ગ્લૉબલ કવિતા : ૧૫૪ : અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડન

The Unknown Citizen

(To JS/07 M 378
This Marble Monument
Is Erected by the State)

He was found by the Bureau of Statistics to be
One against whom there was no official complaint,
And all the reports on his conduct agree
That, in the modern sense of an old-fashioned word, he was a saint,
For in everything he did he served the Greater Community.
Except for the War till the day he retired
He worked in a factory and never got fired,
But satisfied his employers, Fudge Motors Inc.
Yet he wasn’t a scab or odd in his views,
For his Union reports that he paid his dues,
(Our report on his Union shows it was sound)
And our Social Psychology workers found
That he was popular with his mates and liked a drink.
The Press are convinced that he bought a paper every day
And that his reactions to advertisements were normal in every way.
Policies taken out in his name prove that he was fully insured,
And his Health-card shows he was once in hospital but left it cured.
Both Producers Research and High-Grade Living declare
He was fully sensible to the advantages of the Instalment Plan
And had everything necessary to the Modern Man,
A phonograph, a radio, a car and a frigidaire.
Our researchers into Public Opinion are content
That he held the proper opinions for the time of year;
When there was peace, he was for peace: when there was war, he went.
He was married and added five children to the population,
Which our Eugenist says was the right number for a parent of his generation.
And our teachers report that he never interfered with their education.
Was he free? Was he happy? The question is absurd:
Had anything been wrong, we should certainly have heard.

– W. H. Auden
અજાણ્યો નાગરિક

(પ્રતિ જે.એસ./07M378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે આંકડાશાસ્ત્રના ખાતા દ્વારા તપાસ કરતાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો એ વાતે સહમત છે
કે, એક જુનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં, એ એક સંત હતો,
કેમકે એણે જે પણ કંઈ કર્યું, બૃહદ સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એણે એક જ ફેક્ટરીમાં કામ કર્યું અને એને કદી પાણીચું અપાયું નહોતું;
ઊલટું, એણે સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ છતાંય ન તો એ હડતાળ-વિરોધી ગદ્દાર હતો કે ન તો એના વિચારો વિચિત્ર હતા,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કરજ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ બરાબર જ હતું)
અને અમારા સમાજ-માનસશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું છે કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને પીવું પસંદ હતું.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એની પ્રતિક્રિયાઓ દરેક રીતે સામાન્ય હતી.
એના નામ પર લેવાયેલી પોલિસીઓ સાબિત કરે છે કે એણે પૂરેપૂરો વીમો ઉતરાવ્યો હતો,
અને એના આરોગ્ય-પત્રક મુજબ એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને ગયો હતો.
બંને પ્રોડ્યુસર્સ રિસર્ચ તથા હાઇ-ગ્રેડ લિવિંગ સંસ્થાનોએ જાહેર કર્યું છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓ બાબત સંપૂર્ણપણે સમજદાર હતો
અને આધુનિક માનવીને જરૂરી તમામ ઉપકરણો એની પાસે હતાં,
મોબાઇલ, સ્માર્ટ ટીવી, કાર અને રેફ્રિજરેટર.
અમારા જનમત સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
શાંતિ હતી ત્યારે એ શાંતિના પક્ષમાં હતો; યુદ્ધ થયું ત્યારે એ માટે ગયેલો.
એ વિવાહિત હતો અને વસ્તીમાં એણે પાંચ બાળકોનો ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજાજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ બાબતમાં દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? આ પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈ પણ ખોટું થયું હોત, તો અમને તો ખબર જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડન
(અનુ.: વિવેક મનહર ટેલર)
નેગેટિવ યુટોપિયા પર પ્રકાશ નાંખતી દીવાદાંડી

આધાર કાર્ડ વિના નિરાધાર હોવાની લાગણી જન્માવે એ રીતે અમેરિકાના સોશ્યલ સિક્યુરિટી નંબરની જેમ આપણા દેશમાં આધાર કાર્ડનું વાવાઝોડું ફરી વળ્યું છે. બૅન્ક એકાઉન્ટ હોય કે ઇન્કમટેક્સ રિટર્ન હોય, મોબાઇલ નંબર હોય કે ઓનલાઇન ખરીદી, લોન લેવી હોય કે સરકારી ખાતામાં નોકરી- આપણે ત્યાં પણ આધાર કાર્ડ નાગરિકજીવનના બધા જ પાસાંઓ સાથે સાંકળવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આપણા દેશનો સરેરાશ નાગરિક હજી અભણ હોવાથી હજી આપણા વ્યવહારમાં થોડીઘણી વ્યક્તિગતતા બચી ગઈ છે પણ સરકાર જે રીતે નાગરિકોને નંબરના સ્ટિકર્સ મારીને ઓળખવાની પ્રણાલિના અમલીકરણમાં રત છે એ જોતાં એ દિવસો દૂર નથી જ્યારે માણસ એના નામથી નહીં પણ સરકારી નંબરથી ઓળખવાનું શરૂ થઈ જાય. ઑડનની અજાણ્યો નાગરિક કવિતા આજના યુગના આઇડેન્ટિટી લૉસની ચોંકાવનારી વાસ્તવિક્તાથી આપણને અવગત કરે છે.

ડબ્લ્યુ. એચ. ઑડન. વિસ્ટન હ્યુ ઑડન. ૨૧-૦૨-૧૯૦૭ના રોજ ઇન્ગ્લેન્ડના યૉર્ક ખાતે મધ્યમવર્ગીય કુટુંબમાં ફિઝિશ્યનને ત્યાં જન્મ. દાદા-પરદાદાઓ ચર્ચમાં પાદરી રહ્યા હોવાના નાતે બાળપણમાં ચર્ચ એમની નજીક રહ્યું અને કૂમળી વયે એમના સંગીત તથા ભાષાપ્રેમને આકાર આપવામાં નિમિત્ત પણ બન્યું. એ જ રીતે પિતાજીનો તબીબી વ્યવસાય એમની આજીવન મનોવિશ્લેષણાત્મક રુચિનંા ઉદગમસ્થાન બન્યો. નાની વયે જ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી. ૧૩ વર્ષની વયે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોતે સાહિત્યકાર બનવા સર્જાયા છે. ૧૯૩૦માં પ્રકાશિત ‘પોએમ્સ’થી નવી પેઢીના અગ્રણી અવાજ તરીકે નામના મળી. ઓક્સફર્ડ ખાતે અંગ્રેજી ભાષા-સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી. લૉર્ડ ઑફ રિંગ્સના સર્જક ટોલ્કિન ત્યાં એમના શિક્ષક હતા. પહેલાં બ્રિટનમાં અને પછી અમેરિકામાં લેક્ચરર-પ્રોફેસર તરીકે સેવા પણ બજાવી. ૧૯૨૭થી ૩૯ સુધી ક્રિસ્ટોફર ઇશરવુડ તથા અન્ય કેટલાક સાથે સજાતીય શારીરિક સંબંધો રહ્યા. ૧૯૩૫માં એરિકા માન નામની જર્મન લેખિકા-અભિનેત્રીને નાઝીઓથી બચવા બ્રિટિશ પાસપૉર્ટ અપાવવાના એકમાત્ર હેતુસર કહેવાતા લગ્ન કર્યા. ૧૯૩૯માં અમેરિકા સ્થળાંતર કર્યું. અને ૧૯૪૬માં ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું. લાંબાટૂંકા ગાળાના જાતિય સંબંધો અનેક વ્યક્તિઓ સાથે રાખ્યા. ૧૯૩૯માં ચેસ્ટર કોલમેનના પ્રેમમાં પડ્યા. ઑડનના મતે એ એમની પત્ની હતી પણ ચેસ્ટરને એ દરજ્જો મંજૂર નહોતો એટલે બે વર્ષમાં લગ્નજીવનનો દાવો પડી ભાંગ્યો. દોસ્તી ટકી રહી અને ૧૯૪૭થી કવિના મૃત્યુ સુધી બંને જણ એક જ ઘરમાં શારીરિક સંબંધ રાખ્યા સિવાય સાથે રહ્યા. જીવનના અંતિમ બે દાયકા અકાદમી ઓફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર તરીકે પસાર કર્યા, અને જીવનનો ઉત્તરાર્ધ બહુધા ન્યૂયૉર્ક અને ઓસ્ટ્રિયાની વચ્ચે વહેંચી નાંખ્યો. પુલિત્ઝર પારિતોષિકથી સન્માનિત થયા. ૨૯-૦૯-૧૯૭૩ના રોજ વિએના ખાતે નિધન.

અપ્રતિમ કળાભિજ્ઞતા ધરાવતા વિસ્ટન હ્યુ ઑડન સાચા અર્થમાં ટેકનિકના અને છંદોલયના બેતાજ બાદશાહ હતા. બીજા શબ્દોમાં કઈએ તો મિ. પરફેક્શનિસ્ટ. એમના જીવનનો અજંપો એમના કાવ્યોના સ્વરૂપ, કદ તથા વિષયોના અસીમ વૈવિધ્યમાં પ્રતિબિંબાય છે. પ્રાચીનતમથી લઈને આધુનિકતમ તમામ કાવ્યપ્રકારોમાં એમણે ખેડાણ કર્યું છે. ઑપેરા માટેના લેબ્રેટો (libretto) (દીર્ઘ સંગીતનાટિકા) પણ એમણે લખ્યાં છે. પદ્યની જેમ જ ગદ્યમાં પણ નાનાવિધ પ્રકારોમાં એમનું ખેડાણ ખાસ્સું બહોળું અને નોંધપાત્ર છે. એમની કલમમાંથી એમનું જીવન છલકાય છે. સમસામયિક પ્રવાહો, અમેરિકા અને ઇન્ગ્લેન્ડના તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનો પ્રવર્તમાન ચહેરો અને સ્થાનિક ભાષાઓનું સંમિશ્રણ ઑડનની આગવી ઓળખ છે. નાનાવિધ સાહિત્ય પ્રકારો, કળાઓ, રાજકીય-ધાર્મિક અને સામાજીક મત તથા તકનિકી અને વૈજ્ઞાનિક માહિતીઓમાંથી અર્ક તારવી લઈને અસામાન્ય સર્જન કરવાની કોઠાસૂઝ જે ઑડનમાં જોવા મળે છે એના કારણે જ એ વીસમી સદીના સર્વશ્રેષ્ઠ અંગ્રેજી કવિ ગણાય છે. ઑડનની કવિતાઓ બુદ્ધિવાદી કવિતા છે, એમાં ડહાપણ પણ ઠાંસીને ભરેલું છે. એમની કવિતાઓ એક મુસાફરી-એક તરસને શબ્દબદ્ધ કરતી નજરે ચડે છે. વલેરીની કહેતી કે, ‘કવિતા ક્યારેય પૂરી થતી નથી, એને માત્ર ત્યજી દેવામાં આવે છે’ સાથે સહમત હોય એમ તેઓ પોતાની રચનાઓમાં સતત સુધારા કર્યે રાખતા. એ કુદરતી સૌંદર્યના કવિ હતા. કવિતામાં આધુનિકવાદની અસર એમની કલમમાં સતત વર્તાય છે. સિગ્મંડ ફ્રોઇડનું માનસશાસ્ત્ર અને સેક્સોલોજીનો ખાસ્સો પ્રભાવ પણ દેખાય છે. બીજા વિશ્વયુદ્ધ અને રાજકારણનો પણ એમના પર ખાસ્સો પ્રભાવ રહ્યો. આપણે ત્યાં કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં અમેરિકાગમન પૂર્વે અને સ્વદેશાગન પછી –એમ બે તબક્કા સાફ નજરે ચડે છે એમ ઑડનની કવિતાઓમાં પણ અમેરિકાગમન પહેલાં અને પછી એમ બે અલગ ભાગ જોઈ શકાય છે. પહેલાં એ વામપંથી હતા અને રોમાન્ટિસિઝમના વિરોધી હતા. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ એમની કવિતાઓ માનવસમસ્યાઓના ઉકેલ માટે રહસ્યવાદ-અધ્યાત્મ તરફ નજર નાંખતી દેખાય છે.

‘અજાણ્યો નાગરિક’ કવિની જાણીતી રચના છે. ૧૯૩૯માં ઇન્ગ્લેન્ડથી ન્યૂયૉર્ક સ્થળાંતરિત થયા બાદ એ જ વર્ષે લખાયેલી આ કવિતા અમેરિકન શૈલીની વિશૃંખલતા તથા ઉપભોક્તાવાદથી ઑડન કેટલી હદે દિગ્મૂઢ થઈ ગયા હશે એની પ્રતીતિ કરાવે છે. કોઈ મજેદાર ટૂચકો વાંચતા હોઈએ એવી જણાતી આ કવિતા અંતે આપણા બીબાંઢાળ અહેસાસને ચીરીફાડી નાંખે છે. ઉમદા કવિતા ઉત્તમ કથાવસ્તુઓથી બનતી નથી આ એનો પણ પુરાવો છે. સામાન્યરીતે ઑડનની કવિતાઓ રોજિંદી બોલચાલના કાકુઓથી એટલી રસીબસી હોય છે કે અનુવાદ કરવું દોહ્યલું થઈ પડે. જો કે પ્રસ્તુત રચના એમાં અપવાદ છે. શીર્ષક અને કવિતા વચ્ચેના સમાધિલેખને બાદ કરતાં આખી રચના એક જ ફકરામાં લખાયેલ ૨૯ પંક્તિઓનું સળંગ કાવ્ય છે. પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય હકીકતમાં મુક્તપદ્ય (Free verse) અને રિક્તપદ્ય (blank verse)ની વચ્ચે ક્યાંક ગતિ કરે છે, જેમાં રિક્તપદ્યની જેમ પ્રાસ અને છંદ તો છે પણ અનિયત અને અનિશ્ચિત છે. પ્રચલિત આયમ્બના સ્થાને મોટાભાગે (બધે જ નહીં!) એનાપેસ્ટ (લઘુ-લઘુ-ગુરુ શબ્દાંશ) મીટર પ્રયોજાયું છે, અને શબ્દાંશ સંખ્યા પંક્તિએ પંક્તિએ મુક્તપદ્યની જેમ બદલાતી રહે છે. ચુસ્ત પ્રાસ છે પણ પ્રાસરચના અંધાધૂંધીભરી છે. કવિતાની શરૂઆત અબઅબ પ્રાસયોજનાથી થાય છે અને અચાનક અઅ-બબ પ્રકારના યુગ્મકપ્રાસથી લઈને કોઈ એક પંક્તિનો પ્રાસ છેક દૂરની કોઈ પંક્તિ સાથે (૮-૧૩, ૧૮-૨૧-૨૩) મળતો હોય એ પ્રકારના આંચકાવાળી ઉબડખાબડ છે. સરવાળે, કવિતાનાં કદ, આકાર, છંદ અને પ્રાસની અરાજકતામાં આજના સરકારી વહીવટમાં પ્રવર્તમાન વિશૃંખલતા દૃષ્ટિગોચર થાય છે.

કોઈ એક ગુમનામ નાગરિક મૃત્યુ પામ્યો છે એની આ વાત છે. ઊંચી પૉસ્ટ પર બેઠેલો કોઈ સરકારી અધિકારી એના ટેબલ પર પડેલી કોઈ ફાઇલ વિશે વાત કરતો હોય, બિલકુલ એ જ નિઃસ્પૃહતાપૂર્વક કોઈપણ જાતની લાગણી અનુભવ્યા કે વ્યક્ત થવા દીધા વિના મરી ગયેલા બેનામ નાગરિક વિશે આપણને કહી રહ્યો છે. એના અવાજમાં કોઈ જ કંપ નથી એ હકીકત આપણા શરીરમાં કંપકપી લાવી દે છે. કાવ્યારંભે આવતા ઉત્કીર્ણલેખ (epigraph) પરથી આપણને સમજાય છે કે મરનાર ગુમનામ હતો એટલે રાજ્યસરકારે એને દફન કરીને એની કબર ઉપર આરસનું સ્થાપત્ય બનાવી તકતી લગાવી છે. તકતી પર સરકાર દ્વારા અંકાયેલ આલ્ફાબેટ અને નંબર આ અજાણ્યા નાગરિકની એકમાત્ર ઓળખ બનીને રહી ગયાં છે. અજાણ્યો નાગરિક શીર્ષક યુદ્ધમાં શહીદ થયા બાદ ઓળખી ન શકાયેલા સૈનિકોની વિશ્વભરમાં ઠેકઠેકાણે ઊભી કરાયેલ અજાણ્યા સૈનિકોની કબરોની ઠેકડી ઊડાવે છે. એક-એક લીટી જાણે મીઠાના પાણીમાં બોળેલા ચાબખાની જેમ આપણી નફ્ફટ પણ નગ્ન ચામડી પર વીંઝાતી કેમ ન હોય એમ કવિતા આપણને અંગે-અંગે જખ્મી કરી દે છે. એક કે બે ચાબખા વીંઝવાથી કવિને સંતોષ ન થતો હોય એમ કવિતા લંબાયે જ રાખે છે અને આપણા અહેસાસના અ-ક્ષત પથ્થરને કોરી-કોરીને વેદનાનું જીવંત શિલ્પ કંડારી દે છે.

આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘1984’ યાદ આવ્યા વિના નહીં રહે. બે વિશ્વયુદ્ધની વચ્ચે ૧૯૩૧માં લખાયેલ ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં ભૌતિકવાદની સર્વોપરિતા અને વૈજ્ઞાનિકો તથા ‘આયોજકો’ વડે મનુષ્યજાતિ સાથે કરાતી પદ્ધતિસરની છેડછાડ ડરામણા ભવિષ્યની ધ્રુજાવી નાંખે એવી તસ્વીર ઉપસાવે છે. ટેકનોલોજીના અતિક્રમણના પરિણામે અંગત ઓળખ ગુમાવી બેસતી માનવજાતનું ચિત્રણ આબેહૂબ થયું છે. નવ દાયકા પહેલાં લેખકે જે કલ્પના કરી હતી એમાંની ઘણી, જેમ કે લેબોરેટરીમાં અંડકોષનું ફલીકરણ વિ., આજે સાચી પડી હોવાથી ‘રિવર્સ-યુટોપિયા’નો દૃષ્ટિકોણ ધરાવતી આ નવલકથાએ એ જમાનામાં ભયનું લખલખું ફેલાવી દીધું હતું. બીજી બાજુ, ઑર્વેલની ‘1984’ તો આપણા ભવિષ્યનો વધુ ડરામણો ચહેરો ઉઘાડો કરે છે. સમસ્ત મનુષ્યજાતિ પર ચાંપતી નજર રાખતો બીગબ્રધર એની ‘થોટપોલિસ’ ‘ન્યૂસ્પિક’ ભાષા અને ‘ડબલથિંક’ શિક્ષણપદ્ધતિ વડે આખી પ્રજાનું બ્રેઇનવૉશ કરી કાબૂમાં રાખે છે. એકહથ્થુ સરમુખત્યારશાહીના જોખમો સામે લાલબત્તી ચીંધતી આ નવલ પણ નેગેટિવ-યુટોપિયાનો ડર જન્માવે, ધ્રુજાવી નાખે એવો જ દૃષ્ટિકોણ ધરાવે છે. સરવાળે આપણે એ સમજવાની જરૂર છે કે વિકાસ અને સંસ્કૃતિ અંગેના આધુનિક ખ્યાલો ધરમૂળથી સાવ ખોટાય હોઈ શકે છે.

કળાકાર એ સમાજની દીવાદાંડી છે. કળાના પ્રકાશથી એ પ્રજાને દેખતી અને જાગતી રાખે છે. આવી કોઈ એક નવલક્થા કે ઑડનની આ કવિતા જેવી કોઈ એક કવિતા ઘણીવાર હજાર પ્રવચનોનું કામ એકલા હાથે કરી શકે છે.રાજા જેમ્સના બાઇબલ અને પયગંબરના કુરાન ની માનવજાત પર જે અસર થઈ છે એ તો न भूतो, न भविष्यति છે. અબ્રાહમ લિંકન જ્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’ની લેખિકા હેરિઅટ સ્ટોવેને મળ્યા ત્યારે કહ્યું હતું કે, ‘તો તમે જ એ ઠીંગણી સ્ત્રી છો જેણે (હબસીઓની ગુલામીમુક્તિનું) મહાન યુદ્ધ શરૂ કર્યું છે.’ કન્ફ્યુસિયસ, પ્લેટો, ઈસપ, હૉમર, કાર્લ માર્ક્સ, ડાર્વિન, ફ્રોઇડ, શેક્સપિઅર વગેરે લેખકોની મનુષ્યજાતિ પરની અસર અમાપ-અસીમ છે. ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકે મહાત્મા ગાંધીનું જીવન બદલી નાંખ્યું હતું. ઉમાશંકર જોશીની ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’ પણ સમયના વહેણમાં ગુમરાહ થાઉં-થાઉં કરતા સમાજને સાચી દિશા દેખાડે છે. ઑડનની આ કવિતા પણ આવી જ એક દીવાદાંડી છે અને એંસી વરસ વીતવા છતાંય એની રોશની મંદ પડી નથી.

આ અજાણ્યો નાગરિક આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. સાચા અર્થમાં આ આમ આદમીની વાત છે. કોઈપણ સરકાર માટે એના નાગરિકની શી કિંમત? એક મત? કે એમની ઐયાશીઓ પૂરી પાડવા માટે ભરાતા ટેક્સની કે લાંચની રકમનો એક આંકડો? શરૂઆત જ આંકડાશાસ્ત્રથી થાય છે, એ પણ એ જ સૂચવે છે કે ઓળખપત્ર પર લખાયેલા એક આંકડાથી વધીને આપણી કોઈ હસ્તી જ નથી. અલગ-અલગ સરકારી બિનસરકારી ખાતાંઓ તરફથી પ્રાપ્ત કરાયેલ માહિતીના આધારે મરનારનું જીવન સરકાર નક્કી કરે છે. અંકખાતું કહે છે કે એની વિરુદ્ધ કોઈ અધિકૃત ફરિયાદ નહોતી. પ્રાપ્ત તમામ અહેવાલો પરથી એવું જણાય છે કે મૃતકની જિંદગી જૂના જમાનામાં જેને આપણે સંત કહેતા હતા એ કિસ્મના મનુષ્યના ગુણધર્મોને મળતી આવતી હતી. સંત તો હવે દીવો લઈને શોધવા નીકળીએ તોય મળે એમ નથી. ડિક્શનરીના કોઈ પાનાં પર છપાયેલ શબ્દથી વધીને એનું કોઈ અસ્તિત્વ નથી. પણ મરનારના લક્ષણો એના જેવા જ હતા. કેમકે એણે નિવૃત્ત થયો ત્યાં સુધીમાં એક યુદ્ધને બાદ કરતાં માત્ર સમાજનું કલ્યાણ થાય એવાં જ કામ કર્યાં હતાં.

આજના માણસની કિંમત એના વ્યક્તિત્વ, સ્વભાવ કે મૂળ ગુણધર્મોથી નથી થતી, એણે નોકરી કેટલી ઈમાનદારીથી કરી, માલિકોને કેટલો સંતોષ આપ્યો, અલગ-અલગ યુનિયનોના રિપૉર્ટ શું કહે છે એના પરથી થાય છે. અલગ-અલગ એજન્સીઓએ પાડી રાખેલા ખાનાંઓમાંથી તમે કેટલામાં ચૂં કે ચાં કર્યા વિના ચપોચપ બેસી જાવ છો, કેટલાંમાંથી પગ બહાર લંબાવવા કોશિશ કરો છો એના પરથી તમારું કેરેક્ટર સર્ટિફિકેટ તમારી જ ચૂંટી કાઢેલી, તમારા જ પૈસે ચાલતી સરકાર નક્કી કરે છે અને તમારે એ સરકારે આપેલું લેબલ જ ગળામાં લટકાવીને કબરમાં દટાઈ જવાનું છે. આજીવન એક જ જગ્યાએ નોકરી કરવી, માલિકો દ્વારા કદી હકાલપટ્ટી ન કરાવી એ જ કામદારનો ધર્મ. વળી યુનિયન હડતાળ પાડે ત્યારે હડતાળભંગ કરી કામે ચડવું એ પણ સમાજવિરોધી કૃત્ય જ ગણાય છે. સંજોગ કોઈ પણ હોય, પ્રવર્તમાન ટોળાશાહીથી અલગ ચીલો ન ચાતરવો એ જ આદર્શ નાગરિકનો ધર્મ છે. અધિકારી વળી એ યુનિયન પણ સરકારી નિયમો મુજબ યોગ્ય જ હતું એમ જણાવે છે ત્યારે આપણે સતત ‘બીગબ્રધર’ના કેમેરાની નજરમાં જ હોવાનું અનુભવાય છે. આ વાત અહીં એટલા માટે વધુ મહત્ત્વ ધરાવે છે કે બે વિશ્વયુદ્ધ વચ્ચેના એ ગાળામાં મોટાભાગના યુનિયનો સમાજવાદી કે કમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથે ગુપ્તરીતે સંકળાયેલા હતા અને એ રીતે સરકારવિરોધી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતાં. આવા સમયે સરકાર મૃતકના યુનિયનને પણ ‘ક્લિન ચીટ’ આપે એ સરમુખત્યારશાહી પાછળનો કટાક્ષ લોહી થીજવી દે એવો તીવ્ર છે.

સમાજમાનસશાસ્ત્રીઓના મંતવ્યાનુસાર એ મળતાવડો હતો, સાથીઓમાં અપ્રિય નહોતો અને ડ્રિન્ક પણ લેતો હતો. પાશ્ચાત્ય સમાજમાં ડ્રિન્ક એ શિષ્ટાચારનો પર્યાય છે. અખબારનવેશોને ખાતરી છે કે આ માણસ રોજ એક અખબાર ખરીદતો હતો અને જે ઢંગઢડા વિનાની જાહેરાતોના દમ પર અખબારો ચાલે છે, એ જાહેરખબરો વિશેની એની પ્રતિક્રિયાઓ સમાજમાં દરેક માનવીની જે રીતની હોવી ઘટે, એવી જ હતી. એના નામ પર લેવાયેલી વીમાપૉલિસીઓ પરથી એવું સિદ્ધ થયું છે કે એ પૂર્ણપણે વીમિત હતો. બહુ બિમાર પડીને એ સરકાર પર વધારાનો બોજ બન્યો નહોતો. એક જ વાત એ હૉસ્પિટલમાં દાખલ થયો હતો ને ત્યાંથીય સાજા થઈ રજા લઈ એણે સરકાર પર ઉપકાર કર્યો હતો. માણસની ઉચ્ચ જીવનશૈલીના ‘ગોડફાધર્સ’ના મતે મધ્યમવર્ગના માનવીની જેમ એ હપ્તા પદ્ધતિના લાભાલાભથી વાકેફ હતો અને એની પાસે તમામ અત્યાધુનિક ઉપકરણો હતા, યાને કે એ નિયમિત હપ્તા ભરતો હતો. અર્થાત્, દેવુ કરીને પણ ઘી પીવાની ચાર્વાકપદ્ધતિથી એ અસહમત નહોતો. જરૂર ન હોય એવી વસ્તુઓ પણ હપ્તેથી ખરીદવાની મનોવૃત્તિ જન્માવતા આધુનિક ઉપભોક્તાવાદનો એક હિસ્સો હોવું મતલબ સમાજની અર્થવ્યવસ્થા બરાબર ચાલતી રહે, વૃકોદર ધનિકોની ધનભૂખ સંતોષાતી રહે એ બાબતને અનુમોદન આપવું. મૃતક કોઈપણ વિરોધ વિના આ વ્યવસ્થાનો એક નિરુપદ્રવી પુરજો બન્યો હતો એટલે સરકાર માટે એ સર્વથા આદર્શ નાગરિક હતો.

જનમત સંગ્રાહકોના મતે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો. મતલબ, એના અવાજમાંથી કદી કોઈ પણ વિરોધનો સૂર ઊઠતો સંભળાયો નહોતો. યુદ્ધ થાય ત્યારે એ ચૂપચાપ એમાં પણ જોતરાતો. લગ્ન કરીને એણે સમાજની વસ્તીમાં પાંચ બાળકોનું અમૂલ્ય પદાર્પણ કર્યું હતું. સુપ્રજાજનનશાસ્ત્રી (Eugenist)ના મતે આજે બહુ વધારે લાગતો આંકડો એ સમય માટે યોગ્ય જ હતો. સુપ્રજાજનનશાસ્ત્ર (Eugenics)નો અર્થ છે ‘સારું સર્જન.’ પ્લેટોએ પહેલવહેલીવાર આ વિચાર રજૂ કર્યો હતો. ચુનંદા ગુણધર્મો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે શારીરિક સંબંધ બંધાવીને ઉમદા નસલની માનવજાતિ ઉત્પન્ન કરવી એટલે યુજેનિક્સ. ઓગણીસમી સદીના અંતભાગે ગાલ્ટન અને એના પિતરાઈ ચાર્લ્સ ડાર્વિને એનો ઝંડો ઉપાડ્યો. વિશ્વભરમાં સંસ્થાઓ સ્થપાઈ અને હજારો શારીરિક-માનસિક ખોડખાંપણ કે બિમારીઓ ધરાવતા લોકોનું વંધ્યકરણ કરી નાંખવામાં આવ્યું. હિટલરને જ્યારે આ શસ્ત્ર હાથમાં લઈ ઉત્તમ આર્યપ્રજાતિ સર્જવાનું ગાંડપણ ચડ્યું અને યુજેનિક્સના નામે લાખો લોકોનો બલિ લેવામાં આવ્યો ત્યારે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. જિનેટિક એન્જિનિઅરિંગના નામે આ કામ આજે પણ ચાલી રહ્યું છે.

અજાણ્યા નાગરિકના સંતાનોના શિક્ષકો પણ એનાથી એ વાતે સંતુષ્ટ હતા કે એમની શિક્ષણ પદ્ધતિની આડે એ ક્યારેય આવ્યો નહોતો. સરકારી અધિકારી આખી રચનામાં તમામ ખાતાધિકારીઓને ‘અમારા’ કહીને સંબોધે છે, પણ જ્યારે એ શિક્ષકોને પણ ‘અમારા’ કહે છે, ત્યારે ખતરાની ઘંટીઓ સંભળાય છે. શિક્ષણ વ્યવસ્થા સરકારના કાબૂમાં હોવી મતલબ નાગરિક અભિવ્યક્તિ પર સમગ્રતયા કાબૂ હોવો. તમામ સરકારમાન્ય સંસ્થાઓ-અધિકારીઓ તમારા વિશે ‘ઓકે’ રિપૉર્ટ આપે તો જ તમે ‘ઓકે’ કહેવાવ. તમારા દ્વારા અપાતા તમામ અભિપ્રાય સરકારને સુસંગત જ હોવા જોઈએ. નોકરી, બાળક, શિક્ષણ કે શ્વાસ- તમારે નિયત ઘરેડની બહાર પગ મૂકવાનો નથી. ઘોડાની આંખની આજુબાજુ ડાબલાં બાંધેલાં આપણે જોયાં છે. ઘોડાવાળો આ ડાબલાં એટલા માટે બાંધે છે કે ઘોડાએ સામેના રસ્તા સિવાય આજુબાજુનું કશું જોવાનું નથી એવું એણે નક્કી કર્યું છે. મંઝિલ ઘોડાવાળાએ નક્કી કરી છે, મંઝિલ પર જવાનો નિર્ણય પણ એણે જ કર્યો છે પણ એ પીઠ પર સવાર થઈ ગયો છે એટલે ભલે ઘોડો જ એને મંઝિલ સુધી કેમ ન લઈ જતો હોય, ડાબલાંની સજા તો ઘોડાએ જ ભોગવવાની છે. સરકાર પણ આપણી પીઠ પર સવાર થઈ ગઈ છે. એનો બોજો પીઠ પર વેંઢારીને આપણે જ એને એની મંઝિલ સુધી લઈ જવાનાં છીએ પણ એ પીઠ પર ચડી ગઈ છે એટલે નિયમોના ડાબલાં આપણી જ આંખ પર લાગે છે.

છેલ્લી બે પંક્તિ તો ચપ્પુની અણીથી કોતરી હોય એવી છે. શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? બે પ્રશ્નો કહ્યા બાદ પણ સરકારી અધિકારી પ્રશ્ન માટે એકવચન વાપરે છે, જાણે કે આવા પ્રશ્નો એક હોય, બે હોય કે હજાર- એને મન બધા એક જ, અને એકેયથી એને રતીભારેય ફરક પડતો નથી. એના માટે તો આ પ્રશ્ન જ બેતૂકો છે, કેમકે એને અને સરકારને દૃઢપણે ખાતરી છે કે કંઈપણ થયું હોત તો એમને તો ખબર હોત જ, કેમકે એમની જાણકારી (અને મરજી) બહાર તો પાંદડુંય ફરકી શકનાર નથી. જય હો બીગ બ્રધર! આઝાદી, ખુશી, પ્રેમ જેવી વ્યક્તિગત અને અભિવ્યક્તિગત સંવેદનાઓનું સરકારને મન કોઈ મૂલ્ય નથી. બળદ પોતાના ગળે ધૂંસરી બાંધીને ઘાણીમાં ગોળ-ગોળ ફરીને રસ કાઢી આપતો હોય ત્યાં સુધી આ તમામ પ્રશ્નો અપ્રસ્તુત છે. દરેકેદરેક માણસ વિશેની અથથી ઈતિ જાણકારી હોવા છતાં દરેકેદરેક માણસ અ-જાણ્યો જ છે એ વિરોધાભાસ, એ કારમો કટાક્ષ ચાબુકની જેમ આપણી રહીસહી સમ-વેદના પર વિંઝાય છે અને એ જ આ કવિતાનો પ્રાણ છે.

6 replies on “ગ્લૉબલ કવિતા : ૧૫૪ : અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડન”

  1. Kudos. An excellent read in the context of our times. W.H. Auden must be feeling proud where ever he is. Once human beings are identified merely by their Number Tags the soul is lost. There is pages and pages of material but no depht, no feeling, no amphaty. We are all being turned into morons.

    Do I have the guts to stand up or do I just accept to be a moron ? We are on the threshold of making a decision for ourselves at individual level and our NATION on collective level.

  2. લય્સ્તરો,તહુકો,
    1972 ના ” કવિતા” ના  અંક  માં  ઓડેન  ની  ઓળખાણ  હરીન્દ્રસભાઈ  એ  કરાવેલી  અને    બે  લઈને  સ્પર્ધી  ગઈ  હતી  “નોવા  ઓઉર  પાર્ટ્નરશિ  ઇઝ  ડિઝોલ્વર્ડ”  અને  વાવ” વે  મુસ્ત  લોવે  ઓર  ડીએ”અને  આ  કવિતા।બધુજ  તાજું  થઇ  ગયું।  આભાર 

  3. આભાર, ફરીથી. તમારાં બધાજ સાહિત્યિક ઓપરેશન્સ ખૂબ જ મનહર હોય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *