ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા
સહર્ષ યોજે છે

‘સ્વર્ણિમ ગુજરાત’નો ઉમંગ, સાહિત્યનો સત્સંગ અને રામકથાનો સંગ
દિવસે શ્રી મોરારી બાપુની રામકથા અને
સાંજે સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો
સમન્વય સાધતા સાંસ્કૃતિક કાર્યક્રમો…

રવિવારે જૂનની છઠ્ઠીએ ‘સર્જકો સાથે સાંજ’ કાર્યક્રમના અંતે શ્રી રામ ગઢવીએ ગુજરાતી લિટરરી એકેડેમી (GLA) દ્વારા એડિસન, ન્યુ જર્સીમાં યોજાનારી પૂજ્ય શ્રી મોરારીબાપુની આગામી રામકથા વિશે જણાવ્યું હતું. અમેરિકામાં થતી સાહિત્યિક પ્રવૃત્તિને વેગ આપવા માટે ‘સ્વર્ણિમ ગુજરાત’ નિમિત્તે શ્રી મોરારીબાપુએ લીધેલાં પાંચ સ્વર્ણિમ કથા-મણકાના સંકલ્પમાંથી બીજા કથા-મણકાને ખાસ GLAનાં સંચાલન હેઠળ એડિસન, ન્યુ જર્સીમાં આપવાનું નક્કી કર્યુ છે. આ રામકથા પણ ગુજરાતી સાહિત્યને લગતી જ હશે. શ્રી મોરારીબાપુના નામની સાથે ‘ગુજરાતી સાહિત્ય’ નો ઉલ્લેખ થતાં જ તમને મહુવામાં થતા ‘અસ્મિતા પર્વ’ ની યાદ આવી ગઈ ને?! તો બસ, એમ જ સમજો કે આપણા માટે એ અસ્મિતા પર્વ અહીં ઘર આંગણે આવી રહ્યું છે.
આ રામકથા જુલાઈની 3જી થી 11મી તારીખ સુધી યોજવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે સમય બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીનો રહેશે અને બાકીના દિવસોમાં રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. રામકથાના બીજા દિવસથી રોજ સાંજે 7 થી 10 વાગ્યા સુધી સાહિત્યને લગતા કાર્યક્રમો યોજાશે. જેમાં કવિ સંમેલન, સુગમ સંગીત, લોક સંગીત, ગઝલ-ગીત, તેમ જ ‘મેઘાણીથી મરીઝ સુધી’ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને છેલ્લા દિવસે રાસ-ગરબા થશે.
કવિ સંમેલનમાં ગુજરાતથી આવનાર કવિઓ અને અમેરિકા નિવાસી કવિઓનો સમાવેશ થશે. ગુજરાતથી આવનાર કવિઓમાં શ્રી સુરેશ દલાલ, શ્રી રઘુવીર ચૌધરી, શ્રી માધવ રામાનુજ અને શ્રી ખલીલ ધનતેજવી, શ્રી ચીનુ મોદી ઉપરાંત શ્રી પ્રણવ પંડ્યા અને શ્રી અંકિત ત્રિવેદી પણ હાજરી આપશે. અમેરિકા નિવાસી કવિઓમાં શ્રી પન્ના નાયક, શ્રી ચંદ્રકાંત શાહ, શ્રી અશરફ ડબાવાલા, શ્રી મધુમતી મહેતા, શ્રી નટવર ગાંધી, શ્રી નિલેશ રાણા, શ્રી પ્રીતિ સેનગુપ્તા તેમ જ શ્રી મોના નાયક ‘ઊર્મિ’ નો સમાવેશ થાય છે. કવિ સંમેલનનું સંચાલન અંકિત ત્રિવેદી કરશે.
સુગમ સંગીત અને લોક સંગીતમાં શ્રી ભીખુદાન ગઢવી અને શ્રી સરોજબેન ગુંદાણી જેવા પીઢ ગાયકોની સાથે શ્રી નયન પંચોલી, શ્રી નયનેશ જાની અને શ્રી ઓસમાન મીર જેવા ગાયકો પણ હાજરી આપશે.
