અમારો ગુણિયલ ગુર્જર-દેશ – ન્હાનાલાલ કવિ

આજે ગુજરાતના મહાકવિ શ્રી ન્હાનાલાલની પુણ્યતિથિ. (જાન્યુઆરી ૯, ૧૯૪૬). ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને આ વર્ષે ૨૦૧૦માં ૫૦ વર્ષ થશે, એટલે ગુજરાત અને ગુજરાતીઓ આ વર્ષે સ્વર્ણિમ ગુજરાત ઉજવી રહ્યા છે, તો ટહુકો પર પણ આપણે વારેવારે ગુજરાતગીતો વાંચતા – સાંભળતા જ રહીશું.

તો આજે કવિ શ્રી ન્હાનાલાલને શ્રધ્ધાંજલી સાથે માણીએ આ મઝાનું ગુર્જરગીત..!

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !
અમારો ગુણિયલ ગુર્જ-દેશ.

કૃષ્ણચંદ્રની કૌમુદી ઊજળો, કીધ પ્રભુએય સ્વદેશ…ધન્ય.

આર્યનું સાગરતીર્થ પુરાણ,
તપોવન ભૃગુવસિષ્ઠના ભાણ;
ગીતાના ગાનારા મહારાજ
પાર્થના સારથિનાં જ્યાં રાજ્ય;
ગ્રીસરોમથીય જૂના કુરુપાંડવથીયે પ્રાચીન,
સોમનાથ,ગિરિનગર,દ્વારિકા;
યુગયુગ ધ્યાનવિલીન.
ઊભીને કાલસિન્ધુને તીર બજાવે બંસરી ભવ્ય સુધીર…ધન્ય.

સ્થળેસ્થળ નવ પલ્લવના પુંજ,
નદીને તળાવ કેરી કુંજ;
કોમળી કવિતા સમ સુરથાળ
સિન્ધુ જ્યાં દે મોતીના થાળ;
જૂગજૂનાં નિજ ગીત ગર્જતો, ફરતો સાગર આજ;
કેસર ઊછળી ઘૂઘવે ગરવો વનમાં જ્યાં વનરાજ:
ગિરિગિરિ શિખરશિખર સોહન્ત
મંન્દિરે ધ્વજ ને સન્તમહન્ત…………………..ધન્ય.

પૂર્વથી પશ્ચિમ વહે પ્રકાશ,
વ્હાણ ભરી વહેતી તેમ નિકાસ;
મોહી આંગણ ઊતર્યો જ યુરોપ,
વીણવા વાડીના ફૂલ-રોપ;
વીણી ન વણસે પુણ્યપાંગરી
અમ રસભૂમિની છાબ;
જગમોહન મુંબઈનગરી જુઓ !
શું પાથર્યો કિનખાબ;
નિત્ય નવ ફૂલે ખીલે અભિરામ
લક્ષ્મીમ્હોર્યાં લક્ષ્મીનાં ધામ…………………….ધન્ય.

ચોળી, ચણિયો, પાટલીનો ઘેર,
સેંથલે સાળુની સોનલ સેર;
છેડલે આચ્છાદી ઉરભાવ,
લલિત લજ્જાનો વદન જમાવ;
અંગ આખેયે નિજ અલબેલ;
સાળુમાં ઢાંકતી રૂપની વેલ;
રાણકતનયા, ભાવશોભના, સુંદરતાનો શું છોડ ?
આર્ય સુન્દરી ! નથી અવનીમાં તુજ રૂપગુણની જોડ:
ભાલ કુંકુમ, કર કંકણ સાર,
કંથનાં સજ્યાં તેજશણગાર………………………..ધન્ય.

ખેતરો નાનાં, નાની શી પોળ,
નાતજાતે નાનડિયાં ઘોળ;
ક્ષત્રીજાયાનાં નાનલ રાજ્ય,
ધર્મના નાનકડા જ સમાજ;
વૃદ્ધ ચાણક્યે, વર્ણ્યાં પૂર્વે નાનાં પ્રજાનાં તંત્ર,
એહ પુરાતનના પડછાયા આ આમ જીવનજંત્ર:
એક ફૂલવેલે ફૂલતાં ફૂલ,
અમારી એક સુગન્ધ, અમૂલ………………………ધન્ય.

દેશ નિજ તજી ધર્મને કાજ
સાગરે ઝુકાવ્યું સફરી જહાજ;
ધર્મવીર પારસીનો સત્કાર
જગતઇતિહાસે અનુપ ઉદાર;
ઈસ્લામી જાત્રાળુનું આ મક્કાનું મુખબાર;
હિન્દુ મુસલમિન પારસીઓને અહીંયાં તીરથદ્વાર;
પ્રભુ છે એક, ભૂમિ છે એક,
પિતા છે એક, માત છે એક,
આપણે એકની પ્રજા અનેક……………………….ધન્ય.

નથી રમી શમશેરોના દાવ,
નથી ત્યમ ઘણા ઝીલ્યાયે ઘાવ;
શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની માંહ્ય
લીધાં વ્રત જાણે હજીય પળાય;
એક ઈડરના વનકેસરીએ, ભડવીર બાપ્પારાવ,
વિશ્વવંદ્ય સૂરજકુળ સ્થાપી ચિતોડ કીધ યશછાંવ:
જન્મભૂમિ દયાનંદનાં ધામ,
ગાંધીનાં ગીતાજીવન નિષ્કામ…………………….ધન્ય.
સુરતના રસિક રંગીલા રાજ,
બુદ્ધિધન ભર્યો શ્રીનગરસમાજ;
શૂરવીર સૌરાષ્ટ્રી યશવાન,
કચ્છનાં સાહસિક સંતાન;
ખંડખંડ વિસ્તરતો હિન્દી મહાસાગર મહારેલ,
તીરતીર જઈ સ્થાપી ગુર્જરી સંસ્થાનોની વેલ;
મહાસાગરનાં પૃથ્વી-વિશાળ
સરોવર કીધાં ગુર્જરી-બાળ…………………………ધન્ય.

વનેવન લીલો ઘટાસોહાગ,
જગતનો દીપે શું અમૂલખ બાગ !
સજાવ્યા જઈને રસશણગાર,
લતામંડપ સમ ધર્માગાર:
ભારતીએ કંઈ ફૂલ-ફુવારો અંજલિમાં શું લીધ !
દિશદિશમાં ફૂલધાર ઉડાવી દિલનાં પરિમલ દીધ !
હિન્દમાતની લાડીલી બાળ !
ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ.

ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !

– ન્હાનાલાલ કવિ

( આ ગુર્જરગીત શોધીને આપણા સુધી Net-ગુર્જરી પર લાવવા માટે જુગલકાકાનો ખૂબ ખૂબ આભાર )

8 replies on “અમારો ગુણિયલ ગુર્જર-દેશ – ન્હાનાલાલ કવિ”

  1. વનેવન લીલો ઘટાસોહાગ,
    જગતનો દીપે શું અમૂલખ બાગ !
    સજાવ્યા જઈને રસશણગાર,
    લતામંડપ સમ ધર્માગાર:
    ભારતીએ કંઈ ફૂલ-ફુવારો અંજલિમાં શું લીધા !
    દિશદિશમાં ફૂલધાર ઉડાવી દિલનાં પરિમલ દીધા!
    હિન્દમાતની લાડીલી બાળ !
    ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ.

    ધન્ય હો ! ધન્ય જ પુણ્યપ્રદેશ !……..

    ગુજરાતના મહાકવિ શ્રી ન્હાનાલાલની પુણ્યતિથિની સુંદર અંજલિ.
    ગુર્જરી! જય! જય! તવ ચિરકાળ.

  2. “ગુનિઅલ ગુર્જર દેશ્”નાન્હાલાલ કવિ નુ આ ગેીત જો ગવયેલુ સામ્ભલવા મલે તો સોનામા સુગન્ધ્હ ભલે!સથે નેત ગુર્જરિ જુગલ ભૈ નુ પન માન્યુ..આભર જેીસ્કે મઝ આવિ ગૈ..

  3. ન્હાનાલાલ કવિ ,ગુર્જર ધરા અને સાહિત્યનું ગૌરવ.
    સુંદર ગીતથી મન ટહુંકી ઊઠ્યું,અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *