જે ગમે જગત ગુરુ દેવ જગદીશને – નરસિંહ મહેતા

સ્વર : ?

krishna

.

જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે,
મન કર્મ વચનથી આપ માની લહે
સત્ય છે એ જ મન એમ સુઝે … જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,
કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;
જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,
જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું … જે ગમે જગત

——–

( આભાર : સ્વર્ગારોહણ )

19 replies on “જે ગમે જગત ગુરુ દેવ જગદીશને – નરસિંહ મહેતા”

  1. ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
    માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
    જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
    તેહને તે સમે તે જ પહોંચે … જે ગમે જગત
    સાથે સાથે ‘વાવો તેવું લણો’ નું ધ્યાન રાખીયે.

  2. સાચું….. સાચું. સાધુ સાધુ

  3. તમારા માનવાથી કશો ફેર ન પડે ,
    નરસિંહ મહેતાની ભાષા શુદ્ધ બ્રાહ્મણ ભાષા છે અને તેમાં કોઈ પ્રાકૃત શબ્દોનો ઉલ્લેખ નથી જે શબ્દ ઉચ્ચ કુળના નાગરોમાં સહજ વપરાય છે એટલે નરસિંહ મહેતા દ્વારા જ આ કાવ્ય લખાયેલા છે કોઈ પ્રાકૃત જાતિ a લખ્યું નથી

  4. 500 વર્ષ પહેલાં ગુજરાતી ભાષા અલગ હતી. આ ભજનો નરસિંહ મહેતાના રહેલાં હોય તેમ હું માનતો નથી.

  5. 500 વર્ષ અગાઉ ગુજરાતી ભાષા અલગ હતી. આ ભજનો નરસિંહ મહેતા એ જ લખ્યાં હોય તેમ હું માનતો નથી.

  6. નરસિઁહ મહેતા અને નિજાનઁદ જેવા ઘણા કવિઓ એવા છે કે કે જેની રચનાઓ ભક્તિ રસ પ્રચૂર આધ્યાત્મિક અને તત્વજ્ઞાન ભરેલા છે. અને વિદ્વાનો તેના ઉપર સપ્તાહ કે માહાહ પ્રવચન આપે તો સમાજનું કલ્યાણ થાય. આ વાસ્તવ વાદી વિચાર સરણી છે.નાસ્તિકો કે નિરશ્વરવાદીઓ ભલે ગમે તે કહે કે માને પણ કોઇપણ કાયદા કે સૂફિયાણી સલાહ-સમજુતિઓ કરતાં આંતર સમજ થી શ્રદ્ધા પૂર્વક અપાયલુ જ્ઞાન સચોટ અને અકસીર નિવડે છે. તે સ્વયંભૂ અને સ્વૈચ્છિક હોવાથી માણસ ખૂણે ખાંચરે પણ દોષ આચરતો નથી. તેને કોઇ પૉલિસ કે કાયદાના રખવાળાની જરૂર હોતી નથી કે રહેતી નથી. ..આવું એક મને ગમતું બીજું કાવ્ય છે, ” ગુજારે જે શિરે તારે..
    જગતનો નાથ તે સહેજે….” આમાં એક સાસુ વહુના ઝગડાના કિસ્સામાં મે તેમને “ગણ્યું જે પ્યારૂં પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે..” નો તત્વાર્થ સમજાવેલ અને આજે તે સાસુ વહું, માઁ-દિકરીની પેઠે જીવે છે. આવા કાવ્યો બાળપણથી શિખવવા જોઇએ.

  7. This is profound creation by the greatest Narsinh Mehtaji … I have heard different versions, including “recitation” and to be honest, I have enjoyed every version of this great philosophical rendering, written so very effortlessly using day to day words and similis. Bhai Bhai Dhanya Dhanya…Aanand Aanand!

  8. HEMA BEN NA KANTHE GAVAYELI RACHNA NO DHAL {COMPOSED} IS VERY DIFFERENT….!!!THE ORIGINAL IS QUITE DIFFERENT…!!! ANY WAY…WE GOT IT THANKS JAYSHREEBEN….RANJIT VED

  9. આવા સુદર તત્વજ્ઞાન ભરેલા ભજનો આજના યુગમા વાચવા મલે અને કર્મને એ મુજબ આચરણમા મુકાય તો પણ ધર્મ પાલન કર્યા જેટલો સંતોષ મળે. શરત એ કે આજના યાહૂ-યાહૂના માહોલમાંથી બહાર નિકળી થોડું અધ્યાત્મ તરફ વળવું પડે. સવાલ એ છે કે “શું ભગવાનને પણ ભ્રષ્ટાચારીંમાં ભાગ આપી ભાગીદાર બનાવી લઈશું” એવી છોછલી સૂઝમાં રાચતા આ યુગ પાસે, યાહૂ-યાહૂનો માહોલ છોડી આધ્યાત્મિક માર્ગે અપનાવવાને વિચારવા જેટલો પણ્ સમય છે ખરો ?

    મારા મતે તે યુગના કવિઓએ ભલે ધર્મપ્રચાર કર્યો ન હોય, પરંતુ ધર્મનાં સિધ્ધાંતો તો એમણે લોકોનાં અંતરમાં જડી દીધાં છે, અને એ કારણે, એ બધા જ કવિઓને હું પયગામ્બરની સમકક્ષનાં માનું છું.

  10. નરસૈયો.. જે કહે ચ્ે તે વાતમાક્ષ મારો શૂર પુરાવું છું.. તત્વને જાણનારની અનુભૂતિનો આ ઉદગાર છે.. શુક્ષ આપણું સમર્પણ નરસિંહ મહેતા જેવું ન થઈ શકે.. પૂ. સ્વામી નિજાનંદ સરસ્વતીજી આ કવિતાનો અર્થ સમજાવતા કહે છે કે.. આપણે કર્મો કરીએ છીએ અને એવું માનીએ કે આપણા કર્મોથી ફ્ળ મળ્યું તે વાત ખોટી છે.. અહી નરસિંહ મહેતા કહે છે…હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
    શકટનો ભાર જેમ શ્વાન તાણે;
    સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
    જોગી જોગેશ્વરા કો’ક જાણે … જે ગમે જગત

    નીપજે નરથી તો કોઇ ના રહે દુઃખી,
    શત્રુ મારીને સૌ મિત્ર રાખે;
    રાય ને રંક કોઇ દૃષ્ટે આવે નહિ,
    ભવન પર ભવન પર છત્ર દાખે … જે ગમે જગત

    ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,
    માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;
    જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,
    તેહને તે સમે તે જ પહોંચે …
    નિજાનંદજી કહે છે… ઉનાળાનાક્ષ ધોમધખતા તાપથી બચવા ગાડાનીચે કુતરુ ચાલે.. ગાડુ ઉભુ રહે તો કુતરૂ ઉભૂ રહે.. ગાડુ ચાલે તો કુતરૂ ચાલે.. થોડી વાર પછી કુતરાને એવુક્ષ લાગવા માંડયુક્ષ કે હું જ આ ગાડુ ચાલવું છું… પણ જોનારાને ખબર છે કે એ કુતરાનું અગ્નાન છે.. તેવી જ રીતે આપણા શરીરને જીવતું રાખવા જરૂરી એક પણ ક્રીયા શું આપણે કરીએ છીએ? ના. શ્વાસોચ્વાસ કોન ચલાવે.. રૂધીરાભીસરણ કોણ કરે.., ચેતાતંત્ર..,ઉત્સર્જન તંત્ર આમાનું એકેય આપણે જાતે ચાલવવાનો દાવો કરી શકીએ તેમ નથી છતા જો એવું માનીએ કે આ શરીર હું ચલાવું છું… તો નરસિંહ મહેતાની દ્રષ્ટિમાં આપણે ગાડાનો ભાર ખેંચતા કુતરા જ છીએ…

    • સાચું….. સાચું. સાધુ સાધુ

  11. આ કાવ્યના છેલ્લા ચરણમાં લખ્યું છે કે “કૃષ્ણ વિના બીજું સર્વ કાચું……જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું!” તો પ્રશ્ન એ થાય કે જેને જોયા નથી એવા ભગવાનને નરસિંહ-મીરા જેવા ભક્તો કેમ આટલું બધું ઝંખતા હશે? આ પૃથ્વી પર ઘણી સુંદરતા છે જેમ કે સાગરકિનારે થતો સૂર્યોદય, એક બાજુ પર્વતો વચ્ચે સૂર્યનો અસ્ત અને બીજી બાજુ પૂર્વમાં પૂનમના ચન્દ્રનો ઉદય, અડધી રાતે બોલતી કોયલ, પહેલા વરસાદમાં માટીની સોડમ લેતાં લેતાં પલળવું, પ્રિયતમને માટે પ્રિયતમાને ખોળે કોઈ ટેકરીના ઢોળાવ પરનું મિલન, પ્રથમ બાળક ….અને આવી તો કેટકેટલી સુંદર વાતો છે!! છતાં આ બધું છોડીને નરસિંહ અદ્રશ્ય અને અડી ના શકાય એવા હરિને ઝંખે છે!!! આવા સિદ્ધ પુરુષોની વાતોમાં તથ્ય તો હોય જ, એટલે કે અદ્રશ્ય અને અડી ના શકાય એવા તત્વને પણ આત્મસાત કરી શકાય છે અને એનો આનંદ અનેરો અને અનન્ય હોય છે. અને આ આનંદ માણવા માટે એક અડીખમ શ્રદ્ધા જોઈએ કે એ તત્વ મારાથી દૂર નથી, એ મારું કોઈ પારકું નથી, એ મારું દુશ્મન નથી- અર્થાત એ મારી ભીતર છે, એનો મારી સાથે સંબંધ છે, અને એ મારો પ્રિયજન છે. નરસિંહની આવી જ એક શ્રદ્ધા અહીં એ રીતે અભિવ્યક્ત થઈ છે કે જનમોજનમ એને જ હું જાચું, બીજું કાંઈ નહીં!!

  12. આ કવિતા ટહુકા પર આપવા બદલ ખુબ ખુબ આભાર. અમારા ગણિત ના શિક્ષક ચોથાણી સાહેબ ભુમિતી સમજાવતી વેળા આ કવિતા કહેતા, તે એક ગણિત અને સાહિત્ય નો અનેરો સંગમ હતો.

  13. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
    શકટનો ભાર જેમ શ્વાન તાણે…

    …સૃષ્ટિનું સનાતન સત્ય…

  14. શાળાના પાઠ્ય પુસ્તક ની કવિતા…….
    આભાર જયશ્રી

Leave a Reply to Anil Mehta. Cancel reply

Your email address will not be published. Required fields are marked *