ગ્લૉબલ કવિતા : ૧૪૫ : એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન

Once, I knew a fine song

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

એક મજાનું ગીત હું જાણતો હતો

એકવાર, એક મજાનું ગીત હું જાણતો હતો,
– એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઢાંકણ ખોલ્યું,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ રેત સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

વિચારોની આઝાદી જ છે સાચી કવિતા…

અભિવ્યક્તિ મનુષ્ય માત્રની અનિવાર્ય આવશ્યકતા છે. કોઈ પણ વસ્તુને જોઈને, સાંભળીને, સ્પર્શીને, સૂંઘીને કે ચાખીને આપણે જે કંઈ સંવેદન અનુભવીએ છીએ એને યથાતથ સ્વરૂપે રજૂ કરવાનું આપણને ગમે છે. રજૂઆતની આ જરૂરિયાતમાંથી ભાષાની શરૂઆત થઈ. ભાષાનું પહેલું સ્વરૂપ વાણી અને બીજું લિપિ. ઈન્દ્રિયગમ્ય અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ મનુષ્ય પ્રારંભથી કરતો આવ્યો છે. પણ શું આવી આબેહૂબ અભિવ્યક્તિ શક્ય હોય શકે ખરી? ચાલો, સ્ટીફન ક્રેનની આજની કવિતા પાસેથી આ વાતનો ઉત્તર મેળવવાની કોશિશ કરીએ.

સ્ટિફન ક્રેન. ૦૧-૧૧-૧૮૭૧ના રોજ ન્યૂ જર્સી ખાતે મેરી અને જોનાથનના ચૌદમા અને આખરી બાળક તરીકે જન્મ. ૯ વર્ષની વયે પિતાનું અને કોલેજમાં હતા ત્યારે માતાનું નિધન. બેઝબોલના સારા ખેલાડી. ભાઈ-ભાંડુ વધુ હોવાથી બહુધા એમની બહેને જ એમને ઉછેર્યા અને ભણાવ્યા. કોલેજ અધવચ્ચે છોડી દઈ ફ્રી-લાન્સ લખેક તરીકે કલમને ખોળે માથું મૂક્યું. માત્ર ચાર વર્ષની ઉંમરે વાંચવા-લખવાની શરૂઆત. સોળ વર્ષની ઉંમરે તો લેખો છપાવા માંડ્યા. ૧૮૯૩માં પહેલી નવલકથા જોન્સન સ્મીથના છદ્મનામે જાતે જ છાપી. યુદ્ધ ખબરપત્રી તરીકે ક્યુબા જતાં જહાજ કમનસીબે પાણીમાં ડૂબી ગયું. મૃતકરાર આપી દેવાયા બાદ અને ત્રીસ કલાક નાના હોડકાના સહારે રહ્યા બાદ તેઓ કિનારે આવ્યા. આ પ્રવાસ દરમિયાન ૧૮૯૭માં વેશ્યાગૃહ ચલાવનાર કોરા સ્ટુઅર્ટ (ટેઇલર) સાથે મુલાકાત થઈ જે આજીવન એમની સાથે રહી. પણ કોરા સાથેના સંબંધોના પરિણામે એમના પર અનેક આરોપો લાગ્યા. ગામચર્ચા અને અફવાઓથી ત્રાસીને બંને ઈંગ્લેન્ડ સ્થાયી થયા. ખર્ચાળ જીવનશૈલીના પરિણામે દેવાના ડુંગરા માથે ખડા થયા. જેમાંથી બચવા લખ-વા થયો હોય એમ તેઓ લખતા. બાળપણથી જ અવારનવાર બિમારીનો શિકાર બન્યે રાખતા ક્રેનના નસીબમાં દીર્ઘાયુષ્ય હતું નહીં તે અંતે ક્ષયરોગના કારણે જર્મની ખાતે એક સેનેટોરિયમમાં ૦૫-૦૬-૧૯૦૦ના રોજ માત્ર ૨૮ વર્ષની કાચી વયે એમણે શ્વાસ છોડ્યો. એ વખતે પણ તેઓ પોતાની કૃતિ ‘ઓ’રુડી’ વિશે લખાવી રહ્યા હતા.

આયુષ્ય ગણીએ તો આંગળીના વેઢા વધારે પડે પણ લેખનકાર્ય જુઓ તો બાહુલ્યનું વરદાન લખાવી આવ્યા હોય એમ લાગે: છ નવલકથાઓ, પાંચ નવલિકાસંગ્રહો, બે કાવ્યસંગ્રહો, પત્રો અને ચિત્રો. મુખ્ય કીર્તિ નવલકથાકાર અને વાર્તાકાર તરીકેની. અમેરિકાના સિવિલ યુદ્ધની પૂરું થયાના છ વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં એમની યુદ્ધવિષયક કૃતિઓ જાણે યુદ્ધની વચ્ચોવચ જીવીને જ લખાઈ હોય એવી સજીવન અને વાસ્તવિક હોવાથી ‘યુદ્ધલેખક’નું બિરુદ પામ્યા. સ્ટિફન સાહિત્યના આકાશમાં ધૂમકેતુની જેમ એક લિસોટો છોડી ગયા જે કાયમ પ્રકાશિત રહેનાર છે. અમેરિકાના અગ્રગણ્ય વાસ્તવવાદી સર્જકોમાંના એક સ્ટિફન ક્રેનનું સાહિત્ય યથાર્થવાદી, નિસર્ગવાદી અને પ્રભાવવાદી હતું અમેરિકન નેચરલિઝમની શરૂઆત કરવાનું શ્રેય એને ફાળે જાય છે. માનવીની પરિસ્થિતિઓનું આબેહૂબ રેખાચિત્ર તેઓ ખેંચતા. વિરોધાભાસી સંવેદનોનું બખૂબી આલેખન કરવું એ એમની ખાસિયત. ક્રેનની કવિતાઓ જેને એ ‘લાઇન્સ’ કહેવી પસંદ કરતા, મોટા ભાગે ટૂંકી, છંદ વગરની અને પ્રાસરહિત હતી. ક્રેનનું સાહિત્ય જમાનાની રુઢિથી ઉફરું અને ખાસ્સું આગળ હતું. ક્રેને એક કવિતામાં લખ્યું છે: ‘પ્રથા, તું ધાવણા બાળકો માટે છે.’ ક્રેનની ‘બુદ્ધિજીવી’ કવિતા હૃદય કરતાં વધુ વિચારને સ્પર્શે છે, ભાવના કરતાં સવિશેષ મનને સ્પર્શે છે. ક્રેને કહ્યું હતું કે એકંદરે એમનું કાવ્યલક્ષ્ય જિંદગી વિશેના પોતાના વિચારો, જે મુજબ પોતે જાણ્યા છે, એ સમગ્રતયા આપવાનું છે.

‘એક મજાનું ગીત હું જાણતો હતો’ ક્રેનનું સાવ જ નાનકડું કાવ્ય છે. અહીં, ક્રેનની તાસીર મુજબ છંદ, પ્રાસ, લય – કશું જ હાજર નથી. કવિતાની ભાષા પણ અતિસરળ અને સહજ ભાસે છે. પણ સારી કવિતા કદકાઠી કે લયલાઠીની મોહતાજ નથી હોતી. હકીકતમાં તો ગાગરમાં સાગર ભરી બતાવે એ કવિતા વધુ ઉત્તમ કહેવાય. નાના અમથા મુખમાં આખું બ્રહ્માંડ દેખાડતો કનૈયો આપણને સૃષ્ટિ ભરી દેતું વિરાટ સ્વરૂપ દેખાડતા શ્રીકૃષ્ણ કરતાં વધુ લાડકો અને પોતીકો લાગે છે. કવિતા અને કવિતાની વિભાવના સમજવા માટે આ નાનકડું અછાંદસ કાવ્ય ખાસ્સુ ઉપકારક બની શકે એમ છે. સમય-સમયે અને દેશ-દેશે કવિતાની વ્યાખ્યા સતત થતી આવી છે ને થતી જ રહેશે. કળા કોઈ પણ હોય, એ મનુષ્યને ‘सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है’ની કંટાળાજનક એકવિધ ઘટમાળમાંથી મુક્ત કરવાનું કામ કરે છે. (મુંશી અમીરુલ્લાહ તસ્લીમ.) કળા એ આપણા હોવાપણાંના ફેફસાંને મળતો રાહતનો શ્વાસ છે, જીવી જવા માટેનું ચૈતસિક બળ છે. ‘साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशु पुच्छविषाणहीनः।’ સાહિત્ય, સંગીત અને કળા વગરનો મનુષ્ય પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત્ પશુ સમો છે. (નીતિશતક-ભર્તૃહરિ.) આદિમાનવ પાસે જ્યારે કોઈ સંસ્કૃતિ નહોતી, ભાષા નહોતી, અને ઘર સુદ્ધાં નહોતું ત્યારે પણ એ કળાથી વિમુક્ત રહી શક્યો નહોતો. વિશ્વભરમાં ઠેકઠેકાણે મળી આવેલ ગુફાઓમાં જોવા મળતા પ્રાગૈસિહાસિક ગુફાચિત્રો અને શિલ્પો, ઘરવખરી અને આયુધો માનવી અને કળાની અવિભાજ્યતાની દ્યોતક છે. કળા अनन्य परतन्त्रा, नियतिकृत नियमरहिता ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. કળા જીવનનું પાથેય છે, જીવનરસ છે. હકીકતે તો કળાના આસ્વાદથી નિપજતો રસ જ જીવન છે.

सत्वोद्रेकादखंड स्वप्रकाशानंद चिन्मय:।
वेद्यान्तर स्पर्श शून्यो ब्रह्मास्वाद सहोदर:।। (સાહિત્યદર્પણ, આચાર્ય વિશ્વનાથ)

(રસનો સાક્ષાત્કાર અખંડ, સ્વયંપ્રકાશ્ય, આનંદમય, ચૈતન્યસ્વરૂપ, અન્ય વિષયોના સ્પર્શ શૂન્ય [સંપૂર્ણ એકાગ્રતા], બ્રહ્મનો આસ્વાદ કરાવે એવો હોય છે.) માટે જ કળા અને કળાસ્વાદથી અનુભવાતા રસનું પાન મનુષ્યને પશુ યોનિથી ઉચ્ચતર સ્થાને સ્થાપિત કરે છે અને કળાકાર-સર્જક સાક્ષાત્ બ્રહ્માના સ્થાને ગણાયા છે. આનંદવર્ધનેકહ્યું હતું, ‘अपारे काव्यसंसारे कविः एवे प्रजापतिः।’ અને અનાદિકાળથી તમામ સંસ્કૃતિ-ભાષા-દેશોમાં તમામ પ્રકારની લલિત તથા લલિતેતર કળાઓમાં કવિતાનું સ્થાન સર્વોત્તમ રહ્યું છે. અને એટલે જ કવિતા શું છે, કાવ્યપદાર્થ શું છે એને સમજવાની, વ્યાખ્યાયિત કરવાની મનુષ્યની નેમ શરૂથી જ રહી છે. એરિસ્ટોટલે કહ્યું, ભાષાના માધ્યમ વડે પ્રકૃતિનું અનુકરણ એ કાવ્ય. આપણે ત્યાં તો કવિતાની વ્યાખ્યા અત્યંત વિશાળ રહી છે. काव्यम् गद्यं पद्यं च । (ભામાહ) અને वाक्यं रसात्मकं काव्यम्। (વિશ્વનાથ) ટૂંકમાં, કવિતા એને કહેવાય જે મનને સ્પર્શી જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે A poem should not mean but be. (આર્ચિબાલ્ડ મેકલીશ)

પણ આ તો થઈ કવિતાને વ્યાખ્યાયિત કરવાની વાતો. વ્યાખ્યા કરવી એક બાબત છે અને કવિતા કરવી એ બીજી. કવિતા કરવાના અનેક હેતુ હોઈ શકે: કળાપ્રીતિ, રસપાન, નામનાની કામના તથા અમરત્વપ્રાપ્તિની ઇચ્છા, અર્થોપાર્જન વિ. પણ આ તમામ હેતુઓથી ઉપર કવિતા કે કોઈપણ કળા રજૂ કરવાનો મુખ્ય અર્થ છે, પોતાની જાતને વ્યક્ત કરવી તે. પોતાની અંદર જે ચાલી રહ્યું છે એને અન્યોની સમક્ષ તાદૃશ કરી બતાવવાની ભાવના કવિતા કરવા પાછળનો પ્રમુખ ઉદ્દેશ છે. પણ શું કોઈપણ અભિવ્યક્તિ સર્વાંગ સંપૂર્ણ હોઈ શકે ખરી? મનુષ્યના મનમાં જે ભાવ ચાલતા હોય એ ભાવ શું મનુષ્ય એના એ જ સ્વરૂપે સામા માણસ સામે મૂકી શકે ખરો? પ્રૉ. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. બધા માણસો કળાનિપુણ નથી હોતા અને જે લોકો હોય છે, એ લોકો પણ પોતાની જાતને યથાતથ વ્યક્ત તો નથી જ કરી શકતા. ક્રેનની કવિતા અભિવ્યક્તિની અપૂર્ણતાના આ તંતુને પકડીને જ ચાલે છે.

કવિ કહે છે કે એકદા એમની પાસે એક ખૂબ મજાનું ગીત હતુ અને તેઓ આ વાતથી વાકેફ પણ હતા. પોતાની પાસે કંઈક હોવું એ એક વાત છે અને હોવા બાબતની જાણકારી હોવી એ બીજી વાત છે. હનુમાન પાસે સાગર લાંઘી શકવાની શક્તિ હતી પણ જાણકારીના અભાવમાં એ શા કામની? જાંબુવાને જો વિષાદગ્રસ્ત અને વિચારગ્રસ્ત અંગદસભામાં હનુમાનને એમની પાસે રહેલી આ શક્તિનું જ્ઞાન આપ્યું ન હોત તો હનુમાન કદી સાગર કૂદીને સીતાને રામનો સંદેશો આપવા લંકા પહોંચી શક્યા ન હોત. સહદેવને બધી વસ્તુનું જ્ઞાન હતું એ પણ એ કોઈના પૂછ્યા વિના કશું કહી શકવા સમર્થ નહોતો. કવિ પાસે જાણકારી પણ છે અને કહેવાની તાકાત પણ. એ કહે છે, કે મને જાણ છે કે એકવાર મારી પાસે બહુ સરસ ગીત હતું. અહીં ભૂતકાળ પ્રયોજવામાં આવ્યો છે એ તરફ પણ ધ્યાન આપવું રહે. જાણકારી પણ ‘હતી’ છે અને ગીત પણ. મતલબ, કવિ પાસે હાલ કંઈ બચ્યું નથી. જ્યારે ગીત હતું અને ગીત હોવાની જાણકારી પણ હતી ત્યારે કવિએ કવિતા લખી નથી; પણ હવે જ્યારે બેમાંથી કંઈ બચ્યું નથી ત્યારે કવિ કવિતા કરવા બેઠા છે. ખરે જ, કવિતા યાદોમાંથી જ જન્મે છે. વર્ડ્ઝવર્થે કહ્યું હતું, ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) માણસ જ્યારે ખાલી થઈ જાય છે, ત્યારે કવિતા જન્મે છે. લખવા માટે કાગળ કોરો જ ખપે.

કવિને પોતાને તો જાણકારી હતી જ કે એમની પાસે એક ગીત હતું અને એ વળી મજાનું પણ હતું પણ દુનિયાને આ વાતનો ભરોસો કેવી રીતે અપાવવો? કવિ જાણે છે કે આપણી આસપાસ ગપોડશંખ અને લપોડશંખનો કોઈ તોટો નથી એટલે પોતાની પાસે જે હતું એની ખાતરી કરાવવી પણ અનિવાર્ય છે. અને લોકોને કોઈ વાત પર એમનેમ વિશ્વાસ બેસી જતો નથી.

વિશ્વાસ ક્યાં જડે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

કવિએ પોતાની વાત વધુ પ્રતીતિકર બનાવવા માટે કહેવું પડે છે કે આ વાત એકદમ સાચી વાત છે, મારો વિશ્વાસ કરો. સાચી વાત પર વિશ્વાસ અપાવવા ક્રેનનો આ મરણિયા પ્રયાસ જોઈને એમની એક નાનકડી કવિતા યાદ આવે, જેમાં કવિ જૂઠ્ઠાણું બોલવું કેટલું આસાન છે અને સાચું બોલવું કેટલું અશક્ય એની હૃદયસ્પર્શી રજૂઆત કરે છે:

હા, મારી કને હજાર જીભ છે,
અને નવ અને નવ્વાણુ જૂઠાણાં.
યદ્યપિ, હું એકનો ઉપયોગ કરવા મથું છું,
એ મારી મરજી પર કોઈ રાગ છેડશે નહીં,
પણ મારા મોઢામાં જ મરી પરવારી છે.

મનુષ્ય પાસેની હજાર જીભમાંથી નવસો નવ્વાણું જૂઠાણું બોલવા ટેવાયેલી છે અને એકમાત્ર જીભ જે સાચું બોલી શકે એમ છે, એ કવિ ઇચ્છે તોય એમની મરજી મુજબ કામ કરતી નથી, કેમકે એ તો મૂળથી જ દમ તોડી ચૂકી છે. એટલે જ પ્રસ્તુત રચનામાં કવિ પોતે સાચું બોલી રહ્યા હોવાની ખાતરી કરાવવા મથે છે. કવિ કહે છે, આ ગીત આખું પંખીઓનું હતું. ગીત પંખીઓ વિશેનું પણ હોઈ શકે અને પંખીઓ જ ગીત પણ હોઈ શકે. બંનેની મજા છે. કવિએ આ પંખીઓનું નાનકડું ગીત પોતાના હૃદયની ટોકરીમાં બંધ કરીને સાચવી રાખ્યું હતું. ક્રેનની નાનકડા પંખીઓ વિશેની એક કવિતા પણ ચૂકવા જેવી નથી:

રાત્રિના નાનકડા પંખીઓ
હા, એ લોકો પાસે કહેવા માટે કેટલું બધું છે
ત્યાં કતારબંધ બેસીને
મારી સામે એમની ગંભીર આંખો પટપટાવીને
યાદ કરતાં કરતાં
તેઓએ જોયેલા અને ચાહેલા ફૂલોને
દૂરના ઘાસના મેદાનો અને વનરાજીઓને
અને સમુદ્રના પગ કનેની ફિક્કી રેતીને
અને પાંદડાંઓમાં ઊડતી લહેરખીઓને.
તેઓ અનુભવમાં વિશાળ છે,
આ નાનકડા પક્ષીઓ જે રાત્રે આવે છે.

નાનાં-નાનાં પક્ષીઓ કવિ માટે અનુભવસાગર છે. આ પક્ષીઓ એમના વિચારો છે. આ પક્ષીઓ એમના શબ્દો છે. આ પક્ષીઓ એમનું ગીત છે, જે કવિએ પોતાની અંદર સુરક્ષિત કેદ કરી રાખ્યું છે. જેવી કવિએ આ ગીતને કાગળ ઉપર ઉતારવા માટે કલમ આપી, જેવી પોતાના વિચારને વાચા આપી, જેવું પોતાની ટોપલીનું ઢાંકણ ખોલ્યું કે તરત જ બધા પંખીઓ ઊડી ગયાં હતાં. કવિતા પંખી જેવી છે, આઝાદ. એને કેદ રાખો ત્યાં સુધી એ પ્રગટ થતી નથી. કાગળ પર કવિતા કરવા કવિ બેઠા હતા અને વિચારો બધા અચાનક ઊડી જતા અનુભવાયા ત્યારે કવિ ચિલાયા પણ હતા. પોતાના નાના-નાના વિચારોને પરત આવવા એમણે આદેશ પણ કર્યો હતો. પણ એ વિચારો તો માત્ર સામે હસીને, કવિની હાંસી ઊડાવીને ઊડી ગયા દૂર-દૂર. કવિની પહોંચની બહાર. કાગળ પર અમૂર્તને મૂર્ત કરવાથી મોટી ધૂર્તતા બીજી કોઈ નથી, પણ મનુષ્ય પાસે પોતાના દિલની અભિવ્યક્તિનું એકમાત્ર સાધન ભાષા છે અને ભાષાનું વાહન છે લિપિ. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સર્વાંગ આલેખન કરી શકે એવી લિપિ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વરો અને વ્યંજનો છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. થિઓડોર સી. શરમન નામના એક અલ્પખ્યાત કવિનું લઘુકાવ્ય -‘બોરિંગ’- આ ક્ષણે માણવા જેવું છે:

લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો આનો આ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો. તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.

કવિતા અભિવ્યક્તિનું સાધન ખરી, પણ એ સાધ્ય બની શકતી નથી. લાગણી તો દરેક માનવી અનુભવે છે, પણ અભિવ્યક્તિની ક્ષમતા દરેકની અલગ અલગ છે. મા જે વાત કહીને સમજાવી નથી શકતી, એ રડીને સમજાવે છે. દીકરો જે વાત રડીને નથી સમજાવી શકતો, એ ચિલ્લાઈને વ્યક્ત કરે છે. ગુસ્સાની અભિવ્યક્તિ માત્ર શબ્દો જ નહીં, હાથ-પગ પણ કરે છે. શબ્દો ટાંચા પડે ત્યારે મનુષ્ય હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓ કામમાં લે છે અને હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓનો પનો ટૂંકો પડે ત્યારે એ શબ્દોના સહારે જાય છે. એકેય વસ્તુ અભિવ્યક્તિના સંદર્ભમાં સંપૂર્ણ ન હોવાથી મનુષ્ય તમામનું combination કરીને મનોજગતનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવાની કોશિશ કરે છે, પણ મનોભાવ જે ઘડીએ શબ્દો કે ચેષ્ટાનો દેહ ધારણ કરે છે એ ઘડીએ જ એનો આકાર પણ બદલાઈ જાય છે અને સામું પાત્ર એને ગ્રહણ કરવા મથે ત્યારે આ આકાર વળી અનું રૂપ ધારે છે. કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા કદી એકસમાન આસને બેસી શકતી નથી. પ્લેટોએ કહ્યું હતું કે કવિતા અનુકરણની કળા હોઈ સત્યથી બે પેઢી દૂર છે. અપણે ત્યાં રાજશેખરે પણ કવિતા પર અસત્યનું કથન, અસત્યનો ઉપદેશ અને અસત્યનું આલેખન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ બંને મહાનુભાવોએ કદાચ મનુષ્યની સંપૂર્ણ અભિવ્યક્તિની અશક્તિને આ સ્વરૂપે જોઈ હોવી જોઈએ.

લાગણીઓને કાગળ પર ઉતારવા જતાં જ એમનું સ્વરૂપ બદલાઈ જાય છે. અમૂર્ત લાગણીને નખશિખ શબ્દસ્થ કરી શકે એવો કોઈ કવિ પેદા થયો નથી. અહીં કવિએ પણ મજાના વિચારોને કેદ કરી રાખ્યા છે. પણ આ વિચારપંખીઓ તો છાબડી ખૂલતાવેંત ઊડીને રફૂચક્કર થઈ જશે. ઊડી ગયેલા વિચારોને પાછા બોલાવવાનો વિચાર પોતે મૂર્ખામીથી વિશેષ કશું નથી. લોકો હસશે તમારા પર. આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ છૂટી ગયેલા વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. જરૂર છે એને મુક્ત કરવાની, મુક્ત જ રાખવાની. મુક્ત આકાશ જેમ પંખીઓની સાચી જગ્યા એમ જ વિચારોની આઝાદી જ સાચી કવિતા છે. ખરી કવિતા આપણી અંદર રહેલી છે. એને કાગળ પર અક્ષરોની સાંકળથી બાંધવાની ભૂલ આદરીએ એ ઘડી કવિતાના અંતની શરૂઆત છે.

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

8 replies on “ગ્લૉબલ કવિતા : ૧૪૫ : એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન”

  1. કવિનું ગીત , તમારું રસદર્શન અને કવિનું જીવનદર્શન – બધું માણવાની મજા આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *