ગ્લૉબલ કવિતા : ૧૪૪ : નીરખને ગગનમાં – નરસિંહ મહેતા

નીરખને ગગનમાં

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? ‘તે જ હું’, ‘તે જ હું’ શબ્દ બોલે;
શ્યામના ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયા કો નથી કૃષ્ણ તોલે.

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવ મહીં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી.

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે.

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો, અરધ-ઊરધની માંહ્ય માહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે.

– નરસિંહ મહેતા

ઈશ્વરને પામવાની એકમાત્ર ચાવી…

ઈશ્વર. એને કોઈએ જોયો નથી. તોય એ સદૈવ આપણી સૃષ્ટિનું કેન્દ્રબિંદુ બની રહ્યો છે. સ્થળ-કાળ, ભાષા-સંસ્કૃતિ કોઈ પણ હોય, દરેકને પોતપોતાનો ઈશ્વર છે. અને માત્ર કલ્પનાથી જ એ અગોચરનો પાર પામી શકાતો હોવાથી, માનવજાતે કલ્પનાના ઘોડાઓ દોડાવવામાં કાંઈ મનાય નથી રાખી. જીવનનું કોઈ ક્ષેત્ર ઈશ્વરથી પ્રભાવિત થયા વિના રહ્યું નથી, સાહિત્ય પણ નહીં. આપણે ત્યાં તો સાહિત્યની શરૂઆત જ ઈશ્વરથી થઈ છે. વેદ-ઉપનિષદ, મહાભારત-રામાયણ, ગીતા એના પ્રમાણ છે. ભક્તિકાવ્યોની પણ આપણે ત્યાં બહુ મોટી પરંપરા રહી છે. શરૂઆતમાં સદીઓ સુધી આ ભક્તિકાવ્યો પેઢી દર પેઢી માત્ર કંઠોપકંઠ વહેતાં રહ્યાં. પરિણામે સમય જતાં ક્યારેક એમાંથી કોઈક શબ્દ ખડી પડ્યો, તો કોઈક શબ્દ ચડી આવ્યો તો ક્યારેક આખાંને આખાં વાક્ય પણ બદલાઈ ગયાં. હસ્તપ્રત બનાવવાની, સાચવવાની પ્રથા તો બહુ મોડેથી અમલમાં આવી. મુદ્રણકળાનો જન્મ થયો ત્યાં સુધી આ તમામ સાહિત્ય લોકોના ગળામાં સચવાયેલું રહ્યું એટલે એનું કર્તૃત્વ પણ સાશંક બન્યું. શબ્દો ભૂંસાયા, વાક્યો ભૂંસાયા, કર્તા ભૂંસાયા પણ ભક્તિધારાના આ કાવ્યો અમીટ રહ્યાં. જનમાનસને આ કાવ્યો એ જાદુથી સ્પર્શ્યાં હતાં કે સમાજે એમને અજરામર કરી રાખ્યાં. આજે ‘આદિકવિ’ નરસિંહ મહેતાનું આવું જ એક ભક્તિકાવ્ય આપણે જોઈશું.

નરસિંહ મહેતા. એમના જન્મ અને મૃત્યુની અવધિ અનેક વિદ્વત્જનોના સંશોધનો બાદ પણ અનિર્ણીત છે. એમ માની શકાય કે એમનો જન્મ ઈ.સ. ૧૪૦૮/૧૪૧૫ તથા મૃત્યુ જૂનાગઢ કે માંગરોળમાં ઈ.સ. ૧૪૬૫/૧૪૮૫ની વચ્ચે થયું હશે. નરસિંહની રચનાઓની જૂનામાં જૂની હસ્તપ્રત છેક ઈ.સ. ૧૬૧૨ની છે. એમના સમય અને પ્રથમ ઉપલબ્ધ હસ્તપ્રતની વચ્ચે દોઢેક સદીનો સમયગાળો છે. આ ગાળામાં એમની રચનાઓ કંઠોપકંઠ સચવાઈ રહી એ કેવો ચમત્કાર! એમના નામે ચડેલી રચનાઓમાંની કેટલી એમની અને કેટલી અન્યોની, તથા મૂળ રચનાઓમાં કેટકેટલા લોકોના હાથે કેટકેટલો ફેરફાર થઈ આપણા હાથે ચડી એ નક્કી કરવું લગભગ અશક્ય છે. જીવન વિશે પણ એટલી બધી કિંવદંતીઓ છે કે સત્ય ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું છે. તળાજામાં કૃષ્ણદાસ મહેતા અને દયાકુંવરના ઘરે જન્મ. નાગર બ્રાહ્મણ. મૂળ અટક પંડ્યા પણ પ્રપિતામહને દીવાનની ‘મહત્તર’ પદવી મળતાં એમાંથી મહેતા કહેવાયા. નાનપણમાં માબાપ ગુમાવ્યા. આઠ વર્ષ સુધી ગૂંગા રહ્યા. કોઈ સંતના કહેવાથી ‘શ્રી રાધાકૃષ્ણ’ બોલ્યા ને જીભ છૂટી થઈ. અભ્યાસ-વ્યવહારમાં ઊણા. પત્ની માણેકબાઈ. પુત્ર શામળ અને પુત્રી કુંવરબાઈ. નાની વયે ‘પત્ની ને પુત્ર તે બે મરણ પામિયાં’ એટલે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ’ ગાનાર નરસિંહે ‘જનનીએ મેલ્યા નર જીવે, સ્ત્રી-વિછોહ્યા મરી જાય રે માય’ના વાસ્તવિક ઉદગાર પણ કાઢ્યા. સામળશાની હૂંડી, કુંવરબાઈનું મામેરું, ભાભીનું મહેણું, ગૃહત્યાગ, વનમાં અપૂજ શિવલિંગ (ગોપનાથ મહાદેવ)નું રાત-દિ પૂજન, શિવનું પ્રસન્ન થવું, દ્વારકામાં રાસલીલામાં લઈ જવું ને મશાલ પૂરી થતાં હાથ સળગવો વગેરે ખૂબ જાણીતા પ્રસંગો છે. આત્મકથનાત્મક પદોમાંથી નરસિંહના જીવન વિશે ઘણું જાણવા મળે છે.

ઉમાશંકર જોશી લખે છે: ‘…નરસિંહમાં ગુજરાતી ભાષાને એનો પ્રથમ મુખ્ય અવાજ સાંપડે છે. કોઈ ભાષા જેને લીધે સાહિત્યની ભાષા બને-સાહિત્ય ધરાવતી ભાષાનું ગૌરવ પામે એવો એક વીર્યવંત સર્જકનો એ અવાજ છે. એ અર્થમાં નરસિંહ ગુજરાતનો ‘आदिकवि’ જરૂર છે.’ નરસિંહ આપણે ત્યાં જાણીતા છે એમના પ્રભાતિયાંથી. ભક્તિ અને જ્ઞાન, વૈષ્ણવ અને વેદાન્ત- આ બંનેનો સમુચો સમન્વય એમાં જોવા મળે છે. નરસિંહનો ઈશ્વર નિરાકારી નથી. એ તો એનો અંગતતમ સખો છે, ને નરસિંહ એની ગોપી. ‘મેલી પુરુષપણું સખીરૂપે થઈ રહ્યો.’ ‘ભામનીમાંહે ભળી ગયો, જેમ સાગરમાંહે રતન્ન.’ ‘ગોપીમાં હું તો નરસિયો.’ પળેપળ એ ઈશ્વર સાથે સાયુજ્ય અનુભવે છે, ને એની જ ફળશ્રુતિ એટલે એની કવિતા. નરસિંહના શૃંગારરસના કાવ્યો આજેય શિરમોર છે. કવિ જયદેવના ગીતગોવિંદની એમાં ઝાંય વર્તાયા વિના રહેતી નથી. પરકીયાપ્રીતિ અને ઉઘાડા શૃંગારના છડેચોક પ્રયોજન બાબતમાં એ પોતે જ કહે છે: ‘તમે જાણો વિષયરસ ગાયો, મારે હરિ શું પ્રેમ ઉભરાય.’ મુખ્યત્વે એ ઊર્મિકવિ છે. ઝૂલણા, ચોપાઈ, સવૈયા વગેરે દેશી છંદો તથા કેદાર, મલ્હાર, વસંત, માલવ, ભૈરવ જેવા રાગનિર્દેશ સાથેના પદો એમણે આપ્યાં છે. ઝૂલણા છંદ એમણે એટલો ઝૂલાવ્યો છે કે બેઉ પરસ્પરના પર્યાય બની ગયા છે. એ જ રીતે એમનું ‘વૈષ્ણવજન’ પદ ગાંધીજી સાથે અવિનાભાવે જોડાઈ ગયું છે. ઉમાશંકર કહે છે: ‘’બોલચાલના પ્રયોગથી નરસિંહના ગીતો બહુ સજીવ બન્યાં છે. કાકુ આદિ ઉમેરી કૃતિની રસવાહિતા વધારવા માટે નરસિંહે ગુજરાતીભાષીઓની જિહ્વા પર રમતા પ્રયોગોનો પૂરો કસ કાઢ્યો છે… ચિત્રો રમતાં મૂકવાં નરસિંહને રમત વાત છે… કવિનું ભાષાપ્રભુત્વ એવું છે કે યોગ્ય શબ્દ યોગ્ય સ્થાને આવીને જાણે કે અનાયાસે ગોઠવાઈ જાય છે… ગુજરાતી ભાષા નરસિંહને ક્યાંય ઓછી પડતી નથી.’

‘નીરખને ગગનમાં’ નરસિંહનું જાણીતું પ્રભાતિયું છે. સવારે ઊઠીને હરિસ્મરણ કરતાં આ પદો ગવાતાં એટલે પ્રભાતિયાં કહેવાયાં. નરસિંહનો અતિપ્રિય ઝૂલણા છંદ અહીં પ્રયોજાયો છે. પાંચ બંધ અને દસ જ પંક્તિના આ પદમાં પણ ઠેકઠેકાણે શબ્દફેર જોવા મળે છે. ઉપલબ્ધ ઘણા-બધા સંસ્કરણોમાંથી જે સૌથી વધુ આધારભૂત જણાયું, એને હાથમાં રાખીને આગળ વધીએ.

સ્વર્ગ આકાશમાં આવેલું છે અને દેવો બધા સ્વર્ગમાં, આકાશમાં રહે છે એ આપણી આદિમ માન્યતાનો કેડો પકડીને કવિ શરૂઆત કરે છે. ‘નીરખને ગગનમાં’ વાંચતા સમજાય છે કે કવિ આપણને પ્રેમથી તુંકારે સંબોધીને આદેશ આપે છે, ને પોતે જે દિવ્યાનંદ હાંસલ કર્યો છે એ ગમતાંનો ગુલાલ કરવા ચહે છે. બીજી પંક્તિ વાંચતા એમ પણ સમજી શકાય કે ભક્તકવિ નરસિંહ ઉર્ધ્વદૃષ્ટિ કરવાનો આ આદેશ પોતાની જાતને જ આપી રહ્યા છે. જ્યાં સુધી આપણે આપણી જાતમાં જ ખોવાયેલાં છીએ ત્યાં સુધી ઈશ્વરદર્શન સંભવ જ નથી. દુનિયાદારીની પળોજણોમાંથી બે’ક ઘડી પોરો લઈ આકાશમાં જોવાનું છે. આકાશમાં જોવાનું એટલે ડોકી ઊંચી કરીને વાદળો તરફ તાકવાનું નથી. ઉર્ધ્વગામી બનવાનું છે. ‘એ’ના તરફ મીટ માંડવાની છે. આકાશ તો માત્ર પ્રતીક છે. ‘એ’ના તરફ દૃષ્ટિ કરીએ ત્યારે અને તો જ જાણ થાય કે એ આપણી ચારેતરફ ઘૂમી રહ્યો છે, જરૂર માત્ર નજર ઊઠાવવાની છે. આકાશમાંથી જાણે આકાશવાણી સંભળાઈ રહી છે. ઈશ્વર ‘તે જ હું’ – ‘सोऽहम्’ બોલતા સંભળાય છે. નરસિંહ આપણા તાર ઈશાવાસ્ય ઉપનિષદ સાથે જોડી આપે છે:

(…) तेजो यत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥
જે તેજ તારું સૌથી કલ્યાણકારી રૂપ છે, હું જોઉં છું. હું તે જ છું.

ઈશ્વર ‘सोऽहम्’ બોલીને અટકી જતા નથી, એ પુનરોક્તિ કરીને ‘તે હું જ છું’ની ખાતરી દૃઢાવી પણ આપે છે. પુનરોક્તિ રહી સહી શંકાનુંય નિર્મૂલન કરે છે. શબ્દોને બેવડાવીને કેવું ઉદાત્ત કવિકર્મ થઈ શકે છે એની પ્રતીતિ પણ થાય છે. પરમપિતા પરમેશ્વરની સર્વોપરિતાનો હુંકાર બેવડાવ્યા બાદ નરસિંહ તુર્ત જ એના શરણે-ચરણે સમર્પિત થઈ જાય છે. સર્વવ્યાપી ભગવાનના દર્શન થતાં જ એ મરણ ઇચ્છે છે. પોતાનો ‘હું’ અવસાન પામીને શ્યામના ‘अहम्’માં લયલીન થઈ જાય, એકાકાર થઈ જાય એ જ કવિ ઝંખે છે કેમકે કૃષ્ણની તોલે બીજું કોણ આવી શકે? આ સચરાચર સૃષ્ટિમાં જે કંઈ છે એ કૃષ્ણ જ છે. ‘कृष्णो वै परमं दैवतम्’ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૩) -કૃષ્ણ જ પરમેશ્વર છે.)

શ્યામની શોભા બુદ્ધિગમ્ય નથી. એને ‘એક વત્તા એક બરાબર બે’ના સમીકરણમાં બાંધી ન શકાય. બુદ્ધિનો પ્રદેશ જ્યાં પૂરો થાય છે, ત્યાંથી શ્રદ્ધાનો મુલ્ક શરૂ થાય છે. શ્યામની ખરી શોભા તો ઈશ્વરના નામનો અનંત ઉત્સવ ચાલતો હોય એ જગ્યાએ રસ્તો ભૂલી જઈને અર્થાત્ બુદ્ધિનો માર્ગ ત્યજીને સામેલ થઈ જઈએ ત્યારે પામી શકાય છે. કવિ સજીવન મૂળીનો ઉલ્લેખ કરે છે. દૂર્વા ઘાસના મૂળિયાં યાદ આવ્યાં વિના નહીં રહે. પ્રભુભક્તિમાં દૂર્વાનું મહત્ત્વ સવિશેષ છે. દૂર્વા અથવા ધરોના મૂળિયાં જમીનમાં છ ફૂટ સુધી અંદર ઊતરી શકે છે, અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાણીના અભાવથી ઘાસ ભલે સૂકાઈ જાય, મૂળિયાં ખૂબ લાંબો સમય સુધી જીવંત રહે છે. નિર્જીવ ભાસતાં આ મૂળ પાણી મળતાં જ મહિનાઓ બાદ પર પુનઃઅંકુરિત થઈ ઊઠે છે. નરસિંહની સંજીવની મૂળી એ પ્રેમ છે. નરસિંહ પ્રેમલક્ષણા જ્ઞાનભક્તિના કવિ છે. પ્રેમની સજીવનબુટ્ટી હાથે ગ્રહીએ, સહુને ચાહતાં શીખીએ, તો જેમ સૂકા મૂળિયાંમાંથી નવજીવન અંકુરિત થાય છે એમ જડમાંથી પણ સચરાચર પ્રભુકૃપાનો ચૈતન્ય રસ પ્રાપ્ત થશે. પ્રેમ જડનેય ચેતન બનાવે છે. ઈશ્વર સમક્ષ લાંબા થઈને વંદન કરવાથી એ હાથ નહીં આવે, એના પ્રેમમાં પડવું પડશે. પ્રેમની જડીબુટ્ટી હાથમાં આવશે તો જ જડ ચેતન થશે અને શ્યામની ખરી શોભા હાથ લાગશે.

ગીતાનો એક શ્લોક જોઈએ:

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता।
यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः॥११. १२॥

આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે ઉદય પામે, તો જે પ્રકાશ થાય, એ તે (વિશ્વરૂપ) પરમાત્માના પ્રકાશ બરાબર કદાચ થાય. નરસિંહ આગળ વધીને કરોડ સૂર્યના તેજની વાત માંડે છે. કહે છે, કરોડગણી આભાવાળો સૂર્ય પૂર્વાકાશેથી ઝળહળ જ્યોતિ સમો ઊગે ત્યારે જે સોનેરી ટશર ફૂટતી દેખાય એની શોભા શ્યામની શોભાની તોલે આવે. પૂર્વાકાશે ક્ષિતિજ પરથી પ્રગટતી એ સોનાની કોર જાણે સોનાનું પારણું હોય અને એમાં સત્ ચિત્ આનંદ પરમાત્મા આનંદે રમી રહ્યા હોવાનું નરસિંહ અનુભવે છે. ગગનમાં નીરખીએ તો જ આ શોભા અનુભવી શકાય. શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણને સચ્ચિદાનંદ કહ્યા જ છે:

सच्चिदानंद रुपाय कृष्णाय अक्लिष्टकारिणे।
नमो वेदांत वेद्याय गुरवे बुद्धि साक्षिणे॥ (ગોપાલતાપની ઉપનિષદ (૧.૧))
(હું ક્લેષરહિત કર્મ કરનાર સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રીકૃષ્ણને પ્રણામ કરું છું, જેને જાણી લેવાનો અર્થ છે વેદોને જાણી લેવા. અર્થાત્ તેઓ પરમ ગુરુ છે.)

ईश्वरः परमः कृष्णः सच्चिदानंदविग्रहः।
अनादिर् आदिर् गोविन्दः सर्व कारण कारणम्॥ (બ્રહ્મસંહિતા (૫.૧))
(શ્રી કૃષ્ણ પરમ ઈશ્વર છે તથા સચ્ચિદાનંદ છે. તે આદિપુરુષ ગોવિંદ સમગ્ર કારણોના કારણ છે.)

પ્રભાતે સૂર્યોદય થતાં આકાશની સોનેરી કોર જે રીતે તેજસ્વી હોવા છતાં આંખોને દાહક નથી અનુભવાતી એ જ રીતે સાક્ષાત્ સચ્ચિદાનંદ બાળસ્વરૂપે આનંદ-ક્રીડા કરી રહ્યા હોય એ દૃશ્ય દાહક નહીં, પાવક-આહ્લાદક બની રહે છે. ‘તોલે’ના સ્થાને ‘તૂલે’ પાઠાંતર હોવો જોઈએ એમ ઘણા વિદ્વત્જનો માને છે, જે સાચું હોવાનું અનુભવાય છે. એ જ મુજબ ‘સોનાનાં પારણાં માંહી ઝૂલે’ના સ્થાને ‘સોનલા પાલણામાંહી ઝૂલે’ એવો પાઠાંતર પણ જોવા મળે છે. છંદ અને ભાષાની દૃષ્ટિએ આ પાઠ વધુ સાચો હોવાનું અનુભવાય છે. આગલી કડીમાં જ્યોત-ઉદ્યોતની વર્ણસગાઈ અને નાદમાધુર્ય પછી ‘સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે’માં જે રીતે ‘આનંદ’ શબ્દ અડી-અડીને આવે છે અને ‘દ’, ‘ન’, ‘ક’ વર્ણ તથા બીજી પંક્તિમાંનો ત્રણવારનો ‘લ’કાર નરસિંહની ઘણી રચનાઓમાંથી સંભળાતા નાદસૌંદર્યની ઉપરાંત ઝૂલણા છંદના ઝૂલામાં કવિ આપણને ઝૂલાવતા હોવાની બેવડી અનુભૂતિ કરાવે છે. છંદોલય પરનું કવિનું આ સામર્થ્ય સાનંદાશ્ચર્ય જન્માવે છે.

કવિતાની ગતિ પણ ધ્યાનાર્હ છે. જાતમાંથી બહાર નીકળીને ગગનમાં કૃષ્ણદર્શન કર્યા બાદ બુદ્ધિગમ્ય જાતને ભૂલી જઈને ભક્તિપ્રેમમાં સરાબોળ થઈ જ્ઞાનના સૂર્યોદય સમયે એની શોભાનો ક્યાસ કાઢવાનો છે. અને આ ક્યાસ કઈ રીતે કાઢવાનો છે? કોઈપણ જાતની દીવેટ, તેલ કે જ્યોત વિના સળગી રહેલ આ તેજસ્વી અગ્નિદીપનો ક્યાસ ઇન્દ્રિયાતીત થઈને કાઢવાનો છે. આ તો શાશ્વત અને સદોદિત દીપક છે. જાતમાંથી બહાર આવી ઉર્ધ્વનજર કરવાની છે, પ્રભુચરણમાં ‘હું’નું મરણ ઇચ્છવાનું છું, બુદ્ધિથી પીછો છોડાવીને પ્રેમની સજીવનબુટ્ટી હાથ ગ્રહવાની છે, પ્રભુશોભાના સચ્ચિદાનંદમાં લીન થવા માટે ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો છે. આંખ વિના એના દર્શન કરવાના છે. ઈશ્વરના દર્શન આમેય ચર્મચક્ષુથી તો શક્ય જ નથી. ગીતામાં ખુદ શ્રીકૃષ્ણે કહ્યું છે:

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा|
दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११.८॥

(તું તારી આ આંખ વડે મને જોઈ નહીં શકે. (તેથી) હું તને દિવ્યચક્ષુ આપું છું, જેનાથી તું મારા યોગ-ઐશ્વર્યને જો.) ઈશ્વરને જોવા માટે મનને નહીં, દૃષ્ટિને બદલવાની જરૂર છે. એને આંખ વિના જોવાનો છે. ઈશ્વરનું કોઈ રૂપ નથી જેને આપણે ઓળખવાનું હોય. આપણે તો બધા જ ઈશ્વરને રૂપ આપી દીધું છે. ચિત્રો અને મૂર્તિઓમાં નિરાકારને આપણે એ હદે આકાર આપી બેઠાં છીએ કે આંખ ખુલ્લી હોય કે બંધ- આપણી નજર સમક્ષ સર્જનહારનું મનુષ્યે કરેલું સર્જન જ નજરે ચડે છે. ભલે આપણે એને શ્રદ્ધાનું વાહન કહી આપણી મર્યાદાઓ ઉપર પડદો નાંખીને આપણી જાતને કેમ ન છેતરતાં હોઈએ, જ્યાં સુધી ઈશ્વરને ચર્મચક્ષુ વગર અને અરૂપ જોવાની તૈયારી નહીં હોય, ત્યાં સુધી એ સામો આવશે જ નહીં. વળી, એની અમીકૃપાનો સ-રસ રસ પણ દુન્યવી જીભની મદદ વિના ચાખવાનો-પીવાનો છે. એને આત્માથી અનુભવવાનો છે. નરસિંહે અન્યત્ર કહ્યું જ છે: ‘જ્યાં લગી આત્માતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં સુધી સાધના સર્વ જૂઠી.’ અહીં પણ બે પંક્તિમાં છ વાર આવતા ‘વિણ-વણ’; ‘ત’, ‘વ’, ‘ણ’, ‘ળ’ની વર્ણસગાઈ; ‘રસ-સરસ’નો ઝૂલો તથા ‘નીરખવો-પરખવો’ના આંતર્પ્રાસ વાપરી કવિએ જે અદભુત કવિકર્મ કર્યું છે એ નોંધ બહાર જતું નથી. ગુજરાતી સાહિત્યનો સૂર્યોદય બારમી સદીમાં થઈ ચૂક્યાના ખાસ્સા ત્રણસોએક વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં આ કવિને આપણે આદિકવિનું સન્માન એમનેમ કંઈ આપ્યું નથી.

ઈશ્વર તો અકળ છે ને અવિનાશી છે. એ અધ: અને ઉર્ધ્વ – સ્વર્ગ અને નર્કની મધ્યમાં અર્થાત્ આપણી વચ્ચે જ મહાલે છે. એ અકળ છે પણ સકળ વ્યાપ્ત છે. કણકણમાં એનો વાસ છે. જડચેતનમાં એનો વાસ છે. સાચો સંત હોય એ એને પ્રેમના તંતુથી ઝાલે છે. નાની અમથી કવિતામાં કવિ બીજીવાર ઈશ્વરને પામવા માટે પ્રેમની અનિવાર્યતા સ્થાપિત કરે છે. ઈશ્વર જ્ઞાન-તપ-જાપ-મંત્રોથી પરે છે. એને વશ કરવો હોય તો માત્ર પ્રેમથી જ કરી શકાય. એ ખુલ્લું જ કહે છે, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર, તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે.’ અહીં પણ ‘અકળ-સકળ’, ‘અરધ-ઉરધ’, તંત-સંત’, માંહ્ય-માહાલે’ના આંતર્પ્રાસ ઉપરાંત ઝૂલણાના ઝૂલે ઝૂલાવતી વર્ણસગાઈઓ પણ ચૂકવા જેવી નથી.

ઉમાશંકર જોશીની ટિપ્પણીથી વાત પૂરી કરીએ: ‘આધ્યાત્મિક કવિતાનો, રહસ્યલક્ષી અનુભૂતિના રમણીય પ્રત્યક્ષીકરણનો આ કાવ્ય એક ઉત્કૃષ્ટ નમૂનો છે. પહેલા બે શબ્દથી જ ભૂમિથી પાર ઉડ્ડયન, પછી ઘૂમતા વિરાટની ગતિશીલતાનું સૂચન, અંતે सोऽहम् ધ્વનિનું ગુંજન, -આરંભની પંક્તિ જ ભવ્યતાનો સંસ્પર્શ કરાવે છે. ગીતાએ ભાખ્યા કરતાંય અદકેરી દ્યુતિનું સૂચન અને સાથે જ સુકુમાર બાલમૂર્તિનો નિર્દેશ રુદ્રલલિત ચિત્ર આંકી રહે છે. સોનાના પારણામાં ઝૂલતા આનંદક્રીડા કરતા સચ્ચિદાનંદનું કલ્પન જગતસાહિત્યમાં જવલ્લે જ સાંપડે એવું ભવ્યસુંદર કલ્પન છે. સૌન્દર્યજ્યોતિનું સ્વરૂપ ચોથી કડીમાં રહસ્યવાદિતાથી સૂચવાયું છે. આ લઘુ પણ ભવ્ય કૃતિ નરસિંહની, બલકે ગુજરાતી ભાષાની આધ્યાત્મિક કવિતાના એક શિખરરૂપ છે.’

4 replies on “ગ્લૉબલ કવિતા : ૧૪૪ : નીરખને ગગનમાં – નરસિંહ મહેતા”

  1. બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
    નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.

    ખરેખર આ પઁક્તિઓ પદ નો આત્મા છે.
    દરેક જીવ પ્રાણી માત્ર માઁ પણ આ તેલ, બત્તી કે સૂત્ર વિનાનો દિવો અનાદિ કાળ થી સળગી રહ્યો છે. આત્મા અને પરમાત્મા ના દિવ્ય સ્વરૂપ નુ અદ્ભૂત વર્ણન અને સાથે સાથે બન્ને માઁ રહેલી ભૌતીક સામ્યતા સુપેરે દર્શાવી છે.

  2. બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા અનળ દીવો;
    નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણજિહ્વાએ રસ સરસ પીવો.

    Superb lines. If one can really achieve this state he is truly blessed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *