માનવ ન થઇ શક્યો – આદિલ મન્સૂરી

(છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ………..  Photo: Images.com)

ગઝલ પઠન : આદિલ મન્સૂરી

.

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

22 replies on “માનવ ન થઇ શક્યો – આદિલ મન્સૂરી”

  1. ગુજરાતના સાહિત્યને અને ગઝલને એક આગવું પરિમાણ આપ્યું શ્રી આદિલભાઈએ … શત શત વંદન!

  2. જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
    ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.
    AA-DIL ni Gazal in the voice of MANHAR…

  3. સાચે આવુજ થાય જ્યારે વરસો બાદ સ્વજનોને મળવાનુ થાય.

  4. Wow Jayshree !!

    I keep listening & singing this Luvly meaningful AA-DIL ni Gazal in the voice of MANHAR…

    Regards
    RAJESH VYAS
    CHENNAI

  5. આજ ના યુગ મા ગુજરાતિ સાહિત્ય વેબ સાઇડ મલવિ મુસ્ક્લ છે જે ટહુકો સક્ય કરિ બતાવ્યુ.

    જય શ્રિ કુસ્ણ્

    એક હિન્દુસતાનિ

  6. આદિલની ગઝલોનો આનંદઃ ૮

    ‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
    ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

    “માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો” એ ગઝલના ‘એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં’ શેર વિષે મેં અગાઉ લખ્યું છે (જુઓ “આદિલની ગઝલોનો આનંદઃ ૧ https://tahuko.com/?p=7135#comments). આ શ્રેણીના આ ભાગમાં લખું એ ગઝલના અંતિમ શેર વિષેઃ

    આદિલજીના કોઈ પરિચીતે –કદાચ એમના પહેલાંના શિક્ષકે– (કે પછી એમણે જાતે જ?) “સાનંદાશ્ચર્ય”થી કહ્યું: “ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.”

    હા, આદિલજી લોકહ્ર્દયમાં સદાય વસતા શાયર બની ગયા. અને લોકલાડીલા શાયર બની જવાનું આદિલને અભિમાન નથી એ એમના પ્રત્યક્ષ કે ગઝલો દ્વારા એમના પરિચયમાં આવનાર સૌ કોઈ જાણે છે.

    આદિલજી કેવા શાયર છે? એમની હયાતિ દરમિયાન જો એમની ગઝલો અને અન્ય રચનાઓનાં અંગ્રેજીમાં સુંદર રૂપાંતર થયાં હોત તો હું માનું છું કે એમને નોબેલ પ્રાઈઝ મળ્યું હોત!

    અલબત્ત આદિલજી અમર છે. એમની ગઝલો (અને અન્ય સર્જનોનો) આનંદ સમગ્ર વિશ્વમાં વહેંચવો જોઈએ, અને એ દિશામાં આ શ્રેણી દ્વારા નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. આદિલજીની થોડીક ગઝલોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો છે.

    આજે સવારે ઊઠતાં પહેલાં વિચારતો હતો કે આજે આદિલજીના કયા શેર પર લખું. એક બીજો શેર મનમાં હતો, પણ પસંદગી આ શેર પર ઊતરી. આ ગઝલના બાકીના બીજા શેરો પર લખવાની ઈચ્છા પણ થઈ જાય છે, પણ આ શેર પર લખીને સંતોષ માનીશ. (છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
    મારો ય હાથ આજ તો સુંદર બની ગયો — આ શેર પણ મને ખૂબ પ્રિય છે.)

    આ શેર પર લખવાનું નક્કી કર્યા પછી જે વિચારો આવ્યા એ વિષે લખું:

    આ મહાન શાયરનું જીવનચરિત્ર લખાવું જોઈએ. એમના જીવન પરથી રજનીકુમાર પંડ્યા કે દિનકર જોશી જેવા લેખક નવલકથા પણ લખી શકે. એ કથાનું શિર્ષક રાખી શકાયઃ “શાયર બની ગયો.” અને એ રોમાંચક કથા પરથી ગુજરાતી અને હિંદીમાં ફીચર ફિલ્મ પણ બની શકે. આદિલની શાયરીનો અદભુત રંગ, લય, અને સંગીત એને સફળ બનાવવામાં જરૂર સહાય કરે.

    ફીચર ફિલ્મનું માધ્યમ ખૂબ શક્તિશાળી અને લોકપ્રિય છે. આદિલજીને જનતા જનાર્દન સુધી પહોંચાડવામાં એ ગજબની મદદ કરી શકે.

    અને આદિલ બની જાય સૌ કોઈના શાયર!

    એક ખાસ સૂચનાઃ બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં. મારાં અગાઉનાં લખાણોની લીંક મેળવવા girish116@yahoo.com સરનામે ઈ-મેઈલ મોકલો. સબ્જેક્ટ લાઈનમાં લખોઃ “આદિલની ગઝલોનો આનંદ”ની લીંક.

    (આ શ્રેણી તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું.
    ઈ-મેઈલઃ girish116@yahoo.com. અલબત્ત બ્લોગો/વેબ સાઈટો પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.)

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૨૫, ૨૦૦૯
    The original words of Girish in this post: Copyright (c) 2009 by Girish Parikh.

  7. ઈશ્વરની સ્તુતિ કરતી બહુ ઉત્તમ ગઝલ છે. મહેંદીવાળા હાથનો ફોટો પણ સરસ મુક્યો છે.

  8. એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
    મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

    સરસ ગઝલ…. !!

  9. ઉપરથી ૧૪મી પંક્તિમાં “ગઝલોમાંની” વાંચશો.

  10. જય શ્રી ગણેશ
    ઓમ શ્રી મા સરસ્વતીને નમસ્કાર
    ઓમ રામક્રુષ્ણ

    આદિલની ગઝલોનો આનંદઃ ૧

    આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર અશરફ ડબાવાલાએ મને ભેટ આપેલી, અને આદિલે મે ૧૮, ૧૯૯૬ના રોજ ઓટોગ્રાફ કરેલ “મળે ન મળે” પુસ્તક છે.

    મારા ગઝલગુરુ આદિલને નમ્ર અંજલી રૂપે આ શ્રેણી શરૂ કરું છું. આદિલ મારા ગઝલગુરુ કેવી રીતે બન્યા એ આ શ્રેણીમાં ભવિષ્યમાં જણાવીશ.

    મને એક વખત “આદિલની ગઝલોમાં આધ્યાત્મિકતાનાં અજવાળાં” એ નામનો લેખ લખવાનો વિચાર આવેલો, અને મેં ફોન પર અદિલજીને અ જણવેલો. એ લેખ તો હું હજુ સુધી લખી શક્યો નથી, પણ પ્રભુક્રુપાથી આ શ્રેણીમાં એ વિષેના મારા વિચારો વણી લેવા પ્રયત્ન કરીશ.

    અલબત્ત આ ગઝલ આદિલની મારી પ્રિય ગઝલામાંની એક છે. એના લગભગ બધા જ શેરો વિષે લખવાનું મને મન થાય છે, પણ આજે એક જ શેર વિષે લખું:

    “એ મુજનો રડતો જોઈને ખુદ પણ રડી પડ્યાં
    મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.”

    આ શેરની પ્રથમ પંક્તિ વાંચતાં હું રડી પડેલો! મને યાદ આવેલાં શારદા મા (શ્રી રામક્રુશ્ણ પરમહંસ દેવનાં પત્ની જેમને એ માતા ગણતા હતા). બાળકને રડતો જોઈને કઈ માને દુખ ન થાય, અને આતો સમગ્ર વિશ્વનાં માતા.

    ગઝલની એ ખૂબી છે કે એના શેરોમાંથી અલૌકિક અર્થ પણ નીકળે, અને લૌકિક અર્થ પણ નીકળે.
    આપણા શરીરને જન્મ આપનારી જનની પણ આપણને રડતા જોઈ જરૂર રડી પડે. અને પ્રિયતમને રડતો જોઈને કઈ પ્રિયા રડી ન પડે?

    હવે બીજી પંક્તિ વિષેઃ મારો પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો. એટલે મારો પ્રશ્ન એમનો પણ સવાલ બની ગયો? મને આ ઐક્યની વાત લાગે છે — in duality non-dulity! મને આ પંક્તિમાં ગૂઢ રહસ્યનો પણ એહસાસ થાય છે. મારા પ્રશ્ન મારફત જ એમણે ઉત્તર આપી દીધો! દાખલા તરીખે “હું કોણ છું?” એ પ્રશ્ન પૂછ્યા કરીએ તો એમાંથી જ ઉત્તર ન મળે?

    આ શ્રેણી અંગે આપના વિચારો જણવા આતુર છું. ઈ-મઈલઃ girish116@yahoo.com. અલબત્ત આ બ્લોગ પર પણ લખી શકો છો, અને મને એની કોપી જરૂર મોકલશો.

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નિયા, નવેમ્બર ૧૦, ૨૦૦૯
    Copyright (c) 2009 by Girish Parikh.

  11. ઘણા લામ્બા સમય બાદ’આદિલ મન્સુરિ’ સાહેબની ગઝલ માણવા મડી. અતિ ઉત્ત્મ,શબ્દોમા અનોખો સ્પર્શ,એક સરસ રચના. સલામ આદિલ સાહેબને અને આવુ સરસ સાહિત્ય આપવા બદલ જયશ્રીબેનનો આભાર.

  12. રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
    મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

    સરસ……અદભુત્

  13. માનવ થવુ સહેલુ નથિ હિન્દુસ્તન ના નેતાઓ
    આ ગ્ઝ્લ સાભ્રરે ને મનવ થાય તે જરુરિ ચે

  14. સુન્દર ગઝલ અને beautiful Image.
    Indeed, Hastmelap picture is always precious.
    Reminded me of Someone holding Someone’s hand.
    છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
    મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

  15. વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
    સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

    સાચે આવુજ થાય જ્યારે વરસો બાદ સ્વજનોને મળવાનુ થાય.

  16. Jayshree,

    Complements for uploading this Gazal. I heard this few times in voice of Shri Manhar Udhas. Few pronounciations were getting supressed in music. So now I have full lyrics from you on this platform. Thanks once again. Keep it up. Regards. Viren Patel – Mumbai

  17. સુન્દર ગઝલ અને એને સમર્થન આપતી beautiful Image.
    Indeed, Hastamelap picture is always precious.
    Reminded me of someone holding someone’s hand.
    છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
    મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

Leave a Reply to Girish Parikh Cancel reply

Your email address will not be published. Required fields are marked *