માઇલોના માઇલો મારી અંદર – ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર જોશી ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં, શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.

જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, આંગણા ઓકળી-લીંપેલા
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે….

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયા કરે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બધ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા કવાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીંધા કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો,
ધરતીની દ્યુતિ – અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો,
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

11 replies on “માઇલોના માઇલો મારી અંદર – ઉમાશંકર જોશી”

  1. શ્રી ઉમાશંકર જોષી ની ” સગા દિથા શેરિઓ મા ભિખ માન્ગતા”
    આજકાલ ચીલા ચાલુ ગઝલ અને ગીતોના ઢગલામાં આવા અમૂલ્ય કાવ્યો ખોવાઇ ગયા છે.
    એ મળેી શકે તો મુકશો
    અતિઅદભુત રચના….!!!
    આભાર્
    ….જૈનુદ્દિન સુવાન્…..
    ધારિ….

  2. જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
    ઝૂંપડીઓ, આંગણા ઓકળી-લીંપેલા
    છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
    વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
    સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
    માઇલોના માઇલો મારી આરપાર પસાર થયા કરે…….અતિઅદભુત રચના..વાહ..!!!

  3. સૌમ્યએ (સૌમ્ય જોશેી) આ કવિતાનુ પઠન કોઈ કાર્યક્રમ માટે કરેલુ, એ મળેી શકે તો મુકશો

  4. ઉમશંકર જોશી ગુજરાતનુ નાક છે. આજે ગલીએ ગલીએ કવિઓ ફૂટી નિકળ્યા છે. જ્યા જુઓ ત્યા લોકો પોતાના રચેલા જોડકણા અને “તારા વિના હુ દીવાનો”, “તારા પ્રેમ મા હુ પાગલ” જેવા તઘલખી લખાણો લખી તેને “કાવ્ય” નામ આપે છે. અને જાણે પાછા પોતે કવિ બની ગયા હોય તેમ રુઆબ મા રાચે છે. હુ તેવા બધાઓને જણાવવા માગુ છુ કે ઉમાશંકર જોશી રચિત બે શબ્દો પણ વાંચે…એટલે ખ્યાલ આવે કે કવન કોને કહેવાય!

  5. મા. ઉ.જો. ના કાવ્ય બાબતે કાંઇ પણ કહેવાની પાત્રતા ન હોવા છતાં,……
    વાહ, અદભુત.

  6. અત્રે તેમની એક કવિતા યાદ આવે છેઃ
    ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
    જંગલની કુંજ કુંજ જોવી હતી;
    જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
    રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
    ……

  7. ત્યાં પાસે કન્યાના ઝભલા પર
    વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું……….
    સુંદર ગીત!
    આભાર

  8. બહુ જ સુંદર કાવ્ય. આજકાલ ચીલા ચાલુ ગઝલ અને ગીતોના ઢગલામાં આવા અમૂલ્ય કાવ્યો ખોવાઇ ગયા છે.

  9. ઉમાશંકર જોશી ગુજરાતી કવિતાના આધાર-સ્તંભ સમા છે… આજે ગઝલ અને ગીતોની ભરમાર વચ્ચે કોઈક પંખી આવો મજાનો ટહુકો કરી જાય ત્યારે કાન ધન્ય થતાં હોય એવું લાગે… આભાર !

Leave a Reply to પંચમ શુક્લ Cancel reply

Your email address will not be published. Required fields are marked *