ભાવની ભૂગોળની ગઝલ – શેખાદમ આબુવાલા

ધરો ધીરજ  

dharo dheeraj

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો;
અતિ વરસાદ કૈ ખેડૂતને પ્યારો નથી હોતો.

તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સૂર્યની સામે કદી તારો નથી હોતો.

અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો

હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે,
ત્યજાયેલા પથિકનો કોઇ સથવારો નથી હોતો

જરી સમજીવિચારી લે પછી હંકાર હોડીને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.

ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો,
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.

ઘણાંય એવાંય તોફાનો ઊઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઇ અણસારો કે વરતારો નથી હોતો.

ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

2 replies on “ભાવની ભૂગોળની ગઝલ – શેખાદમ આબુવાલા”

  1. ફક્ત દુ:ખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી,
    નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

    પ્રેમની મહાન અભિવ્યક્તિ. પ્રેમનો નશો ચડે તેમાં તરસ કદી છીપાય જ નહીં . પ્રેમ તૃપ્તિ કદી ન આપે. જેને એ નશો ચડે તે કદી તેમાંથી બહાર ન આવે.
    આ એ પ્રેમ અને એ નશાની વાત છે, જે જીવનના મૂળમાં રહેલો છે. પરમ તત્વની કરૂણાની અભિવ્યક્તિની વાત છે.
    બહોત ખૂબ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *