ગ્લોબલ કવિતા : ૧૨૧ : પ્રથમ વિજય-ગીત – એમર્જિન

First Triumph-Song

. I, the Wind at Sea,
. I, the rolling Billow,
. I, the roar of Ocean,
. I, the seven Cohorts,
. I, the Ox upholding,
. I, the rock-borne Osprey,
. I, the flash of Sunlight,
. I, the Ray in Mazes,
. I, the rushing Wild Boar,
. I, the river-Salmon,
. I, the Lake o’er plains,
. I, the Strength of Song.
I, the Spear for smiting Foemen,
I, the God for forming Fortune !
Whither wend by glen or mountain ?
Whither tend beneath the Sunset ?
Whither wander seeking safety ?
. Who can lead to falling waters ?
. Who can tell the white Moon’s ages ?
. Who can draw the deep sea fishes ?
. Who can show the fire-top headlands ?
I, the poet, prophet, pray’rful,
Weapons wield for warriors’ slaying :
Tell of triumph, laud forthcoming
Future fame in soaring story !

– Amergin
(Eng Trans.: George Sigerson)

પ્રથમ વિજય-ગીત

હું, પવન દરિયા પર,
હું, ઊછળતું મોજું,
હું, દરિયાનું ગર્જન,
હું, સાતેય પલટન,
હું, ઉર્ધ્વમુખી હરણું,
હું, પહાડી બાજ,
હું સૂર્યનો ઝબકારો,
હું, ભૂલભૂલૈયે કિરણ,
હું, ધસતું જંગલી સૂવર,
હું, નદીની સાલમન,
હું, તળાવ મેદાની,
હું, ગીતોની શક્તિ.
હું, ભાલો શત્રુજનને હણવા માટેનો,
હું, ઈશ્વર ભવિષ્યનો સ્રષ્ટા-સર્જક!
કઈ દિશામાં જઈશું, બોલો, ખીણ કે પર્વત?
કઈ દિશામાં,બોલો, શું સૂર્યાસ્તની પાછળ?
કઈ દિશામાં, બોલો, શોધીશું સુરક્ષા?
કોણ સુકાન સંભાળે ઓસરતા પાણીનું?
કોણ ભાખી શકે કળાઓ શ્વેત ચંદ્રની?
કોણ ઊંડા જળની મછલીઓ ખેંચી આણે?
કોણ બતાવી શકે આગ મસ્તકની ઉપર?
હું, કવિ, હું પયગંબર, હું પ્રાર્થું છું,
હાથ લીધા છે યોદ્ધાને હણનાર જે શસ્ત્રો:
એ જીતને ગાશે, વખાણ કરશે આવનારા
ભાવિ યશને ગગન ચૂમતી ગાથામાં!

– એમર્જિન
(અંગ્રેજી પરથી અનુ: વિવેક મનહર ટેલર)

इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ…

‘હું’ – ‘I’ – ‘मैं’: દુનિયામાં સૌથી નાનામાં નાનો શબ્દ હોવા છતાંય સૌથી મોટામાં મોટો ને સૌથી વધારે વજનદાર શબ્દ. દુનિયામાં જે કંઈ રામાયણ-મહાભારત આજ સુધીમાં થયાં એ બધાં માત્ર આ એક શબ્દના કારણે જ થયાં. ‘હું’ એટલે મનુષ્યનો અહમ્. અહમ્ ન હોય તો બે જણ વચ્ચે કદી ટંટો થાય જ નહીં. લાખ ઝઘડાનું એક મૂળ તે અહમ્. અહમ્ કદમાં હંમેશા મનુષ્યથી અનેકગણો મોટો જ હોવાનો. ઈશ્વર પણ ‘હું’કાર કરે છે, પણ માણસના ‘હું’ અને ઈશ્વરના ‘હું’ વચ્ચે પણ મોટો ફરક છે. માણસનો ‘હું’કાર અહંકાર છે જ્યારે ઈશ્વરનો ‘હું’કાર ‘ૐ’કાર છે. માણસના ‘હું’નો પરિઘ ‘સ્વ’ સુધી જ સીમિત હોય છે, ઈશ્વરનો ‘હું’ ‘સર્વ’ને સમાવી લે છે. આપણો ‘હું’ એટલે માત્ર વ્યષ્ટિ, ને પરમેશ્વરનો ‘હું’ યાને સમષ્ટિ. આવું જ મજાનું ‘હું’પુરાણ લઈને પ્રાગૈતિહાસિક કવિ એમર્જીન અહીં ઉપસ્થિત છે.

એમર્જીન ગ્લુઇન્ગલ અથવા એમર્જીન ગ્લુન્મર ત્રણ-સાડા ત્રણ હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલ મિલેસિઅન કવિ અને ધર્મોપદેશક હતો. મિલેસિઅન લોકો એ જમાનામાં આયર્લેન્ડ પર ચડાઈ કરનાર આખરી જાતિ હતી, જેમાં મિલ એસ્પેઇનના સાત દીકરાઓમાંનો એક એમર્જીન પણ સામેલ હતો. આયર્લેન્ડના ત્રણ રાજાઓએ એમર્જીનના કાકાની કાવતરાપૂર્વક કરેલી હત્યાના જવાબમાં એ લોકોએ આ આક્રમણ કર્યું હતું. વિચિત્ર લાગે એવી આ ચડાઈમાં એમર્જીને મધ્યસ્થીની અને નિષ્પક્ષ ન્યાયાધીશની ભૂમિકા ભજવી હતી. એણે લડાઈના નિયમો નક્કી કર્યા. એ મુજબ મિલેસિઅનોએ ત્રણ દિવસ માટે પીછેહઠ કરીને ‘નવ લીલા મોજાંઓ’ જેટલા પાછા જવાનું હતું. (આ નવ લીલાં મોજાંઓ વિશે વિસ્તૃત જાણકારી ક્યાંય મળતી નથી!) આઠ શ્લોકોની કવિતામાં એમર્જિને આ ફરમાન બહાર પાડ્યું હતું. મિલેસિઅનોને રોકવા માટે આયર્લેન્ડના ધર્મગુરુઓએ જાદુઈ તોફાન ઊભું કર્યું, જે અયોગ્ય હતું. એમર્જીને આયર્લેન્ડના આત્માનું ગીત ગાઈને આહ્વાન કર્યું, તોફાનને નાથ્યું અને એમનું જહાજ સહીસલામત જમીન પર લાંગરી શક્યું. આયર્લેન્ડની ભૂમિ પર પગ મૂક્યો એ વખતે એમર્જીને આ ગીત ગાયું હતું એમ મનાય છે. મિલના એમર્જીન સહિતના બચી ગયેલ ત્રણ સંતાનોએ ત્રણેય રાજાઓનો ખાત્મો બોલાવ્યો. એમર્જીને જીતેલ પ્રદેશને બે ભાઈઓમાં વહેંચી આપ્યો અને રાજા બનેલ બે ભાઈઓએ એમર્જીનને મુખ્ય ઓલ્લામની પદવી આપી. મિલેસિઅન પુરાણોમાંની ઘણી કવિતાઓ એમર્જીનના નામે બોલે છે.

એમર્જીનનું ‘પ્રથમ વિજય-ગીત’ પ્રાચીન કૅલ્ટિક કવિતા છે. ત્રણેક હજાર વર્ષ પૂર્વે મોટા ભાગના યુરોપ તથા એશિયાઈ ઉપખંડોમાં બોલાતી ભાષા કૅલ્ટિક (અથવા સૅલ્ટિક) ભાષાઓ કહેવાય છે, જે હિંદ-યુરોપીય ભાષા પરિવારનો એક ફાંટો હતો. પ્રારંભિક મધ્યયુગીન સમયમાં લખાયેલ આ કવિતાનો આખેઆખો મૂળપાઠ તો આજે ઉપલબ્ધ નથી. એક અનુમાન મુજબ આ રચના લગભગ બત્રીસસો-તેંત્રીસસો વર્ષ પહેલાં ઈ.પૂ. ૧૨૬૮માં લખાઈ હશે. આ કવિતાના સેંકડો અનુવાદો ઉપલબ્ધ છે. દરેક અનુવાદકે પોતપોતાની સમજણનો અર્ક ઉમેરવાની કોશિશ કરી છે. પ્રસ્તુત અનુવાદ જ્યૉર્જ સાઇગરસનના ૧૮૯૭ના ૪૫૦ પાનાંના દળદાર પુસ્તક ‘બાર્ડ્સ ઑફ ધ ગેલ એન્ડ ગૉલ (BARDS OF THE GAEL AND GALL) – ઇક્ઝામ્પલ્સ ઑફ ધ પોએટિક લિટરેચર ઑફ એરિન’માંની કવિતા પરથી કરાયો છે. આ પુસ્તકમાં ગેલ સાહિત્યના સૌથી પહેલા પ્રકરણથી લઈને આજપર્યંતની આખી યાત્રા સમાવી લેવાઈ છે અને મૂળ ભાષાની કવિતાઓ પણ અનુવાદની હારોહાર યથાતથ રજૂ કરવામાં આવી છે. સાઇગરસને મૂળ કવિતાઓમાં પ્રયોજાયેલ પ્રાચીન છંદો અને પ્રાસયોજના પણ અદ્દલ સાચવવાની જે નિષ્ઠાવાન કોશિશ કરી છે એ અન્ય અનુવાદકો ચૂકી ગયા છે. આ કારણોસર સાઇગરસનના અનુવાદ મૂળ કવિતાને વધુ સંનિષ્ઠ અને વધુ નજીકના હોય એમ લાગે છે. ૧૮૫૭માં પ્રગટ થયેલ ‘ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધ ઑસિઆનિક સૉસાયટી’ના પ્રૉ. કોનેલાન દ્વારા સંપાદિત ૩૫૦ પૃષ્ઠોમાં પથરાયેલ પાંચમો ભાગ, આયર્લેન્ડના કવિઓ અને કવિતાઓનો પ્રમાણભૂત ઇતિહાસ રજૂ કરે છે જેમાં આ કવિતાનો જે ગદ્યાનુવાદ જોવા મળે છે એ સાઇગરસનના અનુવાદની ખાસ્સો નજીકનો છે. ચાર્લ્સ સ્ક્વાયરના ૧૯૦૫ના ૪૫૦ પાનાંના પુસ્તક ‘કૅલ્ટિક મિથ એન્ડ લિજેન્ડ’માં જોવા મળતો ગદ્યાનુવાદ પણ સાઇગરસનના અનુવાદને મળતો આવે છે. જાણીતા અનુવાદક રૉબર્ટ ગ્રેવ્સે ‘વાઇટ ગોડેસ’ પુસ્તકમાં અલગ જ અનુવાદ રજૂ કર્યો છે, જેને ઘણાં પ્રમાણભૂત ગણે છે. પણ મૂળ રચના કરતાં ગ્રેવ્સના અનુવાદમાં પંક્તિઓનો ક્રમ ખાસ્સો ઊલટોસૂલટો છે અને કેટલીક પંક્તિઓ તો ગ્રેવ્સે જાતે જ ઘડી કાઢી છે. પ્રૉ. જૉન મેકનેઇલ, ‘ધ બુક ઑફ લિકેન એન્ડ ધ બુક ઑફ ધ ઑ’ક્લેરિસ’માં ઑ’ક્લેરિસ, જૉન મેકએલિસ્ટર તથા લેડી અગસ્ટા ગ્રેગરી (૧૯૦૪)ના અનુવાદો ઉપરાંત અસંખ્ય નાના-મોટા અનુવાદો આ કવિતાના થયેલા જોવા મળે છે. પણ સાઇગરસન જે રીતે આયર્લેન્ડના સાહિત્યના મૂળ અને કુળને વળગીને ચાલ્યા છે એ જોતાં એમનો અનુવાદ મૂળ કૃતિથી સહુથી નજીકનો હશે એમ ધારી શકાય.

ઉપર જેની વાત કરી એ રૉબર્ટ ગ્રેવ્સનો અનુવાદ મૂળ કવિતાથી ઘણે દૂર હોવા છતાં એને વિદ્વાનોએ ઘણું માન આપ્યું છે એનું પ્રમુખ કારણ ગ્રેવ્સે કવિતાનું બિલકુલ અલગ રીતે જે પૃથક્કરણ કર્યું છે એ ગણી શકાય. આજે તો કેલેન્ડર/તારીખિયું માત્ર સાદા અને રેખિક સમયના ઉપકરણ માત્ર છે, જેના ઘટકને દિવસો કહેવામાં આવે છે, જે અનિશ્ચિત કાળ સુધી અને નિર્બાધ રુપથી એકની પાછળ એક આવ્યે રાખે છે. હકીકતમાં કેલેન્ડર ગતિશીલ બ્રહ્માંડને ઉઘાડી આપતી ચાવી, એક સાચું જ્ઞાનનું ઓજાર છે. સાદી ભાષામાં કેલેન્ડર વૈશ્વિક નિર્માણની વાત કરે છે, જે ચંદ્રના પૃથ્વી ફરતેના, પૃથ્વીના સૂર્ય ફરતેના અને પોતાની ધરી પરના ભ્રમણની સંપૂર્ણતઃ વૈજ્ઞાનિક ગણતરી સૂચવે છે. ગ્રેવ્સના મતે ખ્રિસ્તી ધર્મનું આક્રમણ થયું ત્યારે પોતાના મૂળ સાચવી રાખવા માટે ખાનગી મૂળાક્ષરો વાપરવામાં આવતા. પ્રાચીન કૅલ્ટિક કેલેન્ડર તરીકે કામ કરતા આવા મૂળાક્ષરો એમર્જીનના ગીતમાં ગ્રેવ્સે શોધી કાઢ્યા. તત્કાલિન આઇરિશ મૂળાક્ષરોમાં પ્રયોજાતા ૧૩ વ્યંજન અને ૫ સ્વર એ ઓળખી બતાવે છે. એ કહે છે કે આ મૂળાક્ષરોની ગોઠવણી કઈ રીતે છે એની નિશાની એનર્જીને ડોલ્મેન વિશે આપેલા સંદર્ભમાંથી મળી આવે છે. ડોલ્મેન એટલે છથી સાત હજાર વર્ષ જૂની વિશાળ ઊભા પથ્થરો પર એક આડો પથ્થર ગોઠવીને રચવામાં આવેલ કહેવાતી કબરો. વ્યંજનો અને સ્વરોની ગોઠવણી વડે ગ્રેવ્સ મૂળાક્ષરોનું ડોલ્મેન રચી બતાવે છે, જે કેલેન્ડર તરીકે કામ આપે છે. આ મૂળાક્ષરો, ડોલ્મેનનું ચિત્ર અને કેલેન્ડર સમજાવવું પ્રસ્તુત લેખના પરિઘ બહારની વાત છે.

ડોલ્મેનનો ઉપયોગ આઇરિશ મૂળાક્ષર શીખવવાના નમૂના તરીકે કરાતો હોવાની ગ્રેવ્સની આ શોધ પ્રખ્યાત સ્ટોનહેન્જની વિરાટકાય શીલાઓને આયર્લેન્ડથી સેલિસ્બરી લઈ જનાર જાદુગર મર્લિનની લોકવાયકાને વધુ રસિક બનાવે છે. પથ્થરોની આ સાંકેતિક ભાષા ઉકેલી શકાય તો હજારો વર્ષ જૂનાં સ્ટોનહેન્જના રહસ્યમયી શિલાશિલ્પોને કદાચ પુસ્તકની જેમ જ વાંચી શકાય એવી સંભાવના નકારી ન શકાય.

ખેર, આપણે એમર્જિનની કવિતા તરફ આગળ વધીએ. એમર્જિનની અન્ય કવિતામાં કોનાક્લોન પ્રકારની વિશિષ્ટ પ્રાસરચના જોવા મળે છે જેમાં પંક્તિનો છેલ્લો શબ્દ આવનારી પંક્તિના પહેલા શબ્દ સાથે પ્રાસ મળવે છે અને એ પછીના બંને શબ્દો વર્ણસગાઈ ધરાવે છે. પણ આ કવિતામાં વિશિષ્ટ પ્રકારનું Rosg મીટર પ્રયોજાયું છે, જે નાનાં અને ઝડપી વાક્યોથી બને છે અને લયબદ્ધ હોવા છતાં પ્રાસબદ્ધ હોતું નથી. આપણે લોકો એમ માનીએ છીએ કે ‘બ્લૅન્ક વર્સ’ (પ્રાસરહિત છંદોબદ્ધ પદ્ય) એ આધુનિક કવિતાની દેણ છે પણ એમર્જિનની આ કવિતાને બ્લૅન્ક વર્સના પ્રાચીનતમ ઉદાહરણ તરીકે સ્થાન આપી શકાય એમ છે. વળી, રચનાને સાવ પ્રાસરહિત પણ ગણી શકાય એમ નથી. કવિએ અંત્યાનુપ્રાસના સ્થાને પ્રારંભ-પ્રાસ પ્રયોજ્યા હોય એમ અનુભવયા છે કેમ કે મોટાભાગની પંક્તિઓ ‘હું’, ‘કઈ દિશામાં’ અને ‘કોણ’થી શરૂ થાય છે. આ પ્રારંભ-પ્રાસ પુનરોક્તિ વડે કાવ્યભાવને પણ સઘનતા બક્ષે છે. એમર્જિનની કવિતાઓમાંથી પસાર થઈએ ત્યારે આટઆટલા હજાર વર્ષ પહેલાં પણ કવિઓમાં છંદ, લય, પ્રાસ, વર્ણસગાઈ વગેરે કાવ્યતત્ત્વની કેટલી ઊંડી સૂઝ હશે એનો ખ્યાલ આવે છે અને સહજ આશ્ચર્ય થયા વિના રહેતું નથી.

આ કવિતામાં બ્રહ્માંડના સર્જન, દેવતાઓના સ્વભાવ અને ડહાપણના રસ્તાની વાત રજૂ થઈ છે. ડૉ. મેકઅલિસ્ટર આ ગીતને ‘બ્રહ્માંડની એક પંથિક અવધારણા, જ્યાં દૈવત્વ સર્વત્ર અને સર્વશક્તિમાન છે’ ગણાવે છે. એમના મતે આ ગીત કુરાન કે ખ્રિસ્તી ધર્મગ્રંથોના પ્રારંભિક પ્રકરણ સમું છે. જુલિયસ સિઝરે જ્યારે કહ્યું હતું કે, ‘કૅલ્ટ ધર્મગુરુઓ તારાઓ અને તેમના ગતિઓ, વિશ્વ, જમીનના કદ, કુદરતી તત્વજ્ઞાન અને દેવતાઓના સ્વભાવ વિશે શીખવે છે’ ત્યારે એના મનમાં આ સ્તોત્ર હોવું જોઈએ. પ્રકૃતિની સ્તુતિ તો આમેય લગભગ દરેક સંસ્કૃતિના પ્રારંભકાળમાં જોવા મળે જ છે. આ કવિતાને પણ એ સંદર્ભમાં જોઈ શકાય. કુદરતની કવિતા લગભગ બધી જ ભાષામાં કવિતાની જનેતા છે. રૉબર્ટ ગ્રેવ્સના મતે તો, ‘અંગ્રેજી કાવ્ય શિક્ષણની શરૂઆત, ખરેખર તો, કેન્ટરબરી ટેલ્સથી નહીં, ઓડિસીથી નહીં, જિનેસીસથી પણ નહીં, પરંતુ એમર્જીનના ગીતથી થવી જોઈએ, જે ટૂંકાણમાં મુખ્ય કાવ્યાત્મક માન્યતાઓનો સારાંશ રજૂ કરે છે.’

આયર્લેન્ડની ભૂમિ પર વિજયી પગ મૂકીને એમર્જીન આ ગીત લલકારે છે. કહે છે, હું દરિયા પર વાતો પવન છું, દરિયાનું ઊછળતું મોજું છું, દરિયાની ગર્જના પણ હું છું અને સાતેસાત સેનાઓ પણ હું જ છું. ગીત એ જ લયમાં આગળ વધે છે. કવિતામાં ચાર સજીવોનો ઉલ્લેખ આવે છે- હરણ, બાજ, સૂવર અને સાલમન માછલી. સાઇગરસન સહિત કેટલાક અનુવાદકોએ મૂળ Lam શબ્દનો અનુવાદ Ox યાને બળદ કર્યો છે તો કેટલાકે Stag યાને હરણ કર્યો છે, જે વધુ તાર્કિક લાગે છે. આઇરિશ પુરાણકથાઓમાં તુઆન મેક કૈરિલ (કૈરિલનો પુત્ર)ની વાત આવે છે, જે પ્રલય-પૂરથી બચનાર એકમાત્ર મનુષ્ય હતો. કાળક્રમે એ હરણ, જંગલી સૂવર, બાજ અને અંતે સાલમન માછલીરૂપે જન્મ લે છે અને આઇરિશ ભૂમિ પર થનાર અતિક્રમણોનો સાક્ષી બને છે. માછલીને કૈરિલની પત્ની આરોગી જતાં તેણી ગર્ભવતી બને છે અને તુઆન મેક કૈરિલનો જન્મ થાય છે, જે આયર્લેન્ડનો ઇતિહાસ સંભળાવે છે. એટલે હરણ વધુ યોગ્ય પર્યાય જણાય છે. પાડો શક્તિ અને પૌરુષનું પ્રતીક છે તો હરણ ચપળતાનું. બાજ ઝડપનું, જંગલી સૂવર શક્તિ અને સાહસનું, તો નદીની માછલી જ્ઞાનના જળરાશિનું પ્રતીક છે. સૂર્યનો ઝબકારો પણ હું જ છું અને ભૂલભૂલામણીમાંનું કિરણ પણ હું જ છું. એમ હું-પુરાણ હું સૃષ્ટિનો સર્જનહાર ઈશ્વર છું એમ કહેવા સુધી લંબાય છે. પણ આ હું-પુરાણમાં અહંકાર નજરે ચડતો નથી. કોઈ કવિ પોતાનો વિજયહુંકાર કરતો હોય એના કરતાં વધુ આ હુંકાર પૌર્વાત્ય સભ્યતા અને માન્યતા-સંસ્કારો સાથે વધુ સામ્યતા ધરાવતો હોય એમ અનુભવાય છે.

પૂર્વની આપણી સંસ્કૃતિમાં આ હુંકાર ખૂબ નજરે ચડે છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે: હું જળમાં રસ છું, ચન્દ્ર તથા સૂર્યમાં પ્રકાશ છું, સઘળા વેદોમાં ૐકાર છું, આકાશમાં શબ્દ તેમજ મનુષ્યોમાં સામર્થ્ય છું. (0૭:૦૮) હું પૃથ્વીમાં પવિત્ર ગંધ તથા અગ્નિમાં તેજ છું, સર્વ જીવોમાં જીવન છું અને તપસ્વીઓમાં તપ છું. (૦૭:૦૯) હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, હું જ તર્પણ, ઔષધિ અને મંત્ર છું. હું જ ઘી, હું જ અગ્નિ, હું જ આહુતિ છું. (૦૯:૧૬) હું આ બ્રહ્માંડનો પિતા, માતા, સ્રષ્ટા તથા પિતામહ છું. (૦૯:૧૭) હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. (૦૯:૧૮) હું સર્વ જીવોના હૃદયમાં સ્થિત આત્મા છું. હું જ જીવમાત્રનો આદિ, મધ્ય તેમજ અંત પણ છું. (૧૦:૨૦) દસમા અધ્યાયમાં તો ૧૯થી ૪૦ સુધીના શ્લોકોમાં શ્રીકૃષ્ણ પોતે કઈ-કઈ રીતે સચરાચરવ્યાપી છે એનું વ્યાપક વર્ણન કરે છે. ભગવાનનો ‘હું’ સૌ કોઈમાં સમાયેલો છે અને એ જ રીતે ભગવાનના ‘હું’માં જ સૌ કોઈ સમાવિષ્ટ પણ છે. આ ભારતીય સંસ્કૃતિનું મહાગાન છે. શ્રીકૃષ્ણનો આ ‘હું’કાર એમના અહંકારનો દ્યોતક નથી, બલકે ઈશ્વરની સર્વવ્યાપકતાનો મહાઘોષ છે, જે આપણી સંસ્કૃતિનો પ્રાણમંત્ર છે. અને એની સાબિતી ગીતાની પવિત્રતા અને શુદ્ધતાથી બિલકુલ વિપરિત દિશામાં ફાલેલ અને તળિયાનો ગણી શકાય એવા ફિલ્મઉદ્યોગમાં અનાયાસે આવી જતા ગીતોમાંથી મળી આવે છે. ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં રવિન્દ્ર જૈને જ્યારે ‘मुझ तलक आये न जो, वो रास्ता कोई नहीं; मुझ को देखोगे जहाँ तक, मुझ को पाओगे वहाँ तक, इस जमीं से आसमाँ तक, मैं ही मैं हूँ, मैं ही मैं हूँ’ ગીત લખ્યું હશે ત્યારે એમની સ્થૂળ નજર સામે તો નાયક-નાયિકાનો પ્રેમાલાપ જ હશે, પણ એમના સૂક્ષ્મ માનસમાં રોપાયેલા ગીતાના સંસ્કારબીજનો જ આ પ્રભાવ હોવો જોઈએ એ વાતને તો કેમ નકારી શકાય?

કવિ અને કવિતાની શક્તિ વિશે એ જમાનામાંય કોઈ શંકા નહોતી. કવિને સર્જનહારની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આગળ, બેઠક ક્યાં કરવી એની વાતો કરાય છે. ખીણમાં કે પર્વત પર? સૂર્યાસ્ત થાય છે એ જગ્યાની પછવાડે? ક્યાં જઈશું તો સુરક્ષા સાંપડશે? કોણ સુરક્ષા આપશે? ઓસરી જતાં પાણીનું સુકાન કોણ સંભાળી શકે? ચંદ્રની કળાઓ મારા સિવાય કોણ ભાખી શકે? ઊંડા જળની માછલીઓને સપાટી પર આણવાનું અને સપાટી પરથી કાંઠે ઘસડી લાવવાનું પરાક્રમ પણ મારા સિવાય બીજું કોણ કરી શકે? મસ્તકની ઉપર આગ કોણ પ્રજ્વાળી શકે? મસ્તક ઉપરની આગમાંથી ઈશ્વર જ મનુષ્યની પ્રજ્ઞાનો વિકાસ કરી શકનાર હોવાની પ્રતીતિની ગુંજ આપણને સંભળાય છે. કવિ જ પયગંબર ગણો તો એ ને ભવિષ્યવેત્તા ગણો તો એ છે. કવિ જ ઈશ્વર છે ને કવિ જ પ્રાર્થના છે. દુશ્મનોને હણનાર જે શસ્ત્રોને આજે અમે હાથમાં લીધાં છે એ શસ્ત્રો જ આપણી જીતના ગીત ગાશે, એ શસ્ત્રો જ ગગન આંબતી ગાથાઓમાં આપણા ભાવિ સિદ્ધિઓનું યશગાન કરશે. શત્રુને હણવાનો અને શત્રુઓ પર વિજયી થવાનો ગીતાનો મધ્યવર્તી વિચાર અહીં પણ સંભળાઈ રહ્યો છે. શત્રુ બહારના હોય કે ભીતરના- વાત તો સરખી જ છે. કોઈપણ પરિસ્થિતિમાં ઘૂંટણિયા ટેકવવાના નથી, જયજયકાર જ મેળવવાનો છે. આવનારી પેઢીઓ એ જ ગાવાની છે. અને આ એનું જ ગીત છે. આ એની જ શરૂઆત છે.

એમર્જીન પછીની પેઢીઓમાં પણ આ કાવ્યપદ્ધતિ પ્રચલિત રહી હશે એમ માની શકાય છે કેમકે કુચુલેન (Cuchulainn)ની કવિતામાં પણ ‘હું પૂરોનો બદલો લેનાર આગ છું, હું ખતરનાક આગ ઝરતો સિંહ છું’ જેવી અભિવ્યક્તિઓ જોવા મળે છે. જો કે આ અભિવ્યક્તિઓ એમર્જિનની જેમ સાર્વત્રિક હોવાના બદલે વૈયક્તિક અહંની દ્યોતક વધારે હોવાનું અનુભવાય છે. પણ એમર્જિનની કવિતામાં शब्द ब्रह्म् નો હાથ ઝાલીને अहम् ब्रह्मास्मिની આહલેક પોકારતા કવિને ઈશ્વરની સમકક્ષ મૂકવામાં આવ્યો છે. આનંદવર્ધને પણ कविः एव प्रजापतिः કહીને કવિને વિશ્વમાં પરિવર્તન આણતા સ્રષ્ટાની ઉપમા આપી છે. ગ્રેવ્સનો મત કે આ કવિતા ખ્રિસ્તી બાહ્યાક્રમણ સામે પોતાની સંસ્કૃતિને સાચવી રાખવા માટેના ગુપ્ત મૂળાક્ષરો છે, એ સાચો પણ હોઈ શકે. છતાં અહીં કવિનું જે ‘વિરાટ દર્શન’ છતું થયું છે એ આજે આટઆટલા સૈકાઓ પછી પણ આપણને મંત્રમુગ્ધ કરે છે. એમર્જીનની આ કવિતા બ્રહ્માંડની ઉત્પત્તિ, દેવતાઓની પ્રકૃતિ અને ડહાપણનો માર્ગ પ્રશસ્ત કરે છે. અત્ર, તત્ર, સર્વત્ર ઈશ્વર જ છે. ઈશ્વર જ સર્વોપરી, સર્વશક્તિમાન, સર્વવ્યાપી છે. न था कुछ तो खुदा था, न होता कुछ तो खुदा होता….

4 replies on “ગ્લોબલ કવિતા : ૧૨૧ : પ્રથમ વિજય-ગીત – એમર્જિન”

  1. वाह! बहुत खूब!
    विवेक जी!
    कहां मिलता ये सब?!
    वाकई बहुत कुछ पाता हूं मैं ‘ग्लोबल कविता’ से!
    इस पर मैं अपना प्रयास प्रस्तुत कर रहा हूं, रेट करना!
    कीड़ा है रोक नहीं पाया।
    गुस्ताख़ी माफ़!!

    प्रथम विजय गान

    मैं पवन समंदर पर,
    मैं उछलती-सी लहर,
    मैं हूं सागर का गर्जन,
    मैं सेन्य के सातों दल,
    मैं ही उन्नत मस्तक हिरन,
    मैं पहाड़ पे जन्मा सैन,
    मैं सूरज की तेज चमक,
    मैं भूलभूलैया की किरन,
    मैं ही बदन खुजाता सूवर,
    मैं नदी की मछली सेमन,
    मैं मैदान का तालाब,
    मैं ही गीतों की ताक़त,
    मैं बरछा हूं श‌त्रु का नाशक
    मैं ही ईश्वर भविष्य सर्जक!
    कौन दिशा जाएंगे, कहो, घाटी या कि पर्वत?
    कौन दिशा, उसके नीचे, होता जहां सूर्यास्त?
    कौन दिशा भटकेंगे, ढूंढते संरक्षण?
    कौन बनेगा गिरती धारा में पथदर्शक?
    कौन बताएगा शुभ्र चांद की कला?
    कौन मछलियां खींच लाएं अतल से भला?
    कौन बता पाएगा द्विपों में लगी आग?
    मैं कवि, पयगंबर, मैं परम भक्त,
    योद्धाओं को मारने उठा रखें हैं शस्त्र,
    वे करेंगे विजय गान, बिरदावली भी
    गाएंगे, भावि प्रसिद्ध महान-गाथा में!
    –=०=–
    – एमर्जिन (अनु: आखिर बिलाखी)
    ( मूल स्रोत : ज्यॉर्ज सिजर्सन का अंग्रेजी अनुवाद
    और विवेक टेलर का गुजराती अनुवाद )

  2. वाह! बहुत खूब!
    विवेक जी!
    कहां मिलता ये सब? वाकई मुझे बहुत मिल रहा है!
    मेरे इस प्रयास को रेट दीजिएगा, कीड़ा है रोक नहीं पाया।

    प्रथम विजय गान

    मैं पवन समंदर पर,
    मैं उछलती-सी लहर,
    मैं हूं सागर का गर्जन,
    मैं सेन्य के सातों दल,
    मैं ही उन्नत मस्तक हिरन,
    मैं पहाड़ पे जन्मा सैन,
    मैं सूरज की तेज चमक,
    मैं भूलभूलैया की किरन,
    मैं ही पीठ खुजाता सूवर,
    मैं नदी की मछली सेमन,
    मैं मैदानी का तालाब,
    मैं ही गीतों की ताक़त,
    मैं बरछा हूं श‌त्रु का नाशक
    मैं ही ईश्वर भविष्य सर्जक!
    कौन दिशा जाएंगे, कहो, घाटी या कि पर्वत?
    कौन दिशा, उसके नीचे, होता जहां सूर्यास्त?
    कौन दिशा भटकेंगे, ढूंढते संरक्षण?
    कौन बनेगा गिरती धारा में पथदर्शक?
    कौन बताएगा शुभ्र चांद की कला?
    कौन मछलियां खींच लाएं अतल से भला?
    कौन बता पाएगा द्विपों में लगी आग?
    मैं कवि, पयगंबर, मैं परम भक्त,
    योद्धाओं को मारने उठा रखें हैं शस्त्र,
    वे करेंगे विजय गान, बिरदावली भी
    गाएंगे भावि प्रसिद्ध महान-गाथाओं की!
    –=०=–
    – एमर्जिन (अनु: आखिर बिलाखी)
    ( मूल स्रोत : ज्यॉर्ज सिजर्सन का अंग्रेजी अनुवाद
    और विवेक टेलर का गुजराती अनुवाद )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *