ગ્લૉબલ કવિતા : ૧૬૫ : પદયાત્રી – ટોમી બ્લૉન્ટ



The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

પદયાત્રી

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

રંગભેદ – વૈશ્વિક અન્યાયની ગંગોત્રી

‘હું શ્વાસ નથી લઈ શકતો… હું શ્વાસ નથી લઈ શકતો…’ –એ બોલતો રહ્યો પણ એને જમીન પર ઊંધો પાડી, એની ગરદન પર ઘૂંટણ દબાવીને બેઠેલ પોલિસકર્મીના બહેરા કાને ઓલવાતા અવાજના આ આર્તનાદો ન પડ્યા તે ન જ પડ્યા. જમા થયેલાં લોકો પણ ‘એની નાડી તપાસો..’ ‘જુઓ, એ શ્વાસ નથી લઈ શકતો..’ ‘શરીર હલતું બંધ થઈ ગયું છે’ બોલતાં રહ્યાં. એ પોલિસ(કુ)કર્મીના ત્રણ સાથીઓ ખડે પગે પેલા નરપિશાચની પડખે ઊભા રહ્યા. જ્યૉર્જ ફ્લૉઇડ એ ઇસમનું નામ. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એનું નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે સરેઆમ નિર્મમ હત્યા કરી. અમેરિકાથી શરૂ થઈ આખી દુનિયામાં રંગભેદ-જાતિભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યા. પ્રસ્તુત રચના રંગભેદની કુનીતિ તરફ ધ્યાન દોરી સુપ્ત સંવેદનાઓને ઝંકોરવાની કવિની નિષ્ઠાવાન કોશિશ છે.

ટૉમી બ્લૉન્ટ. ડિટ્રોઇટ, મિશિગન ખાતે જન્મ. હાલ, મિશિગનના નોવી પરામાં રહે છે. વૉરેન વિલ્સન કૉલેજમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક. ૨૦૧૬માં ‘વૉટ આર વી નોટ ફોર’ નામે એક ચેપબુક અને માર્ચ, ૨૦૨૦માં ‘ફેન્ટાસિયા ફોર ધ મેન ઇન બ્લુ’ પુસ્તક પ્રગટ થયાં. કવિ બનવાનું સપનેય વિચાર્યું નહોતું, પણ ટાઇપિસ્ટ મમ્મી ‘ડૉટ મેટ્રિક્સ’ (કમ્પ્યુટર સ્ટેશનરી) ઘરે લાવતી, જેના હાંસિયા-લીટી વિનાના ખુલ્લા આકાશ જેવા કોરા કાગળ ટૉમીને ખૂબ ઉત્તેજીત કરતા. એ આ કાગળો ચીતરડાંઓ અને લખાણોથી ભરી દેતા. આગળ જતાં કાગળ પરની ખાલી જગ્યા કેવી રીતે કમાવી એ સમજાયું અને લેખક બન્યા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં બીએ કરતી વખતે તેઓ બ્લેક પોએટ્સ સૉસાયટીમાં જોડાયા. ત્યાં વિવી ફ્રાન્સિસે ટૉમીની જિંદગી અને કવિતાને દિશા બતાવી. સરળતા એમનો પ્રમુખ કાકુ છે. તેઓ પોતાની જાતને ન માત્ર શ્યામ, પણ સમલૈંગિક અને વૉયુરિસ્ટિક, તથા સ્વાર્થી અને અહંપ્રેમપ્રચુર પણ કહેવડાવે છે. બહારની દંભી દુનિયાની સામે એમને પૉર્નોગ્રાફીની નિર્દંભ નિર્વસ્ત્રતા વધુ પ્રામાણિક લાગે છે અને એમની રચનાઓમાં આ સૂર ઊઠતો સંભળાતો પણ રહે છે. અમેરિકન બ્લેક્સ પર સમાજ અને પોલિસ વડે થતા આવતા અત્યાચારો અને અન્યાયો સામેનો આક્રોશ ટૉમીની કલમ આલેખે છે.

‘રાહદારી’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજીમાં કવિએ આ સૉનેટની પંક્તિવ્યવસ્થા 2-1-2-1-2-1-2-1-2 કરી છે, જે પ્રચલિત પદ્ધતિઓથી ઉફરી તરી આવે છે. રંગભેદની વાત કરતી આ કવિતાની આ એકી-બેકી પંક્તિવ્યવસ્થા કાળા-ગોરાઓ વચ્ચેના તફાવતને કદાચ દૃઢીભૂત કરે છે. કવિએ શેક્સપિરિઅન શૈલી મુજબ a-b-a-b/ c-d-c-d/ e-f-e-f/ g-g પ્રાસાવલિ અપનાવી છે પણ ચુસ્ત પ્રાસનો આગ્રહ સેવ્યો નથી. અનુવાદમાં પંક્તિવ્યવસ્થા મૂળ મુજબ પણ પ્રાસરચના સ્વરાંત અને a-b-b-a/ c-d-d-c/ e-f-f-e/ g-g મુજબ છે. કાવ્યને ઓછી હાનિ પહોંચે એ હેતુસર એક જગ્યાએ સ્વરાંત પ્રાસનો મોહ પણ જતો કર્યો છે. અંગ્રેજી કાવ્ય પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરમાં છે, અને અનુવાદ શિખરિણીમાં.

આત્મકથનાત્મક શૈલીમાં કથક કહે છે કે, એ રસ્તે ચાલી રહ્યા હતા એવામાં એક વજનદાર ટ્રક એમને ઘસાઈને એમ પસાર થઈ, જાણે એનો સાઇડ મિરર આખો હાથ ઉખાડી નાંખવા ન માંગતો હોય! કથકને એ જ મિરરમાં ડ્રાઇવર ખંધું હસતો નજરે ચડે છે, જાણે એ એનો અધિકાર હતો પણ એ ઉખાડી ન નાંખ્યો એ જ એનો ઉપકાર! સ્વપ્નમાંય વિચારી ન હોય એ વાત, એવી ભયજનક (દુર્)ઘટના ઘટી ગઈ. અજાણતાંય જો આપણું વાહન કોઈ રાહદારીને અડી જાય તો ગુનાહિત લાગણી આપણા હૃદયને ઘેરી વળે છે. આ સામાન્ય વ્યવહાર છે, પણ અહીં તો બિલકુલ વિપરિત વાત છે. નિર્દોષ રાહદારી સાથે ખરાબ રીતે ભારીખમ્મ ટ્રક ઘસાવા છતાં ડ્રાઇવર ખિખિયાટા કરે છે, કેમકે રાહદારી આફ્રિકન મૂળનો છે અને ટ્રકડ્રાઇવર અમેરિકન ગોરો છે. રંગભેદની નીતિનો આ ઘસરકો માત્ર કથકના બાવડે જ નહીં, આપણી અંદર પણ થતો અનુભવાય છે.

પણ રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. એક જાતિ કે રંગના માણસો બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા હોવાની, તથા માણસના સામાજિક અને નૈતિક લક્ષણો એની જન્મજાત જૈવિક વિશિષ્ટતાઓના આધારે પૂર્વનિર્ધારિત હોવાની માન્યતા એટલે રંગભેદ કે જાતિભેદ. ચામડીનો રંગ, ધર્મ, ભાષા, જાતિ, જન્મસ્થળના આધારે એક માણસ બીજાને પોતાનાથી ‘ઓછો’ માણસ ગણી દિલમાં જન્મજાત નફરત સેવે એ દુર્ઘટનાનો ઇતિહાસ સદાકાળથી જ સાક્ષી રહ્યો છે. આ ઊંચનીચના કારણે ન માત્ર મારામારી-લૂંટફાટ કે ગુલામી, પણ જઘન્ય હત્યાઓ અને હત્યાકાંડોથી લઈને યુદ્ધ અને રાષ્ટ્રવિભાજનો પણ થયાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો. દરેક સભ્યતામાં આ થતું આવ્યું છે. પંદરમી સદીમાં પૉર્ટુગીઝો આફ્રિકા આવ્યાં ત્યારે તેઓ આફ્રિકનોને દુશ્મન ગણતાં. યુરોપિયનોની પ્રગતિ સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ આફ્રિકન સભ્યતાને બળ, કળ અને છળથી તેઓએ ગુલામ બનાવવી શરૂ કરી અને ગુલામીપ્રથા તથા શ્વેત-શ્યામ વંશવાદના શ્રીગણેશ થયા. આફ્રિકન લોકોને બંદૂક અને પૈસાના જોરે ઊઠાવીને અમેરિકા-યુરોપના દેશોમાં ગુલામી માટે મોકલવાનો સિલસિલો શરૂ થયો. શાકભાજી કરતાંય ખરાબ રીતે આક્રિકન સ્ત્રી-પુરુષો અને બાળકો વેચાવા લાગ્યા. પ્રાણીઓ સાથે પણ ન થાય એટલો બદતર વ્યવહાર એમની સાથે થતો. ઓગણીસમી સદી સુધીમાં તો જાતિવાદના ગૂમડાંએ આખી દુનિયાને ગ્રસી લીધી. ગોરાં-કાળાં સિવાય યહૂદી-બિનયહૂદીઓ, હિંદુ-મુસ્લિમ –એમ અનેક પ્રકારની ઊંચનીચ અને એના દુષ્પરિણામો દુનિયાએ જોયાં. અબ્રાહિમ લિંકન જેવા અનેક લોકો રંગભેદ અને જાતિભેદ મિટાવવાની કોશિશ કરતાં આવ્યાં છે, સેંકડો કાયદાઓ પણ ઘડાયા છે, પણ મનુષ્યોની મથરાવટી બહુ અલ્પ માત્રામાં જ બદલાઈ. મુસ્લિમ વિસ્તારમાં વાહન હંકારતી વખતે બિનમુસ્લિમ નાગરિક વધુ સતર્ક થઈ જાય છે. જાણબહાર આવી જતી આ સતર્કતા ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ’ના નારાઓની પોકળતાનો વણકહ્યો પુરાવો છે. જાતિભેદના વિચાર કે વલણ સાથે કોઈ પેદા થતું નથી, પણ ગળથૂથીમાંથી જ સમાજ એ પીવડાવ્યે રાખે છે અને સમજણ આવતાં સુધીમાં તો એ લોહીમાં વહેતાં થઈ ગયા હોય છે. બહુ ઓછા લોકો સાચા અર્થમાં આમાંથી મુક્ત થઈ સમાનમાનવ વિચારધારા લઈ જીવે છે અને અન્યોના હૃદયપલટા માટે જીવનભર મથતાં રહે છે.

રંગભેદનું મટી જવું અને બધા મનુષ્યોને એકસમાન હકથી જીવવા મળે એવું રામરાજ્ય તો કદાચ સ્વપ્નમાં જ મળે, કેમકે અસમાનતાનો ખયાલ તો આપણા રંગસૂત્રોમાં જ વણાઈ ગયો છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની ઊંચનીચ તો સ્ત્રી-પુરુષ વચ્ચે જ છે. જાતિ-વંશ-રંગ-અમીરી વગેરે તો પછી આવે. સાથે રહેનાર અલગ લિંગની બે વ્યક્તિઓ વચ્ચે સમભાવ ન સ્થપાય ત્યાં સુધી અસંખ્ય અસમાનતાસભર અલગ વ્યક્તિઓ વચ્ચે સમભાવની વાત કરવી એ ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ (અખો) જેવી કપોળકલ્પના છે. રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એમણેય લોકલાજે પત્નીને અગ્નિમાં હોમવી અને જંગલમાં ત્યાગવી પડી હતી. જો કે આનો અર્થ એય નથી કે રામરાજ્યપ્રાપ્તિની કોશિશ જ ન કરવી જોઈએ. જેમ્સ બાલ્ડવિને ઉચિત જ કહ્યું હતું: ‘સામનો થાય એ બધું બદલી નહીં શકાય પણ સામનો ન કરીએ તો કશું જ બદલી નહીં શકાય.’ સાહિર લુધિયાનવીને સાંભળો:

माना कि इस ज़मीं को न गुलज़ार कर सके
कुछ ख़ार कम तो कर गए गुज़रे जिधर से हम|

એલા વ્હીલર વિલ્કોક્સ ‘પ્રોટેસ્ટ’માં લખે છે: ‘એવા સમયે મૌન રહેવાનું પાપ કરવું, જ્યારે વિરોધ કરવાનો હોય,/ માણસોને કાયર બનાવે છે. માનવ જાત/ વિરોધના બળે જ આગળ આવી છે./…/ જે મુઠ્ઠીભર લોકો હિંમત કરે છે, તેઓએ ફરી ફરીને અવાજ ઊઠાવતાં રહેવું જોઈએ/
ઘણા લોકોના ખોટાને સુધારવા માટે.’

ટ્રક ટક્કર મારીને જઈ રહી છે. જે મિરરથી ટક્કર વાગી છે, એમાંથી ચાલકનું જે સ્મિત રાહદારીને દેખાય છે, એ સ્મિત જાણે કે કહી રહ્યું છે કે તારે કશો વાંધો ઊઠાવવાની જરૂર નથી કે ક્યાંય ફરિયાદ પણ નથી કરવાની. છટાંકભરની ઘટના. ચાલક ખિખિયાતો જઈ રહ્યો છે પણ સદીઓની ગુલામ માનસિકતા બોલી રહી છે અને અશ્વેત રાહદારીને એ સંભળાઈ રહી છે, કે આ બીનાની રાવ ન ખાવી કે વિરોધ ન કરવો એમાં એનો જ લાભ છે. (કેમકે સાંભળશે કોણ? રાજ તો ગોરિયાંઓનું છે!) આ ગંદી માનસિકતાનો પડઘો વિશ્વસાહિત્યમાં સતત પડતો આવ્યો છે. અનેક પુસ્તકો, ચિત્રો, શિલ્પો અને ફિલ્મો શ્વેત-અશ્વેત લોકોમાં ઘર કરી ગયેલી આ બદી પર પ્રકાશ નાખતાં આવ્યાં છે. શેક્સપિઅરનો ‘ઑથેલો’ પણ આ રુગ્ણ માનસિકતાથી ગ્રસ્ત છે. એ ઇઆગોને કહે છે: ‘કદાચ, હું કાળો છું અને મારી પાસે એ દરબારીઓ જેવી વાતચીત કરવાની આવડત નથી, એટલે એ મને છોડી ગઈ છે.’ (અંક 3: દૃશ્ય 3)

ટક્કર થઈ એ પળે રાહદારીને ધોળે દહાડે તારા દેખાઈ ગયા. પળભર તો એને લાગ્યું કે એ જાનથી જ ગયો. એને એ ખ્યાલ પણ આવે છે કે ડ્રાઇવર પણ આ અકસ્માતથી થોડો તો ડર્યો જ હતો અને એનું મોઢું પણ લાલ થઈ ગયું હતું. પણ એ તો ક્ષણાર્ધ પૂરતું જ હશે કેમકે બીજી જ પળે તો કથકને મિરરમાં એ બત્રીસી બતાવતો દેખાયો હતો. સૉનેટની સ્થાપિત બેકી-એકી પંક્તિવ્યવસ્થાને અવગણી, એની પ્રાસવ્યવસ્થા જોઈએ તો શેક્સપિરિઅન શૈલીના ચતુષ્ક-યુગ્મક દૃષ્ટિગોચર થાય છે. ત્રણેય ચતુષ્કમાં કવિએ ડ્રાઇવરના ક્ષણભર માટે અરીસામાંથી પ્રતિબિંબિત થયેલા હાસ્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણેય જગ્યાએ જો કે એમણે શબ્દ અલગ પ્રયોજ્યા છે. મિરરમાં એક પળ નજર મોડીવહેલી પડી હોય તો ચૂકી જવાય એવા અલ્પકાલીન હાસ્ય તરફ કવિ બાર જ પંક્તિમાં ત્રણ-ત્રણવાર ધ્યાન દોરીને શ્વેત લોકોના મનમાં અશ્વેતો માટે જે દ્વેષભાવ છે એને સહેજેય ચૂકી ન જવાય એમ બરાબર અધોરેખિત કરે છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ અન્યને એની ચામડીના રંગ, એની પૃષ્ઠભૂ, કે ધર્મના કારણે ધિક્કારતું પેદા થતું નથી.’ આ તફાવતજન્ય ધિક્કાર આપણને બાળપણથી શીખવવામાં આવ્યો છે, પછી એ શ્વેત-અશ્વેત હોય, યહૂદી-બિનયહૂદી હોય, હિંદુ-મુસ્લિમ હોય કે અન્ય કંઈ. ઑડ્રે લૉર્ડ સાચું કહી ગયા: ‘એ તફાવતો નથી જે આપણને વિભાજીત કરે છે. એ મતભેદોને ઓળખવાની, સ્વીકારવાની અને ઉજવવાની આપણી અસમર્થતા એ કરે છે.’

ડ્રાઇવરના મતે કદાચ રાહદારી એના રસ્તામાં નડતરરૂપ હતો એટલે ભલે ભૂલથી, પણ એને ટક્કર મારવાનો એને અબાધિત અધિકાર હતો. એની બત્રીસી જોઈ રાહદારીને સમજાય છે કે દાંતિયા કાઢવાની એ ચેષ્ટા ગુસ્સો નહોતો, પણ કદાચ ચેતવણી હતી કે ટાઢો થઈ જા, બધું બરાબર જ છે. તું કંઈ મરી-બરી નથી ગયો. આ ચેતવણીમાં રાહદારીને ‘Ni’ સંભળાય છે. આપણે ત્યાં જેમ હરિજનને ઢેડ કે ભંગી કહેવું ગાળ બરાબર છે, એમ જ પાશ્ચાત્ય દેશોમાં નીગ્રો લોકોને ‘ની’ કે ‘નીગર’ કહેવું અપશબ્દ બોલવા કે અપમાન કરવા બરાબર ગણાય છે. અંગ્રેજીમાં કવિએ ચાલાકેપૂર્વક ‘ni’ લખ્યા બાદ કૌંસમાં [ght, neighbor] ઉમેર્યાં છે. ‘ની’ પરથી ‘નીગ્રો’ કે ‘નીગર’ ઉપરાંત ‘નાઇટ’ (શુભ રાત્રિ) કે ‘નેબર’ (પાડોશી) એવું અર્થઘટન પણ થાય. અમેરિકન લોકોએ અંગ્રેજીનું સરળીકરણ કરી નાંખ્યું છે. રાત્રે છૂટાં પડતી વખતે આપણે ‘ગુડ નાઇટ’ કહીએ, પણ અમેરિકનો ‘નાઇટ’થી કામ ચલાવી લે. એમ જ આપણા ‘ભાઈ’ કે ‘બકા’ અમેરિકામાં ‘નેબર’ બની રહે છે. ‘નેબર’ શબ્દમાંથી જો કે બાઇબલનું ‘લવ ધાય નેબર’ પણ ધ્વનિત થતું સંભળાશે. કવિતા આમેય એક તીરથી અનેક નિશાન સાધતી હોય છે. પણ આ ni[ght, neighbor] નો અનુવાદ શો કરવો? એટલે નીગર કે નીગ્રોનો ‘ની’ યથાવત્ રાખીને ‘ની [ચ/કળ]’ વાપર્યું છે, જેમાંથી ‘ની’, ‘નીચ’ અને ‘નીકળ’ –એમ મૂળ કવિતામાં છે એ નહીં, પણ એની જેમ ત્રણ અલગ અર્થ તારવી શકાય છે. અનુવાદની આટલી મર્યાદા તો સ્વીકારવી જ રહી.

પેલા હાસ્યમાં રાહદારીને પોતાના માટે વપરાયેલી ગાળ ઉપરાંત ઘણું બધું સંભળાયું છે. ઠંડો થા. બધું બરાબર છે. અહીંથી નીકળ. જા. ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. એમાં કશું દાટ્યું નથી. બધી જગ્યાએ આ જ થતું આવ્યું છે, થાય છે અને થતું રહેશે. જે થયું છે એને ભૂલી જા. કેટલું બધું! શોષિત લોકોના દિલોદિમાગમાં વસી ગયેલી પોતાના માટેની ગોરાં લોકોનાં નફરત-દ્વેષ-તિરસ્કાર-અપમાન એક-એક શબ્દમાંથી છલકી રહ્યાં છે. ડ્રાઇવર તો દાંત કાઢવા સિવાય કશું બોલ્યો જ નથી પણ જન્મથી લઈને આજપર્યંત આ દુનિયાએ અશ્વેતોના લોહીમાં જે રસાયણ રસ્યું છે, એના પડઘાં એ હાસ્યમાંથી ઊઠી રહ્યા છે. પરિણામે આ ન દેવાયેલી ચીમકી વધુ જોરથી ચીમટી ભરે છે આપણને. એબ્રાહમ જોશુઆ હેશલ લખે છે: ‘જાતિવાદ મનુષ્ય માટે સહુથી મોટો ખતરો છે- ન્યૂનતમ કારણોસર અધિકતમ ઘૃણા.’ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કહી ગયા: ‘અંધારું અંધારું દૂર નહીં કરી શકે, માત્ર પ્રકાશ જ કરી શકે. નફરત નફરત દૂર નહીં કરી શકે, માત્ર પ્રેમ જ કરી શકે.’

કાવ્યાંતે કવિ આપણી સંવેદનાની પીઠ પર મીઠામાં બોળેલી ચાબુક સટ્ટાક કરતીક વીંઝે છે: ‘એણે મને જોયો જ નહીં, અલબત્ત મેં એને જોયો.’ શ્વેત ડ્રાઇવરની દૃષ્ટિમાં આ અશ્વેત રાહદારી તુચ્છ મગતરું હતું, જેના તરફ નજર કરવાની એને કોઈ તમા જ નથી, કદાચ જરૂર સુદ્ધાં અનુભવાઈ નહીં હોય, કેમકે જે સડક પરથી એ પસાર થાય છે એ સડક પર ચાલવાનો અશ્વેતોને વળી અધિકાર જ ક્યાંનો? પણ સીદી રાહદારી સદીઓથી લાખ અપમાનિત થતો આવ્યો હોવા છતાં માનવી મટી નથી ગયો, એવું દર્શાવવા કવિ કહે છે, કે મેં તો એને જોયો, હું કશુંય નીરખવું ચૂક્યો નથી. સામાને જોવા માટેની નજર જ્યારે બધા પાસે હશે ત્યારે જ રંગભેદ-જાતિભેદ વગેરે ધરમૂળમાંથી દૂર થશે. આપણે સૌ તો પૃથ્વી પર એમ વિચરણ કરીએ છીએ, જાણે એનું ધરીબિંદુ આપણે જ ન હોઈએ. ધૂમકેતુ ‘પૉસ્ટ ઑફિસ’માં આપણને આ સનાતન સત્ય આપી ગયા: ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી. બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.’ સૉનેટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ટક્કર મારી સૉરી ક્હેવાના સ્થાને દાંતિયા કાઢનાર શ્વેત ડ્રાઇવરના મનમાં, અને એ રીતે આખા સમાજમાં ઘર કરી ગયેલી રંગભેદની અન્યાયી નીતિ પર કોઈપણ પ્રકારના કુઠારાઘાત કરવાના બદલે એ માત્ર હળવી ટકોર કરે છે. પ્રતિકાર છે પણ ડંખ નથી, વિરોધ છે પણ ઝેર વિનાનો. અને કદાચ એટલે જ આ સૉનેટ આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે છે. જર્મન પાદરી માર્ટિન નીમોલાની એક રચનાથી વાત પૂરી કરીએ:

પહેલા તેઓ સમાજવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું સમાજવાદી નહોતો.
પછી તેઓ ટ્રેડ યુનિયનવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું ટ્રેડ યુનિયનવાદી નહતો.
પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં-
કારણ કે હું યહૂદી નહોતો.
પછી તેઓ મારા માટે આવ્યા –
અને મારા માટે બોલનાર ત્યારે કોઈ જ બચ્યું નહોતું.

4 replies on “ગ્લૉબલ કવિતા : ૧૬૫ : પદયાત્રી – ટોમી બ્લૉન્ટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *