Category Archives: સોનેટ

એક ઘા -કલાપી

તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.

પ્રશ્ન – ઉમાશંકર જોષી

prashna

‘છે મારું કો અખિલ જગમાં?’ બૂમ મેં એક પાડી :
ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,
દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી,
ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી,
સુણ્યા સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતો
બીજા પ્હાડો તણી કુહરમાં વેણ, હૈયે ન લેતો,
તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ ક્યાં?
ત્યાં પૃથ્વીનાં સ્વજન તણું તો નામ લેવું પછી કાં?

છેલ્લે પૂછ્યું રુધિરઝર આ પાણીપોચા હૈયાને:
‘વ્હાલા, તું તો મુજ રહીશ ને? છો જગે કો ન મારું.’
ને એ દંભી શરમ તજી કહે:’તું ન માલેક મારો,
હું તારામાં વસું અવર કાજે.’ – ખિજાયો, વિચાર્યું:
બીજાં કાજે વસતું મુજમાં?! તો મદર્થે બીજામાં
હૈયા વાસો નહિં શું વસતાં કૈ હશે સ્નેહભીનાં?