વસંતની પાલખી – ભગવતીકુમાર શર્મા

(Near Lombard Street, San Francisco)

* * * * * * *

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા

10 replies on “વસંતની પાલખી – ભગવતીકુમાર શર્મા”

  1. તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
    રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

    બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
    છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?…..
    …સુંદર રચના….

  2. ડિસેમ્બર,૨૦૦૯માં નવસારીમાં ગુજરાતી સાહિત્ય પરિષદનુ અધિવેશન મળશે ત્યારે વિધિવત ભગવતીકુમાર શર્માને ગુજરાતી સાહિત્ય પરિષદનુ પ્રમુખપદ સોંપાશે અને તે પહેલા ભગવતીકુમાર શર્માને નરસિંહ મહેતા એવૉર્ડ-૨૦૦૯ જુનાગઢ મુકામે પૂ.મોરારી બાપુના હસ્તે મળશે-તેની ધમધોકાર તૈયારીમા લાગ્યા છે .તેમા બે મંજીરાથી શરુ થઈ…
    એ માણવા માટે જાતે જ પધારશો
    આદ્ય કવિ નરસિંહ મહેતા અને ભગવતીભાઈની રચનાઓ આ પ્રસંગ અનુરૂપ મણાવવા બદલ ધન્યવાદ્

  3. સુંદર ગઝલ.
    શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
    પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.
    ખૂબ સરસ.

    સપના

  4. સરસ ભાવસભર ગઝલ.ભગવતી કુમાર શર્માને સાદર વંદન.

  5. ખરેખર ખુબજ સુન્દર ગેીત્….એકાકેી વ્રુક્શ સો……સાચુ વર્નન્….

Leave a Reply to B.B. Cancel reply

Your email address will not be published. Required fields are marked *