પ્રશ્ન – ઉમાશંકર જોષી

prashna

‘છે મારું કો અખિલ જગમાં?’ બૂમ મેં એક પાડી :
ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી,
દોડ્યો વ્હેળો વહનગીતમાં પ્રશ્ન મારો ડુબાવી,
ને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી,
સુણ્યા સાથે ગિરિય પડઘા પાડીને ફેંકી દેતો
બીજા પ્હાડો તણી કુહરમાં વેણ, હૈયે ન લેતો,
તારા લાગે બધિર, વીજળી પૂછવા દે જ ક્યાં?
ત્યાં પૃથ્વીનાં સ્વજન તણું તો નામ લેવું પછી કાં?

છેલ્લે પૂછ્યું રુધિરઝર આ પાણીપોચા હૈયાને:
‘વ્હાલા, તું તો મુજ રહીશ ને? છો જગે કો ન મારું.’
ને એ દંભી શરમ તજી કહે:’તું ન માલેક મારો,
હું તારામાં વસું અવર કાજે.’ – ખિજાયો, વિચાર્યું:
બીજાં કાજે વસતું મુજમાં?! તો મદર્થે બીજામાં
હૈયા વાસો નહિં શું વસતાં કૈ હશે સ્નેહભીનાં?

 

8 replies on “પ્રશ્ન – ઉમાશંકર જોષી”

  1. સુંદર વિચાર કાવ્યને અંતે છે.જાણીતું સરસ
    કાવ્ય છે .પુનં:વાચન ગમ્યું.આભાર !

  2. ઘણા વખત પછી શુધ્ધ સંસ્કૃત છંદમાં સોનેટ વાંચવા મળ્યું . આભાર !
    કયો છંદ છે તે યાદ નથી, પણ
    રે, પંખીડાં સુખથી ચણજો ….. એ ‘કલાપી’નું ગીત યાદ આવી ગયું .

Leave a Reply to Suresh Cancel reply

Your email address will not be published. Required fields are marked *