સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા? – ઊર્મિ

hpim0081-sml

(માહતાઈ મેરુની કે ખીણની ?… Lake George, NY… 22 ઑગષ્ટ 2005  Photo: Urmi)

*

આભ ધરાનાં
ક્ષિતિજે સરવાળા-
એ કોણે કર્યા?

*

શબ્દને બોલ, નખરાળા કોણે કર્યા?
અર્થને આમ અણિયાળા કોણે કર્યા?

મેરુની માહતાઈ તો છે ખીણથી,
મોભનાં આમ સરવાળા કોણે કર્યા?

જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
ભર અમાસે આ અજવાળા કોણે કર્યા?

તેં રચી સૃષ્ટિ કેવી આ સોહામણી!
તો પછી આંખે પરવાળા કોણે કર્યા?

પંચતત્ત્વોથી નશ્વર તેં કાયા ઘડી,
પણ મંહી નેહનાં માળા કોણે કર્યા?

આપણો તો હતો મૂળ એક જ ધરમ,
પંથનાં તો આ ઘટમાળા કોણે કર્યા?

જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

16 replies on “સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા? – ઊર્મિ”

  1. અણિયાળા શબ્દોથી ઊર્મિબેને ઘાયલ કર્યા.

  2. ખૂબ સંયમીત શબ્દોમાં અને શૈલીમાં પણ સંપૂર્ણ અર્થને વ્યક્ત કરતી સુંદર ગઝલ.

  3. જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
    એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

    હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
    સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

    કવિતામા જે શબ્દ પ્રયોગ થયા છે તે અદભુત છે..Non Traditional words સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

  4. જેને મોઘમ ગણી સાચવ્યા મે હતા,
    એજ સ્મરણો ને પગપાળા કોણે કર્યા?
    સરસ.

  5. જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
    એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

    હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
    સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

    આ બ્ંને શેર બહુ ગમ્યા…..

  6. સુંદર ગઝલ…

    જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
    ભર અમાસે આ અજવાળા કોણે કર્યા?

    જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
    એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

    હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
    સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

    – આ ત્રણ શેર ગમ્યા…

  7. Very Nice !!

    હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
    સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

  8. આધુનિક ગુજરાતી કવિતાના (બહુધા) અર્થવિહિન અડાબીડ અરણ્યમાં ‘ઊર્મિ’ની આ અર્થસભર છંદોબધ્ધ રચના જુઈની વેલની જેમ તાજગી અને ગઝલની અસલી મહેક લઈને આવી છે.

    આમ તો આખી ગઝલ જાનદાર છે પણ આ બે શેર વાંચીને વારંવાર ‘વાહ વાહ’ બોલાઈ જ જવાયું.

    જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
    ભર અમાસે આ અજવાળા કોણે કર્યા?

    આપણો તો હતો મૂળ એક જ ધરમ,
    પંથનાં તો આ ઘટમાળા કોણે કર્યા?

    આ ચોટદાર શેરોના મોતીઓને કોઇ સમર્થ સંગીતકાર સ્વરોની માળામાં પરોવી મા ગુર્જરીના કંઠને આભૂષિત ન કરી શકે?

    – શાન્તિલાલ નાકર

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *