ગ્લૉબલ કવિતા : ૧૨૬ : ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી

પઠન : વિનોદ જોષી
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !

ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.

કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?

ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

ગુજરાતી કવિતાની ઓજસ્વિતાનું શિરમોર ચિત્ર

પ્રકૃતિ હરસ્વરૂપે ને હરસ્થળે જીવમાત્રને આકર્ષતી આવી છે. પણ દરિયાનું આકર્ષણ કદાચ સૌથી વધારે છે. ફરવા જવાના સ્થળોને ક્રમાંક આપીએ તો કદાચ વિશ્વભરમાં સમુદ્રકિનારાનો ક્રમ પહેલો આવે. દરિયાની રેતી, દરિયાના મોજાં, દરિયા પર લળુંબતું આકાશ અને ઊગતો કે આથમતો સૂર્ય –આ બધું વધતા-ઓછા અંશે એકસમાન હોવા છતાંય દરિયામાં કંઈક એવું તત્ત્વ છે જે સદી-સદીઓથી મનુષ્યજાતને સતત ખેંચતું આવ્યું છે. કદાચ દરિયાકિનારે રેતી, પાણી અને આકાશની ત્રિવિધ સ્તરે અનુભવાતી અનંતતા પ્રમુખ કારણ હોય. ‘દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખ જોયું ટીપું’ (અનિલ જોશી) કહી-કહીને પણ કવિઓ આદિકાળથી દરિયાનાં ગીત ગાતાં આવ્યાં છે. પ્રસ્તુત રચનામાં શ્રીધરાણીની કલમે ગુજરાતી કવિતાએ આ પહેલાં અને કદાચ બાદમાં પણ કદી ન જોયેલું દરિયાનું સૌંદર્ય આપણે માણવાનું છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી. ૧૬-૯-૧૯૧૧ના રોજ ભાવનગરના ઉમરાળા ખાતે જન્મ. પિતા જેઠાલાલ નાગજીભાઈ. માતા લહેરીબેન. નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં જૂનાગઢ ખાતે મોસાળમાં ભણવા ગયા. નાની ઉંમરે જ ‘ટ્રેડિશનલ’ શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા. જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીથી જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું. બાળપણમાં ચિત્રકાર બનવાની મહેચ્છા હતી. પંદરેક વર્ષની વયે એમની કવિતા એમના શિક્ષક ગિરીશભાઈએ એમની જાણ બહાર બચુભાઈ રાવતને પૉસ્ટ કરી દીધી અને ‘કુમાર’માં એ છપાઈ ગઈ એ પછીથી એમને કવિ બનવાની ચાનક ચડી. ૧૯૨૯માં ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) ભણ્યા. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો. કરાડી જતાં ધરપકડ થઈ અને વારાફરતી સાબરમતી અને નાસિકમાં જેલવાસ પણ ભોગવ્યો. એમની ‘ઇન્સાન મિટા દૂંગા’ લઘુનવલ, ‘ઝબક જ્યોત’ નાટક છપાયેલ માસિક અને ‘સર્જકશ્રેષ્ઠ આંગળાં’ કાવ્ય અંગ્રેજ સરકારે જપ્ત કર્યાં હતાં. ૧૯૩૧માં ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા. એમના જ શબ્દોમાં: ‘એ તો કવિસમ્રાટની રાજધાની અને પરીઓનો પ્રદેશ. વ્યવહારીઓ પણ બહેકી ઊઠે તો પછી કવિનું તો પૂછવું જ શું? કવિતાનો ધોધ ધસ્યો.’ ત્યાંથી ટાગોરની અને એક એમરિકન શિક્ષકની સલાહ માનીને ન્યૂયૉર્ક ભણવા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ., ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ., અને ત્યાંથી જ સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં પીએચ.ડી. કર્યું. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૬માં દિલ્હી, ભારત પરત ફર્યા અને પત્રકારિત્વ અપનાવ્યું. ૧૯૫૦માં સુંદરી (પદ્મશ્રી ૧૯૯૨) સાથે લગ્ન કર્યા, જેમણે દિલ્હીમાં પંડિત નહેરુએ ભેટ આપેલ અડધો એકર જમીનમાં ત્રિવેણી કલા સંગમની સ્થાપના કરી હતી. કવિતા અને અમર એમના સંતાન. ૨૩-૭-૧૯૬૦ના રોજ દિલ્હી ખાતે માત્ર ૪૯ વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી નિધન.

કવિ, નાટ્યકાર, પત્રકાર શ્રીધરાણીની કાવ્યયાત્રા વિશિષ્ટ છે. આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડેલા જોઈ શકાય છે. પરદેશ જતા પહેલાના ‘પૂર્વ શ્રીધરાણી’ અને દોઢ દાયકાનો નખશિખ દેશવટો, ભાષાવટો અને કાવ્યવટો ભોગવી પરત ફરેલા ‘ઉત્તર શ્રીધરાણી’- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે. પૂર્વ શ્રીધરાણીની કવિતામાં પ્રકૃતિ, સૂક્ષ્મ માનવ સંવેદનો, પ્રણયોર્મિનો ઉદ્રેક, આઝાદી-ગાંધીજી-સામાજીક ચેતના વધુ જોવા મળે છે. ગાંધીજી ઉપરાંત ટાગોરની પણ એમની રચનાઓ પર ઊંડી છાપ જોવા મળે છે. ક્યાંક ન્હાનાલાલ અને કાન્ત પણ ડોકિયાં કરતાં દેખાય છે. આ બધું છતાં, શ્રીધરાણીની કવિતા મૌલિકતાની અને કાવ્યતત્ત્વની એરણ પર ઘણી ઊંચે સુધી પહોંચે છે. સમકાલીનો કરતાં વધુ શક્તિમંત, વધુ પ્રતિભાશાળી અને બધી રીતે નિઃશંકપણે બે ડગલાં આગળ હોવા છતાં કદાચ ગુજરાતના તખ્તેથી બાર વર્ષના વનવાસના કારણે એ યોગ્ય પોંખાયા જ નહીં. બાળકાવ્યો, નાટકો, કથાવાર્તાઓ ઉપરાંત ડઝનેક અંગ્રેજી પુસ્તકો એમણે આપ્યાં છે.

ખૂબ નાની વયથી એમની છંદોલય પરની હથોટી આશ્ચર્ય જન્માવે એવી સહજ અને સજ્જડ હતી. ચોપાઈ-સવૈયો એમના પ્રિય પણ છંદવૈવિધ્ય અને પ્રયોગો પણ ખાસ્સા નોંધપાત્ર છે. પરદેશથી પરત આવ્યા બાદ કવિતા સાથે એમનું જે પુનઃસંધાન થયું એ વિશે કવિ કહે છે: ‘કવિતાનાં એ અબોલડાં વરસ ચાલ્યાં. એ તૂટ્યા એટલે કવિતાદેવી ક્યારેક ક્યારેક આવે છે. પણ પહેલાંની જેમ ઓચિંતી ઊંઘમાંથી ઊઠાડી મૂકવા, બેબાકળો કરી મૂકવા; નવો થનગનાટ પેદા કરવા માટે નહીં. હવે આવે છે ત્યારે મોંઘેરા મહેમાન તરીકે, સોનાના અક્ષરે આમંત્રણપત્રિકા મેળવ્યા પછી.’ આ કવિતાઓમાં સ્વાભાવિકપણે પીઢ અને પરિપક્વ છે. એમાં વચ્ચેના વર્ષોના અનુભવો, ચિંતન, ગાંભીર્ય, અને કટાક્ષવૃત્તિ, પ્રગલ્ભ પ્રયોગશીલતા જોવા મળે છે. આ વર્ષોમાં એમના સમકાલીન કવિઓ ઘણા આગળ નીકળી ગયા હતા, એનો અહેસાસ એમની કવિતામાં પણ જોવા મળે છે:

ઊખડેલા નવ આંબા ઊગે!
ઘરે ઊગેલા આભે પૂગે!

માત્ર ત્રણ અક્ષર અને એક શબ્દનું ‘ભરતી’ શીર્ષક જ ભાવકની આંખ સામે ફૂલી રહેલી છાતીવાળા મહેરામણનું ચિત્ર ખડું કરી દે છે. આ સૉનેટ ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકની સંરચનાવાળું શેક્સપિરિઅનશાઈ સૉનેટ છે, પણ પ્રાસવ્યવસ્થા કવિએ AABB CCDD પ્રમાણે પોતાની અનુકૂળતા મુજબ કરી છે. બ. ક. ઠાકોરે શોધેલ પૃથ્વી છંદ કવિએ પ્રયોજ્યો છે પણ એ ખુદ ઠાકોરને પણ પાછળ મૂકી દે એટલો પ્રવાહી થયો છે. આ છંદમાં લઘુનું ગુરુત્વ –સત્તર અક્ષરોમાંથી દસ લઘુ- જોવા મળે છે, જેમાં બે વાર એક જ હરોળમાં ત્રણ લઘુ એકસાથે આવે છે. આ લઘુઓમાં કવિએ જે રીતે શબ્દવિન્યાસ કર્યો છે એ સાગરનાં મોજાંની આવ-જા અને ઘોડાંઓની ચાલના અવાજને ચાક્ષુષ કરે છે. દુરારાધ્ય દેવ ગણાતાં આકરા વિવેચક પ્રા. ઠાકોરે જાતે કહ્યું હતું: ‘શ્રીધરાણીની ઉત્તમ કૃતિઓની ભાષા અને કલા આપણને કોઈક રીતે સુંદરમ્ કે ઉમાશંકર કરતાં જુદી અને ચડિયાતી લાગે છે પણ તે શી રીતે, કયા ગુણે, તેનું નામ આપણે પાડી શકતા નથી.’ ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સૉનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સૉનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. માત્ર વીસ જ વર્ષની મુગ્ધ વયે ૧૦-૦૮-૧૯૩૧ના રોજ લખાયું હોવા છતાં આ સૉનેટ પાકટ વયના કવિઓના સમગ્ર સર્જન પર ભારે પડી શકે એવું આકર્ષણ ધરાવે છે. ‘શ્રીધરાણીની કવિતાનું આકર્ષણ શેમાં રહેલું છે’ એનો જવાબ આપતાં ઉમાશંકર જોશી ત્રણ લક્ષણો જણાવે છે: ‘એક તો કમનીય રસોજ્જ્વલ પદાવલિ (diction), બલકે કાવ્યદેહની કીટ્સની યાદ આપે એવી ઇન્દ્રિય-ગ્રાહ્યતા (sensuousness), બીજું, બુલંદ ભાવનામયતા; અને ત્રીજું, જીવનના વાસ્તવની સહજ પકડ.’ આ ત્રણેય ગુણ અહીં શબ્દશઃ ચરિતાર્થ થયેલ અનુભવી શકાય છે.

શીર્ષક વાંચીને સમુદ્રની ભરતીમાં ભીંજાવા તૈયાર થયેલો ભાવક કવિતા ખોલે છે તો પહેલી પંક્તિમાં દરિયાના મોજાંની જગ્યાએ એનો ભેટો ઘોડાઓ સાથે થાય છે ને તે પણ એક-બે નહીં, શત સહસ્ત્ર યાને એક લાખ ઘોડાઓ સાથે. હજારો-લાખો ઘોડા એકસાથે નીકળ્યા હોય ત્યારે કેવું અનનુભૂત દૃશ્ય રચાય! આ ઘોડા વળી અગમ્ય પ્રાંતમાંથી આવ્યા છે એવું કવિ જાહેર કરે છે એટલે સ્વાભાવિક જ આપણું કૌતુક બેવડાય છે. પણ બીજી જ પંક્તિમાં કવિ અફાટ સાગરને ચિત્રમાં સમાવી લઈને આપણા કૌતુકનું શીર્ષક સાથે અનુસંધાન કરી શામે છે. અફાટ સમુદ્રના અનંત મોજાંને કવિ અગમલોકમાંથી આવતા ઘોડાઓના ધાડાં કહે છે. અને ઘોડાઓ માટે પાણીપન્થાં સંજ્ઞા પ્રયોજે છે. પાણીપંથો એટલે પાણીના રેલાની જેમ ઉતાવળે ચાલનારો ઘોડો. ભરતીના સમયે દરિયાના પાણી ઊંચેને ઊંચે ઊછળીને જે રીતે કાંઠાને ધમરોળવા આગળ ધમમસી રહ્યાં હોય એને ઘોડાની અદમ્ય ચાલ સાથે સાંકળવા માટે અદમ પાણીપંથાથી વધુ ઉચિત શબ્દ બીજા કયા હોઈ શકે? બે જ પંક્તિમાં કવિ સમુદ્રના પાણીની અનંતતા, અગમ્યતા અને અદમ્યતા હૂબહૂ ચીતરી આપે છે. કવિ ઉપરાંત અચ્છા ચિત્રકાર હોવાનો આ ફાયદો. મોજાંનું ગર્જન જાણે ઘોડાઓની હણહણાટી છે, જે આકાશના ચંદરવાને, સમસ્ત જગતને અને સર્વ દિશાઓને જાણે કે ધ્રુજાવે છે. મોજાંની એકધારી ઊછળપડના કારણે દરિયામાં જે સફેદ ફીણ ઊડી રહ્યું છે એ જાણે કે ધરણી ધમરોળવા નીકળેલા તેજીલા તોખારોની હવામાં વિખરાતી-વિખરાતી કેશવાળી છે.

પ્રથમ ચતુષ્કમાં કવિએ જે ચિત્ર દોર્યું છે એમાં જ વધુ રંગો ભરીને કવિ એને હવે વધુ સભર બનાવે છે. તોફાને ચડેલ ઘોડો જે રીતે છાતીમાં ઊંડા શ્વાસ ભરીને, તૂટી જાય એ હદે ડોક પાછળની બાજુએ ખેંચીને આખું શરીર હવામાં ઊછાળી-ઊછાળીને વેગે ધમધમે છે એ જ રીતે ભરતીએ ચડેલ સમુદ્રના મોજાં આગળ આવી રહ્યા છે. ત્રિભંગ શબ્દપ્રયોગ સાથે પાર્શ્વભૂમાં ક્યાંક શ્રીકૃષ્ણની વાંસળી પણ આપણા કાનોને સંભળાય તો એ વિશેષ ઉપલબ્ધિ કેમકે શરીરને કમર, પેટ, ગરદન એમ ત્રણ જગ્યાએથી મરોડ આપીને એ વાંસળી વગાડતા, તેથી જ તેમનું નામ ત્રિભંગ-ત્રિભંગી પણ પડ્યું છે. પાણીદાર અશ્વો સમાન સાગરનાં મોજાં ક્ષિતિજને હાથતાળી દઈને, બધી દિશાઓ ખૂંદી વળીને કિનારે આવી રહ્યાં છે ત્યારે આ અશ્વોના ડાબલા થકી જે મહાઘોષ સર્જાય છે, એનો પ્રતિઘોષ આખા વિશ્વમાં થઈ રહ્યો છે. દરિયો ભરતીએ ચડે ત્યારે એનું સંગીત સૃષ્ટિ સમસ્તને એ રીતે તર કરી દે છે, કે બીજા કશાનો લેશ અવકાશેય રહેતો નથી.

વિકરાળ સ્થિર ભેખડો અને જગતના કારમા કાંઠાઓ પર આ અશ્વરૂપી મોજાં માથાં પછાડી રહ્યાં છે, પરિણામે જે ફીણ અને પાણીનાં છાંટાઓ ઊડે છે, એમાં કદાચ મેઘધનુષ્ય જન્મતું દેખાય છે અને મેઘધનુમાં દેખાતો લાલ રંગ જાણે કે ઘોડા માથું ખડકો પર જોરથી પછાડે ત્યારે ઊડતી લોહીની શીકરો જેવો લાગે છે. જાણે પોતાના માથાનું શ્રીફળ વધેરીને દરિયો કાંઠા અને કાંઠા પરના પથ્થરોના ઓવારણાં લે છે. આ અદભુત દૃશ્ય જોઈને સહજ પ્રશ્ન થાય છે કે હવે શું? શું આ અશ્વો જગત આખાને ત્સુનામી બનીને ખૂંદી વળશે? આભ અને ધરતી ભેગાં થઈ જાય એવો પ્રલય સર્જાશે? કે આકાશના પહોંચ બહારના અણસ્પર્શ્યા ગુંબજો ધડોધડ ખરીને નીચે પડશે? આ પ્રશ્નો અનુત્તર રહેવાને સર્જાયા છે. એ અનુત્તર રહે એમાં જ ખરી કવિતા છે. આ પ્રશ્નો એ અનુભૂતિના પ્રશ્નો છે. એ આપણા અનુભવને સઘન બનાવે છે. સાચું જ કહ્યું છે, આંખ એ જોઈ શકતી નથી, જે મન જાણતું નથી. (The eye cannot see what mind does not know.) કવિ આપણા મનને જે જોવાનું છે એનાથી માહિતગાર કરે છે, પરિણામે જે દૃશ્ય આપણે સેંકડોવાર જોઈ ચૂક્યાં છે, એ જ દૃશ્ય આજે આપણને આટલું powerful લાગે છે. આ કવિતા વાંચ્યા પછી જો ભરતીએ ચડેલા દરિયે જવાનું થાય તો એ દરિયો આજ સુધી જોયેલા તમામ દરિયાઓથી બિલકુલ અલગ જ લાગશે એટલું તો નક્કી જ છે.

આમ જોઈએ તો ત્રણેય ચતુષ્કમાં કવિ એક જ ચિત્ર અલગ-અલગ રંગોથી ભરી રહ્યા છે. પણ જે રીતે બાળક પાટી પર એકડો ઘૂંટી-ઘૂંટીને એને અવગણી ન શકાય એ રીતે વધુ ભરાવદાર અને ઘાટીલો બનાવે છે, બરાબર એ જ રીતે કવિ એક જ વાતને અલગ-અલગ રીતે રજૂ કરે છે. એક લીટીની કવિતા એ છે કે ભરતીના સમયે વેગ સાથે ઊછળતાં દરિયાનાં મોજાં ધસમસી આવતા ઘોડાઓના ટોળા જેવા લાગે છે. પણ આ એક લીટીની વાર્તાને કવિએ જે રીતે મલાવી-મલાવીને રજૂ કરી છે એ ભાગ્યે જ કોઈ બીજો કવિ કરી શક્યો હોત. પ્રથમ બાર પંક્તિમાં એક જ પ્રકૃતિચિત્રનું નિતાંત સૌંદર્ય રજૂ કર્યું છે પણ કવિતાની ખરી મજા એના અંદાજે-બયાંમાં છે. માત્ર કવિના સમગ્ર સર્જનની જ નહીં, ગુજરાતી ભાષાની સમસ્ત કવિતાઓમાં આ રચના શિરમોર થયેલી ગણવી જ પડે એમ છે એનું એકમત્ર કારણ સબળ અને અભૂતપૂર્વ કવિકર્મ છે. ઉત્તમ કવિ બનવાની અભિલાષા ધરાવતા તમામ કવિઓએ આ રચનાનો ઊંડો અભ્યાસ કરવો જ રહ્યો.

આખરી બે પંક્તિમાં સૉનેટ અણધાર્યો વળાંક લે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સૉનેટ અચાનક દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપે છે. કવિનો કેમેરા અચાનક ભરતીએ ચડેલા દરિયાના ઘોડાપૂર જેવા મોજાંઓ તરફથી તત્કાલીન ભારતની આઝાદીના જંગ તરફ ફરે છે. અને પ્રથમ બાર પંક્તિઓમાં જે દૃષ્ય આપણા મનોમસ્તિષ્ક પર દૃઢતાપૂર્વ અંકિત થઈ ચૂક્યું છે એની છાપ યથાવત્ રાખીને એના જ પરિપ્રેક્ષ્યમાં આપણે એક નવા જ ચિત્રના સાક્ષી બનીએ છીએ અને આ પરિવર્તન પણ પેલા અદમ ઘોડાઓ અને અનંત મોજાંઓના તીવ્ર વેગે જ થાય છે, પરિણામે કવિતામાં જે ગતિ અને ઉછાળ છે એ અક્ષત જળવાઈ રહે છે, બલકે વધુ બળવત્તર અનુભવાય છે. આને કવિની ખરી કમાલ પણ કહી શકાય. ગુલામ પણ આઝાદ થવા તલપાપડ ભારતીયોના ઉરમાં પણ આજે આવી જ વિરાટકાય ભરતી ચડી છે, દમન ન કરી શકાય એવો એમનો આત્મા પ્રબળતાથી કૂદી રહ્યો છે, અને દિશાઓ જીતી લેવા માટે જે કદમો આજે કૂચે ઊપડ્યાં છે એ રોકી શકવાનું કે પાછાં વાળી શકવાનું અંગ્રેજ સરકાર તો શું, કોઈ માઈબાપનું ગજું નથી. ભારતનો આઝાદીનો જંગ હવે અંગ્રેજસરકારના કાબૂ બહાર નીકળી ચૂક્યો છે એનું આ બુલંદ એલાન છે. ભરતીએ ચડેલાં દરિયાનાં મોજાંને નાથવા જેમ અશક્ય છે, એમ જ જુવાળે ચડેલ આઝાદીની લડત હવે અદમ્ય બની ચૂકી છે.

ઉમાશંકરે ‘કોડિયાં’ની પ્રસ્તાવનામાં આ સૉનેટ વિશે જે લખ્યું છે, એ એકપણ શબ્દફેર વિના માણવા જેવું છે. સમર્થ કવિ આ સમર્થ કવિતા વિશે લખે છે: ‘ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતાથી વારંવાર યોજાઈ નથી. પૃથ્વીના યતિસ્થાન પછી ‘ધીંક’ આગળ અટકવામાં અવાજ દ્વારા આખીય ઘટના પ્રતીત થાય છે અને ‘શિર રક્તનાં વારણાં’માં ‘શિર’ના ‘ર’ પછી ‘રક્તનો’ ‘ર’ આવતાં પછડાઈને પાછાં વળેલાં પાણીનો ખ્યાલ આવે છે. ‘વારણાં’માં ફરી આવતો ‘ર’ અને આગળનાં ‘નાં’ સાથે સંવાદમાં આવતો ‘ણાં’ પાછી આવેલી છાલકનું ચિત્ર પૂરું કરી આપે છે. લોહીનાં છાંટણાંનો રંગ પણ એ શીકરોમાં પ્રગટતાં રંગધનુને લીધે અસંભાવ્ય રહેતો નથી. ઊંચી સર્જકતાને ભાષા અને ભાવપ્રતીકો કેવા વશ વર્તે છે તે ભરતીનાં ચઢતાં પાણીને એક વાર ઘોડાની ઉપમા આપી પછી એને ‘પાણીપન્થા’ તરીકે ઓળખાવવામાં રહેલી ચમત્કૃતિથી પ્રતીત થાય છે. અંતભાગમાં, સર્જક આવેગનાં પણ પાણી જાણે પાછાં વળ્યાં હોય એવું લાગે, પણ ભરતી પોતે કાવ્યવિષય નથી, પણ વિશિષ્ટ ભાવનાસ્થિતિનું પ્રતીક છે એવો અણસારો છેલ્લી બે પંક્તિમાં મળતાં આખી કૃતિ ‘અગમ પ્રાન્તની’ (mystic) બની જાય છે.’

2 replies on “ગ્લૉબલ કવિતા : ૧૨૬ : ભરતી – કૃષ્ણલાલ શ્રીધરાણી”

  1. very beautiful poem . thanks also for providing such rich information about the poet and a lovely analysis of the poem. which really helped me a lot to understand the depth of the poet’s imagination.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *