Category Archives: પ્રાણજીવન મહેતા

વારતા – પ્રાણજીવન મહેતા

(દાદાજી અને પૌત્રની વાતચીતો….)

હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી,
આંધળાં રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી.

ભૂતિયા મહેલમાં કુંવરની આસપાસ, અજવાળું બાંધતું જાળાં; દાદાજી,
કુંવરીને જોઈ એ પોતાને પૂછતો, પડછાયા કેમ કાળા ? દાદાજી,
પ્રશ્રો પહેરીને કેમ આગળ જવાશો, કુંવરને સમજાવો; દાદાજી.

ભાંગેલું વહાળ તેમાં ભરાતી રેતી, કેટલે દૂર છે જાવાનું ? દાદાજી,
ટચૂકડો દરિયો ને હલેતાં તૂટ્-ફૂટ, કૂંવરનું હવે શું થાવાનું ? દાદાજી,
પ્રશ્રોને આરપાર વીંધે એવું, તીરકામઠું કુંવરને અપાવો; દાદાજી.

ગાઢ એક જંગલ ને જંગલમાં ભરેલી અંધારું ધોર એક વાવ; દાદાજી,
પાણીમાં જુએ તો પોતે ને, પડછાયો રમતા પકડદાવ; દાદાજી,
કુંવરને માણસ પરખાય જરી એટલું અજવાળું પથરાવો; દાદાજી.

આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,
હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી.