લો અમે તો આ ચાલ્યા ! – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલોનો સંચય.
સંપાદક – મુસાફિર પાલનપૂરી

લો અમે તો આ ચાલ્યા !

રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સુરા પીને,
લો અમે તો આ ચાલ્યા !
જિંદગીની મસ્તીને આત્મ-ભાન આપીને,
લો અમે તો આ ચાલ્યા !

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,
લો અમે તો આ ચાલ્યા !
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,
લો અમે તો આ ચાલ્યા !

સૃષ્ટિના કણેકણમાં સૂર્ય જેમ વ્યાપીને,
લો અમે તો આ ચાલ્યા !
જાન કેરા ગજ દ્વારા કુલ જહાન માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધર્મના તમાચાઓ, બેડીઓ પ્રલોભનની,
કોડા સમય કેરા;
એક મૂગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,
લો અમે તો આ ચાલ્યા !

ધૈર્ય કેવા બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,
વેલ છે કરુણાની;
પ્રાણના પટોળા પર, દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યા !

– ‘શૂન્ય’ પાલનપૂરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *