ગ્લૉબલ કવિતા : ૧૩૮ : નીતિશાસ્ત્ર – લિન્ડા પાસ્ટન

Ethics

In ethics class so many years ago
our teacher asked this question every fall:
if there were a fire in a museum
which would you save, a Rembrandt painting
or an old woman who hadn’t many
years left anyhow? Restless on hard chairs
caring little for pictures or old age
we’d opt one year for life, the next for art
and always half-heartedly. Sometimes
the woman borrowed my grandmother’s face
leaving her usual kitchen to wander
some drafty, half imagined museum.
One year, feeling clever, I replied
why not let the woman decide herself?
Linda, the teacher would report, eschews
the burdens of responsibility.
This fall in a real museum I stand
before a real Rembrandt, old woman,
or nearly so, myself. The colors
within this frame are darker than autumn,
darker even than winter — the browns of earth,
though earth’s most radiant elements burn
through the canvas. I know now that woman
and painting and season are almost one
and all beyond saving by children.

– Linda Pastan

નીતિશાસ્ત્ર

નીતિશાસ્ત્રના વર્ગમાં ઘણાં બધાં વર્ષો પહેલાં
અમારા શિક્ષક દર પાનખરમાં અમને આ સવાલ પૂછતા:
ન કરે નારાયણ ને કો’ક મ્યુઝિયમમાં આગ ફાટી નીકળે તો
તમે કોને બચાવશો, રેમ્બ્રાંટના ચિત્રને
કે એક ડોશીને જેની જિંદગીમાં આમ પણ ઝાઝાં વર્ષ
હવે બાકી નથી? સખત ખુરશીઓ પર બેચેન થતાં અમે,
કળાકૃતિ કે ઘડપણ બંને માટે તદ્દન બેફિકર,
એક વરસ જિંદગીનો વિકલ્પ પસંદ કરતાં, તો બીજા વરસે કળાનો
અને કાયમ અધકચરા મને. ક્યારેક
એ ડોશી મારા દાદીમાનો ચહેરો ઉછીનો લઈ લેતી
એનું કાયમનું રસોડું પડતું મૂકીને
કોઈક ઠંડાગાર, અર્ધ-કાલ્પનિક મ્યુઝિયમમાં ભટકવા માટે.
એક વર્ષે, હોંશિયારીમાં ને હોંશિયારીમાં, મેં જવાબ આપેલો:
આપણે એ ડોશીને જાતે જ આ નિર્ણય લેવાનું કહીએ તો કેવું?
અમારા શિક્ષકે મારા રિપોર્ટકાર્ડમાં લખેલું કે, લિન્ડા ભાગી રહી છે
જવાબદારીના બોજાઓથી.
આ પાનખરમાં હું એક સાચુકલા મ્યુઝિયમમાં ઊભી છું
એક સાચુકલા રેમ્બ્રાંટ સામે, ડોશી,
અથવા લગભગ ડોશી જેવી જ, હું પોતે. એ ચિત્રમાંની
જમીનના કથ્થઈ રંગો પાનખર કરતાં તો ઠીક,
શિયાળા કરતાંય વધારે ગાઢા છે,
છતાંય ધરતીનું તેજ તો આબાદ છલકે છે
એ કેન્વાસમાંથી. હવે મને સમજાય છે કે એ ડોશી
અને ચિત્ર અને ઋતુ બધાં લગભગ એકસમાન જ છે
અને કશુંય નાના બાળકોથી બચાવી શકાય એમ છે જ નહીં.

– લિન્ડા પાસ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)

कालाय तस्मै नमः।

એક જમાનો હતો, જ્યારે પૃથ્વી પર કોઈ સમાજવ્યવસ્થા નહોતી. મનુષ્યને જેમ અને જ્યાં રખડવું હોય એમ અને ત્યાં રખડતો. ભૂખ લાગે ત્યારે ખાતો અને સૂવાનું મન થાય ત્યારે સૂઈ જતો. જેની સાથે, જે જગ્યાએ અને જે સમયે શરીરસંબંધ બાંધવાનું મન થતું, બાંધતો. પણ પછી એને ખેતીના ‘ખ’માં સમજ પડવા માંડી. એટલે જાનવરો પાળતા શીખ્યો. ઘર બાંધતા શીખ્યો અને ઘરની સાથોસાથ જ ઊભી થઈ કુટુંબવ્યવસ્થા-સમાજવ્યવસ્થા અને વાડાવ્યવસ્થા. સમાજની રચનાની સૌથી મોટી સાઇડ-ઇફેક્ટ એટલે નૈતિક મૂલ્યોની સ્થાપના. ઘર, વાડા અને સમાજની અંદર સ્વયંભૂ પૂરાયેલા માણસની કાયાની ભીતર તો મૂળે જાનવર જ હતું. એટલે જેમ-જેમ નૈતિકતા અને નિયમો વધતાં ગયાં, તેમ-તેમ અનૈતિકતા આવશ્યક મટીને અનિવાર્ય બનતી ગઈ. અનૈતિકતા એ નૈતિકતાનો જ પડછાયો છે, અને પંડ કદી પડછાયા વિના હોય નહીં. નૈતિકતા શીખવી શકાતી નથી. માણસને જો કોઈ એકમાત્ર વ્યક્તિ નૈતિકતા શીખવી શકે એમ હોય તો તે સમય છે. સમયથી મોટો કોઈ શિક્ષક નથી. લિન્ડાની પ્રસ્તુત રચના સમયના સાર્વભૌમત્વની અડખેપડખે નૈતિકતાની મહત્વહીનતાની વાત કરે છે.

લિન્ડા પાસ્ટન. ૨૭-૦૫-૧૯૩૨ના રોજ બ્રોન્ક્સ, ન્યૂયૉર્ક ખાતે જેક ઓલેનિક અને બેસ સ્વાર્ટ્ઝના યહૂદી પરિવારમાં જન્મ. મોટાભાગનું જીવન પોટોમેક, મેરીલેન્ડમાં વિતાવ્યું. ૧૯૫૩માં લગ્ન. ૧૯૫૪માં અંગ્રેજીમાં બી.એ. અને ૫૭માં અંગ્રેજીમાં જ એમ.એ. કોલેજમાં હતાં ત્યારે સિલ્વિયા પ્લાથ જેવા કવયિત્રીને હરાવીને પુરસ્કાર જીત્યાં હતાં પણ ખુદને ‘પચાસના દાયકાનું ઉત્પાદન’ અને ‘પરફેક્ટ્લી પોલિશ્ડ ફ્લૉર સિન્ડ્રોમ’નો શિકાર ગણાવતા લિન્ડાએ પરિવારની જાળવણી બાબતમાં પોતાને ‘પરફેક્ટ’ સાબિત કરવાના ધખારામાં કલમને અલવિદા કહી દીધી. અધકચરા દિલે તેઓ કવિતા લખવા માંગતા નહોતાં. દસેક વર્ષ બાદ કવિપત્નીના કાવ્યનિષ્ક્રીયતા બાબતના અસંતોષથી થાકેલા પતિના આગ્રહથી ફરી કલમ ઉપાડી તે આજ દિનપર્યંત અટક્યા વિના ચાલી રહી છે. ૧૯૯૧થી ૯૫ સુધી મેરીલેન્ડના રાજકવિ. પંદરેક પુસ્તકો. ઢગલાબંધ ઈનામ-અકરામ. એક લાખ ડોલરનો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ. ત્રણ સંતાન. એક, રચેલ નવલકથાકાર; બીજો, પીટર રસોઈયો-હોટેલિઅર; ત્રીજો, સ્ટિફન કિડનીરોગનો નિષ્ણાત. હાલ ૮૭ વર્ષની વયે તેઓ પતિ ઇરા પાસ્ટન સાથે મેરીલેન્ડમાં જ રહે છે.

કવિ. નિબંધકાર. લાઘવ એમની કવિતાઓનું પ્રમુખ અંગ છે. તેઓ કહે છે, ‘મારી સહજ પ્રકૃતિ છે લાઘવ. મને લાંબા વૃતાન્ત કાવ્યો લખવાની ઇચ્છા છે. મારે નવલકથા પણ લખવી છે. પણ ગમે ત્યારે હું કંઈ પણ લાંબુ લખવાનું શરૂ કરું; જે કંઈ પણ બહારનું છે, જે કંઈ પણ બિનજરૂરી છે, એ દૂર કરતી રહું છું, અને અંતે હું એક નાનકડા ઊર્મિકાવ્ય પર આવી અટકું છું.’ કવિતા લખ્યા બાદ, એમના પોતાના કહેવા મુજબ, તેઓ ‘ઓછામાં ઓછી સો વાર’ મઠારે છે, જ્યાં સુધી સંપૂર્ણ પ્રતીતિ નહીં થાય કે કવિતા વાંચતી વખતે પોતાની ઉપર જે અસર થાય છે, એ જ એમના વાચક પર પણ થશે. એમની ભાષાની પ્રવાહિતા, શબ્દોની કરકસર, કલ્પનોની તાજગી અને સંવેદનની સચ્ચાઈ ભાવકને સ્પર્શ્યા વિના રહેતાં નથી. પરિવાર, દામ્પત્ય, માતૃત્વ, માનવસંબંધ, સુખદુઃખ, મૃત્યુ વગેરે જિંદગીના રોજબરોજનાં પાસાંઓ એમની કલમનો સ્પર્શ પામી કવિતામાં પરિણમે છે. રોજિંદા જીવનની સપાટી તળે ધબકતી ચિંતાઓ એમના મુખ્ય રસનો વિષય છે. આત્મકથનાત્મકતા લિન્ડાની રચનાઓનું અગત્યનું અંગ છે. જીવન અને સંબંધોની ક્ષણભંગુરતા એમને સતત કગાર પર લટકતાં રાખતાં હોવાનું તેઓ માને છે. એમની કવિતાઓ એમના પોતાના અનુભવોમાંથી જન્મી હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. હડસન રિવ્યૂ એમને ‘સો નાની-નાની ખુશીઓ, ઉજવણીઓ, પ્રતિક્રિયાઓ, સંતોષ અને સુખના કવિ’ તરીકે ઓળખાવે છે. એમિલી ડિકિન્સનની જેમ લિન્ડાની કવિતાઓ પણ ઘરબહારની દુનિયામાં ફરવા જવાને બદલે ઘરેલુ બાબતોની આસપાસ જ ફરતી જોવા મળે છે. નાંખી દેવા જેવી લાગતી ક્ષુલ્લક બાબતોમાંથી બંને કવયિત્રીઓની કવિતા જન્મે છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક વાંચતા જ રચના બે ઘડી બાજુએ મૂકી દેવાનું મન થાય. સાચી વાત છે. નીતુશાસ્ત્રના ભાષણની તમા કોને હોય? વિદ્યાર્થી વર્ગમાં, ને માણસ જીવનમાં નવું શીખવા ભાગ્યે જ આતુર છે. દરેક જણ પોતાને બધું આવડતું હોવાનો અથવા બધી સમજ પડતી હોવાનો સર્વગુણસંપન્નતાનો અંચળો ઓઢીને ફરતા જોવા મળે છે. અધૂરામાં પુરું ગૂગલદેવતાએ દાટ વાળ્યો છે. બે મિનિટના ગૂગલથી માણસ પોતાને સર્વજ્ઞ સમજવા માંડે છે. પાંચ-દસ મિનિટના ગૂગલજ્ઞાનના આધારે દર્દી ડોક્ટરના દસ વર્ષના મેડિકલ કોલેજના અભ્યાસને પડકારે છે. ટૂંકમાં, આપણે એવા સમાજની કગાર પર આવી લટક્યાં છીએ, જ્યાં નૈતિકતાનું દોરડું માત્ર સોશ્યલ મિડીયાઝ પર સૂફિયાણી વાતો ફૉરવર્ડ કરવા ખાતર જ હાથે ઝાલવામાં આવે છે. કગાર પર ક્યાં સુધી ટકાશે અને કઈ ઘડીએ પતન થશે એની કોઈને ખબર નથી પણ ‘સૃષ્ટિનો અંત આવે તોય કોઈ વાંધો નહીં આવે’ના મિથ્યાભિમાનના સહારે સહુ છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક જ કંટાળાજનક છે. પણ આ લિન્ડાની કવિતા છે. એ સ્વાનુભવોમાંથી ઘડાઈને આવતી હોવાથી આપણને વધુ આત્મીય લાગે છે. લિન્ડાની કવિતાઓ બહુ સહજભાવે અડોઅડ બેસીને આપણા ખભે હાથ મૂકીને સંવાદ કરે છે. આ કવિતા સમયના બે અલગ-અલગ બિંદુઓને ભેગાં કરતી હોવા છતાં કવિએ એને પરિચ્છેદમાં વિભાજીત કરવાના બદલે સળંગ રાખી છે. અપૂર્ણાન્વય (enjambment)નો સહારો પણ ખૂબ લીધો છે. પરિણામે આખી રચના એકઘટ્ટતાની અનુભૂતિ સાથે એકી કોળિયે ગળે ઉતારવાની ફરજ પડે છે. પચ્ચીસ પંક્તિઓના આઠેક વાક્યોમાં ચાર તો પંક્તિની અધવચ્ચે પૂરાં થાય છે. આખી રચનામાં લિન્ડાએ આયમ્બિક પેન્ટામીટર છંદ જાળવ્યો છે પણ ૨૧મી પંક્તિમાં દસની જગ્યાએ અગિયાર અને આખરી પંક્તિમાં નવ શબ્દાંશ (syllables) વાપરી કાવ્યાંતે લયમાં વધઘટ કરી એકીશ્વાસે વહી જતા અહેસાસને લગરિક આરોહ-અવરોહ આપ્યો છે. સંવેદનાના રસ્તે સડેડાટ દોડી જતા વાહન માટે ક્યાંક સ્પીડબ્રેકર પણ આવશ્યક છે, નહિંતર ચાલકને ઝોકું આવી જઈ શકે!

ઘણા વર્ષો પહેલાં પોતે કોલેજમાં હતાં એ સમયની વાત લિન્ડા કરે છે. નીતિશાસ્ત્રના વર્ગમાં શિક્ષક વિદ્યાર્થીઓને દરેક પાનખરમાં એક સવાલ પૂછતાં. અમેરિકામાં ઑગસ્ટનો અંત અને સપ્ટેમ્બરનો પ્રારંભ એ પાનખરની ઋતુ ગણાય છે અને કોલેજોનું નવું શૈક્ષણિક વર્ષ પણ આ જ સમયગાળામાં શરૂ થાય છે. મતલબ, કોલેજનું વર્ષ નવું-નવું શરૂ થયું હોય ત્યારે શિક્ષક દર વરસે પૂછતાં કે માની લો કે તમે કોઈક સંગ્રહાલયમાં ગયા છો અને ત્યાં આગ લાગે છે. તો તમે રેમ્બ્રાંતના અમૂલ્ય ગણાતા ચિત્રને બચાવશો કે જીવનના આરે આવી ઊભેલી કોઈક વૃદ્ધાને? વેકેશન ભોગવીને કોલેજ આવેલા વિદ્યાર્થીઓને આદતના અભાવે વર્ગખંડની ખુરશીઓ હજી સખત અનુભવાય છે એટલે એના પર બેસીને તેઓ બેચેન છે. એક વરસે તેઓ વૃદ્ધાની જિંદગીને બચાવવાનો વિકલ્પ પસંદ કરતાં તો બીજા વરસે ચિત્રને, પણ આમાનો કોઈ જ જવાબ દિલમાંથી આવતો નહોતો. શિક્ષક માથે હોય એટલે જવાબ તો આપવો પડે ને! ક્યારેક લિન્ડાને લાગતું કે એ વૃદ્ધા એના દાદી જ છે, જે રસોઈઘર પડતું મૂકીને મ્યુઝિયમમાં ટહેલવાં આવ્યાં છે. એક વર્ષે હિંમતપૂર્વક દોઢડહાપણ કરીને લિન્ડા જવાબ આપે છે કે આગ લાગે તો બચાવની પ્રાથમિકતા એ વૃદ્ધાને જ નક્કી કરવા દઈએ તો? વૃદ્ધ સ્ત્રીમાં દાદીનો ચહેરો જોયા બાદનો આ જવાબ નીતિશાસ્ત્ર પર અંગત સંબંધો અને લાગણીઓની હાવી થતી અસર ગણી શકાય? ખેર, એ અલગ અભ્યાસનો વિષય છે. પણ શિક્ષકના નીતિશાસ્ત્રનું અણિશુદ્ધ પાલન કરતાં શિક્ષકે તો તરત જ લિન્ડાને જાહેરમાં ઝાટકી: ‘તું તારી જવાબદારીઓના બોજાઓથી ભાગી રહી છે.’

વિદ્યાર્થીઓએ પોતે નીતિશાસ્ત્રનો વિષય પસંદ કર્યો છે એટલે નૈતિકતા શું છે અને વિપરિત સંજોગો દરમિયાન એ કઈ રીતે પ્રગટ થવી જોઈએ એ બાબત શિક્ષક શીખવે એ સ્વાભાવિક છે. પણ જે રીતે દર વરસે વિદ્યાર્થીઓ એકના એક સવાલના જવાબ બદલતા રહે છે અને જે રીતે શિક્ષકે પણ દર વરસે સવાલ દોહરાવવો પડે છે એના પરથી સમજાય છે કે શિક્ષક નૈતિકતા શીખવવામાં અને વિદ્યાર્થીઓ પણ એના પાઠ ભણવામાં નિષ્ફળ નીવડ્યાં છે. હકીકતમાં નૈતિકતા શીખવવાનો વિષય છે જ નહીં. સમાજનું સર્જન કરતી વખતે આચાર-વ્યવહારમાં સુસંગતતા રહે એ ખાતર નૈતિક મૂલ્યોનું સર્જન કરાયું પણ મનુષ્યની મૂળ પ્રકૃતિ આદિમ છે, પાશવી છે. એના પર નૈતિકતા લાદી જરૂર શકાય, અંદરથી ઊગાડી નહીં શકાય. કોઈ પણ મનુષ્યને એવી જગ્યાએ મૂકવામાં આવે જ્યાં એના પર નજર રાખનાર કોઈ હોય જ નહીં, એ શું કરે છે એ જોનારું પણ કોઈ જ ન હોય અને એ જે કરે છે એનો એણે કદી પણ કોઈને પણ જવાબ સુદ્ધાં આપવાનો ન હોય, તો એ મનુષ્ય શું કરે અને શું ન કરે એ અચંબાજનક સંશોધનનો વિષય બની રહે. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ લઘુનવલકથામાં નવથી લઈને ૧૩-૧૪ વર્ષનાં કેટલાંક ટાબરિયાં કોઈક વસ્તીહીન ટાપુ પર પહોંચી જાય છે અને પછી આ નિર્દોષ ગણાતાં ભૂલકાંઓ વચ્ચે જે રીતે અસ્તિત્વનો ખૂનખાર જંગ શરૂ થાય છે, એ કથા વરસોથી વાચકોના લોહી થીજાવતી આવી છે.

કવિતાનો બીજો ભાગ અહીંથી શરૂ થાય છે. હકીકતમાં કવિતાનો આરંભ અહીંથી જ થયો છે. વૃદ્ધ લિન્ડા એક સંગ્રહાલયમાં રેમ્બ્રાંતના ચિત્ર સમક્ષ ઊભી છે. રેમ્બ્રાંતનું આ ચિત્ર જોઈને એને વરસો પૂર્વેના એના નીતિશાસ્ત્રના વર્ગ, સવાલ-જવાબ અચાનક યાદ આવ્યા અને કવિતા પ્રારંભાય છે. કવિતામાં અગાઉ ‘અધકચરા મને’ (half-hearted) અને ‘અર્ધ કાલ્પનિક’ (half imagined), એમ બે વાર અડધાની વાત દોહરાવાઈ હતી. એની મુખામુખ લિન્ડા હવે બે વાર ‘સાચુકલા’ (real) શબ્દ દોહરાવે છે. આ પુનરાવર્તન કલ્પનાની સન્મુખ વાસ્તવિકતાની બેવડી ધાર કાઢવામાં સાંગોપાંગ સફળ રહે છે. વાસ્તવિકને એ વધુ વાસ્તવિક બનાવે છે.

રેમ્બ્રાંત વાન રિન એટલે સત્તરમી સદીમાં હાલના નેધરલેન્ડ્સમાં થઈ ગયેલ, અમર કળાકાર. દુનિયાના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કળાકારોમાંનો એક. ગાઢો તપખીરી-કથ્થઈ રંગ એના મોટાભાગના ચિત્રોમાં ઊડીને આંખે વળગે છે. વૉશિંગ્ટન ડીસીના પરગણાંની નિવાસિની હોવાના નાતે આ સંગ્રહાલય ‘નેશનલ ગેલેરી ફોર આર્ટ’ હોઈ શકે, જ્યાં રેમ્બ્રાંતે દોરેલ આત્મચિત્રો (સેલ્ફ-પૉર્ટ્રેટ્સ)માંનું એક ઉપલબ્ધ છે. આ ચિત્રમાંની ગાઢી કથ્થઈ રંગચ્છાયાઓ વૃદ્ધ અથવા લગભગ વૃદ્ધ લિન્ડાને ધરતીના રંગ જેવી લાગે છે, પણ આ રંગો પાનખર અને પાનખર પછી બરફ લઈને આવતા શિયાળા કરતાંય વધુ ગાઢા છે. એ કહે છે કે પૃથ્વીના સૌથી તેજસ્વી ઘટકો કેન્વાસ મારફતે જ સળગે છે. અહીં, પાનખર અને શિયાળાનો ગાઢા રંગ સાથેનો ઉલ્લેખ વૃદ્ધત્વ તથા મૃત્યુની અર્થચ્છાયાઓ ઉપસાવે છે. રેમ્બ્રાંતના ચિત્રમાં રહેલો મૃત્યુનો રંગ લિન્ડા પારખે છે. મૃત્યુ પછી મરનારે ધરતીમાં જ મળી જવાનું છે. ધરતીનો આ રંગ જ કેન્વાસમાં ઊતર્યો છે અને કેન્વાસનો રંગ પણ આખરે ધરતીમાં જ ભળી જનાર છે.

આજે લિન્ડાને સમજાયું છે કે નીતિશાસ્ત્ર વર્ગખંડમાં નહીં, માત્ર જીવનખંડમાં જ શીખી શકાય છે. અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. ‘આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવું’નો પાઠ હજારવાર ભણ્યાં હોઈએ તોય પરિસ્થિતિ સામે આવી ઊભી રહે ત્યારે આપણે શું કરી બેસીશું એનું કોઈ નક્કી ગણિત સંભવ જ નથી. નૈતિકતા શીખવવાથી નથી સમજાતી. જીવન અને સમય જ મનુષ્યને નીતિમત્તાના પાઠ શીખવાડી શકે છે. ટૂંકમાં, નીતિશાસ્ત્રના વર્ગોથી વધુ મહત્ત્વહીન બીજું કદાચ કશું નથી. સમાજના વાડામાં કેદ મનુષ્ય માટે નૈતિકતા એ વાડામાં સુરક્ષિત રહેવા માટેની એક આવશ્યકતા છે. આવશ્યકતા ભાગ્યે જ અનિવાર્યતામાં પરિણમતી હોય છે. દરેક માણસ પોતાની ઠોકરમાંથી જ શીખતો હોય છે. દરેકનો નીતિશાસ્ત્રનો ગુરુ એનો પોતાનો સમય જ હોય છે, બીજું કોઈ નહીં.

નીતિશાસ્ત્રના વર્ગમાં ગાળેલ વર્ષો દરમિયાન અને એ બાદના, વૃદ્ધ થઈ જવાયું ત્યાં લગીની જિંદગીના અધધધ સમયગાળામાં જે વાત સમજાઈ નહોતી, એ આજે અચાનક લિન્ડાને સમજાઈ છે. શિક્ષકના સવાલનો સાચુકલો જવાબ એને સાચુકલા સંગ્રહાલયમાં સાચુકલા રેમ્બ્રાંત સામે આવીને ઊભા રહ્યા બાદ છેક આજે જડ્યો છે. એને સમજ પડે છે કે પેલી સ્ત્રી અને ચિત્ર અને ઋતુ એ બધાં લગભગ એક જ હતાં અને એ બધાં જ કોઈના પણ દ્વારા બચાવી શકાવાની શક્યતાથી ખૂબ પરે છે. માણસ ગમે એટલું જીવે, એનો અંત આવનાર જ છે. ચિત્ર ગમે એટલું ઉત્તમ કેમ ન હોય, સમયનું જડબું એને સો-હજાર-પાંચ હજાર વર્ષે પણ ગળી જ જવાનું છે અને ઋતુ તો આમેય કદી સ્થાયીભાવ લઈને આવતી જ નથી. ગમે એટલા તેજસ્વી તત્વોએ પણ સમયના કેન્વાસમાં થઈને સળગીને ખાખ જ થવાનું છે. કન્નડમાં ‘એલ્લારા કાલુ યેલિઠડે કાલા’ કહે છે, જેનો અર્થ થાય છે, ‘જરૂર પડશે ત્યારે સમય દરેકને ભોંય બતાવી દેશે.’ લિન્ડાની કવિતા પણ આવી જ વાત કરે છે. અહીં ‘जातस्य हि ध्रुवोमृत्युः’નો ગીતાપાઠ આપણા કાને સંભળાય છે. કાવ્યાંતે સમયનો શંખનાદ કાને પડે છે: ‘હે કાળા માથાના મનુષ્યો! થાય એ કરી લો. શું તમે, શું તમારી કળાઓ, શું તમારી દુનિયા- હું તમામને ધૂળ ચાટતાં કરી દઈશ.’ અને જે ઘડીએ આપણને આ વાત સમજાઈ જાય એ ઘડી નીતિશાસ્ત્રમાં PhD પ્રાપ્ત કર્યાની ઘડી છે. कालाय तस्मै नमः। હે સમય! તને અમારા નમસ્કાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *