સૈરન્ધ્રી : ૦૨ : દ્રૌપદી, કર્ણ, કીચક અને કીચડ…

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’- ઉત્તરાર્ધ)
(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદીને યુગનાયિકા કહી શકાય. ‘સૈરન્ધ્રી’ પ્રબંધકાવ્ય દ્રૌપદીના જીવનનો બહુ નાનો હિસ્સો છે, જેમાં કવિ આપણને યુગનાયિકાની ભીતરની સ્ત્રી સાથે મુખામુખ કરાવે છે. વળી, આ કવિતા આપણા સહુની લુપ્ત ઓળખની પીડાથી પણ આપણને અવગત કરે છે. આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ, ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આ ઓળખ-લુપ્તતાના કારણો અને નિવારણોના પૃથક્કરણની ગાથા છે. ‘સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઈને’ આ જ સહુની વિડંબના છે. જ્યારે ‘નિત્ય નિજત્વ અવાંતર જોવું’ પડે છે ત્યારે ‘અંતરિયાળ પડ્યું આ હોવું’ની પીડા અસહ્ય બની રહે છે.

વ્યાસના મહાભારતથી આ ‘સૈરન્ધ્રી’ થોડી અલગ છે. સ્વયંવર ટાણે એ કર્ણના પ્રેમમાં પડી મનોમન એને વરી લે છે. ‘તેજપુંજ છલકાય વદનથી, સૂર્ય ઊતર્યો હો અંબરથી’ એવા કર્ણના ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી’ જોઈ પાંચાલી ‘તત્ક્ષણ મોહિત થઈ’ જાય છે. એને ‘આ જ પુરુષની હતી પ્રતીક્ષા,’ વિનોદ જોશીની આ ‘સૈરન્ધ્રી’એ અનેક વમળ સર્જ્યાં. ખૂબ ઉહાપોહ થયો. પણ કર્ણ અને દ્રૌપદીનો સંબંધ કંઈ પહેલીવાર ચર્ચાની એરણે ચડ્યો નથી. આ બાબતે અનેક મતમતાંતર પ્રવર્તે છે. દરેક વાર્તાની પાસે પોતાનો પાયો છે, પણ કયો પાયો સાચો અને કયો ખોટો એ નક્કી કરવું સરળ નથી. આપણા હૃદયમાં જે સંસ્કરણ ઘર કરી ચૂક્યું હોય એ આપણા માટે સાચું. એક સંસ્કરણ મુજબ દ્રૌપદીએ કર્ણને સૂતપુત્ર હોવાથી ઇન્કાર્યો હતો, પણ વ્યાસરચિત મહાભારતમાં આ પ્રસંગ નથી. બીજા સ્રોત મુજબ ધ્રુષ્ટદ્યુમ્નએ આ પ્રશ્ન ઊઠાવ્યો હોવાથી દ્રૌપદીને એના માટે સહાનુભૂતિ જન્મી હતી. વિનોદ જોશીની સૈરન્ધ્રી આ કથાનકને સમાંતર છે. ધૃષ્ટદ્યુમ્ન ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર’ કહીને સૂતપુત્રને મત્સ્યવેધ કરતાં રોકે છે. ‘પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં, હવે નહીં પામું જીવનમાં’ની અતુલિત તૃષ્ણાથી વ્યાકુળ કૃષ્ણાને સવાલ થાય છે: ‘હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?’ આ સવાલ શું સર્વકાલીન સર્વ સ્ત્રીઓનો નથી? જાંબુલ આખ્યાનમાં દ્રૌપદી કબૂલે છે કે એ કર્ણને પોતાના પતિ કરતાં વધુ ચાહે છે અને એને પરણવામાં એને બાધ નહોતો. યુદ્ધ સમયે એ કર્ણને પાંડવો તરફ આવવા આમંત્રે છે એ સમયે સ્વયંવર બાબતે દ્રૌપદી કર્ણની અને વસ્ત્રાહરણ સમયે છીનાળ કહેવા બદલ કર્ણ એની, એમ ઉભય પરસ્પરની માફી માંગે છે. તેલુગુ ભાષામાં કૃષ્ણ કર્ણને પાંડવો સાથે જોડાઈ જવાથી દ્રૌપદી એની પણ પત્ની ગણાશે એવી લાલચ આપતા વર્ણવાયા છે. કર્ણ કુંતીપુત્ર હોવાની જાણ થઈ ત્યારે દ્રૌપદીને એની સાથે લગ્ન ન થયાનો અફસોસ થયો એવી પણ કથા છે, કારણ કર્ણ સાથેના લગ્ન એને વસ્ત્રાહરણથી બચાવી શક્યા હોત. યજ્ઞસેની (પ્રતિભા રાય), મૃત્યુંજય (શિવાજી સાવંત), જયા (દેવદત્ત પટનાયક), પેલેસ ઑફ ઇલ્યુઝન્સ (ચિત્રા બેનર્જી), કર્ણ મહાકાવ્યકા અંતર્લોક (કશ્મીરા સિંહ) વગેરેના પુસ્તકોમાં પણ આ મુજબના વિવરણો મળે છે.

કળાનું મૂલ્યાંકન કળાની રીતે જ થવું ઘટે. મૂળ મહાભારત અને આપણા મહાભારતમાં પણ જમીન-આસમાનનો તફાવત છે. સમય સાથે આ તફાવત વળી વધતો જ જવાનો, કારણ, દરેક યુગ આ મહાકથાના અરીસામાં પોતાને શોધવાની કોશિશ કરવાનો જ. પરિણામે દરેક યુગની મહાકથા આગળની કથાથી ભિન્ન જ હોવાની. હજાર હોબાળા વચ્ચે પણ સાચી સમજ સાચી કવિતાને સાચી રીતે પોંખવામાં પાછી પાની નથી કરતી એનું ઉત્તમ ઉદાહરણ એટલે ‘સૈરન્ધ્રી’. સૈરન્ધ્રીની લોકપ્રિયતા ગુજરાતી ભાષાના સીમાડાઓ વળોટીને હિંદી, ઓડિયા, અંગ્રેજી, સંસ્કૃત, તેલુગુ, તમિલ, મૈથિલી અને કન્નડ ભાષાઓ સુધી પહોંચી છે અને ભારતીય સાહિત્ય અકાદમીએ એને સર્વશ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકના પારિતોષિકથી નવાજી છે એ જ એની યોગ્યતા સિદ્ધ કરે છે. પ્રબંધકાવ્ય લખવાનું સાહસ પોતે જ નાનુંસૂનું કામ નથી. અને એ કામ સુપેરે પાર પડે અને ઉમદા કાવ્ય સિદ્ધ થાય ત્યારે વાતનું મહત્ત્વ ઓર વધી જાય છે.

અર્જુન મત્સ્યવેધ કરી આ ‘વસ્તુ અનુપમ’ને ઘરે લાવ્યો અને દરવાજા ખોલ્યા વિના જ કુંતીએ ‘વહેંચી લો સમભાગ’ કહ્યું. પાંડવોએ પણ દ્રૌપદીનું ‘વસ્તુ જેમ જ કર્યું વિભાજન.’ ‘વસ્તુ’ને તો રોજની ચિંતા કે ‘કોનો વારો? કોણ હશે આજે પતિ મારો?’ આ ‘વસ્તુ’ જાણે છે કે ‘હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.’ વેદ વ્યાસ જ્યાં અટકી ગયા, વિનોદ જોશી ત્યાંથી આગળ વધીને આપણને ‘અસ્ક્યામત’ ગણી લેવાયેલ સૈરન્ધ્રીની ભીતરની સ્ત્રી સાથે મુલાકાત કરાવે છે. કવિતાની આ જ સાચી ઉપલબ્ધિ છે. દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની બનવા છતાં કર્ણ પ્રત્યેના પોતાના ‘સોફ્ટ કૉર્નર’ને અવગણી નથી શકતી. એણે તો ‘હૃદય એકમાં રોકી દીધું, પંડ પાંચમાં વહેંચી દીધું’ છે. ભરસભામાં જ્યારે દ્રૌપદી ‘ત્રસ્ત હરિણ’ શી ફફડતી હતી, ત્યારે ‘અંગારે ભડભડતી આંખો, સૂર્ય લાગતો જાણે ઝાંખો’ લઈને ક્રોધનો માર્યો એકમાત્ર કર્ણ જ ‘નારી પ્રથમ, પછી પાંચાલી, નથી પળાતી કેમ પ્રણાલી’ કહીને ‘પુંસક સ્વરથી’ ગર્જના કરે છે. દુર્યોધન જ્યારે ‘નારી માત્ર સદાની ભોગ્યા’ કહી એને વારે છે ત્યારે એ નપુંસકતાથી વસ્ત્રાહરણના સાક્ષી બનવાના બદલે, દુ:શાસનને દૂર ફગાવીને, કર જોડીને ક્ષમા માંગતો તરત સભા છોડી ગયો. જ્યારે સામા પક્ષે-

કંપિત બેઠા પાંડવ પાંચે,
વીલાં વદન પરસ્પર વાંચે;
સન્નાટો ભરપૂર છવાયો,
ગયો પુરુષ ફેંકી પડછાયો. (૦૬-૦૩:૦૮)

એટલે જ પાંચ પતિઓ સાથે સરખામણી કરાવતો ‘નેત્રથી નખશિખ ચાખ્યો’ કર્ણ એક વરસના આ ગુપ્તવાસમાં ‘હોય સર્વ પણ કોઈ ન પાસે’ની એકલતા ખાળતો સ્મરણલોકમાં ‘કોઈ દૂર પણ ભીતર ભાસે’ જેવો અવારનવાર પધરામણી કર્યે રાખે છે. અજ્ઞાતવાસમાં કીચકની પડછંદ કાયા અને વિશિષ્ટ વ્યક્તિત્વથી પણ આ સ્ત્રી અંજાય છે અને કામોત્તેજના સુદ્ધાં અનુભવે છે. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, છાલક વાગી અંગે અંગે.’ ‘એક છતાં એકાધિક રૂપો’ ધરાવતી હોવા છતાં એના બહુવેશી વ્યક્તિત્વમાં રહેલી નારી ‘પ્રગટ થઈ સહસા અણધારી.’ એ જાણે છે કે ‘પુરુષમાત્રની તું અધિકારી; તું સ્ત્રી અનરાધાર અનંતા, સકળ સૃષ્ટિની તું જ નિયંતા’, ને તોય જ્યારે ‘ઝંખે મન પરિતોષ પરાયા’ ત્યારે ‘અળગી લાગે નિજથી કાયા.’ ‘એક તરફ અર્જુન હતો, કીચક બીજી પાસ’ની દુવિધામાં ફસાઈ હોવા છતાં એ પોતાની નારીસહજ આદિમવૃત્તિને વશ વર્તતી નથી એટલું એના પાંચ નિર્માલ્ય પતિઓનું સદભાગ્ય. ‘મનનાં કારણ કોઈ ન જાણે’ એ છતાં સૈરન્ધ્રી ‘મનની માયા મનમાં માણે’ છે. આપણી આ ‘કાયા અક્ષત કૂપ અધૂરો’ છે, અને એને ‘ઝંખે મન કરવાને પૂરો.’ એના સ્વપ્નમાં કર્ણ કીચક સાથે મલ્લયુદ્ધ કરી એના ‘મલિન શ્વાસને ટૂપી’ નાંખે છે અને દ્રૌપદી સાથે અદ્વૈત સાધે છે પણ ‘કેવળ સ્ત્રી નસનસમાં’ વ્હેતી હોવાની આદિમ પળે ‘નિજમાં બેસી નિજને છળતી’ ‘પાંડવપત્ની જાતનો, જોઈ રહી વિનિપાત’ અને ‘રક્તચાપ થીજી ગયો, થયા સ્તબ્ધ સહુ કોષ.’ પળમાં એ કીચકને પરાયો કરી પુનઃ પાંચાલીત્વને સાધે છે. આ સ્ત્રી છે. એનું સ્ખલન પુરુષની જેમ ભાગ્યે જ કાયમી અને વાસ્તવિક હોવાનું.

મધરાતે એના દ્વાર પર ટકોરા પડે છે ત્યારે એને સમજાય છે કે એના મહાન પાંચ પતિઓને તો આ ‘નગર વિરાટે વામન કીધાં’ અને ‘પાંડવકુળની ભૂંસી વ્યાખ્યા.’ ‘પાંડવકુળની આ પટરાણી, જાણે લુપ્ત થયેલી વાણી’ હોય એમ નિરાધારિતાના અહેસાસથી વ્યગ્ર છે. દ્યૂતમાં બધું હારીને સંકટ જીતનાર પાંડવપતિઓ સાથે એ સહમત નથી. પત્નીભાવે પતિઓનો નિર્ણય સ્વીકારીને પટરાણી હોવા છતાં તેર વરસ તકલીફોના જંગલમાં ભટકનાર દ્રૌપદી ‘સ્વયં પરાક્રમ ક્યાંય ન’ કરનારા અને ‘મૃગજળને જળ માની’ લેનાર પતિઓને વણજોતી વિપદા વળગાડનાર હોવાથી ક્ષમા કરી શકતી નથી. જેઓ પોતાને દાસીરૂપે જોઈનેય લજ્જાતા નથી એ પતિઓની હાજરીમાં ‘તિમિર વચાળે તેજ ફસાયું’ હોવાની પારાવાર વ્યથા એ અનુભવે છે. ‘મરતાં રહીને છાનું છાનું, અંતે આમ જીવી જવાનું?’નો પ્રશ્ન એના અસ્તિત્વને આરીની જેમ આરપાર વહેરે છે, ‘કાળજે કર્બુર ચીરા’ પાડી રહ્યો છે. દરવાજે અર્જુન હશે કે કીચકની અટકળમાં રાતના કાજલઘેરા અંધકારમાં બિલકુલ એકલી અબળા હોવાના કારણે જે સૈરન્ધ્રી કબૂતર પેઠે ડરની મારી ફફડી રહી હતી, એને છેવટે સમજાય છે કે ‘જટિલ કોયડા ઉકલે જાતે’:

ઓળખ સકળ ઉતરડી નાખી,
કેવળ નિજતા સંગે રાખી;
કોઈ ન સ્વામી, કે નહિ દાસી;
વ્યક્તિરૂપ લીધું અવિનાશી. (૦૫-૦૫:૦૭)

બે શબ્દો માલીપાના ખાલીપામાં ‘સૈરન્ધ્રી’ જે કહે છે, એ સરવા કાને સાંભળી શકવું એ નરવા ને ગરવા જીવનની ગેરંટી છે. તમામ ઓળખ ત્યાગીને માણસ પોતાના નિજત્વને પામી લે ત્યારે એનું વ્યક્તિત્વ અવિનાશી બને. સૈરન્ધ્રી જે પળે મનથી જ્ઞાત-અજ્ઞાત ઓળખોનો ત્યાગ કરી ‘નિજની સંત્રી’ બને છે એ પળે એ ‘અધિક સભાન, પૂર્ણ ભયમુક્તા’ બનીને દ્વાર ખોલે છે. દાસી તરીકે જે કીચકના વ્યક્તિત્વના જાદુપાશમાં એ કવચિત્ બંધાઈ હતી, સ્ત્રી તરીકે એ મર્મસ્થાન પર તીક્ષ્ણ છરીનો ઘા કરીને કીચક નામના ‘પડછાયાનો અંત’ આણે છે. એને સમજાય છે:

ભૂંસી દઈ સઘળા સરવાળા,
પ્હેર્યાં અંદરનાં અજવાળાં;
પામી સમજણ સીધીસાદી,
સદા જાત હોય જ સંવાદી. (૦૫-૦૭:૦૩)

સહુને સહુનાં રૂપ અનોખાં,
કરે પરસ્પર લેખાંજોખાં. (૦૫-૦૭:૦૪)

કોઈ ન પહોંચે ગંતવ્યોમાં,
અધવચ અટકે મંતવ્યોમાં. (૦૫-૦૭:૦૫)

બાહ્ય ગણતરીઓ ભૂંસીને માણસ ભીતરના અજવાળાં ધારણ કરે ત્યારે જ એને સમજાય છે કે દરેક માણસ ‘પરસ્પર લેખાંજોખાં’ કર્યે રાખતાં એકાધિક રૂપોનો બોજ લઈને જીવે છે. સંબંધોની લાશને ખભે વેંઢારીને આપણે સહુ રાજા વિક્રમ જેવી અનર્થ જિંદગી જીવ્યે રાખીએ છીએ. કોઈને મંઝિલ સુધી પહોંચવામાં રસ નથી, સૌ સ્વયંના મંતવ્યોમાં જ રત રહે છે. કીચક પર પ્રહાર કરવાના અપરાધસર સૈરન્ધ્રીને કેદ કરાઈ. સૈરન્ધ્રી માટે તો કેદ લુપ્ત ઓળખની હોય કે આ કારાવાસની, ‘ભીંતો બદલાઈ ગઈ, અન્ય કશો નહિ ભેદ’. એ સમજે છે કે, ‘સહુને કારાવાસ સદાનો, વ્યર્થ મુક્તિના સર્વ વિધાનો,’ અને ‘એક વરસની કેવળ ભ્રાન્તિ, જન્મારે નહિ મળશે શાંતિ.’ પણ પાંડવ તો ‘નિદ્રાગ્રસ્ત હતા હજી, અંદર અપરંપાર.’ એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે કીચકના ડરે અને હત્યાએ દ્રૌપદીની અંદર અજવાસ થઈ પથરાયું છે. એ લોકો ચિંતિત છે, પણ અર્જુન ગઈ સાંજની વાત જાણતો હતો. દ્રૌપદીએ સ્વયં કીચક પર પ્રહાર કેમ કર્યો એ પ્રશ્ન એને સતાવે છે. રાજા મૃત્યુદંડ ફરમાવે છે પણ દ્રૌપદી આવનારા અનિવાર્ય ઘોર વિનાશને જોઈ મલકી રહી હતી:

કીચક માર્યો એક, પણ કીચક હજી અનેક,
ઇચ્છે નહિ નારી, છતાં વિવશ કરે જે છેક. (૦૬-૦૧:દોહો)

ઘડી કઠોર, ઘડી મુલાયમ ચિત્ત આપણા સહુની સમજણ બહારનો પ્રદેશ છે:

સમજાતું નહીં ચિત્ત સલૂણું,
વજ્રકઠોર કુસુમથી કૂણું. (૦૬-૦૨:૦૧)

વિગત-અનાગતની પળોજણમાં ડૂબીને જિંદગી વ્યર્થ વહી જવા દેવાના બદલે જે પળ વહી રહી છે, એને જ પકડી લઈ એમાં જ જીવી લઈએ તો કશું અકળ રહેતું નથી:

સમજી લેવા અર્થ સકળને,
પકડી લેવી વહેતી પળને. (૦૬-૦૨:૦૧)

જે ઘડીએ આપણે સહુ વ્યર્થ વળગણોને ત્યાગીને ઈષ્ટ અને ખરી સમજણને વળગીશું એ ઘડીએ સઘળી ભ્રાન્તિ દૂર થાય છે, ચિત્ત સ્વસ્થ બને છે અને પરમ પ્રશાન્તિ પ્રાપ્ત થાય છે. જિંદગી તો મુઠ્ઠીમાં પરપોટા ભરવાની રમત છે. ‘પલકે પાંપણ જે ક્ષણ ક્ષણમાં, નહિ દેખાય કદી દર્પણમાં.’ આંખ પલકારો મારે એ ઘડી એ દૃષ્ટિ બંધ થવાની ઘડી છે. એટલી ઘડીભર માટે આપણે દર્પણમાં આપણી જાત સાથેનો નાતો ગુમાવી બેસીએ છીએ. પાંપણ ઊંચકાય એ પછી જ આપણે જાત સાથે પુનઃઅનુસંધાન સાધી શકીએ છીએ. સૈરન્ધ્રીના નિમિત્તે કવિ ભીતરના અર્ક સાથે આપણને સન્મુખ કરાવ્યે રાખે છે, એ આ કાવ્યની ખરી ઉપલબ્ધિ છે. બેવડી ઓળખનું અંધારું રગદોળીને અજવાળું ગોતી પરમ મોતી પરોવવાનું છે.

પરિઘ પાર ચકરાવો લઈને,
કેન્દ્રબિંદુમાં પહોંચી જઈને;
વર્તુળ પાછું ટાંગી દઈને,
જવું શૂન્યમાં શાશ્વત થઈને. (૦૬-૦૬:૦૭)

સકળ સંસારમાં ફરી-વિહરીને અંતે તો અસ્તિત્વના કેન્દ્રબિંદુને જ તાગવાનું છે અને એ થતાં જ વર્તુળનો પણ છેદ કરી શૂન્યની શાશ્વતી સુધી ગતિ કરવાની છે. મરીઝનો અમર શેર યાદ આવ્યા વિના નહીં રહે: ‘હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું, તેથી અનંત છું.’ દ્રૌપદી પણ ‘બ્હાર જઈને ભીતર આવી’ છે, અને ‘મધ્યબિંદુને મનમાં લાવી’ છે. પ્રતિહારી સૈરન્ધ્રીને લેવા આવે છે ત્યારે એ સુદૃઢ પગલે આગળ ‘નિજની વિજયપતાકા’ ફરકાવતી ચાલે છે. એના મનોમન તો કર્ણ પ્રત્યેની ‘સહજ પ્રેમની ઉત્તમ ગતને’ માણી રહી છે. સભાગૃહમાં લોકોની સાથે પાંડવો પણ બંદીવાન પત્નીનો આ તમાશો મૂંગા મોઢે જુએ છે. પાંડવો હજીયે દ્યૂતસભાવાળી મનોસ્થિતિમાં જ છે-નિર્માલ્ય, નપુંસક, નિષ્ક્રિય! પત્નીના રક્ષણની ચિંતાના બદલે તેઓને ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો, પુનઃ હવે વનવાસ થવાનો’ એ ચિંતા વધુ છે. પરંતુ ‘નહીં અંધારું, નહીં અજવાળું’ એવા નિરાળા અસ્તિત્વને અનુભવતી દ્રૌપદી તટસ્થભાવે ઊભી છે. એ જાણે છે કે–

કાપે નહિ વાયુને કુહાડો,
પડે ન જળમાં કદી તિરાડો;
નભ ક્યારેય ન ટેકો માગે,
પૃથ્વીને પથ્થર શું વાગે? (૦૭-૦૧:૦૪)

પાંડવોએ દ્રૌપદીને ભોગવી છે, સૈરન્ધ્રીને જોઈ રહ્યા છે પરંતુ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. (૦૭-૦૨:૦૫)

વિરાટ જેવા રાજાને પ્રશ્ન થાય છે કે ‘નારીમાં ધનુધારીનો કેમ થયો ટંકાર?’ એકાકી અબળા છે ને વળી દાસી છે તોય આને ભય કેમ નથી? સુદેષ્ણા પણ સ્ત્રી તરીકે પોતાના ભાઈની હત્યારી હોવા છતાં એને સમભાવે જુએ છે. લોકો કૌતુકવશ છે. અમાત્યમંડળ સૈરન્ધ્રીને મરણચિતા પર ચડાવી તત્કાળ અગ્નિદાહ દેવાનો દંડ કરે છે અને દ્રૌપદીની આંખ સમક્ષ દ્યૂતસભા ફરી સજીવન થાય છે. ‘નરવી નિજતા ખોઈ’ બેઠેલાઓની વચ્ચે દ્રૌપદીને અંતમાં નવો અભ્યુદય દેખાય છે, જ્યાં ઓળખની શિક્ષા દીધા વિના મત્સ્યવેધની પરીક્ષા થશે અને ‘નિજતામાં સહુ પાછાં વળશે.’ સસ્મિત વદને એ ચિતા પર ચડે છે. મનોમન પુનઃ સ્વયંવર રચે છે, જેમાં કર્ણ કુસુમાયુધ વડે નયનથી જ મત્સ્યવેધ કરી ‘નિજતા સહજ પરસ્પર સોંપી’ને વરમાળા પહેરે છે. ચિતાની જ્વાળા કાષ્ઠને અડતી નથી. યાજ્ઞસેની દ્રૌપદી તો ‘જન્મથી ભડભડ બળતી, નિજથી છૂટી નિજમાં ભળતી; નિત્ય કોઈને મનથી મળતી, નિજમાં બળવા પાછી વળતી’ હતી.

પૂર્ણ કળાએ તપતા સૂર્યથી જાણે ચારે દિશાઓમાં આગ લાગી હતી. સર્વ દશાઓ અનુપમ અને સર્વ દિશાઓ નિકટ લાગે છે. પાંચે પાંડવ વ્યાકુળ ઊભા છે પણ સૃષ્ટિનું આ નર્તન જાણે કે અનંત છે. કાવ્યારંભે જે સાંજ વિવશ અને આકાશ નિરાધાર હતાં એ કાવ્યાંતે અનંતતામાં પરિણમે છે. તમામ ઉંબરાઓ ઓળંગીને તેજ નગરભરમાં પ્રસરી રહ્યું. દિશાઓ સતત એ રીતે અને એટલો વિસ્તાર પામી રહી હતી કે સૂર્ય કદી આથમી નહીં શકે. ચિતાએ ચડેલી સૈરન્ધ્રીનું પછી શું થયું એ કહ્યા વિના કવિતા સમાપ્ત થાય છે. આમેય કવિતાનો આ ફાંટો પ્રચલિત મહાભારતથી ક્યારનો અલગ થઈ ગયો છે. કવિ કલાકાર છે, ઇતિહાસકાર નથી. કવિનો ઉદ્દેશ સૈરન્ધ્રી વેશધારી દ્રૌપદીની ભીતરની સ્ત્રીને સાકારવાનો છે. પાંચેક હજાર વર્ષ પહેલાં એક પુરુષે જે ઘટનાઓ આલેખી હતી, એના એક રજમાત્ર હિસ્સાને પાંચેક હજાર વર્ષ બાદ બીજો પુરુષ જે નજરિયાથી જોવાનો પુરુષાર્થ કરે છે, એમાં જમીન-આસમાનનો તફાવત છે, પણ બંને જ આસ્વાદ્ય છે.

(આસ્વાદક: વિવેક મનહર ટેલર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *