ના, ના, નહીં આવું, મેળે નહીં આવું… – હરીન્દ્ર દવે

સ્વર : લતા મંગેશકર
સંગીત : દિલીપ ધોળકિયા
melano thaak

.

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે;
મારે વહેતે ગળે ન હવે ગાવું,
મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?
ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?
ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?
સખી, અમથું અમથું ક્યાં અટવાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?
એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?
કહો એવા વેરાને કેમ જાવું,
મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
મેળાનો મને થાક લાગે.

–  હરીન્દ્ર દવે

———————

ફરમાઇશ કરનાર મિત્ર : ડૉ. ચિરાગ પટેલ.

25 replies on “ના, ના, નહીં આવું, મેળે નહીં આવું… – હરીન્દ્ર દવે”

  1. સુન્દેર અવાજ સુન્દેર સબ્દ રચના મન્મોહક કર્ન્પ્રિય

    મન્મોહક કર્ન્પ્રિય્

  2. ખૂબ જ સરસ રચના… એમ થાય કે વારંવાર સાંભળીએ…. આવા મોતીડા સહુને સહેલાઇથી ઉપલબ્‍ધ થાય તે રીતે મુકવા માટે ખાસ અભિનંદન…અતુલ

  3. દિલીપભાઈના સ્વરાંકનોનો એક અલગ અંદાજ છે!અને એમાય લતાજીનો સુમધુર કંઠ ભળે એટલે રચના અવિસ્મરણીય બની જાય….અભિનંદન
    વિહાર મજમુદાર વડોદરા

  4. સુન્દર રચના….આ ગેીત મે ગરબા આ સમ્ભલ્યુ હતુ અને એત્લુ ગમ્યુ તો અહિ સમ્ભ્લ્યુ જો બનિ સકે તો અઅ સોન્ગ ગરબા ન સ્વરોૂપ મઆ કોઇ મોકલિ સકે તો ખુબ અભર અપ્નો..

  5. મારા શહેરમા આજકાલ મેળાનો માહોલ છે ત્યારે મારા મિત્રને કહેવાનુ કે,

    ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,
    મેળાનો મને થાક લાગે…….

    કારણ???????

  6. લતજિએ ગાએલા ગિતોમાનુ આએક ભાવભર્યુ અતિ સુન્દર ગિત સમ્ભળાવ્યા માટે આપનો ખુબ ખુબ ધન્યવાદ…આ ગિત હુ નાનપણમા ખુબ ગાતિ હતિ…કોલ્હાપુરમા આવ્યાબાદ ૨૦ વર્શ બાદ ફ રિ સામ્ભળ્યુ….મઝાપડિ ગઈ….!

  7. ખરૂં જીવન જ માટીમાં છેૢ
    ડામરની સડકે નહીં !

    મેળાની મહેંક
    અને
    તોફાની દિલોની અવળાઈઓ..

    જીવન ત્યાં ધબક્યું છે ક્યારેક્..
    અફસોસ..

    હવે તે મેળાની ઓળખ કચડાઈ છે
    મોલ-ના કાટમાળ તળે !

    ડૉ. હર્ષદ ડી વૈદ્ય
    એમ ડી ( ગાયનેક )
    ખેરાલુ જિ મહેસાણા

  8. small correction. Second stanza delete “jene mane heri” insert “jeni mane gheli”.

    Third stanza delete ” safo kyanya chhalkyo” insert “safo kyanya farakyo”

  9. જેવું મજાનું ગીત, એવો જ મજાનો આસ્વાદ પણ કરાવ્યો…. વાહ, શ્રીમાન રીડરજી…

  10. ‘એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?
    એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?
    એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?’

    ત્રણ જ લીટી, અને એક આખું ચિત્ર ખડું થઇ જાય છે આંખ સામે!

    • હરીન્દ્ર દવે એટલે મીઠા દિલના માણસ. જાણે કૃષ્ણના મનની વાતો આપણને કવિતા મારફત સંભળાવે. તેમની કવિતાઓ થી સાહિત્ય સમૃધ્ધ થયુ છે.

  11. કેટલાંક કાવ્યો એકદમ સરળ અને ભાવમય હોય છે જ્યારે કેટલાંક કાવ્યો સમજવા મુશ્કેલ બને એવાં હોય છે, કોઈ આપણને એ સમજાવે તો ખબર પડે અને પછી એ ખૂબ ગમવા લાગે. સાદા સીધા ચકરડા વાળા ફોન એવા કે ચકરડું ઘૂમાવી નંબર લગાવો કે તરત વાત થઈ જાય, જ્યારે latest iphone જેવા mobile phone પરથી વાત કરવા માટે manual વાંચવું પડે. આમ જોવા જઈએ તો હરીન્દ્ર દવેનું આ ગીત ચકરડા વાળા ફોન જેવું છે. સુંદર સરળ શબ્દો અને સીધું હ્રદયને સ્પર્શી જાય.

    મેળામાં જવા પગ ઉપડતા નથી, સહીયરો બોલાવવા આવી છે તો એને કહી દેવાય છે કે સખી, અમથું અમથું ક્યાં અટવાવું, મેળાનો મને થાક લાગે! કારણ કે ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી? ક્યાં એ નજરું કે જેણે મને હેરી? જ્યાં પ્રીતમ નથી એ સંસાર અસાર લાગે છે એ જ વાત અહીં કહી છે, પણ કાવ્યનું આ કથાવસ્તુ બહુ સરસ રીતે એક બીજી વાત ગર્ભિત રીતે કહી જાય છે એની વાત આજે કરવી છેઃ પ્રેમનું દ્વૈત છે ત્યાં ગતિ છે, ત્યાં જીવન છે, અને એવું જીવન એ સજા નહીં પણ મજા બની રહે છે.

    પ્રેમ કરવા માટે “કોઈ” જોઇએ જ, કાંઇ ઓરડાના અવકાશને પ્રેમ કરાય નહીં. પ્રેમીનું હોવું એ અત્યન્ત આવશ્યક છે. પ્રેમી છે તો પ્રેમ છે, અને પ્રેમ છે તો જિન્દગીનું પ્રયોજન છે, અને પ્રયોજન છે તો આનંદ છે, અને આનંદ છે તો પ્રેમીને ફરી ફરીને મેળવવાની અભિલાષા છે. આપણે એકબીજાના જનમોજનમના સાથ માંગતા પ્રેમીઓને જોયા છે એમની પાછળ આ જ ગણિત છે. અગર પ્રેમી નથી તો પછી લાખો લોકોનો મેળો પણ થાક લગાડતું વેરાન લાગે છે, અને પ્રેમી હોય તો લાખો લોકોનો મેળો મધમીઠું એકાન્ત લાગે છે! એવા એકાન્તમાં લોકો નહીં પણ ક્યાંક દૂરથી આવતી નજર ઘેરી વળે છે, એ નજરની પાછળનો પ્રેમ ભીંજાવી નાખે છે. એ પ્રેમમાં જબરજસ્ત તાકાત હોય છે, પ્રેમ ક્યારેય લાચારી બની શકે જ નહીં કારણ કે પ્રેમ એ તો ભગવાને જ માણસને દીધેલું અમૂલ્ય પાથેય છે. મેળાની બધી ચીજવસ્તુઓ જેમ કે ચકડોળમાં કોઈની સાથે બેસવું, એક ગ્લાસમાં કોઈની સાથે juice પીવો, ગરબા કે લોકનૃત્યમાં થાકીએ ત્યાં સુધી નાચવું, કોઈનો ખોવાયેલો ખેસ શોધીને ના આપવો કે પછી કોઈના વાળમાં વેણી ગૂંથી દેવી, મેળાની કોઈ નક્કી કરેલી જગ્યાએ કલાકો રાહ જોતાં જોતાં કાગળ લખવો, એ ચૈતરવૈશાખના મેળાની ઊની ઊની રાતના કોઈના પરસેવાની સુગંધ ભરી લેવી- આ બધાનો એક વિશેષ અને મનગમતો અર્થ આપણને મળતો હોય છે જો એ મેળામાં આપણા મનનો માણીગર હોય તો! બિલકુલ એ જ રીતે આ જીવનમાં પણ રોજેરોજ થતી એકે એક ઘટનાઓનો અને સંસારની એકે એક વસ્તુઓનો એક વિશેષ અને મનગમતો અર્થ આપણને મળે છે જો આપણી સાથે આપણો પ્રેમી હોય તો…..નહીં તો આ દરિયો ખારો જ છે! જીવનને સાગરની ઉપમા આપવામાં આવે છે. પ્રેમી હોય તો પણ જીવન સાગર છે, અને પ્રેમી ના હોય તો પણ જીવન સાગર છે- ફરક માત્ર એટલો કે પ્રેમીનો દરિયો એ ઉપર આભમાં રહેલા ઘનશ્યામ વાદળોનો મીઠો દરિયો છે, જ્યારે પ્રેમ ન કરનારા અભાગિયા માટે જમીન પરનો ખારો દરિયો જીવનરૂપ બની રહે છે!! ખરેખર, જીવનમાં કોઈ એક હોવું જોઈએ જેને આપણે અનહદ પ્રેમ કરતા હોઈએ!

    મેળામાં તો આપણે બધા આવી જ પહોંચ્યા છીએ, આ સંસાર એક મેળો જ છે, પ્રેમનું ઝરણું પણ આપણી પાસે છે જ- જરૂર છે એ જનમોજનમના પ્રેમીની. એવો પ્રેમી કે જેની સંગે આપણે આ મેળામાં મ્હાલીએ, મસ્તી કરીએ, ખીલી ઊઠીએ. એવો પ્રેમી કે ફક્ત એના માટે જ આપણું જીવન ઘસાય, આપણી ધડકન, શ્વાસ, ગતિ સઘળું બસ એ જ હોય. એ ના હોય તો આપણાં પ્રાણ ચાલ્યા જાય એટલા ગતિશૂન્ય આપણે થઈ જઈએ છીએ. કોણ છે આવો પ્રેમી?

  12. 1968માં લતા મંગેશકરે ગાયેલા આ મધુર ગીતના સંગીતકાર-સ્વરકાર દિલીપ ધોળકિયા છે….very very nice song it is!!

  13. સરસ રચના….
    મન ના માણીગર વગર તો મેળા મા થાક લાગે જ ને…….

    વાહ મઝા આવી ગઈ… ..સાંભળી ને મારો થાક તો ઉતરી ગયો.

Leave a Reply to N R VAGHELA Cancel reply

Your email address will not be published. Required fields are marked *