Category Archives: અછાંદસ

કોણ માનશે ?

જો હું કહું કે –
હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે
જીંદગીની રમતમાં રમવું છે
કોણ માનશે ?

ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?

– જયશ્રી

સાનિધ્ય – ચતુર પટેલ

એકવાર સાનિધ્ય
સ્વીકાર્યા પછી
તું હોય કે ઇશ્વર
શું ફરક પડે છે મને !

કિનારાના અસ્તિત્વનો
સ્વીકાર કરવો કે નહીં
એ તો નદીનો પ્રશ્ન છે
મારે તો –
તૂટતા જ રહેવાનું
તારા ધસમસતા પ્રવાહથી !

એકવાર ઝંઝાવાતમાં
સપડાયા પછી –
તૂટવું, ફૂટવું, ઢસડાવું
એ તો મારી નિયતિ છે !
મેં કયાં
કશીય રાવ કરી છે
તને કે ઇશ્વરને !
મેં સ્વીકારેલા યુધ્ધમાં
મારે જ મારી રીતે જ
લડવાનું છે
મને તો બસ –
એટલી જ ખબર છે કે
મારો વિષાદ, મારું દર્દ
ગમો-અણગમો,
ગતિ-પ્રગતિ કે અધોગતિ
બધું જ મારું હશે….

શરત એટલી જ હોય
કે –
આની જાણ ઉભયને હોય !
એકવાર
શરણાગતિ સ્વીકાર્યા પછી
જય કે પરાજય
મારો શણગાર બની રહેશે.

રાહ – રિતા ભટ્ટ


હું ફોરસ્કવેર સિગરેટ નહોતી
કે
તમારો ખાલીપો ભરવા બળી શકું,
હું
આકાશમાંની નાનકડી વાદળી યે નહોતી
કે
તમને ભીંજવીને સાવ કોરી થઇ શકું.
હું તો બે કાંઠે ભરપૂર-છલોછલ
વહેતી નદી હતી
કે
જેમાં તમને સમાવી હું ખુદને પામી લઉં.
હું
જે ગઇકાલે નહોતી તે આજે ય હું બની શકી નથી
પણ
બે કાંઠે ભરપૂર વહેતી નદી
લાગણીની-પ્રેમની પ્યાસમાં ઝૂરી ઝૂરી
સૂકાઇ ગઇ છે ક્યારની
પણ હા,
હું ફરી વહી શકુ —
ભરપૂર બે કાંઠે તેની રાહ
સૂકાઇ ગયેલી નદીના રેતીના તટથી
થોડે દૂર ઊભેલાં એક વૃક્ષની ડાળીએ
માળો બાંધીને રહેતાં પંખીઓ
આજે ય જુએ છે અનિમેશ નયને.