ફૂલડાંની ફોરમને કેમ રે… ? – પ્રેમશંકર ભટ્ટ.

ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય ?
એ તો વાયરાની આંખે ઊડી જાય રે !

વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
એ તો આભા કેરા હૈયે વેરાય રે !

નાનેરાં નવણ દૈને ડૂબકી તગાય,
ઊંડા સમદર શેણેથી મપાય રે ?

નીરના પિયાસી તરસ્યા કંઠ કેરી લાય
તોયે ઝાંઝવાનાં નીર ના બુઝાય રે !

ઊંચી મ્હોલાતો, મંદિર, માળિયા ઝરૂખડે,
ચાકળા ને ચંદરવા બંધાય રે !

આભ કેરા ટોડલે તોરણો ટિંગાડવાના
મનસૂબા કેમ પૂરા થાય રે !

અણજાણી લિપિ, ભાષા, કિતાબો પઢાય,
ગૂઢા ભાગ્યને શી વિધે વંચાય રે ?

દર ને દાગીનો ઝીણું રેણ દૈ સંધાય,
તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે ?

( પ્રેમશંકર ભટ્ટ. જન્મ : 30-8-1914, અવસાન : 30-7-1976 )

4 replies on “ફૂલડાંની ફોરમને કેમ રે… ? – પ્રેમશંકર ભટ્ટ.”

  1. દર ને દાગીનો ઝીણું રેણ રે સંધાય:
    તૂટ્યા આયખાને શેણેથી તુણાય રે !વાહ કવિ !
    “ઘોડો ભાંગ્યો ઠેકતાં,મન ભાંગ્યું કવેણ:
    મોતી ભાંગ્યું વીંધતાં,નહીં સાંધો નહીં રેણ !”
    રૂને તુણાય …તૂટ્યા આયખાને નહીં.
    બધું જ અશક્યવત ?જ.બહેનનો આભાર !

  2. સરસ રચના

    વીજળીનું તેજ થીર કેમ કરી થાય ?
    એ તો આભા કેરા હૈયે વેરાય રે !

    આમાઅં આભ હોય તો ઠીક .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *