ગ્લોબલ કવિતા : ૧૨૩ : મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

મારી કબર પર થોભશો કે, રડશો નહિ

મારી કબર પર થોભશો કે, રડશો નહિ,
હું ત્યાં નથી. હા, હું હજી ઊંઘી નથી.
હું છું હજારો પવનો જે ફૂંકાય છે.
હીરાકણીઓ છું બરફ પર ચળકે જે.
હું પક્વ દાણા પર કિરણ છું સૂર્યનું.
વરસાદ હું તો પાનખરનો છું ઋજુ.
જ્યારે તમે નિદ્રા ત્યજી જાગો પ્રભાતી ચુપકીમાં
જે શાંત પક્ષી ઝુંડ ઊઠે આભમાં
એને ગતિ દેનાર અબાબીલ હું જ છું.
રાતે ચમકતા મૃદુ તારાઓ છું હું.
મારી કબર પર થોભશો, વિલપશો નહિ,
હું ત્યાં નથી. હા, હું મરણ પામી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે
(અનુ. વિવેક મનહર ટેલર)

એક જ કવિતાથી અમરત્વ – સૂંઠના ગાંગડે ગાંધી?

કોઈ કવિને કવિ તરીકેની ઓળખ મળે એ માટે એણે કેટલી કવિતાઓ લખવી પડે એની કોઈ રુલ-બુક ખરી? આપણે ત્યાં એક જમાનો એવો હતો કે ‘કુમાર’માં કવિતા છપાય તો જ કવિને કવિનો દરજ્જો મળતો. એક જમાનો એવો હતો કે સૉનેટ ન લખ્યું હોય એના કવિ હોવા વિશે શંકા કરાતી. પણ શું એક જ કવિતા લખી હોય અને કવિ તરીકે આખી દુનિયાએ એનો સ્વીકાર કર્યો હોય એવું શક્ય ખરું? અને કવિ તરીકેના સ્વીકારને બાજુએ રાખીએ… એક જ કવિતા લખીને કોઈ અમર થઈ શકે ખરું? શું સૂંઠના ગાંગડે ગાંધી થવાય? એક જ કવિતાથી અમરત્વ પ્રાપ્ત કરનાર વિરલ કવયિત્રી અને એ કવિતાના સંદર્ભમાં જવલ્લે જ જોવા મળતી દિવ્ય ચમત્કાર સમી ઘટનાનો આપણે આજે સાક્ષાત્કાર કરવો છે.

મેરી એલિઝાબેથ ફ્રે. ૧૩-૧૧-૧૯૦૫ના રોજ અમેરિકાના ઓહાયો રાજ્યના ડેટન શહેરમાં જન્મ. ત્રણ જ વર્ષની વયે અનાથ થયાં. બાર વર્ષની વયે બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે સ્થાયી થયાં. કોઈ જાતનું ઔપચારિક શિક્ષણ મળ્યું નહોતું એ છતાંય તેઓ અકરાંતિયા વાચક હતાં અને યાદદાસ્ત પણ એવી જ તીક્ષ્ણ. ૧૯૨૭માં ક્લાઉડ ફ્રેને પરણ્યાં અને મેરી એલિઝાબેથ ક્લર્કમાંથી મેરી એલિઝાબેથ ફ્રે બન્યાં. પતિનો કપડાંનો વ્યવસાય હતો અને મેરીનો ફૂલો વેચવાનો. ૧૯૬૪માં એમના પતિનું નિધન થયું. ૧૫-૦૯-૨૦૦૪ના રોજ ૯૯ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવીને, પોતાની પાછળ એક દીકરીને મૂકીને બાલ્ટીમોર, મેરીલેન્ડ ખાતે જ આ ફાની દુનિયાને રામ રામ કરી ગયાં.

મેરીના ઘરે એક જર્મન યહૂદી યુવતી માર્ગારેટ શ્વાર્ઝકૉફ (Schwarzkopf) મહેમાન તરીકે રહેતી હતી. જર્મનીમાં એ સમયે યહૂદીઓ વિરુદ્ધ લાવા ઉકળતો હતો, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ‘હૉલોકાસ્ટ’ નામે નરસંહારમાં પરિણમ્યો હતો. નાદુરસ્ત રાજકીય પરિસ્થિતિના કારણે એ પોતાની બિમાર માતાને મળવા જઈ શકે એમ નહોતી. છેવટે માતા મૃત્યુ પામી. અને માર્ગારેટે મેરી આગળ અફસોસ વ્યક્ત કર્યો કે પોતાની માની કબર પાસે ઊભા રહી આંસુ વહાવવાની એને કદી તક જ મળી નહીં. આ વખતે આકસ્મિક આત્મસ્ફુરણાને વશ થઈ ખરીદી માટેની ખાખી રંગની કાગળની થેલી પર મેરીએ ૧૯૩૨ની સાલમાં આ કાવ્ય લખી નાંખ્યું. મેરીના કહેવા મુજબ શબ્દો આપમેળે એની પાસે વહી આવ્યા હતા. આ પહેલાં મેરીએ કદી કવિતા લખી પણ નહોતી. બાર પંક્તિનું મેરીનું આ પહેલવહેલું કાવ્ય લોકોને ઘણું પસંદ આવ્યું હોવાથી મેરીએ એની અનેક નકલો કરીને અંગત ધોરણે એની વહેંચણી કરી પણ કદી પ્રકાશિત કર્યું નહીં. કવિતા લખાઈ અને વિશ્વવિખ્યાત થઈ ગઈ પણ એના સર્જકનું નામ દુનિયા માટે અજાણ્યું જ રહ્યું. લગભગ છ-છ દાયકાઓ વીતી ગયા બાદ, છેક નેવુના દાયકાના અંતભાગ સુધી આ કવિતાના સર્જક વિશે કોઈને કોઈ માહિતી નહોતી. કવયિત્રી જો લાંબુ જીવ્યાં ન હોત તો કદાચ આજેય આ કવિતા કોની છે એ ખબર જ પડી શકી ન હોત. સેંકડો લોકો આ કવિતા પોતાની હોવાનો દાવો કરી ચૂક્યા હતા, પણ નેવુના દાયકામાં કવયિત્રીએ આ પોતાનું સર્જન હોવાનો દાવો કર્યો. અસંખ્ય લોકોએ શંકા વ્યક્ત કરી. પણ ‘ડિઅર એબી’ નામની એકીસાથે ૧૪૦૦ અખબારોમાં પ્રકાશિત થતી અને અગિયાર કરોડ વાચકો સુધી પહોંચતી વિશ્વપ્રસિદ્ધ કટારના લેખિકા એબિગેલ વાન બુરેને ૧૯૯૮ની સાલમાં વિશ્વસનીય વિગતવાર સંશોધન થકી આ દાવો સાચો પુરવાર કર્યો અને કવિતાને કવિનું નામ મળ્યું.

૧૯૯૫માં રાષ્ટ્રીય કવિતાદિવસની ઉજવણી માટે બીબીસીએ ‘બુકવર્મ’ નામના ટેલિવિઝન કાર્યક્રમમાં લોકોને પોતાની પસંદગીની કવિતા માટે મત આપવા આહ્વાન કર્યું. અભૂતપૂર્વ બીના એ બની કે મેરીની આ કવિતા સ્પર્ધામાં ન હોવા છતાં ત્રીસ હજારથી પણ વધુ લોકોએ આ કવિતાને મત આપ્યો અને એ વખતે આ કવિતાના કર્તાનું નામ પણ કોઈ જાણતું નહોતું. બીબીસીએ બીજા વર્ષે આ કવિતાને ‘દેશની સૌથી વહાલી કવિતા’નું બિરુદ આપ્યું. ૧૦ વર્ષ કવયિત્રીના મરણ વખતે પછી ‘ધ ટાઇમ્સ’એ લખ્યું કે, “ આ કવિતા તમારી ખોટને હળવી કરવા માટે નોંધનીય તાકાત ધરાવે છે. આ કવિતા રંગ, ધર્મ, સામાજિક હોદ્દા અને દેશદેશાવરોની સરહદો પાર કરીને વિખ્યાત થઈ ચૂકી છે.” કર્તાને અમરત્વ બક્ષવા સિવાય આ કવિતાનો એક બીજો ચમત્કાર એ પણ છે કે વીતેલા દાયકાઓમાં આ કવિતા અંત્યેષ્ઠિ તથા જાહેર પ્રસંગોએ (બાઇબલને બાદ કરતાં) અસંખ્યવાર, કદાચ સહુથી વધુ વાર લખવા-વાંચવા-ગાવામાં આવેલી કવિતા છે. ધર્મ અને જાતિના ભેદભાવ વિના વિશ્વભરના કબ્રસ્તાનોમાં, અંત્યેષ્ઠિ સમયે, શોકપ્રસંગોએ, શાળા-કોલેજોમાં, જાહેર સમારંભોમાં, અને અસંખ્ય સ્થળોએ અને પ્રસંગોએ આ કાવ્યનું પઠન સતત થતું આવ્યું છે, થઈ રહ્યું છે, થતું રહેશે. આ અભૂતપૂર્વ વિશ્વવિક્રમ કદાચ બીજી કોઈ કવિતા કદી પણ તોડી શકનાર નથી. આ સિવાય, વાંચતા વાંચતાય આંખ ભીની થઈ જાય એવા હજારો પ્રતિભાવ અખબારોમાં, સામયિકોમાં, મુખપત્રોમાં અને ઇન્ટરનેટ ઉપર આ કવિતા માટે લખાયા છે. એક મા લખે છે, “હું ઇચ્છું છું કે હું મેરી એલિઝાબેથ ફ્રેને કહી શકી હોત જુલાઈ, ૨૦૦૪ના એ દિવસે ઓક્લાહોમા શહેરના એ ચર્ચમાં નવ જ વર્ષની એક નાનકડી છોકરીએ એની માતાનો ઘૂંટણ પસવાર્યો. પોતાનું માથું એક તરફ વાળી ફૂંક મારીને પવનમાં ઊડતા હોય એમ વાળ ઊડાડ્યા અને કહ્યું, ‘મમ્મી, જો અહીં જરાય પવન નથી.’ અને પછી કવિતાની એ લીટી પર આંગળી ફેરવી ઇશારો કર્યો, હું એ હજાર પવનો છું જે સુસવાય છે.”

મેરીએ આ કવિતાને કોઈ શીર્ષક આપ્યું નથી. જરૂર પણ નથી. કવિતા પોતે જ એટલી સબળ છે કે એને બીજા કોઈ ઉપાદાનની આવશ્યકતા જ નથી. મૃતકની એકોક્તિ સમી બાર પંક્તિની આ કવિતાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલી બે પંક્તિઓ, જેમાં કથક પોતે મૃત્યુ પામી નથી એવું કહીને પોતાની પાછળ રહી જનારને ન રડવાની શિખામણ આપે છે. બીજા ભાગમાં પોતે કેમ મરી ન ગણાય એના નાનાવિધ કારણો આપે છે તો ત્રીજા અને અંતિમ ભાગની આખરી બે કડીઓમાં પહેલી બે કડીઓમાં જ નજીવો શબ્દફેર કરીને પોતાની વાતને યોગ્ય વજન આપવા માટે દોહરાવે છે. અંગ્રેજીમાં સામાન્યરીતે પ્રયોજાતા આયમ્બિક પેન્ટામીટરના સ્થાને મેરીએ ટેટ્રામીટર છંદ અહીં પ્રયોજ્યો છે. બે પંક્તિ ઉમેરીને સૉનેટ લખવાનો મોહ જેમ એમણે જતો કર્યો છે, એ જ રીતે સાતમી પંક્તિમાં અપવાદરૂપે આયમ્બિક પેન્ટામીટર વાપર્યો છે, જેના કારણે દ્યુતગતિએ આગળ વહી જતી કવિતાનો લય બરાબર અધવચે સહેજ બદલાય છે. ભાવકના ચિત્તતંત્રને ઝંઝોડવા માટેની આવી પ્રયુક્તિ બધી ભાષામાં સિદ્ધહસ્ત સર્જકો અપનાવતા આવ્યા છે. વળી, આખી કવિતામાં એ એક જ વાક્ય છે જે છંદપલટા સાથે ત્રણ પંક્તિઓ સુધી લંબાય છે. આ સિવાય, સમગ્ર કવિતામાં પંક્તિ અને વાક્ય સાથે જ પૂરાં થાય છે. બીજે ક્યાંય આ અપૂર્ણાન્વય (enjambment) નજરે ચડતું નથી. ઊલટું, બીજી અને છેલ્લી પંક્તિમાં તો એક-એક કરતાં બબ્બે વાક્ય કવયિત્રીએ વાપર્યા છે. અંગ્રેજીમાં હિરોઇક કપ્લેટ તરીકે જાણીતી A-A B-B C-C પ્રકારની દુપાઈ કહી શકાય એવી પ્રાસયોજના કવયિત્રીએ અહીં કરી છે, જેના કારણે ગીત બધુ ગેય બને છે. ઘણા લોકો આને બાર પંક્તિનું સૉનેટ પણ ગણાવે છે પણ આ એવા કોઈ સ્વરૂપને જબરદસ્તી આ કવિતા ઉપર ઠોકી બેસાડવાના બદલે આ કવિતા જેમ છે તેમ જ માણવાની કદાચ વધુ મજા છે. કદલાઘવ, ટૂંકી પંક્તિએ, દુપાઈ પ્રકારની પ્રાસવ્યવસ્થા, અને પંક્તિ સાથે તાલમેળ સાધતા વાક્યના કારણે કવિતાનું જે બાહ્ય કલેવર રચાયું છે એ પણ એની અપ્રતીમ લોકચાહનાનું કારણ ગણી શકાય. ઉત્તમ કવિતા માટે માત્ર કાવ્યપ્રાણ જ નહીં, કાવ્યસ્વરૂપ પણ ઉમદા હોવું જોઈએ એ કળા આ કવિતા આપણને સમજાવે છે.

પ્રેમ એક અદભુત અનુભૂતિ છે, એકતરફી નહીં, ઉભયતરફી! અહીં એક પ્રિયજનનું મૃત્યુ થયું છે. જે દેહ ગઈ કાલ સુધી તમારા અસ્તિત્વની આસપાસ વહાલનો પવન ફૂંકતો હતો એ દેહમાંથી પવન ચાલ્યો ગયો છે. એ દેહ હવે કબરની નીચે છે. કબરની બહાર છે એને એના માટે ખેંચાણ છે તો કબરની અંદર સૂતેલને પણ પાછળ રહી જનાર માટે એવું જ ખેંચાણ હશે ને! પ્રેમની લાગણી તો બહુધા બેઉતરફી જ હોવાની. પણ મરનારની જીવિત રહેનાર માટેની સંવેદના તો કવિ જ જોઈ-અનુભવી-કહી શકે. જે રીતે થોમસ હાર્ડીની ‘આહ, આર યુ ડિગિંગ ઓન માય ગ્રેવ’ કવિતાની નાયિકા પોતાની કબર ખોદનાર સાથે વાર્તાલાપ કરે છે, એ જ રીતે મેરીની આ કવિતામાં સજીવારોપણ અલંકાર પ્રયોજાયો છે. જે હજી જીવે છે એ મૌન છે, જે અવસાન પામ્યું છે એ વાતો કરે છે. હાર્ડીની કવિતામાં ‘હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીય પુષ્પ, કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ’ જેવો આશાનો ભાવ મૃતક સેવે છે, જ્યારે મેરીની આ કવિતામાં મૃતક આશા-હૂંફ-દિલાસો લઈને જીવનાર પાસે આવે છે. પોતાના ગયા પછી પ્રિયજન પર શી વીતતી હશે એનું મૃતકને માત્ર ભાન જ નથી, ચિંતા પણ છે એટલે કબરમાં સૂતા-સૂતા એ કહે છે કે મારી કબર પાસે આવશો નહીં. અને રડશો પણ નહીં. કેમ? કેમકે કબરની અંદર મરનાર તો છે જ નહીં. અંદર તો ફક્ત પાર્થિવ શરીર જ છે. એ શરીરની કિંમત જ એટલા ખાતર હતી કે એ શરીર સ્નેહથી સભર હતું અને સ્નેહ તો કદી મરતો નથી. એ તો અલગ અલગ સ્વરૂપે આપણી આસપાસ જીવંત જ રહેવાનો. તો જો મૃતક કબરની અંદર હોય જ નહીં તો કબર પાસે આવવાનો અને શોક વ્યક્ત કરવાનો કોઈ અર્થ ખરો? પણ મૃતક તો આગળ વધીને જાહેર કરે છે કે હું હજી ઊંઘી નથી. અર્થાત્ પોતે મૃત્યુ પામી જ ન હોવાનો આંચકો મૃતક ભાવકને આપે છે. બીજું, મૃતકનો ભાવ અહીં વિનંતીનો નહીં પણ હુકમનો છે. એ પોતાની પાછળ શોક નથી જ કરવાનો એવું ફરમાન આપતાં હોય એવી અધિકૃતતતા સાથેનો આ અવાજ છે, જે આપણને છેક અંદર સુધી સ્પર્શી જાય છે. બીજી પંક્તિમાં ઝડપભેર આવતા બે ટૂંકાટચ વાક્યો આ અધિકૃતતતાને બળકટ બનાવે છે અને આપણી અનુભૂતિને સઘન.

કવિતાની પહેલી બે અને આખરી બે પંક્તિઓની વચ્ચેની આઠ પંક્તિઓમાં કવયિત્રી મૃતકના હજીય જીવંત જ હોવાની અને એથીય આગળ વધીને સર્વવ્યાપીપણાની ખાતરી શોકગ્રસ્ત પ્રિયજનને કરાવે છે. કહે છે, જે ફૂંકાઈ રહ્યા છે એ હજાર પવનો હું છું. કવયિત્રી સામાન્ય ચલણથી વિપરિત જઈને અહીં પવનનું બહુવચન ‘પવનો’ પ્રયોજી અતિશયોક્તિ અલંકાર વાપરે છે. પોતાની વાતને ધાર કાઢવા માટે ઘણા સર્જકો સર્વસ્વીકૃત વ્યાકરણના નિયમોથી આ રીતે ઉફરા ચાલતા હોય છે. જેમ કે,

તારા વગર આ આંખની રણ જેવી ભોંયમાં,
મૃગજળ ઊગે તો ઠીક, ક્યાં વરસાદો વાવવા? (જોયો આ “વરસાદો” શબ્દ?)

પવનનું બહુવચન કદાચ અલગ-અલગ તમામ પ્રકારના સમયમાં પવનના તમામ સ્વરૂપો –મંદમંદ સમીરથી લઈને ચક્રવાત સુધીના-ને સમાવી લેવા તરફ પણ ઇંગિત કરતું હોય. પણ મોટાભાગના પ્રતીક આથમતી સંધ્યાનો અહેસાસ કરાવતા હોય એમ પણ અનુભવાય છે. પવન જે ફૂંકાય છે, એ પડશેય ખરો. કથક પોતાને બરફ પર સૂર્યપ્રકાશમાં એકીસાથે હીરાની જેમ ચળકતી બુંદો ગણાવે છે. સૂર્યનું કિરણ પડતાં જ જે બરફનું સમૂચું સ્વરૂપ જ બદલી નાંખે છે અને સૃષ્ટિને અને જોનારને માલામાલ કરી દે છે. પણ બરફ પર ચળકતી આ સેંકડો હીરાકણીઓ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે હવે ઓગળવું એ જ બરફનું ગંતવ્ય છે. સૂર્યપ્રકાશ પડતો નથી, ત્યાં સુધી જ બરફનું અસ્તિત્વ કાયમી જણાય છે. તડકો પડ્યો નથી કે બરફ પીગળવો શરૂ થયો નથી. બરફ એ મૃત્યુની ક્રૂર ઠંડક અને એના પર ચળકતાં કિરણો શાશ્વત પ્રકાશિત આત્મા તરફ પણ ઈશારો કરે છે. પાકી ગયેલા દાણાઓ અને પાનખર પણ મૃત્યુની અર્થચ્છાયાઓથી કાવ્યાર્થ વધુ ઘેરો બનાવે છે. મૃતક અકાળે આવજો કહીને ગયાં નથી. એટલે જ કવિ પોતાને પાકી ગયેલ દાણા પર પડતું સૂર્યકિરણ કહે છે. પક્વ દાણો પણ સૂર્યપ્રકાશમાં તાજો ને નવો ભાસે છે. પાછળ રહી ગયેલ સ્નેહીજનોને બરફ સાથે કે પાકતા જતા દાણા સાથે સરખાવીએ તો એના પર પડતો સૂર્યપ્રકાશ એ મર્યા બાદ પણ મૃતક તરફથી મળતી રહેનાર હૂંફ છે એમ કહી શકાય. જનાર ભલે ગયો છે પણ એની હાજરીની હૂંફ પાછળ રહી જનારના જીવનને હીરાની જેમ ચમકતું અને દાણાની જેમ તરોતાજા જ રાખશે. આપણે ત્યાં તો ચોમાસુ એક નિશ્ચિત ઋતુ તરીકે આવે છે પણ પાશ્ચાત્ય દેશોમાં એવું નથી. ત્યાં ચોમાસા જેવી કોઈ ઋતુ હોતી નથી. ગમે તે દિવસે વરસાદ પડી શકે, પણ પાનખરમાં બહુધા જે વરસાદ પડે છે એ મંદ-મંદ હોય છે. એ ભીની ઠંડક પહોંચાડે છે પણ સરાબોળ ભીંજવતો નથી. મૃતક પાનખરમાં હળુહળુ પડતો આવો ઋજુ વરસાદ છે. વળી, દાણો પક્વ થાય એટલે એને કાપવાનો સમય થયો ગણાય. દાણો પક્વ થયા બાદ કવિતામાં પાનખર અને વરસાદ આવે છે. દાણા કપાઈ ગયા છે એટલે કે પાનખર આવી ગઈ છે પણ વરસાદ પડવો શરૂ થયો છે, મતલબ ધરતી ફરી તૃપ્ત બની રહી છે અને નવા બીજ ફૂટવાની આશા આકાશમાંથી મંદ-મંદ વરસી રહી છે.

સવારે મોસૂઝણાના સમયે રાત્રિના અંધકાર દરમિયાન શાંત થઈ સૂઈ રહેલા પક્ષીઓનાં ઝુંડ વર્તુળાકારમાં ઊડ્ડયન આદરી આકાશમાં ઊંચે જાય છે ત્યારે એ લોકો પોતાના ખભા પર રાતનું અંધારું સાથે ઊંચકી જતાં હોય એમ અનુભવાય છે. પક્ષીઓના આવા ટોળાંને ઊઠાડીને ઉર્ધ્વગતિ માટે પ્રેરનાર અબાબીલ પોતે જ છે એમ જ્યારે મૃતક કહે છે ત્યારે સ્વજનોની જિંદગીમાંથી મૃતક અંધારું હટાવીને પ્રભાતનું અજવાળું પાથરનાર હોય એમ નૂતન આશાની અનુભૂતિ આપણને થાય છે. વર્તુળાકાર ઊડ્ડયન पुनरपि जननम् पुनरपि मरणम् ના જીવનચક્ર તરફ પણ આપણું ધ્યાન દોરે છે. ઊંઘમાંથી જાગવા તરફનો અને ઊંચે આકાશ તરફ ઊઠવાની વાત બાઇબલનું પણ સ્મરણ કરાવે છે. રાત્રે આકાશમાં ઝીણું ઝીણું ટમકતા મૃદુ તારાઓ પણ પોતે જ છે એમ એ કહે છે. રાત્રે ચંદ્ર પણ ન હોય તોય ગાઢા અંધકારમાં પણ તારાઓ ઓછા તો ઓછા, પણ પ્રકાશની સતત હાજરીની અનુભૂતિ કરાવે છે. જીવનના ગાઢતમ અંધારામાં પણ તેઓ આશાના કિરણ સમા છે. ફૂંકાતા પવનોનું જોશ, બરફ પર ચળકતી હીરાકણીઓનું ઐશ્વર્ય, સૂર્યકિરણની ઉષ્મા, પાનખરના વરસાદની ભીનપ, વહેલી સવારે સૂઈ ગયેલા આકાશને ઊઠાડતા પંખીઓથી ખુલતી સવારના જીવનચક્રથી લઈને રાતે મંદ મંદ ચમકતા તારાઓના પ્રકાશની આશા– એમ પ્રિયજનની સમષ્ટિમાં પોતે જ સમાવિષ્ટ હોવાનો સધિયારો મૃતક આપે છે.

કાવ્યાંતે નજીવા ફેરફાર સાથે કવયિત્રી શરૂઆતની બંને પંક્તિઓનું પુનરાવર્તન કરે છે. શરૂમાં હું ઊંઘી નથી કહીને મૃત્યુ તરફ સંકેત કર્યા બાદ કાવ્યાંતે હું મરણ પામી નથી એમ સાફ કહીને, ફરી એકવાર અધિકૃત અવાજમાં આદેશ આપતાં હોય એ રીતે કવયિત્રી આપણને શોક નથી જ કરવાનો એમ સાફ કહે છે. કથનની પુનરોક્તિ અને નજીવા શબ્દફેરના કારણે વાત વધુ દૃઢીભૂત થાય છે અને કવિતા જ્યાં પૂરી થાય છે ત્યાં ભાવકને કવિની વાત ફરજિયાત સ્વીકારવાની થાય છે. મૃત્યુ એ જીવનનો આખરી પડાવ નથી. આપણી સાથેની દરેક વ્યક્તિ આપણા જીવનમાં એની ઉપસ્થિતિનો અંશ મૂકતી જાય છે અને આપણે પણ એ જ રીતે એમનામાં હરહંમેશ જીવતા જ રહીએ છીએ. કવિતા પહેલી નજરે મૃત્યુની લાગે પણ વાસ્તવમાં એ જીવનના હકારથી ભરી ભરી છે. મૃત્યુના સ્વાંગમાં આ કવિતા જીવનની સુંદરતાઓની વાત કરે છે. એ કબર નીચે અટકવાની નહીં પણ પ્રકૃતિમાં ભટકવાની વાત કરે છે. અહીં, સપાટી પર તો આપણને મૃત્યુ દેખાય છે, પણ સાચો અંડર-કરન્ટ જીવનનો છે. અને આ જ કારણોસર વિશ્વભરમાં શોકસભાઓ માટેની એ પહેલી પસંદ બની રહી છે…

3 replies on “ગ્લોબલ કવિતા : ૧૨૩ : મારી કબર પર થોભશો કે, રડશો નહિ – મેરી એલિઝાબેથ ફ્રે”

  1. મૃત્યુ એ જીવનનો આખરી પડાવ નથી. આપણી સાથેની દરેક વ્યક્તિ આપણા જીવનમાં એની ઉપસ્થિતિનો અંશ મૂકતી જાય છે અને આપણે પણ એ જ રીતે એમનામાં હરહંમેશ જીવતા જ રહીએ છીએ. કવિતા પહેલી નજરે મૃત્યુની લાગે પણ વાસ્તવમાં એ જીવનના હકારથી ભરી ભરી છે. મૃત્યુના સ્વાંગમાં આ કવિતા જીવનની સુંદરતાઓની વાત કરે છે. એ કબર નીચે અટકવાની નહીં પણ પ્રકૃતિમાં ભટકવાની વાત કરે છે. અહીં, સપાટી પર તો આપણને મૃત્યુ દેખાય છે, પણ સાચો અંડર-કરન્ટ જીવનનો છે.
    .
    .
    .
    A La’ GRAND feelings ! Fills d Void WITHIN!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *