Category Archives: ધીરુ પરીખ

આજ મારું મન – ધીરુ પરીખ

આજ મારું મન મનમાં નવ સમાય.

નીરનાં મોજાં નીરમાં ઊઠી નીરમાં શમી જાય,
જરીક પાંદડું હાલતું તેમાં સમીર શો તરડાય !
લાખ મનાવું એક ન માને કેમ કરી પહોંચાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.

સાવ નથી કંઈ જાણીએ તો યે ગગનથી ઓળખાય,
ફૂલની ફોરમ સહુ કો’ માણે; કોઈએ દીઠી કાય ?
હોઠને કાંઠે આજ એ ઊભું કેટલુંયે અફળાય ?
આજ મારું મન મનમાં નવ સમાય.

– ધીરુ પરીખ

આપણે મળ્યા છીએ જ ક્યાં ! – ધીરુ પરીખ

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?

આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?

કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !

મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !

કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !

– ધીરુ પરીખ