Category Archives: વ્રજલાલ દવે

જળ વ્હેર્યું – વ્રજલાલ દવે

આઘી આઘી કીધી જાતરા,
ખોયા આંગણાના રામ;
ખાલી રે ખજાના લાગ્યા પંડના,
પરના મબલખ તમામ !
જળ રહે વ્હેર્યું, જીવ ! કેટલું ?

દોરંગી દૂરની વેલીએ
જોયાં ઝાઝેરાં ફૂલ ;
ટોડલે ટ્હૌકંતી રાતરાણીનાં
રૂપ ખરી ગ્યાં વણમૂલ !
જળ રે વ્હેર્યું, જીવ ! કેટલું ?

પલ પલ સુણ્યા અંતરસાદ
તેં, દીધા કાને કાં હાથ ?
જીભને પટુડે જગ જીતવા
ભીડી ભવ શું તેં બાથ ?
જળ રે વ્હેર્યું, જીવ ! કેટલું ?

(આ કાવ્યનો ભાવાર્થ સમજવામાં તમે મદદ કરશો ? વ્હેર્યું એટલે કાપવું, છુટું કરવું. પરંતુ અહીંયા એ કયા અર્થમાં લેવાયું છે એનો મને ખ્યાલ ના આવ્યો. )