ગ્લૉબલ કવિતા : ૧૬૯ : રાતરાણી -જૉન ક્લેર

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

રાતરાણી

પશ્ચિમના આકાશ મહીં એકવાર સૂરજ જ્યાં બૂડે,
ઓસબુંદ શણગારે સંધ્યાના સ્તનને મોતીડે;
લગભગ લગભગ ચંદ્રકિરણના અજવાળાં-શી પાંખી
કે એના સંગાથી તારલિયાની માફક ઝાંખી,
રાતની રાણી હળવે હળવે એનાં પુષ્પો નમણાં,
નૂતન રૂપે ખીલવીને ઝાકળને ધરે છે બમણાં;
ને સાધુ પેઠે કરતી અજવાળાંથી આંખમિચામણ,
નવયૌવનની નિજના કરતી રાત ઉપર એ લ્હાણ;
રાત, જે પાછી એના પ્રેમલ આલિંગનથી અંધ,
નથી જાણતી રૂપ જે છે એની મુઠ્ઠીમાં બંધ;
આમ રહે એ ખીલી જ્યાં લગ રાત રહે રૂપાળી;
પણ જે પળ દિવસ આવીને જુએ આંખ ઊઘાડી,
છટક્યે ના છટકાય એવા ત્રાટકની શરમથી મારી,
મૂર્ચ્છા પામી, ને કરમાતી, થાય ખતમ બિચારી.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાનું સૌંદર્ય અને સૌંદર્યની કવિતા

કવિતાનું પોતાનું સૌંદર્ય હોય છે તો સૌંદર્યની પણ પોતાની કવિતા હોય છે. ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક એ રગોમાં દોડતા રક્તની જેમ ચુપચાપ અસ્તિત્વમાં ઓગળી જતી અનુભવાય છે. ક્યારેક, કવિતા એક-એક પાંદડી-કાંટાનો હિસાબ માંગે છે, તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણ, રંગ-છટા, અને કાંટા – તમામને સદંતર અવગણીને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. જે રીતે પુષ્પનો રંગ-રૂપ-આકાર એક પ્રકારની કવિતા છે, એ જ રીતે આંખ બીડીને માત્ર સુગંધને મહેસૂસ કરવી એય કવિતા જ છે. જૉન ક્લેરની આ કવિતા પણ પાંદડીઓના પૃથક્કરણ કરતાં વધારે ખુશબૂના અહેસાસ માટેની કવિતા છે.

જૉન ક્લેર (૧૩-૦૭-૧૭૯૩થી ૨૦-૦૫-૧૮૬૪)નું પોતાનું જીવન પણ રાતરાણી જેવું જ હતું. ગરીબીના અંધારામાં જ એ ખીલ્યો. ખેતમજૂરનો દીકરો. અગિયાર વર્ષની ઊંમરે તો શિક્ષણ અભરાઈએ ચડી ગયું ને ખેતમજૂરીની ધૂંસરી ખભે ચડી ગઈ. વાસણ વેચનારો બન્યો. અમીર ખેડૂતની છોકરી સાથે પ્રેમ કર્યો પણ છોકરીના બાપે નકાર્યો. માળીકામ કર્યું. લશ્કરમાં જોડાયો. જિપ્સીઓની જોડે રખડી-રઝળી જોયું. ચૂનો પકવવાનું વૈતરું પણ અજમાવી જોયું. પણ અક્કરમીનો પડિયો કાણો તે કાણો જ. છેવટે પરગણાંની મહેરબાની સ્વીકારવી પડી. જન્મજાત કુપોષણના લીધે ઊંચાઈ પણ પાંચ ફૂટે અટકી ગઈ અને જીવનભર તંદુરસ્તીના નામે અલ્લાયો જ. જેમ્સ થોમ્સનનો સુપ્રસિધ્ધ કાવ્યસંગ્રહ ‘સિઝન્સ” ક્લેરે ખરીદ્યો હતો અને કવિતા-સૉનેટ લખવાની શરૂઆત કરી. મા-બાપને ઘરમાંથી ખદેડી કઢાતા અટકાવવા માટે એણે પોતાની કવિતાઓ સ્થાનિક પ્રકાશકને આપી. પુસ્તક છપાયું. પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. માર્થા ટર્નર સાથે પરણ્યો, સાત-સાત બાળકો થયા અને પૈસા સાથેનો બારમો ચંદ્રમા યથાવત્ જ રહ્યો. કવિતા અને આજીવિકાની સૂડીમાં એ સતત વહોરાતો રહ્યો. પાગલપનના હુમલા આવવા શરૂ થયા. મદ્યપાન બિમારીની હદ સુધી વકર્યું. એકવાર શેક્સપિઅરના ‘ધ મર્ચંટ ઑફ વેનિસ’ના મંચનમાં શાયલોક સાથે ગાળાગાળી કરીને એણે ભંગ પણ પાડ્યો. બે વાર પાગલખાનામાં લાંબા ગાળા માટે દાખલ થવું પડ્યું અને છેલ્લા શ્વાસ પણ ત્યાં જ ભર્યા.

ઇંગ્લેન્ડના ગામડાંઓનું પ્રાસંગિક ઉત્સાહપૂર્ણ પ્રતિનિધિત્વ અને એની ખાનાખરાબીના મરશિયાઓથી એ બહુખ્યાત થયો. “નોર્ધમ્પ્ટનશાયર ખેડૂત કવિ” એ એની ઓળખ. શરૂમાં ભૂલી જવાયેલો પણ વીસમી સદીના અંતભગમાં પુનઃપ્રતિષ્ઠા પામ્યો ને ઓગણીસમી સદીના અગ્રિમ હરોળના કવિઓમાં સ્થાન અંકિત કર્યું. જોનાથન બેટ કહે છે, “એ ઇંગ્લેન્ડમાં જન્મેલો સર્વકાલીન શ્રેષ્ઠ મજૂર-કવિ હતો. અન્ય કોઈએ કદી કુદરત વિશે, ગ્રામ્ય બચપણ વિશે તથા વિમુખ અને અસ્થિર જાત વિશે આવું સક્ષમ અને સબળ લખ્યું નથી.” ખેતક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ગામ અને શહેરોની થવા માંડેલી દુર્દશા એની સંવેદનાના તારને સતત ઝંકૃત કરતી. પ્રકૃતિ સાથે એનો રક્તસંસ્કાર હતો. પાગલખાનાની કેદ પણ એની અભૂતપૂર્વ અંતર્દૃષ્ટિ અને સ્વયંસ્ફૂર્ત ઊર્મિને બાંધી શકી નહોતી. એ બંધ આંખોનો મુસાફર હતો અને એના શબ્દચિત્રો ઉત્તમોત્તમ ચિતારાના ચિત્રોથી ચાર ચાસણી ચડે એવા હતા. પ્રસ્તુત રચના પણ એના લાગણીશીલ સૌંદર્યાન્વિત કામનો છટાદાર નમૂનો છે.

‘રાતરાણી’ કાવ્યસ્વરૂપે સૉનેટ છે, પણ જરા નોખા પ્રકારનું. સૉનેટ મૂળે ઇટલીનું કાવ્યસ્વરૂપ. પેટ્રાર્કે અષ્ટક-ષટક પ્રકારે આગવી પ્રાસવ્યવસ્થા ઘડી એના પર પોતાનો રુક્કો કાયમ કર્યો. ઇટલીથી સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ, અર્લ ઑફ સરે એને અંગ્રેજી ભાષામાં ચતુષ્ક-યુગ્મક સ્વરૂપે અને અલગ પ્રાસરચના સાથે લઈ આવ્યા પણ એ સ્વરૂપ પર સિક્કો માર્યો શેક્સપિયરે. સ્પેન્સરે પણ નોખો ચોકો ચાતરવાની નાની પણ સફળ કોશિશ કરી. મિલ્ટને ચૌદ સળંગ પંક્તિમાં સફળ મિલ્ટનશાયી સૉનેટ બનાવ્યુ. જૉન ક્લેરને પણ સૉનેટસ્વરૂપ પર કદાચ પોતાની છાપ છોડવાની નેમ હશે, પણ એમાં એ ખાસ સફળ થયા નહીં. મિલ્ટનની જેમ ચૌદ પંક્તિઓ સળંગ રાખીને એમણે એલેક્ઝાન્ડર પોપે ખૂબ મશહુર કરેલ યુગ્મક (heroic couplet) પ્રકારની પ્રાસરચના અપનાવી, જેથી સૉનેટમાં અ-અ, બ-બ, ક-ક પ્રકારે સાત અલગ જોડિયા પ્રાસ હોય. વળી પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરના સ્થાને એમણે ટેટ્રામીટર પ્રયોજ્યો છે. (જો કે છઠ્ઠી, નવમી અને દસમી પંક્તિમાં આઠના સ્થાને નવ શબ્દાંશ (syllables) છે.) દર બે પંક્તિના ચુસ્ત પ્રાસ અને દસના સ્થાને આઠ શબ્દાંશના કારણે ટૂંકી બનતી પંક્તિઓ થકી કવિતાનો લય ખૂબ પ્રભાવક બન્યો છે. ભાષા પણ સરળ છે, જેનું એક કારણ એ હોઈ શકે કે કવિનું ઔપચારિક શિક્ષણ ટીનએજ શરૂ થતાં પહેલાં જ પૂરું થઈ ગયું હતું. રોજિંદા વ્યવહારના શબ્દોથી કવિ જે રીતે રાતરાણીનું સૌંદર્ય ઉજાગર કરે છે પ્રસંશનીય છે.

કવિતાના શબ્દોમાં પણ ઘણી જગ્યાએ ફેર જોવા મળે છે. ૧૮૩૫માં પ્રગટ થયેલ ‘ધ રૂરલ મ્યુઝ’ અને ૧૯૫૩માં પ્રગટ થયેલ ‘પોએમ્સ ઑફ જૉન ક્લેર’માં અનુક્રમે And hermit-like, shunning the light ના સ્થાને And shunning, hermit-like, the light (પંક્તિ ૭), while ના સ્થાને till (પંક્તિ ૧૧) અને gone ના સ્થાને done (પંક્તિ ૧૪) જોવા મળે છે. પહેલો પાઠ વધુ અધિકૃત હોવા છતાં બીજો પાઠ વધુ પ્રચલિત બન્યો છે. અર્થની દૃષ્ટિએ ઝાઝો ફરક ન હોવા છતાં આપણે મૂળ પાઠને વફાદાર રહીશું.

મૂળ કવિતા ‘ઇવનિંગ પ્રિમરોઝ’ની છે. ઇવનિંગ પ્રિમરોઝ આછાં પીળાં રંગના ફૂલોવાળો એક છોડ છે જે રાતે ખીલે છે અને સવારે મુરઝાઈ જાય છે. આપણે આ છોડથી પરિચિત નથી પણ ઇવનિંગ પ્રિમરોઝ અને રાતરાણીના ગુણધર્મ ખીલવા-મુરઝાવાની બાબતમાં સરખા હોવાથી અનુવાદમાં રાતરાણીને અપનાવી છે. આમ તો, પારિજાત પણ રાત્રે જ ખીલે છે પણ ફરક એટલો કે સવારે એનાં ફૂલ મુરઝાઈ નથી જતાં, ખરી જાય છે. કેટલાંક ફૂલો ઘડિયાળ પહેરીને ઊગે છે. ઇવનિંગ પ્રિમરોઝ, રાતરાણી અને પારિજાત જેવાં ફૂલો સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે પોતાનાં અજવાળાં રેલાવે છે તો કેટલાંક સૂર્ય સાથે તાલમેલ મેળવે છે. ઓફિસ ટાઇમ કહો, ગુલ દોપહરી કહો, કે નૌ બજિયા –આ ફૂલો સવારે નવ વાગ્યે ખીલે છે અને સાંજે ઓફિસ બંધ થવાના ટાંકણે બીડાઈ જાય છે. સૂરજમુખી ન માત્ર સૂર્ય સાથે ટાઇમિંગનો તાળો રાખે છે, સૂર્યની ગતિ સાથે મુખ પણ ફેરવે છે. આવા ફૂલોને સૂર્યાનુવર્તી (હીલિઓટ્રોપિક) કહે છે. હકીકત એ છે કે આ ફૂલો સૂર્ય તરફ નહીં પણ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતાં હોય છે એટલે એ ફોટોટ્રોપિક કહેવાય છે. સૂર્યની સાથોસાથ પૂર્વથી પશ્ચિમ તરફ મોઢું ફેરવતા આ ફૂલો મહત્તમ સૂર્યપ્રકાશ મેળવવાની કોશિશમાં હોય છે જેથી પ્રકાશસંશ્લેષણ અને પ્રજનન વધુ સારી રીતે થઈ શકે. ગરદન ફેરવવાની આ કસરતથી સૂર્યમુખી પંદર ટકા જેટલી ઊર્જા મેળવે છે. (કસરત ખોટી નથી, ખરું ને?!) અને ફૂલો જ નહીં, કેટલાક છોડવાઓના પાંદડા પણ સૂર્યાનુવર્તી ગુણધર્મ ધરાવે છે. સૂર્યમુખી જેવા સૂર્યાનુવર્તી ફૂલોની અધધધ ૨૪૦૦૦થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. અફીણના છોડના ફૂલો, ગલગોટો, ડેઝી, કમ્પાસ પ્લાન્ટ (રોઝિનવેડ) કેટલાક ઉદાહરણ છે.

પશ્ચિમના આકાશમાં સૂર્ય આથમતાંની સાથે જ વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં વ્યાપ્ત ઠંડકથી ભેજ જામતાં ઝાકળબુંદો જામી રહી છે. આ ઝાકળબુંદો સંધ્યાના સ્તનમંડળને જાણે કે મોતીડે શણગારે છે. રાત પૂરી ખીલી ન હોવાના કારણે ચંદ્રકિરણો અને તારાઓ હજી ઝાંખા નજરે ચડે છે. અને આ ભળભાંખળામાં ધૂમિલ નજરે આવતા ચાંદ-તારા જેવી નજરે આવતી રાતરાણી પણ હળવેકથી એના નમણાં ફૂલો ફરીથી નૂતન સ્વરૂપે ખીલવીને સંધ્યાને મોતીસેરે સજાવતી ઝાકળને ભેટ ધરે છે. સહજ પ્રશ્ન થઈ શકે:

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
તુષાર છે કે છે મારી જ જાત ફૂલો પર?

અહીં ‘નૂતન’ શબ્દ ધ્યાન ખેંચે છે. મતલબ, આ ફૂલો જે આજે ખીલ્યાં છે, એ ગઈકાલે પણ ખીલ્યાં હશે, અને આવતીકાલે પણ ખીલશે. પારિજાતની પેઠે ખીલીને ખરી જનારું નહીં પણ દેવહૂમા પક્ષીની જેમ મુરઝાઈ ગયા પછી ફરી નવેસરથી ખીલનારું આ સૌંદર્ય છે.

હવે જુઓ… કવિ છે તો પશ્ચિમનો, પણ સાધુ-સંતોની સંસ્કૃતિથી કેવો પરિચિત છે! સાધુઓનું અલગારીપણું એણે આબાદ ચાક્ષુષ કર્યું છે. જેમ સાધુ પોતાની ફરતેના સંસારથી પાણીમાં કમળપત્ર પેઠે અલિપ્ત રહે એવી જ વિરક્તિથી રાતની રાણી ચાંદનીના અજવાળાં સામે આંખમીંચામણાં કરે છે. પ્રકાશના સૌ પ્રલોભનોથી એ સંત પેઠે પર છે. રાતના અંધારામાં શુદ્ધ ચાંદની જેવા એના શુભ્ર શ્વેત સૌંદર્યની નોંધ કોઈ લેશે કે નહીં એની પણ એને દરકાર નથી. એ તો બસ પોતાનાં ઉજ્જવળ ધવલ ફૂલોની અબોટ ખૂબસૂરતીને રાત પર ન્યોછાવર કરી દે છે, કહો કે વેડફી દે છે. પણ આમ કરીને રાતની સુંદરતાને એ વધુ ઉજાગર કરે છે.

પણ રાત વળી રાતરાણીના આ પ્રેમાળ આલિંગનોથી સાવ અનભિજ્ઞ છે. કસ્તૂરીમૃગ જેમ જાણતું નથી કે એની નાભિમાં જ એની અપ્રતિમ સુગંધનો ખજાનો છૂપાયો છે એમ જ રાત પણ અણજાણ છે કે એના આંચલમાં રાતરાણી શું ઠાલવી રહી છે! રાતને પોતાના પ્રેમાળ આલિંગનોની જરાય તમા નથી એ જાણવા છતાંય રાતરાણી પોતાની આખી જાત એના પર કુરબાન કરે છે. એ રાતના આવા નિસ્પૃહ વર્તનની એવી તો હેવાઈ થઈ ચૂકી છે કે જે ઘડીએ દિવસ પોતાની આંખો ઊઘાડી પ્રકાશ રેલાવી એની તરફ એકટકી માંડે છે એ ઘડીએ એનો વિલય શરૂ થઈ જાય છે. રાતરાણીની આ કુરબાનીમાં વફાદારી પણ કેવી કે દિવસ ઊગતાવેંત કાચબાની જેમ એ પોતાનું સમગ્ર અસ્તિત્વ પોતાની જાતમાં જ સંકેલી લે છે. પ્રકાશનું ત્રાટક થતાંવેંત એ તરત જ મૂર્છાવશ થઈ જાય છે, કરમાઈ જાય છે અને દિવસની પહોંચથી દૂ…ર દૂ…ર ચાલી જાય છે. ફરી સૂર્ય અસ્તાચળે જશે અને રાતના ઓળા ઊતરશે ત્યારે જ એનો ‘દિવસ’ તો શરૂ થશે. મકરંદ દવેનું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી !
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.

કેટલાક સંબંધ પણ રાતરાણી જેવા હોય છે. આમ એક, પણ દુનિયાની નજરે અલગ જીવતી બે વ્યક્તિ દુનિયાની નજરના પ્રકાશ બહારના અંધારામાં એક થઈને ખીલી ઊઠે છે. દુનિયાની જાણ બહાર જાહેર-ખાનગી સ્થળો, સોશ્યલ મિડિયાઝ, અને ટેલિફોનની જમીન પર આવી મૈત્રીના યુટોપિયાનું સર્જન થતું આવ્યું છે, થતું રહેશે. જેમની જિંદગીની ટ્રેન રાતરાણી અને સૂરજમુખીના બેવડા પાટા પર દોડતી હોય છે એ લોકો બહુધા રાતરાણીની ખુશબૂનો બદલો સૂરજમુખીને વધુ સૂર્યપ્રકાશ ભેટ ધરીને ચૂકવતા જોવા મળતા હોય છે, પણ એ વાત અહીં અસ્થાને છે.

ચૌદ પંક્તિની સમગ્ર કવિતા આમ જુઓ તો નિતાંત પ્રકૃતિગાન સિવાય બીજું કશું જ નથી. આપણે ત્યાં જેમ રાવજી, એમ ઇંગ્લેન્ડમાં કૃષિકવિ તરીકેની ખ્યાતિ પામનાર ક્લેરની અનેક કવિતાની જેમ આ કવિતા પણ આકંઠ સૌંદર્યરસથી ભરી-ભરી છે, પણ અંધારામાં ઓઝપાઈને રહી જતી સુંદરતા અને દિવસ ઊગતામાં એના થઈ જતા વિલયના કારણે આખી કવિતામાં એક આછી વિષાદરેખા પણ ખેંચાયેલી અનુભવાયે રાખે છે. ક્લેરની સરલ-સહજ ભાષા અને ચુસ્ત પ્રાસાવલિના કારણે કવિતા વધુ ધ્યાનાર્હ બની છે. ડેફોડિલ્સ ફૂલોને સંબોધીને લખાયેલી એક કવિતામાં જૉન ઇવનિંગ પ્રિમરોઝની જેમ જ સમયથી વહેલાં કરમાઈ જતાં ડેફૉડિલ્સના અનુસંધાનમાં સ-રસ જીવનદર્શન કરાવે છે:

પ્યારા ડેફૉડિલ, અમને એ જોઈને રડવું આવે છે
કે તમે બહુ ઉતાવળે ચાલી જાવ છો;
કેમ કે હજી તો વહેલી પરોઢનો સૂરજ
મધ્યાહ્ને પણ નથી પહોંચ્યો.
થોભો, થોભો
જ્યાં સુધી આ ઉતાવળિયો દિવસ
સાંધ્યગીત સુધી
પહોંચી ન જાય;
અને, સાથે મળીને પ્રાર્થના કરીને, અમે
પણ ચાલી નીકળીશું તમારી સાથે.
અમારી કને પણ, તમારી જેમ, રોકાવા માટે સમય ઓછો છે,
અમારી વસંત પણ ટૂંકી છે,
અમારી વૃદ્ધિ પણ ક્ષય પામવા અધીરી છે,
તમારી, અથવા કશાયની જેમ જ.
અમે મૃત્યુ પામીએ છીએ,
જેમ તમારો સમય, અને સૂકાઈ
જઈએ છીએ
ઉનાળાના વરસાદની જેમ;
અથવા પ્રભાતી ઝાકળના મોતીઓની જેમ;
ફરી કદી નહીં મળવા માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *