ગ્લૉબલ કવિતા : ૧૨૦ : વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારૂં લેશ ન રાજી
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગઈ છું ન્યાંથી, એકલી ને સઈ સાથ
કળણવળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આવળ-બાવળ, ખડચંપાનાં ફૂલડાંનો નહીં પાર
ચ્હાય તે ભરજે ચૂલ મારે હુંય ગુંથીશ તુંને હાર
ને ગંધની મીઠી છોળ્ય મહીં કાંઈ રમશે ઓલ્યો વાયરો ઘેલો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરનાં કે સાવ સોડ્યમાં સરી હાલું
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું
કોઈ નહીં તહીં જળનારું રે નીરખી આપણ નેડો !
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ ઊંડાં ને માથે ગૂંજતું રાન
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન
એકલાંયે ઘણું ગોઠતું તહીં, પણ જો પિયા ! હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લઇએ આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !…

– પ્રદ્યુમ્ન તન્ના

ચાલ, ચાલીએ સાથે સાથે…

પ્રેમીજનોને સૌથી વહાલું શું? તો કે’ એકાંત. હવા પણ વચ્ચે પેસી ન શકે એવું ચસોચસ નૈકટ્ય એ જ પ્રેમીજનોની એકમેવ ઝંખના હોવાની. દુનિયાનો હસ્તક્ષેપ અને દુન્યવીજનોનો પાદપ્રક્ષેપ જ્યાં શક્ય જ ન હોય એવી ‘હું’ અને ‘તું’ની બે જ ઈંટોથી બનેલી ‘આપણે’ની ભીંતે અઢેલીને સમયની આખરી ગલીની પેલે પાર પરસ્પરના સાયુજ્યમાં રમમાણ રહેવા મળે એ જ પ્રેમીજનોની એકમાત્ર આરત હોય છે. ચાર આંખ મળી નથી કે દુનિયા અલોપ થઈ નથી. ‘બે અમારાં દૃગ સજનવા, બે તમારાં દૃગ સજનવા, વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા.’ (મુકુલ ચોક્સી) દુનિયા એ દખલગીરીનું બીજું નામ છે. દુનિયા આડશ છે. અને એકબીજામાં ડૂબકી મારવા માટે પ્રેમીજનોને કાયમ એકાંતના સ્વિમિંગપુલની જરૂર પડતી હોય છે. દુનિયાનો માર્ગ ભલે ને સોનાનો કેમ ન હોય, એકાંટ મળતું હોય તો પ્રેમીઓ પથરાળ કાંટાળા રસ્તાને વધુ વહાલો કરતાં હોય છે. પ્રદ્યુમ્ન તન્ના ‘વિજન કેડો’ ગીતમાં આવા અલગ, એકાંતભર્યા ચીલાની વાત લઈને આવ્યા છે.

પ્રદ્યુમ્ન તન્ના. ૦૭-૦૭-૧૯૨૯ના રોજ જન્મ. ઉભય પક્ષના વડવાઓ મૂળે ગોહિલવાડના. ભાવનગર નજીકના અધેવાડા તથા અક્વાડા ગામના વતની પણ પેટ દહાણુ તરફ ખેંચી લાવેલું. ગોત્રે ઘોઘારી લોહાણા. બાળપણના પહેલા પાંચ વર્ષ દહાણુમાં માતામહને ત્યાં વીત્યા. મૂળ વતનની રહેણી-કરણી, તળપદી બોલી અને પ્રાસંગિક ગીત-સંગીત ગુજરાત-મહારાષ્ટ્રની સંધિ પર આવેલા એ ગામમાં એમના લોહીમાં લોહી થઈ ભળ્યાં. મુંબઈની માધ્યમિક શાળામાં મેઘાણીના પ્રવચનોથી ભીંજાવાની તક સાંપડી. યુવાનીમાં અખાડામાં કાયા પણ કસતા. એમ.એ. સુધીનો અભ્યાસ અને ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી. ગુજરાતના મોટાભાગના લબ્ધપ્રતિષ્ઠ સામયિકોને એમની પીંછી અને કેમેરાનો લાભ કલમ ઉપરાંત મળતો રહ્યો છે. ટ્રેનમાં ત્રીજા વર્ગની હકડેઠઠ ભીડમાં, ખખડધડ બસો અને બળદગાડાંમાં અને પગપાળાં દેશની તળભૂમિને શરીર નંખાઈ જાય એ હદ સુધી ખૂંદતા અને કાવ્યો, ચિત્રો અને છબીઓમાં મઢવાની હારોહાર ત્વચા પરના છૂંદણાંની જેમ અંતરસ્થ કરતા રહ્યા. ૧૯૫૯થી ’૬૧ દરમિયાન ઓલ ઇન્ડિયા હેન્ડલૂમ બોર્ડના ડિઝાઇન સેન્ટર, મુંબઈમાં કામ કર્યું. ’૬૧-’૬૨ની સાલમાં ઇટાલિયન શિષ્યવૃત્તિ મળી ત્યારે ત્યાંની કલાશાળામાં વરસેક ભણ્યા. કાયમી વસવાટ લગભગ ૧૯૭૫થી ઇટાલીમાં આલ્પ્સની પર્વતમાળા વચ્ચે આવેલ એજ નામના સરોવરના પશ્ચિમી કાંઠે આવેલ કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા. ઇટાલી અને અન્ય દેશોના સામાયિકો તથા કલાસંસ્થાઓએ એમની ચિત્રકળા અને છબીકળાને આવકારી અને વધાવી. દેશવિદેશમાં અનેક જગ્યાઓએ તેમનાં કલાપ્રદર્શનો યોજાતાં. ૩૦-૦૮-૨૦૦૯ના રોજ એમનો ક્ષર-દેહ નાશ પામ્યો અને એમનો એકમાત્ર અ-ક્ષરદેહ ‘છોળ’ આપણી વચ્ચે રહી ગયો…

અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં એમનું ગુજરાતી કોઈપણ ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી હોવાની પ્રતીતિ થયા વિના રહેતી નથી. તળપદી ભાષા જે રસાળતાથી એમની કવિતામાં ઊતરી આવી છે એ વરદાન તો ગુજરાતમાં વસતા ઘણાં દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. ‘ફિનૉમિનલ’થીયે ઊંચુ ને મોટું કોઈ વિશેષણ હોય તો જેમના માટે અચૂક પ્રયોજી શકાય એવા આ કવિને ગુજરાતી ભાષાએ બહુ ઓછા પોંખ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ગુજરાતી સાહિત્ય કોશ’ તથા વેબસાઇટ પર કે ગુજરાતી સાહિત્ય અકાદમીના ‘ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ’ના ૧૬૨૪ અને સંવર્ધિત આવૃત્તિની ૨૧૧૦ સાહિત્યકારોની યાદીમાં પ્રદ્યુમ્ન તન્નાનું નામોનિશાન સુદ્ધાં જડતું નથી. પ્રદ્યુમ્ન તન્નાના ગીતો તળપદી ગુજરાતીની ખરી અસ્મિતા-અમીરાત સમાં છે. કલેજામાં ગુજરાતનો ટુકડો રાખીને પરદેશમાં જીવવાની કળા એ શીખવે છે. એમનાં શબ્દોની ગૂંથણી અને લોકબોલીની મીઠાશ એવી છે કે વાંચતાવેંત આપણા હૃદયમાં અનન્ય સ્થાન મેળવી લે છે. બાળપણમાં ગળથૂથીમાં મળેલા પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંસ્કાર અને કૃષ્ણ-કાનુડા સાથેનો અવિનાભાવી સંબંધ એમના કાવ્યોનો પ્રાણ છે. લોકાચાર, વ્રજમંડળ, વનવગડો અને પ્રકૃતિનાં નાનાવિધ સ્વરૂપ એમના પ્રધાન કાકુ છે. મકરન્દ દવેએ ‘આદિમ પ્રકૃતિના અણબોટ્યા અવાજ’વાળાં એમના કાવ્યોને ‘વણજારાનાં મોતી’ કહીને વધાવ્યાં હતાં.

કવિતાના શીર્ષક ‘વિજન કેડો’ પાસે બે’ક ઘડી થોભીએ? જ્યાં કોઈ માણસ સામાન્યતઃ જોવા ન મળે એવી જગ્યા માટે સામાન્યરીતે આપણે નિર્જન શબ્દ વાપરીએ છીએ. કવિએ ‘વિજન’ જેવો પ્રમાણમાં ઓછો ખેડાતો શબ્દ પ્રયોજ્યો છે. લયની દૃષ્ટિએ પણ નિર્જન વિજન કરતાં વધુ યોગ્ય શબ્દ-પસંદગી છે કેમકે લયની માંગ મુજબ વિજનના ‘વિ’ને હૃસ્વ હોવા છતાં દીર્ઘ ઊચ્ચારવાની ફરજ પડે છે. પણ, ‘વિ’ વિશિષ્ટ પ્રકારનો ઉપસર્ગ છે. વિગત, વિકંપ, વિક્ષુબ્ધ, વિક્ષોભ જેવા શબ્દોમાં એ ‘વિશેષ’ના અર્થમાં વપરાય છે તો વિયોગ, વિધવા, વિઘટન, વિજન વગેરેમાં એ ‘વિનાનું’ જેવા વિરોધી કે ગેરહાજરીસૂચક સંદર્ભે પ્રયોજાય છે. કવિ નિર્જનના સ્થાને ‘વિજન’ પ્રયોજે છે, એમાં કદાચ બંને ભાવ સમાવિષ્ટ છે. આ રસ્તે કોઈ જન સામાન્યરીતે આવજા કરતું નથી એ અર્થમાં વિજન એટલે જન વગરનું અને પ્રિયજન સાથે અહીંથી જવાનું નાયિકાનું પ્રયોજન છે એ અર્થમાં વિજન એટલે વિશેષ જન એમ પણ ગણી શકાય. ‘કેડો’ને પણ બે અર્થમાં લઈ શકાય: વિ-જન રસ્તો અને વિશેષ-જનનો પીછો કે પૂંઠ. કોઈપણ ભાષામાં સાહિત્યકારની સહુથી મોટી જવાબદારી ભાષાને જીવતી રાખવાનું છે. કવિએ એ કામ શીર્ષકમાં પણ સુપેરે પાર પાડ્યાનું જણાય છે. અષ્ટકલના પ્રચલિત લયમાં ગીત વહી જાય છે. પહેલી પંક્તિમાં અષ્ટકલના બે અને ત્રીજી પંક્તિમાં એક આવર્તનની અનિયમિતતતાના માથે ધ્રુવપંક્તિ અને તુકમાં અષ્ટકલના ચાર-ચાર આવર્તન અને ચારેય બંધમાં ત્રણ આવર્તનના માથે વધારાની એક ગુરુ-લઘુ માત્રા મૂકીને કવિ લયને સતત રમતો રાખે છે.

તો, જ્યાં કોઈ આવતું-જતું નથી એવા કોઈ નિર્જન, સૉરી, વિજન રસ્તા પર જવા માટેની ‘પ્રપોઝલ’નું આ ગીત છે. ૧૯૬૧માં લખાયેલું પણ આજેય તરોતાજા લાગે એવું એ સમયાતીત છે. આ નાયિકાની એકોક્તિ છે. નાયકનો જવાબ અહીં અભિપ્રેત નથી પણ સમજી શકાય છે કે નાયિકે નયિકાની દરખાસ્ત સ્વીકારી જ હશે. નાયિકા પોતાના મનની વાત કરવા માટે પહેલાં જ્યાં જવું છે એ નહીં પણ જ્યાં જવાની ઇચ્છા નથી એ ધોરી માર્ગની વાત કરે છે. કહે છે, જ્યાં લોકોની આવનજાવન વધારે છે એવા ધોરી મારગ પર જવાની મારી લેશ ઇચ્છા નથી. હાલ્યને વાલમ કહીને એ મીઠા લલકારે નાયકને એવું ઈજન આપે છે, જેને નકારવું કદાચ લોહી-માંસના બનેલા માણસ માટે તો શક્ય જ નથી. નજીકના ભીડભર્યા માર્ગે જવાના બદલે નાયિકા નાયકને દૂર આવેલ કોતરમાં બનેલો વિજન કેડો પસંદ કરવા સમજાવે છે.

કવિને વિજન કેડો આમેય વધુ પસંદ હોય એમ જણાય છે. નાયકને બદલે સહિયરોને પાછળના ભીડ વગરના રસ્તે જવા લલચાવતી નાયિકાના ‘પછવાડે’ નામના ગીતનો ઉઘાડ જોઈએ:

મારગડે સરિયામ આવજા
ઘટે જ્યહીં ના જરીયે,
ભર્યે બેડલે ઘૂંઘટભર શેં
ભીડ થકી સંચરિયે?!
પછવાડે થઈ હાલો, સૈયર! જળ ભરવાને જઈએ!

સ્વાભાવિક છે કે નાયકને ગળે દૂરનો રસ્તો પકડવાની વાત શીરાની જેમ નહીં જ ઊતરી હોય. પુરુષોનું તો આમેય ગણિત જ નોખું. એટલે નાયિકા હવે એ વેરાન રસ્તાની વકીલાત કરે છે. કહે છે, એ રસ્તો કંઈ અજાણ્યો નથી, વહાલમ. એ રસ્તે તો હું ઘણી વાર એકલી પણ પસાર થઈ છું ને સહેલીઓ સાથે પણ ઘણીવાર ત્યાં થઈને ગામ જવાનું થયું જ છે. કોતર છે એટલે બાજુમાં પહાડ કે ઊંચી જમીનને કોરીને કેડો બનાવનારી નદી પણ હોવાની અને નદી હોય એટલે સાગરની ભરતી-ઓટના કારણે નદીકાંઠે પાણીની વધઘટના લીધે ક્યાંક-ક્યાંક કાદવના કળણ પણ સર્જાયાં જ હશે. પણ જેમ માણસ પોતાના હાથને ઓળખવામાં ઘનઘોર અંધારામાંય ભૂલીનેય ભૂલ કરતો નથી, અદ્દલ એ જ રીતે નાયિકા કોતરના આ ઉજ્જડ રસ્તે આવેલ એક-એક કળણ-વળણને ઓળખે છે. વળણ શબ્દ એક તરફ કળણ સાથે લય મિલાવવામાં અને લોકબોલીમાં થતા શબ્દપ્રયોગનો દ્યોતક છે તો બીજી તરફ કળણ સિવાયના બીજા કોઈ પણ નડતર –એમ તમામનો એક સાથે સમાવેશ કરી લે છે. પોતાની વાતની પુષ્ટિ કરતી નાયિકા કહે છે કે નેસ જવાની આપણને કોઈ ઉતાવળ પણ ક્યાં છે જ, કેમક હજી તો અડધો દિવસ બાકી છે. બીજું, નેસની વાત છે એટલે નાયક-નાયિકાની જાતિ વિશે પણ જાણકારી મળે છે. સંસ્કૃત નિવેશ અને પ્રાકૃત ણિવેસ પરથી નેસ શબ્દ ઊતરી આવ્યો છે. નેસ કે નેસડો એટલે રબારીઓ કે ભરવાડોનું નિવાસસ્થાન. ગીરના જગલમાં આજેય માલધારીઓના નેસ જોવા મળે છે. રબારીની વાત પરથી કવિજીવનનો એક યાદગાર પ્રસંગ યાદ આવે છે.

રબારીઓના લગ્ન બાબતની દસ્તાવેજી સામગ્રી એકઠી કરવા આદરેલા કવિએ કચ્છ-ભ્રમણ કર્યું હતું એ સમયે ગુજરાતી ભાષાને ઊની આંચ આવનાર નથી એની પ્રતીતિ થઈ હતી. કવિના જ શબ્દોમાં: ‘એક લગ્નમાં બપોરવેળાએ એક ભાભુમા માળા ફેરવતાં’તાં ને ખાટની પડખે જ, નાની કાંટાળી વાડના ઘેરા બીચ, આછા ભીના પોતમાં વીંટયો એક રોપો જોઈ કવિએ પૂછા કરી. બાઈએ કહ્યું: ‘ઈ તો સાંયડી રોપી છે, ભલા!’ પળભર તો કીધું ઊકલ્યું નહીં, પણ પછી એક અવર્ણ્ય રોમાંચ અનુભવ્યો એ સહજ સર્યા ઉત્તરની ઓળખે. “છાંયડી” રોપી હતી. બસ. લીમડો, વડ-પીપળ કે પછી આંબો-આંબલી, ઝાડના નામનુંય અગત્ય નહોતું! ને એ વધતાં પહેલાં જ ઘેટાં-બકરાં ચરી ના જાય કે ધખતા ધોમ એને સૂકવી ના દે, માટે ફરતી મેલી હતી કાંટાળી વાડ અને માથે પાતળું ભીનું પોત! જેને વાંચતાં-લખતાંયે નહોતું આવડતું એવી એક અભણ ગ્રામનારીએ સહજ ઊભર્યા અલંકારની સાથોસાથ આપણી સંસ્કૃતિના એક મૂળભૂત મૂલ્યને પણ દોહરાવ્યું હતું! છાંયડી એટલે છત્રા-છાયા, આશ્રય અને રક્ષણ. જ્યાં લગી આપણાં જનગણમન મહીં ભાવ-કથનનું આવું સૌષ્ઠવ ભર્યું પડયું છે ત્યાં લગી ગુર્જરગિરાના સાતત્યને, કહો, શી આંચ આવશે?”

કવિતાના અન્ય એક સંસ્કરણમાં ‘ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો!’ આ પ્રમાણે તુકની પંક્તિ જોવા મળે છે, જેમાં ધાઈ એટલે ઉતાવળ શબ્દ ઝપ્પ કરતોકને વહાલો થઈ પડે એવો છે. પણ કોઈક કારણોસર કવિએ એમના કાવ્યસંગ્રહમાં આ પંક્તિનું ‘ને નથ ઉતાવળ નેસ જાવાની હજી તો અરધો દન પડેલો!’ લખીને સરળીકરણ કરી નાંખ્યું છે.

કાવ્યસંગ્રહ સિવાયના સંસ્કરણમાં આવળ-બાવળવાળો બીજો આખો અંતરો જ ગેરહાજર છે. પણ સંગ્રહમાં એ છે એટલે એમ માની શકાય કે કવિએ પાછળથી એનો ઉમેરો કર્યો હશે. રસ્તામાં આવળ, બાવળ અને ખડચંપાના ફૂલો જ ફૂલો ખીલેલાં મળશે. બાવળનાં ફૂલ સામાન્યરીતે ચોમાસામાં અને શિયાળાની શરૂઆતના ભાગ સુધી ખીલતાં જોવાં મળે છે. મતલબ પ્રેમીઓની, ચોમાસાની આ ઋતુ હોવાનું અનુમાન કરી શકાય. આવળનાં ફૂલ તો સામાન્યતઃ શોભાનાં હોય છે પણ નાયિકાને કશાયનો બાધ નથી. એ નાયકને એને જે ફૂલ ગમે એ પોતાનાં કેશમાં નાંખવાને આહ્વાન આપે છે અને બદલામાં એ પણ નાયક માટે હાર ગૂંથી દેશે. એક તો કેડો દૂર છે અને વિજન છે ને વળી નાયિકાને માત્ર ત્યાંથી પસાર થઈ જવામાં રસ નથી પણ વચ્ચે-વચ્ચે થોભતા-થોભતાં ફૂલો વીણવામાં અને ગૂંથવામાં પણ રસ છે. મતલબ, એ નાયક સાથેના સોનેરી એકાંતની શક્યતાને વધુને વધુ લંબાવવાની આરત પણ ધરાવે છે. નદીકિનારે કોતરમાં ખીલેલાં આ ફૂલોની સુગંધની છોળ સાથે નાયક-નાયિકા જ નહીં, ઘેલો મદમત્ત પવન પણ ખેલનાર છે.

નાયિકાએ ગીતના પ્રારંભમાં પોતાનું મન શેમાં રાજી છે ને શેમાં નથી એની વાત કરી. પછી રસ્તાની પરિચિતતા અને સમયના વૈપુલ્યની દલીલ સામી મૂકી. એ પછી રસ્તામાં કેવાં-કેવાં સુગંધસભર રંગીન પ્રલોભનો ખીલેલાં હશે એની લાલચ બતાવી અને હવે એ પુરુષની દુઃખતી રગ દબાવે છે. એ એને શારીરિક પ્રેમની સંભાવના તરફ સંકેત કરે છે. કહે છે, મન થશે તો હાથમાં હાથના આંકડા ભીડીને ચાલશું, ને મન થશે તો હું તારી સોડમાં તને વળગીને ચાલીશ. ઇચ્છા થઈ આવશે તો તારા કાનની બૂટ ઝાલીને તારો ઊંચો ચહેરો મારી નજદીક આણીને તારા વહાલા વહાલા મુખડાને હું ચૂમી પણ લઈશ. સ્ત્રી-પુરુષના રતિયોગ-આસક્તિયોગની આ વાત છે. સાથે મળીને ઉલ્લાસનો હોંકારો આપીએ તો સહવાસના ગીત રણઝણી ઊઠે. ભીતરની ભોંયને પ્રેમથી અડીએ કે તરત અમીઝરણાં વહેતાં થઈ જાય. નાયિકાના પ્રગલ્ભ પ્રલોભનને શું નાયક ટાળી શકશે ખરો? વધુમાં નાયિકા ખાતરી આપે છે કે આપણો આ નેડો-સ્નેહ જોઈને આપણી ઈર્ષ્યાની આગમાં બળનારું પણ ત્યાં કોઈ નહીં હોય. એક બહુ-પ્રચલિત દોહો યાદ આવે છે:

એકલ નર અડધો અને એકલ અડધી નાર,
રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર.

કોતરની હેઠે ઊંડા જળ વહેતાં હશે એનો ખળખળ અવાજ હશે ને આપણા માથે જંગલના ઝાડની છત્રછાયા હશે જે ભાતભાતનાં પંખીઓના કલરવથી ગૂંજતી હશે. અને આટલું સંગીત ઓછું હોય એમ વચ્ચે કેડા પર ચાલતાંચાલતાં મારા કંઠથી ગીત સર્યે રાખશે. આવી અમીરાત પેલા ધોરી માર્ગ પર વળી ક્યાં હોવાની? આ કેડે એકલાં જવાનું થાય તોય નાયિકાને એ સહેજસાજ નહીં, ઘણું-ઘણું પસંદ છે પણ પ્રિયજન સાથે હોય તો? નયિકાને ‘तबे एकला चलो रे’માં પણ કોઈ આપત્તિ નથી પણ एक से भले दो તો કોને ન ગમે? ને એમાંય આ તો મનનો માણીગર. ‘હોય તું ભેળો-’ કહીને કવિ સાયાસ પંક્તિ અધૂરી છોડી દે છે, કેમકે આ સહવાસનું સંગીત હવે આપણે ગણગણવાનું છે. આવા કોઈ વિજન કેડા પર સાથે જવા કોઈ નાયિકા આપણને વાસ્તવિક જીવનમાં કદાચ ઈજન ન પણ આપે પણ પ્રદ્યુમ્ન તન્નાના ગીતનો હાથ ઝાલીને આપણે સહુ આ વિજન કેડા પર આપણી મનમાનીતી પ્રિયાની સાથે એકાંતની મજા માણવા અવશ્ય ઊપડી જઈએ છીએ, ખરું ને?

4 replies on “ગ્લૉબલ કવિતા : ૧૨૦ : વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના”

  1. પ્રદ્યુમ્ન તન્ના ને લોસ ઍન્ગેલેસમા મળ્યો ત્યારે આ કવિતા સમ્ભળિ હતી….
    આ વાચીને મઝા આવી..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *