સાંભરણ – માધવ રામાનુજ

સ્વર : વિભા દેસાઇ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

radha_awaits

.

રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.

આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં
ને વેળામાં વીખરાતાં રેશું.

છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો વેળુમાં વીરડા ગળાવજો.

આઠમની ધોધમાર મધરાતે એક વાર
પાનીએ અડીને પૂર ગળશે,
પાણીની ભીંતો બંધાઈ જશે
ગોકુળને તે દી’ ગોવાળ એક મળશે.

લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

પૂનમની એકાદી રાતના ઉજાગરાને
સાટે જીવતર લખી જાશું,
અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
તો હૈયું વીંધાવીને ગાશું.

ભવભવની પ્રીતિનું બંધાણી ભેટે તો વનરાવન વાટે વળાવજો!
લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ, મોરપીંછિયુંને ભેળી કરાવજો.

આભાર : ઊર્મિસાગર

13 replies on “સાંભરણ – માધવ રામાનુજ”

  1. એક વાચક ભાઇ ના વિસ્તારથી્ કરેલા વર્ણન ને કારણે કાવ્યને સમજવાનો અને વારંવાર વાંચવાનુ મન થાય છે

    આભાર,

    નવીન કાટવાળા

  2. એક બિજુ ગેીત ચ્હે જેના શબ્દો ચ્હે ‘ગોકુલ મા કોક વાર આવો તોહ કાન્ હવે રધ ને મુખ ના બતાવશો’ બને તો આ ગેીત અને એન શબ્દો પોસ્ત કરો..

  3. કાશીનો દિકરો જોયુ ત્યારે ખૂબ ગમ્યુ તુ.માધવ રામાનુજ્ નુ સુન્દર ગીત.વિભાબેનનો સુન્દર મીત્થો સ્વર મજા પડી.

  4. ROI ROI AANSOO NI UMATE NADI TO – WRITTEN BY MADHAV RAMANUJ AND SUNG BY VIBHA DESAI IS NOT A COMPOSITION OF MALOVE DIVATIA BUT MY FATHER LATE SHRI KSHEMOO DIVATIA’S COMPOSITION AND IT WAS RECORDED FOR HIS GUJARATI FILM – KASHI NO DIKRO.THIS IS FOR YOUR CORRECT INFORMATION.
    MALOVE DIVATIA
    AHMEDABAD
    2ND MARCH , 2010

  5. i know shree madhavbhai from my young age.i have seen him as student,poet,prof.and pricipal in one institutei.e.c.n.vidyavihar very soft and loving nature and due to kavi he is having smiling face.

  6. માની લો કે તમારી પ્રિય વ્યક્તિ તમારાથી દૂર છે…અને તમારે એને તમારી પાસે ફરીથી લાવવી છે, તમારી પાસે જ રાખવી છે, તો તમે શું કરો? અંહં, અહીં postમાં ના લખતા કે તમે શું કરો, we wish કે તમારા એવું કરવાથી તમારું પ્રિયજન તમારી પાસે આવે….પણ આ પ્રશ્ન જો ગોપીને પૂછવામાં આવ્યો હોય તો એ શું જવાબ આપે? કવિ ક્યારેક વનરાવનની વાટે ફરતા હશે અને એમને ગોપીનો જવાબ આ કાવ્યરૂપે મળી ગયો હશે!

    પ્રેમની અનુભૂતિ કોઈને પત્રથી થાય, કોઈને ફૂલથી થાય, કોઈને સ્પર્શથી થાય, કોઈને હજારોના ટોળા વચ્ચેથી આવતી નજરથી થાય, કોઈને કૃતિથી થાય; પણ આ પ્રેમની અનુભૂતિની પરાકાષ્ઠા કેવી રીતે વ્યક્ત થાય? આંસુથી!! આંસુમાં પ્રેમનું સર્વસ્વ સમાયેલું હોય છે. ગોપીનો કૃષ્ણપ્રેમ એટલે મિલન અને વિરહ બન્ને. કાળજાના ટૂકડા જેવો ક્હાન દ્રારકા જતો રહે પછી અહીંતહી એને શોધતી એ ઘેલી આંસુડા સારે છે. કારણ? એને એનો કહાન પાછો જોઈએ છે. કહાનને પાછા બોલાવવાના અનેક ઉપાયોમાંનો એક ઉપાય આ ઘેલીના મન પર સવાર થઈ ગયો છે કે કહાનને ગોકુળ, વનરાવન, મોરપીંછ બહુ જ ગમે છે, તો હું મારી જાતે આ ગોકુળ, વનરાવન ઊભાં કરું…તો કહાન જરૂર પાછો આવશે!! આપણે પણ આપણા મનગમતાને પાછા બોલાવવા એને નથી કહેતા કે “તને જે ગમે છે તે તને આપીશ, તને જે ગમે છે તે હું કરીશ, તને જ્યાં ગમે છે ત્યાં તને લઈ જઈશ. તમે કહો તે સાચુ વ્હાલમ્..પણ એક વાર પાછો આવી જા!!”…એમ ગોપીને હવે કહાનને પાછો લાવવો છે એટલે એ પ્રતિસૃષ્ટિનું નિર્માણ કરવા બેસી ગઈ છે-કહે છે કે રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો. એ કદમ્બવૃક્ષની ઘણી મીઠી યાદો છે. આંસુની નદી તો ખારાશ લઈને આવે, ખારાશમાં કાંઈ કાનાને ગમતું ગોકુળિયું વસે નહીં, એટલે એ કહે છે કે વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો!! ખારપ જવી એટલે કે વિશુદ્ધ થવું એ પણ એક સંકેત છે….તો આવા ગોકુળના કદમ્બવૃક્ષ નીચે ગોપી બેસેલી છે અને રસ્તા પર મીંટ માંડેલી છે. હ્રદયમાં કહાનાની યાદો ભરાઈ આવી છે અને આંખોથી છલકાતી રહેલી છે. રાતદિવસનું જેને ભાન નથી એવી એ વિરહીણીને સૂવૂં હોય તો પણ એ પાંપણોને દ્વાર કેમ કરીને દેવાય જ્યાં આંખોમાં કહાનાનું સંભારણ કણાની જેમ ખૂંચતું હોય?? એ તો ઘેલી બસ ત્યાં બેસી જ રહેલી છે અને એક પછી એક પાનને ખરતાં જોઈ રહી છે, કાલચક્રમાં પોતાને પીંસાતી જોતી રહી છે….આપણને એમ લાગે કે એનાં આંસુની નદી સૂકાઈ ગઈ છે, પરંતુ એવું નથી- નદી સૂકાતી નથી. પાણી ના દેખાય એવી વેળુમાં (રેતીમાં) પણ ખોદીએ તો પાણીનો વીરડો ફૂટી નીકળતો હોય છે. એમ આપણને કદાચ થાય કે ગોપીનું છલકાતું વહેણ કદી હોલાતું લાગે તો, ગોપી જ કહે છે કે વેળુમાં વીરડા ગળાવજો અર્થાત એના હ્રદયસાગરમાં તો મોજાં હિલ્લોળે ચડેલાં છે!

    અને ગોપી પોતાના પ્રેમમાં રહેલી શ્રદ્ધા વ્યક્ત કરતાં કહે છે કે કહાન અહીં ફરી આવવાના છે જ! આઠમની મધરાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, યમુનાનું પૂર વસુદેવના માથે ટોપલામાં મૂકેલા કહાનાના પગની પાનીને અડીને ઓસર્યું હતું, યમુનાનાં ધસમસતા પાણી અટકી જઈને જાણે ભીંત બની વચ્ચેથી વસુદેવને મારગ આપ્યો હતો અને ગોકુળને તે દી’ એક ગોવાળ મળ્યો હતો- આ કથાનું પુનરાવર્તન થવાનું છે જ! કહાનો આવવાનો તો છે જ, તો એને શું શું જોઈશે એના વિચારમાં ભાવમગ્ન ગોપી કહે છે કે કહાનને વાંસળી અતિ પ્રિય, તો લીલુડાં વાંસવન વાઢશો ન કોઈ. અને મોરપીંછિયુંને પણ ભેગી કરી રાખજો.

    આંસુની નદી વહાવી, ગોકુળિયું સર્જ્યું, તૈયારીઓ કરી, અને અંતે એ પ્રશ્ન આવીને ઊભો રહે છે કે ગોપીના જીવનનું સાર્થક્ય શેમાં? જવાબમાં ગોપી જ કહે છે કે આવા ગોકુળમાં પૂનમની એક અદભૂત રાતે કહાનાનું સાન્નિધ્ય મળે તેમાં! પૂનમની એકાદી રાતના ઉજાગરાને સાટે જીવતર લખી જાશું!! અરે, જો કહાનો અમથું પણ એના એકાદા વેણમાં ગોપીનું નામ સંભારશે તો એ વાતથી હૈયું વીંધાવીને ગોપી ધન્ય થશે! અમથુંયે સાંભરશું એકાદા વેણમાં તો હૈયું વીંધાવીને ગાશું!! ગોપીને એ પણ ખબર છે કે કૃષ્ણપ્રેમ એ તો વ્યાપક છે, કૃષ્ણપ્રેમના ભવભવના બંધાણી એવા કોઈ અન્ય લોકો મળે તો એમને પ્રેમની ઉત્તમ ભૂમિ એવા વનરાવનની વાટે વળાવજો.

    અને કાવ્યના અન્તમાં પણ એ જ રટણ કે લીલુડાં વાંસવન કોઈ વાઢશો નહીં, મોરપીંછ ભેગાં કરી રાખજો, કારણ કે મારો કહાનો અહીં આવવાનો છે! આપણે પણ આપણા પ્રિયજનની મનગમતી વસ્તુઓ, યાદો, જગ્યાઓ, એંધાણીઓ જોયા કરીએ છીએ, સાચવીએ છીએ, શણગારીએ છીએ; આપણી અન્દર બધી ખારપ વહી ગયા પછીનું એક ગોકુળ વસાવીએ છીએ કે જેથી એક દિવસ તો એ આવે જ!

  7. અને શું વાત છે શ્રી, આ તો આપણી ચિત્રની પસંદગી પણ એક જ છે ને કંઇ… !! 😀

  8. પૂનમની એકાદી રાતના ઉજાગરાને
    સાટે જીવતર લખી જાશું,
    અમથુંયે સાંભરશું એકાદા વેણમાં
    તો હૈયું વીંધાવીને ગાશું.

    good !!!

Leave a Reply to શબ્દતીર્થ Cancel reply

Your email address will not be published. Required fields are marked *