કવિતા – પન્ના નાયક

હું શૂન્ય થઇ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાવાળું એક પંખી બેઠું
મને તો એમ કે
એ પલકમાં ઊડી જાશે.

ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો
મારા શ્વાસમાં એને ધબકવું’તું
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.

એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પ્રસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી
વાતથી
મારા ઘા રૂઝાવા માંડ્યા.
ત્યાં
એને શું ય સૂઝ્યું
કે
મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
ભર ચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.

હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
મારી પાસે નથી
અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે…

– પન્ના નાયક

17 replies on “કવિતા – પન્ના નાયક”

  1. મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
    ભર ચાંદનીએ મને બળતી મૂકી
    એ ઊડી ગયું.
    સ રસ
    યાદ
    હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
    માનસરના હંસ જેવું પણ મળે.

  2. ઑ નીલ ગગનના પન્ખેરુ……
    અથવાતો જીવનકે સફરમે રાહી મિલતે હૅ બિઝડ જનેકૉ….

  3. વ્યક્તિ ઇચ્છે કઇક અને પામે કઇક ઔર….અને છતા…..

    હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
    મારી પાસે નથી
    અને છતાંય
    કોણ જાણે કેમ
    વૃક્ષની ડાળેડાળ
    એના ભારથી લચી ગઈ છે…

  4. ગનીચાચાની એક પંક્તિ યાદ આવી ગઈ:

    ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે,

    ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે!

  5. સુંદર કાવ્ય. ‘મુખમાં તણખલાવાળું એક પંખી’ દ્વારા કાવ્ય નાયિકા સાથે સંલગ્ન એવાં કોઈ પણ સ્વજન, ઘટના કે અનુભૂતિની તીવ્રતા અનુભવી શકાય છે.

  6. જીદગીંમાં કેટલાયે પડાવો ઍવા હોય છે જે ફરી પાછા કયારેય આવતા નથી પણ આપણા જીવનને સભર કરી જાય છે.માળો અને પંખીની વાત કહીને પન્નાબેને ખાલીપણાને ભરી જતા અનુભવોની વાત સરસ રીતે કરી છે.
    – ને છતાં કોણ જાણે કેમ
    વૃક્ષની ડાળેડાળ એના ભારથી
    લચી ગઈ છે.

  7. આજના જમાના ની વાત છે.લોકો માળો તો બંધે છે પણ તેને નિશ્ઠુરપણે તોડી પણ નાંખે છે. ખુબ જ સુન્દર કવિતા

  8. ‘કવિતા’

    હેમંત પુણેકરને પુછાયેલ પ્રશ્ન, “કવિતા એટલે શું?”

    મને એનો જવાબ આજે પણ યાદ છે ..

    ત્યારથી મેં અછાંદસ નામનાં જોડકણાં લખવાનું છોડી દીધું

    “માનવ”

  9. આજ કાલ તો હવે કોઈના મનમા પણ માળૉ
    બાંધવા મટે પંખીઓ તલસે તો તેમને
    કોઈ જગ્યા દેતું નથી……બાકી સિમેન્ટના
    જંગલોમાં માળા જગત તો અલોપ થઈ ગયું છે….

    ક્યાં હવે એ વૃક્ષ, ડાળી ને ઘટા
    ચાંચમાં માળો વસાવે પંખીડાં

  10. આજ કાલ તો હવે કોઈના માનમા પણ માળૉ
    બાંધવા મટે પંખીઓ તલસે છે, પણ તેમને
    કોઈ જગ્યા દેતું નથી……બાકી સિમેન્ટના
    જંગલોમાં માળા જગત તો અલોપ થઈ ગયું છે….

    ક્યાં હવે એ વૃક્ષ, ડાળી ને ઘટા
    ચાંચમાં માળો વસાવે પંખીડાં

  11. ખુબ જ સુન્દેર !!!!ના, એને તો
    મારી ડાળ પર માળો બાંધવો’તો
    મારા શ્વાસમાં એને ધબકવું’તું
    ભવભવની ઓળખ
    આંખને આપવી’તી.

Leave a Reply to વિવેક ટેલર Cancel reply

Your email address will not be published. Required fields are marked *