Category Archives: મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

કોઇ પ્રીત કરી તો જાણે ! – મહેન્દ્ર વ્યાસ ‘અચલ’

koi preet

કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! – કોઇ…

દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળ પળને વિસરાવી દેવી,
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! – કોઇ…

દુનિયાની તીરછી દ્રષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતા રહેવું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! – કોઇ…

મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે,
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભવસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે ! …

કોઇ પ્રીત કરી તો જાણે !