ગ્લોબલ કવિતા : ૧૨૯ : લીલી દ્રાક્ષ – અનામી (ગ્રીક)

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
તારી સૂકી દરાખના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે… પ્રતીક્ષા ચિરકાલીન છે… પ્રેમ અમર છે…

જીવન નાશવંત છે, પ્રેમ શાશ્વત છે એમ કહેનારા કહી ગયા છે, અને આપણે સાંભળતા તથા ડોકું હલાવીને અનુમોદન આપતા આવ્યા છીએ. પ્રેમ કઈ લાગણીનું નામ છે એ વ્યાખ્યાયિત કરવામાં કવિઓએ અને ચિંતકોએ જિંદગીઓની જિંદગી વિતાવી દીધી પણ આ કંઈક એવી અનુભૂતિ છે જેને કોઈ નિશ્ચિત ચોકઠાંમાં કદી બેસાડી શકાઈ નથી અને બેસાડી શકાશે પણ નહીં. વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમ, પ્રેમની વ્યાખ્યા અને અનુભૂતિ અલગ-અલગ હોવાની. એક જ વ્યક્તિ માટે પણ અલગ-અલગ સમયે અને અલગ-અલગ વ્યક્તિઓ માટેની પ્રેમની વ્યાખ્યા ભાગ્યે જ એકસમાન હોઈ શકે છે. સાચા પ્રેમ માટે આવું કહી શકાય:

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

પણ અધિકાર, અપેક્ષા વગેરનો કાદવ સ્પર્શી જ ન શકે એ રીતે દુનિયામાં ભાગ્યે જ પ્રેમનું કોઈ કમળ ખીલતું હશે. પ્રેમ થાય એટલે ક્રમશઃ સંબંધમાં મમત્વ, આશાઓ, અહંકાર વગેરે બદીઓ આરબના તંબુમાં જે રીતે ઊંટ ઘૂસ્યું હતું એમ પગપેસારો કરે છે અને નાક, માથું, ગરદન કરતાં-કરતાં જે રીતે ઊંટ આખુ તંબુમાં ઘૂસી જતાં આરબનો તંબુનિકાલો થયો હતો એ રીતે સંબંધમાંથી પ્રેમનું બાષ્પીભવન થઈ જતું જોવા મળે છે. ફક્ત જે સંબંધો અધિકારભાવે બંધાતા નથી એમાં જ સ્નેહ આખર સુધી ટકી રહેલો જોવા મળે છે. કદાચ એટલે જ પતિ-પત્ની કરતાં દોસ્તો વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત અને દીર્ઘાયુ જોવા મળે છે. આજે જે કવિતાની વાત કરવી છે એમાં વાત તો પ્રેમની જ છે, પણ વધતી જતી વય પણ સાથે સંકળાયેલ જોવા મળે છે.

ડૂડલી ફિટ્સે અંગ્રેજી અનુવાદ કરેલ આ કવિતા સેંકડો સદીઓ પહેલાં કોઈ અનામી ગ્રીક કવિએ લખી હતી. કવિતાનો રચનાકાળ ચોક્કસ કરી શકાયો નથી. ગ્રીક સાહિત્યમાં એ જમાનામાં સ્ત્રી-પુરુષના અંગ-ઉપાંગ અને કામક્રીડાની બેબાક કવિતાઓ સહજ હતી. વૃદ્ધ સ્ત્રીઓની નિર્લજ્જ મજાક પણ એવી જ સામાન્ય હતી. તું તારા વાળ રંગી શકશે પણ ઉંમરને નહીં. તું રાત્રે તારા દાંત જ નહીં, તારી પથારીમાંની આવડત પણ બાજુએ મૂકીને સૂઈ જાય છે. રંગરોગાન તને હેકુબામાંથી હેલન નહીં બનાવી શકે. વૃદ્ધા સાથે સૂવા કરતાં પોતાનું ખસીકરણ કરાવવું યોગ્ય છે એવો મત પણ પ્રવર્તતો. આપણે ત્યાંય પરિસ્થિતિ કંઈ અલગ નથી. શંકરાચાર્ય લખી ગયા: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે કહ્યું: “સૂંઘે ન કો કરમાઈ જૂઈ”

ત્રણ પંક્તિની આ કવિતાને ઘણાએ હાસ્યસ્પદ ગણી છે. ઘણા આ કવિતાને કવિતા જ ગણતા નથી. પણ આ ત્રણ જ પંક્તિની નાનકડી રચના ધ્યાન આપીએ તો જીવનની સૌથી અગત્યની બે વાત- પ્રેમ અને વધતી વયની- કરે છે, એ તરત જ સ્પર્શી જાય એવી છે. રચના ખૂબ સરળ છે પણ એના સંદર્ભે ઘણું વિચારી શકાય એમ છે. કવિ કહે છે, તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી સૂકી દરાખ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો? પ્રાચીન ગ્રીસની વાત કરીએ તો વૃદ્ધ પણ આકર્ષક સ્ત્રીઓને સ્વીકાર્ય ગણતા વૃદ્ધ પુરુષો પણ હતા. અહીં રજૂ કરેલી કવિતા એવા જ કોઈક અનામી કવિએ લખી હશે જે ઈસુના જન્મથી સોએક વર્ષ પહેલા થઈ ગયેલા ફિલોડેમસની કાવ્યનાયિકાઓમાંની એક, વૃદ્ધ પણ ઘાટીલા સ્તનવાળી કામુક ચેરિટો જેવી કોઈક સિનિયર સિટિઝન માટે લખાઈ હશે.

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ દ્રાક્ષ સાથે કેવા ‘મેચ’ થાય છે ! આ સિવાય જોઈએ તો કોઈ પણ ફળનો સંદર્ભ પરિણામ સાથે સંકળાયેલો હોય છે. ફળ બીજનું અંતિમ પરિણામ છે. બીજમાંથી કૂંપળ, છોડ-વૃક્ષ, ફૂલ અને આખરે ફળ. ફળનો એક અર્થ જ પરિણામ છે. મહેનતના ફળ કોને મીઠાં ન લાગે? ભગ્વદગીતા પણ કર્મ અને ફળના પાયા પર રચાયેલી છે. ફળોમાં દ્રાક્ષ પરિણામ, પુરસ્કાર અને પરિતોષનું પ્રતીક ગણાય છે. સ્વપ્નશાસ્ત્રમાં સ્વપ્નોમાં આવતા વિવિધ પ્રકારના દ્રાક્ષના સંદર્ભોના અર્થ જોવા મળે છે અને મોટાભાગના હકારાત્મક છે. દ્રાક્ષ તો આમેય પ્રણયનું અર્ક ગણાય છે. દ્રાક્ષાસવનો ઇતિહાસ કદાચ માનવ-ઇતિહાસ જેટલો જ પુરાણો છે. ઇજિપ્તના પિરામિડોમાંથી પણ દ્રાક્ષાસવના પુરાવાઓ મળી આવ્યા છે. રોમન પુરાણકથાઓમાં બક્ચુસ (Bacchus) નામના દેવતાનો ઉલ્લેખ છે, જે ખેતી, શરાબ અને ફળદ્રુપતાનો દેવતા છે અને દ્રાક્ષ એનું પ્રતિનિધિત્વ કરતું ફળ છે. દ્રાક્ષને કામોત્તેજક ફળ ગણવામાં આવે છે. ભરાવદાર અને રસદાર હોવાના નાતે વિશ્વસાહિત્યમાં ઠેકઠેકાણે દ્રાક્ષને સ્ત્રીના પ્રતીક તરીકે પ્રયોજવામાં આવી છે. સોફા પર આડી પડેલી સ્ત્રી દ્રાક્ષનો ઝુમખો હોઠ તરફ લાવે અથવા પ્રેમી આ કામ કરે એ દૃશ્ય ચિત્રકળા, કવિતા-નાટક-ચલચિત્રોના માધ્યમથી જનસમૂહના માંસ પર કામકેલિના રણશિંગા સમું અંકાઈ ચૂક્યું છે. દ્રાક્ષના બી અને છાલ વયપ્રતિકારક (anti-aging) દ્રવ્યોથી ભરપૂર હોય છે. પ્રસ્તુત રચના દ્રાક્ષના સ્ત્રી અને વય –બંને સાથેના સંદર્ભો એકીસાથે ઊઘાડવાનું કામ કરે છે. વધતી વય કોને નથી સતાવતી?

ઊંમરના કબાટમાં સાચવીને રાખેલો કાઢ્યો મેં બહાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-મૂંછમાં ઊગી આવેલા પહેલા સફેદવાળની અક્ષુણ્ણ અનુભૂતિથી લઈને જીવનના અંત સુધી ઘડપણ માણસજાતને સતાવતું આવ્યું છે. ચહેરા પર મૂંછનો પહેલો દોરો ફૂટે એ અનુભૂતિ જેટલા ગર્વભરી હોય છે, એટલી જ મૂંછમાં પહેલા ધોળા વાળના દર્શનની અનુભૂતિ કષ્ટભરી હોય છે. નરસિંહ મહેતા જેવા સંતકવિ પણ યૌવન અને ઘડપણની માયાજાળથી અછતા નહોતા રહી શક્યા: ‘ઘડપણ કેણે મોકલ્યું? –જાણ્યું જોબન રહે સૌ કાળ.’ નર્મદ જેવો ભડવીર પણ ગાઈ ગયો: ‘હરિ, તું ફરી જોબનિયું આપે.’ ચિરયૌવનની કામના આદિકાળથી રહી છે. વૃદ્ધાવસ્થાને પચાવવું હંમેશા કપરું જ રહ્યું છે. પુરાણકાળમાં તો એક જ યયાતિ હતો જેણે પોતાનું યૌવન સાચવી રાખવા માટે પોતાના સંતાનની યુવાનીનો ભોગ પણ સ્વીકાર્યો હતો પણ ખરું જોઈએ તો એકેય અપવાદ વિના આપણા સૌની અંદર એક યયાતિ રહેલો છે જે સદૈવ સદાકાળ નિતાંત યૌવન જ ઝંખે છે.

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે (મુકુલ ચોકસી)

મહાભારતના યક્ષ પ્રશ્નોમાંનો એક આ હતો: ‘સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય કયું?’ અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે જરા અને મૃત્યુ અફર હોવા છતાં દરેક માણસ એ જ રીતે જીવે છે જાણે એ કદી ઘરડો થવાનો નથી કે મરવાનો નથી; આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. ચૌદસો વર્ષ પહેલાં ભર્તૃહરિએ શૃંગારશતકમાં કહ્યું હતું:

इदमनुचितमक्रमश्च पुंसां
यदिह जरास्वपि मान्मथाः विकाराः ।
तदपि च न कृतं नितम्बीनां
स्तनपतनावधि जीवितं रतं वा ।।

(વૃદ્ધાવસ્થામાં પણ પુરુષોને કામવિકાર થાય છે એ અયોગ્ય અને મર્યાદાનો લોપ છે. એ જ રીતે એ પણ અયોગ્ય છે કે સુંદરીઓના જીવનને અને રતિક્રીડાને સ્તનોનું પતન થાય ત્યાં સુધી જ નથી રાખ્યા.) આપણે ત્યાં એવું પણ લોકનિરીક્ષણ છે કે ‘સ્ત્રીયા જોબન ત્રીસ વર્ષ.’

વધતી વય ઉપરાંત બીજી એક વાત પણ ધ્યાનાર્હ છે. જેમ પ્રતીક્ષા પ્રેમનો પ્રાણ છે તેમ વફાદારી આ કાવ્યનો પ્રાણ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની તો આખી વાડીની વાડી હોય. પણ નાયકની તો અર્જુનનજર છે. જેમ અર્જુનને સાથી કૌરવો-પાંડવો, વાટિકા-વૃક્ષ, ડાળ-પાંદડા અને પંખી –કશું જ નહીં, માત્ર ને માત્ર પંખીની આંખ જ દેખાતી હતી એમ કાવ્યનાયક પણ એક જ દ્રાક્ષની વાત કરે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને પ્રત્યેક ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અહીં ‘સ્વ’ જ ‘સર્વસ્વ’ છે. નાયક નાયિકા ભરયૌવના હતી ત્યારથી એના પ્રેમમાં છે પણ કોઈક કારણોસર નાયિકાએ આ પ્રેમનો એ સમયે સ્વીકાર કર્યો નથી. કવિતામાં આ માટેનું કોઈ કારણ નિર્દેશાયું નથી ને કવિતાને આમેય કારણો સાથે સંબંધ હોવો બિલકુલ આવશ્યક હોતું નથી. નાયિકાનો ઇનકાર બરકરાર રહ્યો છે એની સમાંતરે જ નાયકનો એકરાર પણ અકબંધ રહ્યો છે. સમય સાથે વય ઢળવા આવી છે, એવા પરિપક્વ તબક્કે પણ નાયિકા નાયકના ઈજનને ઠુકરાવે છે. મતલબ કારણ જે પણ હોય, નાયિકાની ના કોઈ મુગ્ધાની અણસમજમાંથી જન્મેલી ના નથી. નાયિકા હવે પરિપક્વ સ્ત્રી બની ચૂકી છે. મતલબ એનો નકાર પણ એટલો પુખ્ત જ હશે. તો સામા છેડે નાયક પણ હવે છેલબટાઉ આશિક રહ્યો નથી. એ પણ પાકટ બન્યો છે. અને હજી એણે આશા ત્યજી નથી. હજી એણે નાયિકા સિવાય બીજા કોઈનો હાથ ઝાલ્યો નથી. એ હજીય પૂર્ણ પ્રામાણિકતાથી નાયિકાની ‘હા’ની પ્રતીક્ષામાં છે. એનો પ્રેમ પણ એની વયની સાથે પુખ્ત અને સમજદાર બન્યો હશે. નાયિકાના નકારનું કોઈ કારણ નથી. નાયકના પ્રણયનું કારણ કવિ કલાપી આપી ગયા હતા: ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમીની તેહ લક્ષ્મી બધી.’

મુગ્ધાવસ્થા ગઈ, પરિકવતા પણ ગઈ, હવે વૃદ્ધાવસ્થા આવી ઊભી છે. નાયિકાથી નકાર છૂટતો નથી, નાયકથી ઇંતેજાર છૂટતો નથી. પ્રિયતમાની વધતી વયને ઉનાળાના દિવસ સાથે સરખાવવાનો ઇનકાર કરીને શેક્સપિઅરે ૧૮મા સૉનેટમાં સૌંદર્ય નાશવંત હોવાનું સ્વીકારીને પ્રિયતમાના સૌંદર્યને કવિતામાં કેદ કરીને અમરત્વ આપવાની કોશિશ કરી હતી એ આ તબક્કે યાદ આવી જાય. પણ પ્રસ્તુત કવિતાનો નાયક વધુ વાસ્તવદર્શી છે. એ સવાર, બપોર અને સાંજના સૂરજને સ્વીકારીને ચાલે છે. પણ હવે મનુષ્યસહજ અપેક્ષા એના અત્યાર સુધીના એકતરફા પણ નિરપેક્ષ પ્રેમમાં પ્રવેશે છે. નાયિકાની ચામડી પર પડેલી કરચલીઓ અને ધોળાં થયેલાં વાળ એની નજરે પડે છે, ત્યારે એને એ પણ અહેસાસ થતો હશે કે એ પોતે પણ સંધ્યાચળે આવી ઊભો છે. એના પ્રેમનું હવે આ તબક્કે પણ કોઈ વળતર નહીં મળે તો શક્ય છે કે એણે ખાલી હાથે જ કબરમાં સૂવાનું થાય. પણ આટઆટલા દાયકાઓની એકધારી પ્રતીક્ષા બાદ કદાચ ખાલી હાથે ને ખાલી હૈયે જ મરી જવાનું એને સ્વીકાર્ય નથી. નાયિકા તરફની વફાદારી, એની એક ‘હા’નો ઇંતેજાર નાયકનું અત્યાર સુધીનું જીવનપાથેય હતું. પ્રતીક્ષાની ચરમસીમાએ ‘સમગ્ર’ની અપેક્ષાનો લોપ થવા માંડે છે. જીવનની સંધ્યાએ આ અપેક્ષા એક ‘આખી’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત થઈ જાય છે. અપેક્ષાની પરાકાષ્ઠાએ ફરિયાદ પણ સામેલ થાય છે. નાયિકાએ પણ કદાચ આજીવન કોઈ સાથીને અપનાવ્યો લાગતો નથી. એ છતાં એ નાયકના એકધારા પ્રેમ અને સમય-સમય પરના એકરાર અને સ્વીકારની માંગણીને સ્વીકારતી નથી એટલે અંતે નાયકથી માનવસહજ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. ગાલિબે પણ થાકીને કહ્યું હતું: आह को चाहिए इक उम्र असर होने तक, कौन जीता है तेरी ज़ुल्फ़ के सर होने तक। आशिक़ी सब्र-तलब और तमन्ना बेताब, दिल का क्या रंग करूँ ख़ून-ए-जिगर होने तक। આખી ઉમર આહ કરવામાં અને પ્રેમને ધીરજ ધરવાનું શીખવાડવામાં વીતાવી તો ખરી પણ અંતે બેતાબ તમન્ના ફરિયાદ કરે છે: કંઈક તો આપ. પૂરું નહીં તો અસ્તિત્વનો એક અંશ તો આપ. આખી જિંદગી મને નકાર્યે રાખવો શું જરૂરી છે? શું મને એક બટકુંય નહીં મળી શકે? પ્રેમના એક ટુકડા માટેય મને નકારવો શું જરૂરી જ છે? નાયકની સ્વગતોક્તિનું આ કાવ્ય આ રીતે ફરિયાદમિશ્રિત અપેક્ષાના ઉંબરે આવીને પૂરું થાય છે.

‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણિલાલ દ્વિવેદી) અમર આશાના તાંતણાને પકડીને જીવી રહેલા આ નાયકને જોઈને ફરી એકવાર આદિ શંકરાચાર્ય યાદ આવી જાય:

अंगं गलितं पलितं मुण्डं
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहित्वा दण्डं
तदपि न मुच्यत्याशापिण्डम् ॥

અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

જીવન નાશવંત છે, પ્રતીક્ષા ચિરકાલીન છે પણ પ્રેમ અમર છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી યથાતથ્ રહે છે એ કેટલી મોટી વાત ગણાય! પણ પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને, એની ચિરંતન વફાદારીને અને સનાતન પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

2 replies on “ગ્લોબલ કવિતા : ૧૨૯ : લીલી દ્રાક્ષ – અનામી (ગ્રીક)”

  1. છે આશામાં મધુર સુખ તેત્ર્રુપ્તીમાં કેમ છેના?
    રે તોયે સૌ મનુજ ધરતા ત્ર્રુપ્તીની કેમ આશ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *