જીવન જો કરશે કોઇ સવાલો… – હિમાંશુ ભટ્ટ

જીવન જો કરશે કોઇ સવાલો, તો શું થશે?
ગમશે નહિં જો કોઇ જવાબો, તો શું થશે?

રસ્તો કરી અલગ, ભલે ચાલી ગયા તમે
યાદ આવશે જો મારો સહારો, તો શું થશે?

માંગી સફર મળે અને, મનગમતો સાથ હો
આંખોમાં ઘેલછા જો સજાવો, તો શું થશે?

તું તો જગત બનાવી, નિરાકાર થઈ ગયો
ઈશ્વર અમે બનાવ્યા હજારો, તો શું થશે?

મોજાની રીત છે,તમે લખશો, એ ભુંસશે
તોયે કિનારે ઘર જો બનાવો,તો શું થશે?

દોડ્યા કર્યું તમે, તો ખુશી દોડતી રહી
લેશો કદી જો કયાંક વિસામો, તો શું થશે?

છંદોમાં કાફિયામાં રદીફમાં કહું છું જે,
સંકેત એ સમજશે જમાનો, તો શું થશે?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર
ગમશે નહીં, જો સામો કિનારો, તો શું થશે?

હિમાંશુ ભટ્ટ … ૨૦૦૬

12 replies on “જીવન જો કરશે કોઇ સવાલો… – હિમાંશુ ભટ્ટ”

  1. મોજાની રીત છે,તમે લખશો, એ ભુંસશે
    તોયે કિનારે ઘર જો બનાવો,તો શું થશે?

    વાહ ! ખૂબ સુન્દર ઘઝલ!

  2. Excellent gazal, indeed,from Himanshu Bhatt.Dr. Jayadeep, too has given a good rejoinder through a nice gazal. Thanks a lot.

  3. સરસ રચના,
    શું થશે? કેટલા સવાલો, અને જવાબ ન ગમે તો શું થશે?
    સરસ.
    ાને પ્રતીભાવો માં આવેલી રચનાઓ પણ સરસ છે.

  4. માંગી સફર મળે અને, મનગમતો સાથ હો
    આંખોમાં ઘેલછા જો સજાવો, તો શું થશે?…રજુ કરુ છુ મારી ટચુકડી ઈરછા, ને ટપકાવુ છુ અહીં કવિતા…
    ઉર્મીઓના સરવાળા ને જાકારાની બાદબાકી,
    ખુશીઓના ગુંણાકારો ને દુઃખની ભાગાકારી,
    મળશું-મળશું જલ્દી મળશું,આશની જલતી ચિનગારી,
    પ્રતિક્ષાની પળોને ઝાંઝવાના નીર,
    ઉમટતા તરંગોને હૈયાની કિનારી,
    વાવ્યું સુખનું ઝાડને બાંધી પાળ રુપેરી,
    આશાના બિલિપત્રો ને હકીકતના મહેશજી,
    શ્વાસના શ્લોકોના રુપકડાં ધર્યા ફુલો,
    સંબંધોની પુજામાં પ્રસંગોની યાદગારી…!!
    રેખા શુક્લ(શિકાગો)

  5. બહાર મારૂં, પણ ભીતરમાં એમનુ
    નામ, જો કોતર, કબરમાં, ચાલશે….વાહ ડો.જગદીપભાઈ ક્યા ખુબ કહી..!!!

  6. શું થશે…..એવો સવાલ થાય ત્યારે
    ીનો જવાબ છે….ચાલશે..!!!

    ઘર મહીં દિવાલ કરમાં, ચાલશે
    એ ચણાઈ સૌ હ્રદયમાં, ચાલશે

    પારદર્શક પ્રેમ બીડ્યો હોય, તો
    એકલી કોરાશ ખતમાં, ચાલશે

    હાથની રેખા અડાબીડ, ધૂંધળી
    સ્વપ્નને રાખો નજરમાં, ચાલશે

    શ્વાસમાં ટહુકા તણી ભીની અસર
    આવનારી પાનખરમાં ચાલશે

    બહાર મારૂં, પણ ભીતરમાં એમનુ
    નામ, જો કોતર, કબરમાં, ચાલશે

  7. અડધી સફર થઈ નથી ને લાગી રહ્યો છે ડર
    ગમશે નહી જો સામો કિનારો તો શુઁ થશે? ….જીવન જો કોઈ સવાલો કરશે તો શુ થશે?

Leave a Reply to dr.jagdip Cancel reply

Your email address will not be published. Required fields are marked *