્લર્ટ છે?

છેલ્લા ફકરામાં કચડાતાં સૂકાં પાંદડાં. આગલી પંક્તિમાં ગૃહિણીની સરખામણી ખરેલા પાંદડા સાથે કરીને તરત જ કવિ ગાડી નીચે કચડાતા સૂકાં પાંદડાંનો નિર્દેશ કરે છે. નાયકનો કામભાવ? સ્ત્રીની ઉપર ચડી જવાની સનાતન પૌરુષીવૃત્તિ? એ જ રીતે અવાજ કર્યા વિના સરી જતી ગાડીના વિરોધાભાસમાં સૂકા પાંદડાના કિચૂડાટ સમજવા જેવો છે. પુરુષ દુષ્કર્મ કરે તો સમાજમાં અવાજ ઊઠતો નથી પણ સ્ત્રીનું દુષ્કર્મ ચિત્કારી ઊઠે છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રમાણે નાયક પસાર થતી વખતે નમે છે કેમકે બંને જણ કદાચ એક-મેકને ઓળખતા નથી પણ એ સ્મિત આપીને પસાર થાય છે… આખી કવિતામાં એક sexual tension અનુભવાતું રહે છે. સ્ત્રીનું કેરેક્ટર સર્ટિફિકેટ પુરુષ લખે છે. સીતા એકલી રહી એટલો સમય રામ પણ એકલા રહ્યા, પણ અગ્નિપરીક્ષા માત્ર સીતાની જ થઈ.

અંતે, સ્ત્રીની નજરથી આ કવિતા જોવામાં આવે તો? નજરથી જ સ્ત્રીમાત્રને નિર્વસ્ત્ર ‘ફીલ’ કરાવતા આવા પુરુષો વિશે સ્ત્રીનો શો અભિપ્રાય હોઈ શકે? રસ્તા પર ધ્યાન આપવાના બદલે પોતાના કોર્સિટ વિનાના નાઇટી ઉપર ધ્યાન આપી સ્મિત આપી પસાર થતા પુરુષ માટે કયું કેરેક્ટર સર્ટિફિકેટ ગૃહિણીને આપવું હશે? સ્ત્રી જાણે છે:

मैं सच कहूंगी मगर फ़िर भी हार जाउँगी,
वो जूठ बोलेगा, और लाज़वाब कर देगा। (પરવીન શાકિર)

ગ્લૉબલ કવિતા : 27 : દિલ, ભલા – એમિલિ ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જશું,
તું ને હું, આજ રાતે જ જો!
તુંય ભૂલી જજે, એણે જે હૂંફ આપી હતી,
હું ભૂલી જઈશ અજવાસ, હોં!

જ્યારે પરવારે તું, યાદ રાખીને હા, ખાસ કહેજે મને,
મોળા પાડી દઈશ, મારા વિચાર સૌ,
જલ્દી કર! તું રખેને પડી જાય પાછળ અને
ક્યાંક હું યાદ એને કરી લઈશ તો!

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

જિંદગીના મકાનમાં સૌથી વહાલો કોઈ ઓરડો હોય તો એ ભૂતકાળનો ઓરડો છે. મન જરા નવરું પડ્યું નથી કે ભૂતકાળના ઓરડામાં ઘૂસ્યું નથી. એક પછી એક સ્મરણના પટારા ખૂલતા જાય અને જીવી જવાયેલી જિંદગી ક્યારેક સ્મિત પણ બહુધા ઉદાસીનો વજનદાર ડચૂરો થઈને ગળામાં ભરાઈ પડતી હોય છે. ભૂલવા જેવું ભૂલી શકાતું નથી એમાં જ જિંદગી ભારઝલ્લી બનીને રહી જતી હોય છે. સ્મરણનું મરણ કરતાં આવડી જાય તો સંસાર સ્વર્ગ ન બની જાય? પણ સ્મરણનું મરણ કે મારણ કરવાનું કોઈ શીખવે ખરું?

પ્રસ્તુત રચના ભૂતકાળના આવા જ એક કમરામાં આપણને લઈ જાય છે. જીવનનો નેવુ ટકાથી વધુ હિસ્સો એક જ મકાનમાં એકાંતવાસમાં વિતાવનાર અમેરિકન કવયિત્રી એમિલિ એલિઝાબેથ ડિકિન્સન (૧૦-૧૨-૧૮૩૦થી ૧૫-૦૫-૧૮૮૬: એમર્સ્ટ, મેસાચુસેટ્સ )ની આ રચના છે. ટીનએજમાં જ શાળા-કોલેજ છોડીને એમણે વિશાળ ઘર–ધ હૉમ્સ્ટેડ-ને જ પોતાની દુનિયા બનાવી દીધી. મેધાવી વિદ્યાર્થિની હોવા છતાં અભ્યાસ ત્યાગવા પાછળ કદાચ એમની નાજુક સંવેદનશીલતા જવાબદાર હતી. જમાનાથી ઉફરા ચાલીને એ આજીવન કોઈ પણ ચર્ચ કે સંપ્રદાયમાં જોડાયાં નહીં. માઉન્ટ હોલિઓકમાં જ્યારે આચાર્યાએ ખ્રિસ્તી બનવા માંગનારને ઊભા થવા કહ્યું ત્યારે આખી કોલેજમાં એમિલિ જ ઊભાં નહોતાં થયાં.
એમિલિનો ભાઈ એની જ ખાસ સહેલી ગિલ્બર્ટને પરણ્યો પણ એમિલિ અને બહેન લેવિનિયા આજીવન કુંવારા અને સાથે જ રહ્યાં. ઘરના એકાંતવાસમાં સ્વયં કેદ થઈને પરિવાર અને મિત્રોથી બિલકુલ ખાનગીમાં એમણે સર્જનપ્રવૃત્તિ ચાલુ રાખી. બની શકે કે ઘણાબધા પ્રિયજનોના અકાળ અવસાન જોઈને એમણે દુઃખદાયી દુનિયાથી અળગા જીવવાનું પસંદ કર્યું હોય. કોઈ સર્જકે જાત સાથે વાત ન કરી હોય એટલી એમિલિએ કરી હશે. એમિલિએ લખ્યું હતું, “Parting is all we know of heaven/ And all we need of hell.” હંમેશા જાતે સીવેલાં શ્વેત વસ્ત્રો જ પરિધાન કર્યાં. મુલાકાતીઓને ભાગ્યે જ મળતાં. એકલાં હતાં પણ અકડુ કે અતડાં નહોતાં. પરિચિતોના કહેવા મુજબ એમિલિનો સ્વભાવ વિનમ્ર, હૂંફાળો અને મજાકિયો હતો. એમનાં પત્રોમાં રોમાન્સ અને ફ્લર્ટ પણ નજરે ચડે છે. પંચાવન વર્ષની નાની વયે કિડનીની બિમારીથી એ ઘરમાં જ મૃત્યુ પામ્યાં. એમની કબર પર લખવામાં આવ્યું: “Called back”

કોશેટામાં ઈયળ જીવે એવી જ હટ કે જિંદગી જીવી જનાર એમિલિની કવિતા પણ લાઘવ, મર્મભેદકતા, અપ્રતિમ મૌલિકતા ઉપરાંત કાવ્યસ્વરૂપ અને શૈલીના અભિનવ પ્રયોગોથી એકદમ હટ કે બની રહી, જેણે વીસમી સદીની કવિતા પર ખાસ્સો પ્રભાવ પાડ્યો. કોશેટો ખતમ થાય અને સીધીસાદી ઈયળ મેઘધનુષી પતંગિયું બનીને ઊડી નીકળે એ જ રીતે એમિલિના મૃત્યુપર્યંત બહેન લેવિનિઆએ જીવનપર્યંત છુપાવી રખાયેલ ઢગલોક કવિતાઓ અને પત્રોનો અમૂલ્ય ખજાનો શોધી કાઢ્યો અને વિશ્વને અમેરિકાના ટોચના સાહિત્યકારોમાંના એકની ભેટ મળી. બે વર્ષથી ઓછા ગાળામાં એમની કવિતાઓની અગિયાર આવૃત્તિ બહાર પડી. કમનસીબે એમિલિની ઇચ્છાને વળગી રહીને લેવિનિઆએ પત્રો સળગાવી નાંખ્યા નહિંતર એક મહાન એકાંતવાસી સર્જકના મનોજગતની અંધારકોટડીઓમાં થઈ શકનાર પ્રકાશ આવનાર જગતને ઘણું શીખવી શક્યો હોત.

કવિતાની પ્રથમ પંક્તિ જ એનું શીર્ષક છે અને એ કાવ્યવસ્તુ પણ ઈંગિત કરી દે છે. દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું… પ્રેમીને ભૂલી જવાની વાત છે પણ ભૂલવાનું કામ એકલપંડે કરી શકાય એટલું સરળ-સહજ નથી. સ્મરણના ભારીખમ્મ પથરાને વિસ્મૃતિની ગર્તામાં ધકેલવા માટે નાયિકાને સાથ જોઈએ છે. અને આવી તદ્દન અંગત વાતમાં પોતાના જ દિલથી વધીને અવર કોણ સહાયક હોઈ શકે? વળી ભૂલવાનું કામ માત્ર દિલે પણ તો કરવાનું છે. એટલે જ એક સે ભલે દો.

ભૂલવાના કોઈ નિયમ હોય? કદાચ એટલે જ મૂળ કવિતામાં કોઈપણ પંક્તિમાં છંદ સ્થાયી નથી. બે જ ફકરા અને આઠ જ પંક્તિની સાવ ટૂંકીટચ કવિતામાં બંને ફકરામાં બીજી અને ચોથી પંક્તિમાં પ્રાસ જળવાયા છે પણ પંક્તિઓની લંબાઈ મનની અનિયમિત અવસ્થા જેવી જ વધઘટ થયા કરે છે. નાયિકા હૃદયનું personification (સજીવારોપણ) કરી એની સાથે સંવાદે છે. એમિલિની આ ખૂબી છે.
પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. આમ તો,

વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું! (કલાપી)

ને તેમાં વળી આ તો સ્ત્રી ! એની તો ફિઝિયોલોજી જ ચોપડી બહારની. બાલમુકુન્દ દવે સાચું જ કહી ગયા:

બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સર્જી નારી ઊર:
ઊરને દીધો નેહ, ને વળી નેહને દીધો વ્રેહ!

એક તો હૈયું ને તે વળી સ્ત્રીનું… એમાં પાછો પ્રેમ અને ઉપરથી વ્રેહ યાને વિરહ! બ્રહ્માને પણ લાગતું હશે કે ક્યાંક કાચું તો નથી કપાઈ ગયું ને? પુરુષ જિંદગીની ગઈકાલને બહુ આસાનીથી ભૂલી જઈ શકે છે. સંબંધમાંથી હાથ પણ સરળતાથી ધોઈ કાઢતો હોય છે પણ સ્ત્રી માટે તો વીતેલ દિવસોની યાદ એક અસ્ક્યામત છે. ‘સિક્કા ખિસ્સામાં છે તારી યાદના, રોજ થોડા થોડા લઉં છું કામમાં’ – આ સ્ત્રી છે! એ કહે છે:

ભલે તું જાય છે પણ યાદ પરનો હક તો રહેવા દે,
‘સ્મરણ’ના ‘સ’ વિના તો થઈ જશે મારું ‘મરણ’ તુર્ત જ.
‘સ્મરણ’નો અડધો ‘સ’ સ્ત્રીનો પ્રાણવાયુ છે. પુરુષ તો સનમની ગલીના નાકે જ બીજી શોધી લે. સ્ત્રીને વાર લાગે છે. સંબંધના અવસાનમાંથી બહાર એ મોડેથી જ આવી શકે છે. હા, હાથ ખંખેરીને ઊભી થઈ જનાર સ્ત્રીઓ પણ જોવા મળશે અને તૂટેલા સગપણનો બોજ આજન્મ વેંઢારતા પુરુષો પણ જડી આવશે પણ અપવાદ હંમેશા નિયમની પુષ્ટિ જ કરતા હોય છે. નસીમ શાહજહાનપુરીનો એક શેર છે:

तर्के-उल्फ़त को ज़माना हुआ लेकिन ऐ दोस्त
दिलमें यादोंके चराग अब भी जला करते हैं
(પ્રેમત્યાગને જમાનો થઈ ગયો છતાં, એ દોસ્ત! દિલમાં યાદોના દીપક હજી સળગ્યા કરે છે.)

સ્ત્રી યાદ પણ મિટાવી દઈ શકે પણ પ્રેમ ત્યજી/ભૂલી શકતી નથી. એ કહે છે:

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

આ સ્ત્રી છે. પણ દરેક ધીરજ, દરેક પ્રતીક્ષા, દરેક વિશ્વાસનો એક અંત હોય છે. નાયિકાને આખરે ખાતરી થઈ છે કે બેવફા પ્રેમી પરત નહીં જ ફરે એટલે એ હવે હૃદયનો સધિયારો મેળવીને સહિયારો ત્યાગ કરવાનું નિર્ધારે છે. એકલાથી ભૂલવું કપરું છે, તો બે જણ ભેગા મળીને જોર કરીએ અને ભૂલી જઈએ. ને વળી ટાઇમલિમિટ પણ નક્કી છે. આજે રાત્રે જ. દિવસ ઊગી નીકળ્યો તો આશા પણ ઊગી નીકળવાની. યેનકેન પ્રકારે આજે રાત્રે જ આ વાતનો ઘડોલાડવો એક કરવાનો છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે!

પ્રેમ અજવાળેય છે ને હૂંફેય બક્ષે છે. (પ્રેમમાં અજવાળું અને હૂંફ પર એક લેખ લખી શકાય પણ અહીં વાત વિસ્મરણની કરવાની છે.) આ બંને છોડવું પડશે. હૃદય જેવું એને સોંપેલું કામ પૂરું કરી દે કે તરત એણે નાયિકાને જાણ કરવાની છે. બશર નવાઝ કહે છે, ख़ुश्क पत्तों से छुडा लेती है शाखें दामन,
किसने यादों से निभाई है यहां दिलके सिवा? તો દિલ યાદોથી જેવું અળગું થવામાં સફળ થશે કે તરત જ નાયિકા પણ પ્રણયવિચારવાયુને મોળો પાડી દેશે. મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! ‘કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.’

હકીકતમાં બેવફા યારને ભૂલી ન શકવાની પોતાની કમજોરીનો ટોપલો હૃદયના માથે ઢોળી દઈને, હૃદયને જ ગુનેગાર સાબિત કરીને ભૂલી ન શકવામાં પોતાનો તો કોઈ વાંક છે જ નહીં કહીને નાયિકા પોતાની જાતને પણ છેતરવા મથે છે. ‘આજે રાત્રે’ જ આ કામ કરવાનું છે એમાં પણ છટકબારી સિવાય બીજું કંઈ નથી. સમયની ફ્રેમ ગોઠવીને નાયિકા ફરી-ફરીને ખુદને જ છેતરે છે. ભૂલવાની ‘કોશિશ’ કરવી પડે એનાથી બળવત્તર યાદનું બીજું કયું સબૂત હોઈ શકે?

ગ્લૉબલ કવિતા : મર્યાદાઓ – હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)

એક પંક્તિ મરીઝની જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.

– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર

* 

એકા’વન’ –વાત વનપ્રવેશની વિટંબણાની

વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા‘વન’માં પ્રવેશવાની ઘડી ઘણાલોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. ચરણ થાકવા માંડે ને સ્મરણ ઝાંખા પડવા માંડે એટલે મરણ ઢૂંકડું ભાસે… મર્યાદાઓ નજરે ચડવા માંડે… વય તનમાં બેસે એના કરતાં મનમાં પેસે ત્યારે આ ‘વન’ની ઘડિયાળમાં મિનિટ કાંટો સેકન્ડકાંટાની ઝડપે ફરવા માંડે છે. પચાસ વસંત પૂરી કરી એકાવનમાં પ્રવેશેલ માણસની કવિતા લઈને આર્જેન્ટિનાના સ્પેનિશ કવિ હોર્હે લૂઈસ બોર્હેસ આવ્યા છે.

હોર્હે ફ્રાન્સિસ્કો ઈસિડોરો લૂઈસ બોર્હેસ એકિવેડો જેવું લાંબુ-અટપટું નામ ધરાવતા આ સર્જક જીવન પણ લાંબુ જ જીવ્યા. (૨૪-૦૮-૧૮૯૯થી ૧૪-૦૬-૧૯૮૬). સુશિક્ષિત મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ અને પરિવાર સાથે યુરોપમાં ખાસ્સું ફરવા મળ્યું. માત્ર નવ વર્ષની લખોટી રમવાની ઉંમરે ઓસ્કાર વાઇલ્ડની ‘ધ હેપ્પી પ્રિન્સ’નો એમણે સ્પેનિશમાં અનુવાદ કર્યો પણ મિત્રોને લાગ્યું કે એના પપ્પાએ જ કરી આપ્યો હશે. હકીકત એ હતી કે પિતા એક વકીલ અને મનોશાસ્ત્રના શિક્ષક હતા પણ લેખક થવાની કોશિશમાં નિષ્ફળ નીવડ્યા હતા. બાર વર્ષની ઉંમરે તો બૉર્હેસ શેક્સપિઅર વાંચતા હતા. પણ આર્જેંટિનાની આઝાદીના જે યુદ્ધમાં પરિવારના ફાળાની વાતો જે માતા સગર્વ કરતી હતી, એમાં પોતામાં રહેલા પુસ્તકિયા કીડાને પામી ગયેલા બોર્હેસ કદી ભાગ લઈ શક્યા નહોતા. ઘરમાં હજારેક પુસ્તકોની વસ્તી વચ્ચે બોર્હેસનો માંહ્યલો ઘડાયો. લાઇબ્રેરિઅન. નેશનલ પબ્લિક લાઇબ્રેરીના ડિરેક્ટર. અંગ્રેજીના પ્રોફેસર. ક્રિસમસની રાતે માથામાં ગંભીર ઈજા પછી ચેપ શરીરમાં ફેલાતા માંડ મરતા બચેલા લેખકની કલમમાં મૃત્યુને લગભગ અડી લેવાની ભયાવહ અનુભૂતિના પરિણામે એક નવો વળાંક આવ્યો. ત્રીસની ઉંમરે એમની દૃષ્ટિ પિતાની જેમ પાંખી થવા માંડી અને પચાસસુધીમાં એ સાવ આંધળા બની ગયા. બ્રેઇલ લિપિ શીખ્યા વિના જીવનના આખરી સાડા ત્રણ દાયકા અંધત્વ સાથે વીતાવ્યા. એક કવિતામાં એ લખે છે: ‘‘નામદાર ઈશ્વરના આ વિધાનમાં કોઈએ આત્મદયા કે ઠપકો વાંચવા જોઈએ નહીં, કે જેણે મને પુસ્તકો અને રાત્રિ એક જ સ્પર્શમાં આપી દઈને આવો ઉત્કૃષ્ટ વ્યંગ કર્યો.” પહેલું લગ્નજીવન ત્રણ વર્ષ ચાલ્યું, બીજું ત્રણ મહિના કેમકે ત્રણ મહિનામાં જ લીવર કેન્સરના કારણે ૮૬ વર્ષની વયે એમનું દેહાવસાન થયું.

ટૂંકી વાર્તાઓ એમની ખરી ઓળખ. એ સિવાય કવિતા, નિબંધ, અને અનુવાદ એમના અન્ય કાકુ. ઓગણીસમી સદીમાં વ્યાપ્ત વાસ્તવવાદ અને નિસર્ગવાદ સામે પરીકથા અને ફિલસૂફીના અનુઆધુનિક સંમિશ્રણવાળા જાદુઈ વાસ્તવ (મેજિકલ રિઆલિઝમ)ના એ અગ્રણી પ્રણેતા બન્યા. સર્વાન્ટિસ પછીના કદાચ સૌથી નોંધપાત્ર સ્પેનિશ સર્જક. કઉંમરનો અંધાપો કદાચ એમની કલ્પનાઓને ઈશ્વરે પહેરાવેલી પાંખ હતી. વાંચી શકવાની અશક્તિના લીધે તર્ક સાથેનું અનુસંધાન કદાચ એમણે ગુમાવ્યું. ‘લેખક વાર્તા લખે છે કે વાર્તા લેખકને લખે છે’ એ મીમાંસાવાદી પ્રશ્ન એમના નામથી borgesian conundrum તરીકે ઓળખાય છે, જે સર્જકને વિશ્વકક્ષાએ મળેલ સન્માનનું દ્યોતક છે.

પ્રસ્તુત કાવ્ય ‘મર્યાદાઓ’ શીર્ષકથી જ બોર્હેસની એક બીજી રચના પણ જોવા મળે છે જે ખાસી લાંબી છે અને આ કવિતામાં કરાયેલી ઘણી વાતો એમાંય છે પણ સવિસ્તાર છે. બંનેમાંથી કઈ મૂળ કે બંને જ મૂળ એ આપણે કદાચ ન જાણી શકીએ પણ પ્રસ્તુત કવિતાનું મૂળ સ્પેનિશ કાવ્ય નેટ પરથી જડી આવ્યું હોવાથી અને ‘મર્યાદાઓ’ કદાચ ટૂંકી જ સારી લાગે એમ માનીને આગળ વધીએ.

મૃત્યુ જેને સતત કોરી ખાઈ રહ્યું છે એવા માણસની આ કવિતા છે એટલે સ્વાભાવિક જ અહીં છંદ-લય, પ્રાસ-નિયમ પણ ખવાઈ ચૂક્યા છે. અનુઆધુનિક સાહિત્યની સ્વરૂપરીતિમાં બંધબેસતું આ મુક્તકાવ્ય છે…ક છેલ્લી પંક્તિમાં જઈને મુઠ્ઠી ખોલે છે જ્યારે કવિ ઉંમર અને મૃત્યુની વાત કરે છે. મૃત્યુનો રંગ સ્વાભાવિક જ ઘેરો-કાળો હોવાનો. કવિતા પણ એવા જ ઘેરા-કાળા રંગના વિષાદથી શબ્દે-શબ્દે રંગાયેલી છે.

પોતે શા માટે આવું કરે છે- અથવા નથી કરવાના એનું કારણ કહ્યા વિના કવિ શરૂઆત કરે છે કે મરીઝની એક પંક્તિ હવે એ કદી યાદ કરનાર નથી. (મૂળ રચનામાં ફ્રેન્ચ કવિ વર્લેઇનનો ઉલ્લેખ છે. પૉલ વર્લેઇન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં વિશ્વકવિતાનું બહુ મોટું નામ છે.) કવિતામાં જેને રસ છે એવા નાયકની આ વાત છે. Poetry is not everyone’s cup of tea. કવિતા ટોળાની કે બહોળાની નહીં, થોડાની ને ઠરેલાની વસ્તુ છે. જેને કવિતામાં રસ પડે છે માણસ સ્વાભાવિક જ વધુ વિચારશીલ, વધુ સંવેદનશીલ, વધુ ઠાવકો હોવાનો કેમ કે મહાન જર્મન ફિલસૂફ કેન્ટે કહ્યું તેમ Of all the arts, poetry maintains the first rank. હેગલે પણ બધી કળાઓમાં કવિતાને સર્વોત્તમ ગણી છે. નાયકનો કાવ્યપ્રેમ પ્રદર્શિત કરી કવિ એક લીટીમાં એનું ચારિત્ર્ય ઉપસાવે છે. નજીકની એક શેરી, જે કદાચ નાયકની પ્રિય રહી હોય એય એના ચરણો માટે હવે વર્જ્ય છે. નરસિંહ મહેતાએ કહ્યું તેમ, ‘ઉંબરા ડુંગરા થઈ ગયા છે.’ અરીસામાં જોવાની ઇચ્છા પણ મરી પરવારી છે. અને જાત માટેનો પ્રેમ પૂરો થાય ત્યારે સમજવું કે જિંદગી સાથે કરવા માટે હવે કોઈ વાત બચી નથી. દરવાજો શક્યતાનું પ્રતિક છે. સૃષ્ટિના અંતકાળ સુધી એક દરવાજો બંધ કરી દેવાયો છે મતલબ કોઈપણ શક્યતાની તાજી લહેરખીની હેરફેર પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. નિરાશાની આ ચરમસીમા છે. ईस रातकी सुबह नहीं. સામાન્યરીતે મોટાભાગના લોકોથી શંકરાચાર્ય કહે છે એમ કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઘટતું જાય છે છતાં આશાવાયુ છૂટતો નથી(कालः क्रीडति गच्छत्यायुःतदपि न मुञ्चत्याशावायुः)પણ અહીં વાત ઊલટી છે. સુરેશ દલાલ યાદ આવે:

આંખ તો મારી આથમી રહી, કાનના કૂવા ખાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી.

નાયક કદાચ ઘરના પુસ્તકાલયમાં જ બેઠો છે. ઘરમાં પુસ્તકાલયની ઉપસ્થિતિ નાયકના ચારિત્ર્ય વિશે પહેલી પંક્તિમાં જે છાપ ઉપસી આવી છે એના પર હાઇલાઇટર ફેરવી આપે છે. સમાજમાં કેટલા માણસો નિયમિત પુસ્તકો ખરીદતા હશે? અને એમાંથી કેટલાના ઘરમાં પુસ્તકો માટે એક અલાયદો કમરો હશે? ઘરમાં પુસ્તકનું હોવું એ સુખદ ઘટના છે અને પુસ્તકોની આખી વસ્તીનું હોવું એ સંસ્કારિતાનો સીધો અરીસો છે. આ પુસ્તકોમાંના કેટલાક હવે એ કદી ઊઘાડનાર નથી. આખા કાવ્યમાં કવિ દરેક વસ્તુને ‘જે’થી ઈંગિત કરે છે પણ પુસ્તકોની વાત આવે છે ત્યારે આ ‘જે’ને કૌંસમાં મૂકીને વાત કરે છે. આ કૌંસ હવેથી કાયમ માટે ‘બંધ’ રહેનાર પુસ્તકો તરફ ઈશારો નથી કરતો? જીવતરના કેટલાક પાનાં હવે કદી ખૂલનાર નથી.

હમણાં જ નાયકની પચાસમી વર્ષગાંઠ ગઈ છે. પચાસમા વર્ષે સામાન્યતઃ માણસ હજી આશાવંત હોય છે, પોતાને વૃદ્ધ લેખતો હોતો નથી પણ પચાસમા વર્ષ સુધીમાં કવિને તો અંધત્વ આવી ગયું હતું. એ અંધકાર મૃત્યુની પ્રતીતિથી શું ઓછો હશે? સતત નજીક સરતા મૃત્યુની નિરાશાએ નાયકને મૃત્યુ કરતાંય વહેલો ગ્રસી લીધો છે. મરણ આવતાં પહેલાં જ મરી જવાની આ વાત છે. ખરતી જતી ઇચ્છાઓની ઉધઈ જીવનવૃક્ષને ક્ષણેક્ષણ ભીતરથી કોરી ખાય પછી થડનું જમીનદોસ્ત થવું એ તો મૃત્યુની ઔપચારિક્તા માત્ર છે. “કાંગરે કાંગરે વેરાણો, રે જીવણ મારા! કાયાનો ગઢ આ ઘેરાણો.”” (સુરેશ દલાલ)

આ કવિતાના ઉપસંહારમાં કવિ પોતે લખે છે કે, “માણસ પોતાની જાતને દુનિયા ચિતરવાનું કામ સોંપી દે છે. વરસો સુધી એ એક અવકાશને પરગણાં, રાજ્યો, પર્વતો, ખાડીઓ, જહાજો, ટાપુઓ, માછલીઓ, ઓરડાઓ, સાધનો, તારાઓ, ઘોડાઓ અને લોકોથી વસાવતો રહે છે. મૃત્યુના થોડા જ સમય પૂર્વે એ શોધી કાઢે છે કે એ રેખાઓનો ધૈયશીલ ગૂંચવાડો તેના જ ચહેરાની છબીની નિશાની છે.”

બીજી રીતે જોઈએ તો આ કવિતા મરણના શાંતિપૂર્ણ સંપૂર્ણ સ્વીકારની છે. સામાન્યરીતે તો બળવંતરાય ઠાકોર કહે એમ, ‘કશુંય નહિ કાબૂમાં, ન મન, નો’ર્મિ, દેહે નહીં’ જેવી પરિસ્થિતિ હોય પણ કવિની અવસ્થા સ્થિતપ્રજ્ઞતાની છે. પવનના એક ઝોકે કમળ પાણી ખેરવી નાંખે એમ મરણના પગસંચારમાત્રથી કવિ એક પછી એક ઇચ્છાઓ ખંખેરી જંજાળમુક્ત થવું આદરે છે. એક ઘર છોડીને બીજા ઘર તરફ જવાની આ તૈયારી છે. આખી મનુષ્યજાતિ યયાતિ બનીને જીવતી હોય એવામાં ‘કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો; એય ઇચ્છા છે, હવે એ પણ ન હો’ (ચિનુ મોદી)નું આ વલણ સમાધિસ્થ સંતનું સ્મરણ પણ કરાવે છે.

*

Limits

There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.

-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)