ગ્લૉબલ કવિતા : ૧૨૮ : જાગ ને જાદવા – મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– મનહર મોદી

જગતના તાતથી પોતાની જાત સુધી

ઊંઘમાંથી ઊઠવું અને જાગવું બે ક્રિયા પહેલી નજરે તો સમાનાર્થી લાગે છે. પણ થોડું ધ્યાન દઈએ તો બન્નેમાં જમીન-આસમાનનો ફરક છે. સવારે રોજ ઊંઘમાંથી આપણે બધા ઊઠી જઈએ છીએ. કૂકડાની બાંગ તો હવે ગાયબ થઈ ગઈ છે, પણ આપણા શરીરમાંની જૈવિક ઘડિયાળ સવાર પડતાં જ ઍલાર્મ વગાડે છે અને આપણાં બે પોપચાંની વચ્ચે અજવાળાનું કાજળ અંજાતાં આપણી આંખો ઊઘડે છે. ઊઠવાની આ ક્રિયા તો સાર્વત્રિક છે અને દુનિયાના તમામ સજીવો માટે એ સાહજીક પણ છે, પરંતુ જાગવાની ઘટના તો બહુ ઓછાના જીવનમાં આવે છે. ઊઠવાની વાત એટલે ચર્મચક્ષુ ખુલવાની વાત. જાગવાની વાત અંતર્ચક્ષુ સાથે સંકળાયેલી છે. જે ઘડીએ આપણા અંતર્ચક્ષુ ખુલે છે એ ઘડી ખરી જાગૃતિની ઘડી છે. એ ઘડીએ આપણે કહી શકીએ કે માંહ્યલો જાગી ગયો છે. કવિ મનહર મોદીની આ ગઝલ જાગવાની વાત લઈ આવી છે.

મનહર મોદી. ૧૫-૦૪-૧૯૩૭ ના રોજ અમદાવાદ ખાતે જન્મ. પિતા શાંતિલાલ. માતા ગજીબા. પત્ની સુહાસિની. અભ્યાસકાળ દરમિયાન બે’ક વર્ષ કાપડબજારમાં સેલ્સમેન તરીકે અને પછી ૧૯૫૮થી ૬૬ સુધી રેલવેમાં ક્લર્ક તરીકે કામ કર્યું. ૧૯૬૬માં જ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. કર્યું. શરૂમાં ડાકોર અને પછી અમદાવાદ ખાતે નિવૃત્તિ સુધી અધ્યાપક તરીકે સેવા બજાવી. અનેક સામયિકોના સંપાદક રહ્યા. ૧૯૫૬ની આસપાસ ‘કવિતા’ અને ‘કુમાર’ના માધ્યમ થકી કવિ તરીકે એમનો ઉદય થયો. ૨૬ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ આપ્યો. ગુજરાતી સાહિત્યમાં આધિનિકતાની ચળવળના મુખ્ય પ્રણેતાઓમાં મોખરેના એક. બહુચર્ચિત અને બહુખ્યાત ‘રે મઠ’ના સ્થાપકોમાંના એક. એની પ્રવૃત્તિઓ અને બળવાખોરીમાં પ્રધાન પ્રદાન. ૨૩-૦૩-૨૦૦૩ના રોજ અમદાવાદ ખાતે જ નિધન.

ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. આદિલ મન્સૂરીએ કહ્યું હતું: ‘ગુજરાતી ગઝલસાહિત્યનો આ આપણો પહેલો ઍબ્સર્ડ ગઝલકાર છે અને કદાચ છેલ્લો પણ.’ પ્રયોગખોરીના બેતાજ બાદશાહ. જો કે એમની પ્રયોગખોરી ‘રે મઠ’ સ્થાપ્યો એ પહેલાંથી જોવા મળે છે. મનહર મોદીના નસીબે બે પ્રકારના વાચકો આવ્યા. એક, નાકનું ટેરવું ચડાવી ભાગી જનારા અને બીજા, એમના પર ઓળઘોળ થઈ જનારા. સામા પક્ષે વાચકોના નસીબે પણ ચિનુ મોદીના મતે બે મનહર મોદી આવ્યા: એક, શુદ્ધ પરંપરાના શાયર અને બીજા, વિશુદ્ધ પ્રયોગશીલ. જો કે પરંપરાની ગલીમાંથી નીકળીને પ્રયોગના મહોલ્લામાં રખડવા નીકળેલી એમની ગઝલોએ પાછળથી બંનેના સુભગ સમન્વયથી સદભાગ્યે નવું સરનામું મેળવ્યું હતું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને સંદિગ્ધ લાગે છે, ઘણીવાર પ્રાથમિક સ્તર પર પ્રત્યાયન કરવામાં સરિયામ નિષ્ફળ જાય છે, ગઝલને આધુનિક બનાવવા માટેના ભાષાકર્મ પાછળના આયાસ ઘણીવાર છતા થઈ જય છે અને ક્યાંક કાવ્યત્તત્વનો અગ્નિ મંદ પણ પડેલો અનુભવાય છે, એ છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ ભાગ્યે જ પાછા પડ્યા છે. મણિલાલ પટેલ લખે છે: ‘છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિચ્છિન્નતાને છિન્નલયમાં અભિવ્યક્ત કરતી એમની કવિતા અર્થથી મુક્ત થઈને ‘નર્થ’ સુધી જાય છે.’ કવિએ પોતે કહ્યું છે કે, ‘આ ક્રિયેટિવ પ્રોસેસનો મામલો છે. અહીં શબ્દને નહીં, શબ્દ દ્વારા નવા શબ્દ ભણી સહજ રીતે જતા ભાવને કેવળ ‘સમજવાનો’ નહીં, ‘અનુભવવાનો’ છે, ‘પામવાનો’ છે. અહીં ‘અર્થ’માંથી ‘અનર્થ’ ભણીનો ચેતોવિસ્તાર છે.’

‘જાગ ને જાદવા’ રદીફવાળી સાત શેરની આ ગઝલ છે. પરંપરા અને પ્રયોગકાળ પછી બંનેથી સમન્વયિત થયેલા કવિની આ રચના છે. અહીં પરંપરા અને આધુનિકતાનું ન સાંધો-ન રેણવાળું સાયુજ્ય છે. નરસિંહ મહેતાના બે’ક પદોમાં આપણને ‘જાગ ને જાદવા’ મળી આવે છે. એક, ‘જાગને જાદવા ! જનની જશોદા ભણે કહાનજી, કાં ઘણી નિદ્રા આવે?’ અને બીજું અતિ લોકપ્રિય ‘જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા ! તુજ વિના ધેનમાં કોણ જાશે?’ આ અતિ લોકપ્રિય બનેલા પદના ઉપાડને કવિએ ગઝલની રદીફ બનાવી છે. એમ કહી શકાય કે નરસિંહ જ્યાંથી શરૂઆત કરે છે, મનહર ત્યાં સમાપ્ત કરે છે. નરસૈયો જગતના ‘તાત’ને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની ‘જાત’ને જગાડવા તારસ્વરે ગાય છે. નરસિંહનો ‘જાદવા’ અને મનહરનો ‘જાદવા’ એક નથી. નરસિંહ કૃષ્ણને જગાડવાની વાત કરે છે, મનહર મોદી ખુદને. પાંચ-છ સૈકા પહેલાં લખાયેલ એ પદ ભક્તિ હતી, આજની આ ગઝલ કવિતા છે. મનહર મોદી છ સદીઓના આપણા સંસ્કારોને એકરસ કરીને આજના જમાનાના નરસૈંયાનું ભજન ગઝલસ્વરૂપે આપણને આપે છે. નરસિંહ મહેતાના અતિપ્રિય અને ‘જાગ ને જાદવા’ પદમાં પ્રયોજાયેલ ઝુલણા છંદના ફારસી-કઝિન જેવા ‘મુતદારિક મુસમન સાલિમ’ છંદના ગાલગાના સંગીતમય ચાર આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. વળી રદીફના ‘જાદવા’ની સાથે કાફિયાના ‘તાગવા’-‘માપવા’ વિ.નો આંતર્પ્રાસ પણ ચુસ્ત મળતો હોવાથી શ્રુતિરમ્ય નાદમાધુર્ય પણ જન્મે છે, જાણે દરેક શેરમાં બે કાફિયા ન હોય! એક પછી એક શેર જોઈએ:

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

મત્લાના શેરમાં અડધોઅડધ જગ્યા તો ખાલી રદીફ જ રોકી લે છે. પરિણામે શેર બનાવવા માટે કવિ પાસે બંને મિસરામાં માત્ર બે જ શબ્દની સા…વ સાંકડી જમીન બચે છે. આવામાં શેર કહેવો અને એ પણ ચુસ્ત કાફિયા લઈને તથા કવિતા પણ સર્જવી એ સોયના કાણામાંથી હાથીને પસાર કરવા જેવું ખકુસુમવત્ કામ છે. સિદ્ધહસ્ત ગઝલકાર જ આવી હથોટીની કસોટીમાંથી પાર પડી શકે. કવિ આ ચેલેન્જ ઉપાડે છે અને સાંગોપાંગ ઉત્તીર્ણ પણ થાય છે. મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ જો શેરને ખોલી શકીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી. એમની ગઝલો ‘હળવે તે હાથ, નાથ! મહીડાં વલોવજો’ની નીતિ-રીતિને વરેલી છે. કવિએ પોતે કહ્યું છે: ‘ગઝલ એટલે ૧૦૦ મીટરની દોડ. ૨૦૦-૪૦૦-૮૦૦ મીટરની દોડ કરતાં એનું ડિસ્ટન્સ ટૂંકું તેથી જ પહોંચવું અઘરું. એના ચૅમ્પિયનમાં ઝડપ ટાઇમિંગ ફૂટિંગ સ્ફૂર્તિ એક્યુરસીનું માપ આગવું. આ સ્વરૂપમાં કામ કરવાની અર્થાત્ એ દ્વારા મને પામવાની હંમેશાં મજા પડી છે. બે પંક્તિના શેરમાં સમાઈ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે.’

જાગવા માટેનું આહ્વાન તો છે પણ શા માટે જાગવાનું છે? તો કે તેજને તાગવા અને આભને માપવા. જે અતાગ છે અને જે અમાપ છે એને બાથમાં લેવાની વાત છે. ભર્તૃહરિના શતકત્રયીના પ્રારંભનો મંગળશ્લોક યાદ આવે:

दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये ।
स्वानुभूत्येकमानाय नमः शान्ताय तेजसे ॥

(દિશાઓ અને કાળ આદિથી જે સીમિત નથી એ અનંત અને ચૈતન્યસ્વરૂપ જેને એકમાત્ર સ્વાનુભવથી જ જાણી શકાય છે તે શાંત અને તેજસ્વી (પરમેશ્વર)ને નમસ્કાર). અને આ અસીમને તાગવા-માપવા-પામવા માટેની એક માત્ર રીત સ્વાનુભવ એટલે કે જાગૃતિ… અંતર્ચક્ષુ જે ઘડી ઉઘડશે એ જ ઘડી એ મૂળ બ્રહ્મના દર્શન થશે…

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

જીવન શરૂ થાય એ ઘડીથી સફરની પણ શરૂઆત થઈ જાય છે. અનવરત ચાલતા શ્વાસ પોતે એક સફર છે. મંઝિલ પૂર્વનિશ્ચિત છે, પણ સફર કદી પૂર્વનિશ્ચિત હોતી નથી. ક્યાં જવાનું ધાર્યું હોય અને ક્યાં પહોંચી જવાય એ કદી નક્કી થઈ શકે ખરું? પુરુષાર્થ ગમે એટલો પ્રબળ કેમ ન હોય, પ્રારબ્ધ એનો ભાગ અવશ્ય ભજવે છે. એક પછી એક વિકલ્પ જીવનમાં આવતા જ રહેવાના અને જતા જ રહેવાના… આપણે સહુ ચિરનિદ્રાની ઘાણીએ બંધાયેલા બળદની જેમ બસ ચાલ-ચાલ કરીએ છીએ પણ હકીકત એ છે કે इन उम्र से लंबी सडकों को मंज़िल पे पहुंचते देखा नहीं… કવિ મુખર થયા વિના આપણને આહ્વાન આપે છે અને સમજાવે છે કે જે ઘડીએ આપણા અંતર્ચક્ષુ ઊઘડશે અને બ્રહ્મની સન્મુખ થઈશું એ ઘડી જ સફર પરિપૂર્ણ થવાની ઘડી છે અન્યથા એક પછી એક માર્ગ આવતા જ રહેવાના…

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म। જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

પુનરાવર્તન અને પુનરુક્તિ એ જ્ઞાનની કૂંચી છે. આપણે વાત સાંભળીએ છીએ અને ભૂલી જઈએ છીએ. ફરીથી એ વાત સાંભળીએ અને ભૂલતા થોડી વધુ વાર લાગે છે. ફરી ફરીને સાંભળીએ અને એ વાત આપણી અંદર કોતરાઈ જાય છે, આત્મસાત થઈ જાય છે. આપણા ઋષિઓએ એમના મંત્ર-સ્તોત્રમાં એક જ વાત વારંવાર ખરલમાં ઘૂંટવાનો ઉપક્રમ રાખ્યો હતો એના મૂળમાં આ જ વૃત્તિ નજરે ચડે છે. કવિ મનહર મોદી પણ આ જ પ્રથાને અનુસરતા હોય તેમ ब्रह्मं सत्यं, जगत्मिथ्या ની એક જ વાતનો તંત પકડીને અલગ અલગ રીતે રજૂ કરે છે અને ભાવકે જાગવું જ પડશે એ વાત તારસ્વરે કરતા હોય એમ લાગે છે. ‘જાગ ને જાદવા’ની પુનરુક્તિ પણ જાગવું જ રહ્યુંની આલબેલ પોકારે છે.

ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે.

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ અભિવ્યંજિત કરે છે તે ભાવકને પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે. કહે છે કે રામકૃષ્ણ પરમહંસની ભીતરમાં ઊંઘતા-જાગતા, ઊઠતા-બેસતા સતત હરિસ્મરણ ચાલ્યા કરતું. કોઈ રસ્તે ભૂલેચૂકે પણ ઈશ્વરનું નામ લઈ લે તો એ ત્યાં અને તે જ ક્ષણે ભાવસમાધિમાં સરી જતા. એક ભક્તના આગ્રહવશ એ એના દીકરાના લગ્નમાં ગયા અને કોઈએ દીકરા ગોવિંદને બૂમ પાડી અને રામકૃષ્ણ તો ભાવલીન થઈ ત્યાં જ નાચવા માંડ્યા… કવિને જે જાગૃતિ અભિપ્રેત છે એ આ ભીતરની જાગૃતિ છે…

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

ભીતરની સંપત્તિ એક એવી સંપત્તિ છે જે સાચવી રાખો તો જડી જડતી નથી અને વાપરો તો ખૂટી ખૂટતી નથી. ભર્તૃહરિ ‘નીતિશતક’માં વિદ્યા નામના આંતરિક ધન વિશે કહે છે: ह्यर्थिभ्य: प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् । (યાચકને આપવામાં આવતાં જે સતત વૃદ્ધિ પામે છે). બહુ જાણીતું એક સંસ્કૃત સુભાષિત પણ આ જ વાત કરે છે: व्ययेकृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनं प्रधानम्। (વ્યય કરવાથી જે સદા વૃદ્ધિ પામે છે એ વિદ્યાધન બધા જ ધનમાં ઉત્તમ છે). આ કયા વિદ્યાધનની વાત છે જે સ્કૂલ-કોલેજ કે પુસ્તકોમાંથી મળે છે એ? ના, ત્યાંથી તો માત્ર ગોખેલું જ્ઞાન મળે છે અને એ માટે તો શંકરાચાર્ય કહી જ ગયા છે કે संप्राप्ते संनिहिते काले नहि नहि रक्षति डुकृञ करणे (જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે ગોખણપટ્ટી તારું રક્ષણ નહીં કરે, નહીં કરે). ભીતરની આ સંપત્તિ એટલે પ્રજ્ઞા. જિંદગીના બોધિવૃક્ષની નીચે બેસીને સ્વયંનો સાક્ષાત્કાર કરીએ ત્યારે એ હાથ આવે. અને આ લખલૂટ સંપત્તિ સાચવવાનો એકમાત્ર નિયમ ગમતાંનો ગુલાલ કરવો તે છે.

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

ચોર્યાસી લાખ ફેરાનું આવાગમન કરતા રહેતા આપણા સહુમાંથી બહુ ઓછા પોતાના અવનિપટ પર હોવા વિશેના કારણોના તારણોમાં પડવાની મથામણ કરતા હોય છે. જે લોકો આધિ-વ્યાધિ ને ઉપાધિમાં પડી રહે છે એ બધા મહેલની અંદર કેદ કરાયેલા સિદ્ધાર્થ છે. મહેલની દીવાલ બહાર નિસરીને જે લોકો વેદનાથી સમ-વેદના સુધી જઈ શકે છે એ જ મહાભિનિષ્ક્રમણના હકદાર બને છે. ગાલિબે કહ્યું હતું, डूबोया मुझ को होने ने, न होता मैं तो क्या होता ? સમસ્યા આપણા ‘હું’ની છે. આપણે ‘હું’ના અનુસ્વારનો બોજો વેંઢારી શકીએ તોય બસ. જે દુનિયા આપણા પહેલા પણ હતી જ અને બાદ પણ રહેવાની જ છે અને જ્યાં આપણું હોવું એ ઓજસ પાલનપુરીએ કહ્યા મુજબ, ‘આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ’ જેવું ક્ષણભંગુર છે ત્યાં હવે વધુ સૂઈ રહેવું પાલવે એમ નથી. હવે જાગીએ તો સારું… કારણ કે ખરેખર તો જે ઘડીએ હું ‘હું નથી’નું સત્ય સમજાઈ જાય એ ઘડી જ अहं ब्रह्मास्मि (બૃહદારણ્યક ઉપનિષદ)ની ઘડી છે…

આપણો બેલી આપણા સિવાય બીજું નથી. બીજાના દીવાથી આપણી જિંદગી અજવાળાય નહીં. ‘તું તારા દિલનો દીવો થા ને’ જ સાચું અજવાસસૂત્ર છે. બુદ્ધના મતે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવી હોય તો અંતરાત્માના અવાજને જ અનુસરવો પડે. બુદ્ધનું તો એક નામ જ ‘Awakened one’ હતું. ઓશો પણ કહી ગયા, ‘દુનિયાને જોવા માટે ક્યાંય બહાર દોડવાની જરૂર નથી. આ એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થઈ ભીતરના ભેદ પામવાની આ વાત છે.’ પણ જાગૃતિ તરફની આ મુસાફરીની શરૂઆત ‘હું જાગૃત નથી’ના સંપૂર્ણ સ્વીકાર બાદ જ શક્ય છે. એ પછીની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મજિજ્ઞાસા’ કહે છે. વિવેકચૂડામણિમાં શંકરાચાર્ય કહે છે: ‘કોટિમાંથી એકને બ્રહ્મજિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષમાંથી એક પાણી વગર માછલી તડપે એમ દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે ૫૦૦૦ વર્ષ સુધી અવિરત નામજાપ, સત્સંગ, ગુરુસેવા, ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે. આ ગઝલ ત્યાંથી જ શરૂ થાય છે…

10 replies on “ગ્લૉબલ કવિતા : ૧૨૮ : જાગ ને જાદવા – મનહર મોદી”

  1. “…..મત્લાના શેરમાં અડધોઅડધ જગ્યા તો ખાલી રદીફ જ રોકી લે છે. પરિણામે શેર બનાવવા માટે કવિ પાસે બંને મિસરામાં માત્ર બે જ શબ્દની સા…વ સાંકડી જમીન બચે છે. આવામાં શેર કહેવો અને એ પણ ચુસ્ત કાફિયા લઈને તથા કવિતા પણ સર્જવી એ સોયના કાણામાંથી હાથીને પસાર કરવા જેવું ખકુસુમવત્ કામ છે. સિદ્ધહસ્ત ગઝલકાર જ આવી હથોટીની કસોટીમાંથી પાર પડી શકે. કવિ આ ચેલેન્જ ઉપાડે છે અને સાંગોપાંગ ઉત્તીર્ણ પણ થાય છે….”

    તમારા આસ્વાદ વન્ચતા પહેલા મને આ જ થયુ હતુ.. કે તમે આ વાત આવરી હોય તો સારુ…અને સનન્દ્ તમે ખુબ સુક્ષ્મ વાત કરી છે! … વાહ્!!! Agree 100% .. you can write and relate to this because you yourself also write well Vivek Bhai.

  2. સરસ રચના, કવિશ્રીને અભિનદન…….સરસ મનભાવન આસ્વાદ…..ખુબ ખુબ અભિનદન……

  3. વિવેકભાઈ, જેટલી ગઝલ ગહન છે તેટલું જ એનું વિષ્લેષણ અફલાતુન છે. બેખુદી બેસબબ નહી ગાલીબ, કુછતો હૅય જિસકી પરદાદારી હે…બદરાયણ ‘બ્રહ્મજિજ્ઞાસા’ ગીતાના વાક્યોની યાદ અપાવે છે. આભાર!

  4. વિવેક ભાઈ સાહેબ,
    કેટલીક વાર, ઘણી વાર, કવિતા સમજાતી જ નથી હોતી અને એટલે એની મઝા તો ક્યાંથી લેવાય?
    પણ હમેંશા અને કાયમ તમારો રસાસ્વાદ વાંચી ટ્યુબલાઈટ થાય છે એટલુંજ નહીં પણ એક નવો, તાજો અને વિસ્તૃત દ્રષ્ટિકોણ પણ મળે છે.
    ખરેખર ખુબ ગમે છે.
    ધન્યવાદ સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
    /ક્ષ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *