ગ્લૉબલ કવિતા : ૨૩૫ : ક્યારેક – શીનાઘ પ્યુ

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh


ક્યારેક

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી જરા,
ને જીરવી લે દ્રાક્ષ પણ હિમપાતને વરસોવરસ;
હરિયાળી ફૂલે-ફાલે, ને પાકેય નિષ્ફળ જાય ના,
ક્યારેક પાસાં સૌ પડે પોબાર, છો ઊંચું હો લક્ષ.

ક્યારેક લોકો પાછી પાની પણ કરી દે યુદ્ધથી;
ઈમાનદારોને ચૂંટે, ને રાખે એ દરકાર કે
કોઈ અજાણ્યો પણ ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જન્મનો જે હેતુ હો એ સર કરે.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે ધાર્યું હો કરવા, એ પૂરું કરવા મળે;
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)


મોટું કોણ? કવિ કે કવિતા? કળા કે કળાકાર?

કયા મા-બાપને પોતાનું બાળક પોતાના પેંગડામાં પગ નાંખે એ ન ગમે? સંતાનની પ્રગતિ તો સહુને ગમે, ખરું ને? સંતાન પોતાને ઓવરેટક કરી જાય તો મા-બાપની છાતી ફાટફાટ થાય. પણ આ જ વાત કળાના ક્ષેત્રમાં અલગ પરિણામ આણે છે. સર્જક જન્મદાતા હોવા છતાં ક્યારેક એને પોતાનું જ સંતાન- પોતાનું જ સર્જન પોતાને અતિક્રમી જાય એ ન ગમે એવું બનતું હોય છે. રચનાની આભા સામે સર્જક તો ઠીક, સર્જકનું અન્ય તમામ સર્જન સુદ્ધાં વામણું બનીને રહી જાય ત્યારે આવો અણગમો ખાસ જોવામાં આવે છે. જો કે સર્જન સર્જક ઉપર હાવી થઈ જાય ત્યારે એ કાળાતીત-અમર થઈ જાય છે. ચાલો, આજે આપણે આવી જ એક કવિતાની વાત કરીએ.

શીનાઘ પ્યુ. કવયિત્રી, નવલકથાકાર, અનુવાદક અને વિવેચક. ૨૦-૧૨-૧૯૫૦ના રોજ બર્મિંગહામ, ઇંગ્લેન્ડ ખાતે જન્મ. હાલ પતિ સાથે શેટલેન્ડ રહે છે. નિવૃત્તિ સુધી યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખન શીખવતાં. સાયબરસ્પેસના શોખીન. કહે છે,’ હું પુષ્કળ સમય ઓનલાઇન વેડફું છું.’ શીનાઘની કવિતા વાસ્તવ અને કલ્પના તથા ઇતિહાસ અને સાંપ્રતતાની વચ્ચેના ‘નો-મેન્સ લેન્ડ’માં લઈ જતી કવિતા છે. એમની ભાષાની સરળતા બહુધા ભ્રામક છે, જરાક ઉત્ખનન કરતાં જ કંઈક અણધાર્યું જ હાથમાં આવી ચડે એવી. કરકસરયુક્ત શબ્દ-પ્રયોજન તથા કાવ્યસ્વરૂપના યોગ્ય સંમાર્જનના કારણે એમની કવિતાઓ ભાવકને સ્પર્શી જાય છે. ભૌગોલિક દૃષ્ટિએ તેઓ એંગ્લો-વેલ્શ કવિ કહેવાય પણ સ્થળ, ઇતિહાસ અને સંસ્કૃતિઓને બહોળા ફલક પર આવરી લેતી એમની રચનાઓને જોતાં એમને વિશ્વનાગરિક ગણવા વધુ ઉચિત કહેવાય.

પ્રસ્તુત કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે. અસંખ્ય લોકો માટે આ કવિતા આશાનું કિરણ બની છે. ડગલે ને પગલે લોકોએ એને ટાંકી છે. શાળાઓના અભ્યાસક્રમ, પરીક્ષાઓ, શોકસભાઓમાં -આ કવિતા ક્યાં નથી વપરાઈ અને ક્યાં નથી વપરાઈ રહી એ સવાલ મોટો થઈ પડે એમ છે. ‘न भूतो न भविष्यति’ લોકપ્રિયતા પામેલી આ કવિતાને એના સર્જક જો કે બેહદ નફરત કરે છે. તેઓ બ્લૉગ પર લખે છે કે, ‘આ કવિતા તમારે બિનવ્યાવસાયિક હેતુસર જ્યાં વાપરવી હોય ત્યાં વાપરો, પણ મારું નામ વાપરશો નહીં.’ કવિતા નીચે નામ લખવાનું રહી જાય તો કવિ હોબાળો મચાવી દે એવા જમાનામાં શીનાઘ પોતાનું નામ આ કવિતા નીચે ન લખવા ભારપૂર્વક કહે છે. તેમના મતે આ તેમનું પ્રતિનિધિ કાવ્ય નથી. એ એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. લોકોએ કવિને ઝાટ્ક્યા પણ છે કે, ‘તમારે જ કવિતાની ગુણવત્તા નક્કી કરવી હતી તો રાખવી હતી તમારી પાસે. લખો એવી કવિતા જે આને ટપી જાય.’ – કહો તો, કોઈપણ કવિ આ વાતનો શો જવાબ આપી શકે? સાચે, લોકોથી મોટો વિવેચક કોઈ નથી. શીનાઘ કહે છે કે જો પહેલાથી ખબર હોત કે આ કાવ્ય આવું લોકપ્રિય બનશે તો એમણે વધુ મહેનત કરી હોત. ખેર, ‘ક્યારેક’ આવું પણ બને છે!!!

આ જ રીતે આર્થર કોનન ડોયલ શેરલોક હૉમ્સથી વાજ આવી ગયા હતા. એમને મન એમની ઐતિહાસિક નવલકથાઓનું સાહિત્યિક મૂલ્ય વધુ હતું. હૉમ્સની લોકપ્રિયતાથી હારી-કંટાળી-થાકીને લેખકે એક વાર્તામાં આખરે શેરલોકને મારી નાખ્યો. પણ વિરોધનો એવો તો પ્રચંડ જુવાળ ઊઠ્યો કે લેખકે મજબૂર થઈ એને પુનર્જીવિત કરવાની ફરજ પડી. અગાથા ક્રિસ્ટી પણ ‘હરક્યુલ પોઇરો’થી આવી જ રીતે હેરાન-પરેશાન હતાં, કેમકે પ્રકાશકો એ સિવાય કશું લખવા જ નહોતા દેતા. ‘અ ક્લોકવર્ક ઓરેન્જ’ની પ્રસિદ્ધિ અને બાકીના કામ તરફ સેવાતા દુર્લક્ષથી એના સર્જક એન્થની બર્ગેસ પણ વ્યથિત રહેતા. ફ્રાન્ઝ કાફ્કાને પણ સળગાવવાના રહી ગયેલ અધૂરાં લખાણ- ‘ટ્રાયલ’, ‘કેસલ’ અને ‘અમેરિકા’એ અમરત્વ આપ્યું. ‘વીની-ધ-પૂ’ના સર્જક મિલ્ને વીનીને ધિક્કારતા હતા કારણ કે વીનીની ચકાચૌંધના કારણે એમનું બાકીનું સર્જન પોંખાયું નહીં. હવે સમજાયું ને કે શીનાઘને પણ આ રચના સાથે શા માટે લવ-હેટનો સંબંધ છે!

એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડીને કોકેનના વ્યસનથી મુક્તિ અપાવવાની આશાએ એમણે આ કવિતા લખી હતી, એટલે સ્વાભાવિકપણે તેઓ સર્જનકાળે પૂરતા ગંભીર નહોતાં. ચાર-ચાર પંક્તિના ત્રણ અંતરાવાળું આ ગીત આયમ્બિક પેન્ટામીટરમાં લખાયું છે પણ આખરી બંધને બાદ કરતાં કવયિત્રીએ ચુસ્ત પ્રાસ મેળવવાની દરકાર રાખી નથી. ઘણી ભાષાઓમાં આનો અનુવાદ થયો છે પણ વિતાલી અશ્કેનાઝીએ કરેલ રશિયન અનુવાદ શીનાઘને પોતાની મૂળ રચના કરતાં વધુ ગમે છે. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અને અપૂર્ણાન્વય (enjambment) ને અવગણીને પંક્તિ વધુ સુગમતાથી આસ્વાદ્ય બને એનું ધ્યાન રાખ્યું છે.

‘ક્યારેક’ શીર્ષક પરથી સમજી શકાય છે કે આ વાત રોજમરોજની કે કાયમની નથી પણ કદીમદીની છે. કવિતા આમ તો વિધેયાત્મક્તા અને આશાની કવિતા છે, પણ એ ‘હંમેશા’ નહીં, ‘ક્યારેક’ જ પરિપૂર્ણતામાં પરિણમે છે. એટલે પહેલી નજરે હકારાત્મક લાગતી રચના આમ તો નિરાશાઓથી ભર્યાભાદર્યા જીવન તરફ ઇશારો કરે છે, પરંતુ લોકોને તો પહેલી નજરે દેખાતી ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણીલાલ દ્વિવેદી)વાળી વાત જ વધુ સ્પર્શી છે. જીવનમાં Roses roses all the way ભાગ્યે જ હોય છે, પણ ક્યારેક એવુંય બને કે ચીજો બદમાંથી બદતર નથી બનતી. બ્રિટનની કવિતા છે એટલે દ્રાક્ષની વાડીઓ અને હિમપાતનું જોખમ કવિતામાં સ્થાન મેળવે છે. કવિએ ગ્રેપ્સના બદલે મસ્કાડેલ શબ્દ પ્રયોજ્યો છે. મસ્કાડેલ એટલે સફેદ વાઇન જેમાંથી બનાવવામાં આવે છે એવી દ્રાક્ષની એક જાતિ. બીજો અર્થ મસ્કતની દ્રાક્ષ એવો પણ કરાયો છે, જોકે વિકીપીડિયાને એનો વિરોધ છે. કવિ કહે છે, ક્યારેક વરસો સુધી દ્રાક્ષનો પાક હિમપ્રપાતને જીરવી જાય એવુંય બને. હવામાન સામેની લડાઈમાં ક્યારેક વરસોવરસ દ્રાક્ષ વિજયી નીવડે, ચોતરફ હરિયાળી ફૂલે-ફાલે, પાક પણ નિષ્ફળ ન જાય, માણસ ઊંચુ નિશાન તાકે અને સફળ થાય. બધું થઈ શકે પણ ક્યારેક, કાયમ નહીં! જીવનમાં સૌ પાસાં પોબારા પડે એવુંય બને, પણ ‘ક્યારેક’, હં કે!

કવિનો આશાવાદ આટલેથી અટકતો નથી. વ્યક્તિગત સફળતાઓથી આગળ વધીને તેઓ સમાજ અને સમસ્ત દુનિયાને પણ સાંકળી લે છે. ઇતિહાસમાં કદાચ એકેય પાનું એવું નહીં હોય, જેના પર યુદ્ધના લોહિયાળ છાંટા ઊડ્યા ન હોય! પણ કવિને તો એવો દિવસ નજરે ચડે છે, જ્યારે માણસજાત યુદ્ધથી પાછી પાની કરે. ક્યારેક આમ થશે એવી કવિને આશા છે. ક્યારેક લોકો ચૂંટણીમાં પ્રામાણિક માણસની વરણી કરે એવીય આશા છે. વાસ્તવિક્તા તો એ છે કે આજે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારાઓમાં પ્રામાણિક માણસને શોધવો એ રાતના અંધારામાં ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબર કે ખકુસુમવત્ કાર્ય છે. પણ શીનાઘને તો લોકો સામે ચાલીને પ્રામાણિક માણસોને મત આપીને ચૂંટી કાઢતા હોય એવું રામરાજ્ય દૃષ્ટિગોચર થાય છે. વળી કવિ આપણને એ યુટોપિયામાં લઈ જાય છે, જ્યાં લોકો કોઈ અજાણ્યો માણસ પણ ભૂલથીય ગરીબીમાં સબડે નહીં એની દરકાર કરતા હોય. સગાં ભાઈ-બહેન મિલકત માટે કાપાકાપી પર ઉતરી આવતા હોય એવા ઘોર કળિયુગમાં લોકો સાવ અજાણ્યા માણસો અજાણતાંય નિર્ધન ન રહી જાય એની કાળજી લેતાં હોય એવો સોનાનો સૂરજ કવિને ક્યારેક તો ક્યારેક પણ ઊગતો દેખાય છે. વળી, કવિનો આશાવાદ તો માણસો પોતે જે થવા સર્જાયા હોય એ જ બને ત્યાં સુધી લંબાય છે. આપણી ચોપાસ એવા સેંકડો માણસ નજરે ચડશે, જેઓ બનવા કંઈ માંગતા હોય અને બની કંઈ ગયા હોય. જિંદગી કોને કયા રસ્તે ઢસડી જશે એ કોઈ કહી શકતું નથી. પણ કવિ એ કલ્પદ્વીપ દેખી રહ્યાં છે, જ્યાં દરેક માણસ પોતાની મનોકામનાઓ પૂરી કરી પોતે જે બનવા સર્જાયા હોય, એ જ બને છે.

આગળની પંક્તિઓમાં પણ આ આઠ પંક્તિઓની પુનરોક્તિ જ સંભળાય છે. ક્યારેક એવુંય બનતું હોય છે કે આપણા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રયત્નોના ગળામાં વિધિ સફળતાની વરમાળા પહેરાવે. ક્યારેક એવું બને છે કે આપણે જે કરવા ધાર્યું હોય એ સાચે જ કરી શકીએ. દુનિયાદારીની આડખીલી પગમાં વચ્ચે નડતી નથી. પીગળવા જ ન કરે એવા હઠીલા અને બરફાચ્છાદિત કાયમી દુઃખના મેદાનને ક્યારેક સમયનો સૂર્ય પીગાળી દે છે. અહીં ‘ફિલ્ડ’નો તરજૂમો ‘ખેતર’ કરવા મન લલચાઈ શકે છે કેમકે આગળ દ્રાક્ષ, હરિયાળી અને પાકની વાત આવી ચૂકી છે પણ કારણકે કવિતા એક ખેલાડીને માટે લખાઈ છે, અહીં (રમતનું) મેદાન શબ્દ જ ઉચિત ગણાશે. બીજું, કવિ તો હકીકતમાં બરફ (snow) લખવા માંગતાં હતાં. કેમકે જે ખેલાડી માટે આ લખાયું એ ખેલાડી કોકેઇનનો બંધાણી હતો અને કોકેઇનનો સફેદ રંગનો ભૂકો બરફની છીલ જેવો જ હોય છે. પણ આજે જેમ ઘણાબધા કવિઓ કવિતા લખવા માટે કાગળ-કલમ વાપરવાને બદલે સીધા કમ્પ્યુટર કે હવે તો મોબાઇલમાં જ ટાઇપ કરે છે, એમ આ કવિતા ટાઇપ કરતી વખતે કવિથી ભૂલ થઈ ગઈ અને સ્નૉના સ્થાને સંતાપ (sorrow) ટાઇપ થઈ ગયું. ટાઇપ કરી દેવાયા પછી કવિને મૂળ વિચાર કરતાં આ ભૂલ વધુ ગમી ગઈ એટલે એમણે ભૂલ સુધારી નહીં. હકીકત એ છે કે બરફના સ્થાને સંતાપ શબ્દ જ આ રચનાને કાવ્યકક્ષાએ લઈ જવામાં વધુ સહાયક નીવડ્યો છે. શીનાઘ કહે છે: ‘હું ઘણીવાર મારા કી-બૉર્ડને આ રીતે સર્જનાત્મક પ્રક્રિયામાં જોડાવા દેવામાં માનું છું.’ ભાઈ, વાહ!

બાર પંક્તિની આશાવાદી કવિતાની આખરી અર્ધપંક્તિ આ કવિતાની અપ્રતિમ લોકચાહના માટેનું ખરું કારણ છે. આપણે સૌ જાણીએ છીએ કે આ કવિતામાં જે સુખની વાતો કરાઈ છે એ હકીકતે કોની પર લગાડેલા ગોળ જેવી છે. વાસ્તવમાં તો જીવનમાં મોટાભાગે ખરાબ વધુ ખરાબ જ બને છે, પાક અવારનવાર નિષ્ફળ જાય છે, ધાર્યું નીવડતું નથી, અકારણ યુદ્ધો થતા રહે છે, અપ્રામાણિક માણસો જ ચૂંટાઈને આગળ આવે છે, ગરીબોની અને અજાણ્યાઓની આપણે મોટાભાગે ઉપેક્ષા જ કરીએ છીએ અને આપણામાંથી મોટાભાગનાને એ જ વાતનો અફસોસ હોય છે કે આપણે જે બનવા માટે જન્મ્યા હતા, એ બની શક્યા નથી, મોટાભાગની કોશિશો વ્યર્થ જાય છે, કરવા કંઈ ઇચ્છીએ છીએ અને થાય છે કંઈ, દુઃખના મેદાન કદી સાફ થતા જ નથી, જીવનમાં સુખનો સૂરજ કદી ઊગતો નથી. સરવાળે, જિંદગીમાં સૌને દુઃખ વધુ અને સુખ ઓછાં, નિષ્ફળતા ઝાઝી અને સફળતા જૂજ, લાચારી પુષ્કળ અને આઝાદી થોડાં જ મળ્યા હોવાનો અસંતોષ બહોળો અને ધાર્યું થયું હોવાના સુખ-સંતોષ અલ્પ જ અનુભવાય છે. પણ આ કવિતાની આખરી અર્ધપંક્તિ અમર્યાદિત આશાની વાત કરે છે જે સમગ્ર મનુષ્યજાતિની એકમાત્ર ઝંખના હોવાથી આ અર્ધપંક્તિ કવિતાની સફળતાની ગુરુચાવી બની ગઈ. કવિ કહે છે, જીવનમાં જે બધી જ સકારાત્મક વસ્તુઓ ક્વચિત્ જ ફળતી હોય છે, એ બધી જ કાશ! તમને ફળે! સામી વ્યક્તિ માટે મહત્તમ સુકામનાઓ વ્યક્ત કરતી હોવાના કારણે આ અતિસરળ પંક્તિ લોકોના દિલમાં કાયમ માટે સફળતાપૂર્વક કંડારાઈ ગઈ.

આશા એકમાત્ર એવું તણખલું છે જેના સહારે માનવજાત અસ્તિત્વના પહેલા દિવસથી આજદિન લગી જીવનસાગરમાં તરતી આવી છે અને અસ્તિત્વ ટકશે ત્યાં સુધી એના આધારે જ તરતી રહેશે. જીવનમાંથી આશા કાઢી લો તો શું બચે? પ્રાણવાયુ જે ફેફસાં માટે, એ જ આશા જીવન માટે છે. રાતના અંધારામાં માણસ આંખ મીંચીને માત્રને માત્ર એ જ કારણોસર ઊંઘી શકે છે કે રાત ગમે એટલી અંધારી કેમ ન હોય, સવાર તો પડવાની જ છે. માણસને જો એવી ખાતરી થઈ જાય કે આવતીકાલે સવાર પડવાની જ નથી, તો એ કદાચ ઊંઘી જ ન શકે. બર્નાર્ડ વિલિયમ્સે કહ્યું હતું: ‘એવી કોઈ રાત કે સમસ્યા છે જ નહીં જે સૂર્યોદય કે આશાને હરાવી શકે.’ દુઃખના દિવસો આપણે બેળેબેળે પણ એ કારણોસર જ પસાર કરી શકીએ છીએ કે દિલમાં ઊંડે ઊંડે એ આશા છૂપાયેલી હોય છે કે સુખના દિવસ આવશે જ. ઇસુના ૨૭૦ વર્ષ પૂર્વે થિઓક્રેટસે કહ્યું હતું: ‘જ્યાં જીવન છે, ત્યાં આશા છે.’ ઈસ્લામમાં તો અલ્લાહમાંના ભરોસાને જ આશા કહી છે. શેક્સપિઅર પણ કહે છે કે દુઃખી માણસો પાસે બીજી કોઈ દવા નથી, સિવાય કે આશા. મોટા મોટા મહાપુરુષો અને સંતો કહી ગયા કે આજમાં જીવો પણ માનવજાત પાસે જો આવતીકાલની આશા ન હોય તો એની આજ પણ શૂન્ય જ થઈ જાય. મૃત્યુ ગમે એટલું અફર કેમ ન હોય, માણસ જીવે છે જ એટલા માટે કે એને ખાતરી છે કે એ કાલે સવારે ઊઠવાનો જ છે, ભલે પછી મોઢેથી એ ‘કાલ કોણે દીઠી છે’નું પોપટિયું રટણ કેમ ન કરતો હોય!

સર્જકની સર્જન પરની માલિકી આમેય અલ્પજીવી જ ગણાય. કેવળ સર્જનની પળે જ સર્જક સર્જનનો સ્વામી ગણાય. એકવાર શબ્દો કાગળ પર મંડાઈ ગયા નથી કે એ પરાયા થઈ ગયા નથી. સર્જક મટી જાય છે પણ અક્ષર મટતા નથી, કદાચ એટલે જ આપણે એને અ-ક્ષર કહેતા હોઈશું ને! શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે. એ ‘આવું તમને પણ ફળે’ કહે છે ત્યારે આપણા હાથમાંથી બધા હથિયાર હેઠાં પડી જાત છે અને આપણે આ કવિતાને આશ્લેષમાં લેવા દોડતા હોવાનું અનુભવાય છે. ‘ક્યારેક’ શબ્દ નાની-નાની આશાઓનો સમાનાર્થી બનીને આપણી પાસે આવે છે. આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *