Category Archives: મુસાફિર પાલનપુરી

લો અમે તો આ ચાલ્યા ! – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલોનો સંચય.
સંપાદક – મુસાફિર પાલનપૂરી

લો અમે તો આ ચાલ્યા !

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને,
લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને,
લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,
લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,
લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને,
લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની,
કોડા સમય કેરા;
એક મૂગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેવા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની;
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યા !

– ‘શૂન્ય’ પાલનપૂરી

એક ભવ ઓછો પડે … – મુસાફિર પાલનપુરી

યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે,
એ અગનજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

રૂપ છે નમણી પ્રતિભા હાય ! કિન્તુ દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.

દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાથી ઉગરવા એક ભવ ઓછો પડે.

આચમન એનું મળે તો પણ ‘મુસાફિર’ ધન્યતા,
આ ગઝલ-સિન્ધુને તરવા એક ભવ ઓછો પડે.

દરબાર ‘શૂન્ય’નો

19 ડિસેમ્બર : ‘શૂન્ય’ પાલનપુરી નો જન્મદિવસ.
આ પોસ્ટ મુકવામાં આમ તો હું 2 દિવસ મોડી પડી એમ કહેવાય..

એમને શ્રધ્ધાંજલી રૂપે, ચાલો આજે તમને લઇ જઉં – ‘શૂન્ય’ના દરબારમાં

શોધી રહ્યા છે જે અહીં આકાર ‘શૂન્ય’નો,
લેવો જ પડશે એમને આધાર ‘શૂન્ય’નો
લૂંટી લો પ્રેમ-લ્હાણ જગતભરના પ્રેમીઓ !,
ઊઘડ્યો છે આજ શાનથી દરબાર ‘શૂન્ય’નો.
– મુસાફિર પાલનપુરી

taj

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઇ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

માણતાં આવડે તો હે ભગ્નાશ મન !
વેદના છે કઇ જે મધુરી નથી ?
સાંભળી લો ગઝલ ‘શૂન્ય’ની ધ્યાનથી
એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી.

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

જમાનાના ખાધેલ હૈયાને પૂછો,
અમે શું ગુમાવ્યું ને શું મેળ્વ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી,
ફક્ત એક નજર પર યુગોની કમાણી !

અમે કો’ એકના થઇને સકળ બ્રહ્માંડ લઇ બેઠા
તમે પણ ‘શૂન્ય; થઇ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

દરદથી નીતરતી કવિતાને ખાતર,
ચહે છે બધા મુજને બરબાદ જોવા,
મલમની કરું ‘શૂન્ય’ કોનાથી આશા?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

માત્ર ઉલ્કાને જ અ ભિતી રહે છે રાતદિન,
જે હકીકતમાં સિતારા છે કદી ખરશે નહીં

પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.

મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
‘શૂન્ય’ છે એ કોઇનો માર્યો કદી મરશે નહીં

આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….

રોમાંચ હું અનુભવું ઝાકળના સ્પર્શથી
વિહ્-વળ બને છે જેમ યુગો પળના સ્પર્શથી
સંભાવના નથી કે અમીવૃષ્ટિ થાય, પણ
કંપે છે હિમશિખર કોઇ વાદળના સ્પર્શથી

– ભગવતીકુમાર શર્મા

અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
દિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇ
મળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’
ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇ

ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

– અમૃત ઘાયલ

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઇશારો જોઇએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઇએ

– શૂન્ય પાલનપુરી

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા

– જયેન્દ્ર મહેતા

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું
મળે છે એક પળ જો કોઇની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું

– મુસાફિર પાલનપુરી