Category Archives: એસ. એસ. રાહી

મુક્તક – એસ.એસ.રાહી

haran

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં,
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…

હું કંટકોમાં સુમન સમ રહી નથી શકતો
ને પથ્થરોમાં ઝરણ સમ વહી નથી શકતો
મળ્યું છે એવું સુકોમળ હૃદય મને ‘મુકબિલ’!
વ્યથાનું નામ કદી પણ સહી નથી શકતો

આ આસમાન વૃધ્ધ અકાળે બની ગયું
કડવા અનુભવો જ મળ્યા હોવા જોઇએ
તારક સમાન છિદ્ર પુરાવો છે તન ઉપર
દુનિયાના ક્રૂર ઘાવ સહ્યા હોવા જોઇએ

– મુકબિલ કુરેશી

—–

જીવનનું શું છે અમારું ? માત્ર આશાની નનામી છે
નિરાશાએ દીધી છે ખાંધ, દર્દોની સલામી છે
દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે

– જયંત શેઠ

—–

ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?

હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુ:ખોથી ભરી છે
અજાણ્યે નથી પ્રેમ કીધો મેં ‘ઓજસ’
સમજદારીપૂર્વકની દિવાનગી છે

– ઓજસ પાલનપુરી

—–

મીણનો માણસ પીગળતો જોઉં છું
વેદનાનો છોડ બળતો જોઉં છું
વાંસવન તો ક્યારનું ઊભું જ છે
એનો પડછાયો રઝળતો જોઉં છું

શબ્દની લીલી ઉદાસી ક્યાં જશે?
બારણું ખોલીને નાસી ક્યાં જશે?
મોરના પીંછાં ખરી ઊડી ગયાં
પણ ટહુકાના પ્રવાસી ક્યાં જશે?

– એસ. એસ. રાહી