ગ્લૉબલ કવિતા : ૯૩ : अपराजेय – વિલિયમ અર્નેસ્ટ હેન્લી

Invictus

Out of the night that covers me,
Black as the Pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

In the fell clutch of circumstance
I have not winced nor cried aloud.
Under the bludgeonings of chance
My head is bloody, but unbowed.

Beyond this place of wrath and tears
Looms but the Horror of the shade,
And yet the menace of the years
Finds and shall find me unafraid.

It matters not how strait the gate,
How charged with punishments the scroll,
I am the master of my fate,
I am the captain of my soul.

– William Ernest Henley

अपराजेय

મને આવરે છે જે આ છેડાથી લઈ પેલા છેડા લગ
ફેલાયેલા ખાડા જેવા અંધારેથી કાળી રાતના,
આભારી છું હું તેઓનો જે કોઈ પણ હશે દેવગણ,
બહાર આણવા મને ને દેવા માટે આવો અજેય આત્મા.

ભલે ફસાયો હોઉં સંજોગોની કાતિલ નાગચૂડમાં
નથી કરી મેં પીછેહઠ કે નથી કર્યું મેં જરા આક્રંદ.
દૈવયોગનો ગદામાર વેઠી વેઠી મારું માથું આ
રક્તરંજિત ભલે થયું હો, ઉન્નત એ રહ્યું છે કાયમ.

ક્રોધ અને આંસુઓથી ભર્યા-ભર્યા આ સ્થળથી દૂર
કાંઈ નહીં, લળુંબે છે બસ, કેવળ ઓછાયાનો ભય,
અને છતાંયે આવનારા એ વર્ષોનો કેર તુમુલ,
મને શોધશે અને પામશે હરહંમેશ મને નિર્ભય.

નથી અર્થ કો એનો કે છે સાંકડો કેટલો દરવાજો,
કે છે ખાતાવહીયે ત્યાંની કેવી સજાઓથી ભરેલ,
હા હા, હું છું એકમાત્ર જ સ્વામી મારા ભાગ્ય તણો,
હા હા, આ મારા આત્માનો હું જ સુકાની, હું ટંડેલ.

– વિલિયમ અર્નેસ્ટ હેન્લી
(અનુ. વિવેક મનહર ટેલર)

નાયકને મહાનાયક, માનવને મહામાનવ બનાવનારી અમર કવિતા

ફર્સ્ટ ક્લાસની ટિકીટ હોવા છતાં હિંદુસ્તાનના એક વકીલને દક્ષિણ આફ્રિકામાં સામાન સાથે ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો. ૭ જુન, ૧૮૯૩ના એ દિવસે પેટ અને પૈસા માટે વિદેશ ગયેલા મોહનદાસ કરમચંદ ગાંધીની અંદર એક નેતાનો ઉદય થયો હતો એ વાત આપણે સહુ જાણીએ છીએ. પણ મહાત્મા ગાંધીનો જન્મ એક પુસ્તકના ઉદરમાંથી થયો હતો એ વાત કેટલાને યાદ હશે? ૧૯૦૪માં હેન્રી પૉલાક મરફત ગાંધીજી જૉન રસ્કિનના ‘અન ટુ ધીસ લાસ્ટ’ પુસ્તકના પરિચયમાં આવ્યા, જે એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પૉઇન્ટ પુરવાર થયો. આ પુસ્તક ગાંધીજીનો પડછાયો બનીને રહ્યું. આ પુસ્તકથી પ્રેરિત થઈને જ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પહેલાં ફિનિક્સ ફાર્મ અને પછી ટૉલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી. આ પુસ્તકની પ્રેરણામાંથી જ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ઉદભવ્યો. આઝાદી માટેનો ભારતનો અહિંસક સત્યાગ્રહ અને સમાજના છેવાડાના છેલ્લામાં છેલ્લા માણસ માટેની સામાજીક જાગૃતિના પગરણ પણ આ પુસ્તકમાંથી જ મંડાયા. કોઈ પુસ્તકે કે કોઈ પ્રવચને કે કોઈ ફિલ્મે કોઈની આખેઆખી જિંદગી જ બદલી નાંખી હોય એવા અસંખ્ય દાખલાઓ ઇતિહાસમાંથી જડી આવશે. હેન્લીની પ્રસ્તુત રચના પણ આ જ રીતે એક માનવને મહામાનવ અને નાયકને મહાનાયક બનાવવામાં ચાવીરૂપ બની હતી…

વિલિયમ એર્નેસ્ટ હેન્લી. કવિ. વિવેચક. સંપાદક. ૨૩-૦૮-૧૮૪૯ના રોજ ઇંગ્લેન્ડમાં ગ્લૉસ્ટર ખાતે પુસ્તકવિક્રેતાને ત્યાં જન્મ. છ ભાઈ-બહેનોમાં સૌથી મોટા. શાળામાં ટી.ઈ.બ્રાઉન નામના કવિ આચાર્ય તરીકે આવ્યા એ એમના માટે વરદાન સાબિત થયું. બંને વચ્ચે આજીવન મૈત્રી પણ રહી. ૧૨ વર્ષની નાની વયે હેન્લીને હાડકાંનો ટી.બી. થયો. ઓગણીસમી સદીના અંતભાગમાં ક્ષયરોગની આજે છે, એવી સારવાર ઉપલબ્ધ ન હોવાથી હેન્લીના નસીબે ખૂબ રિબાવાનું આવ્યું હતું. ૧૯ વર્ષની વયે માથે દેવાદારો મૂકી ગયેલા પિતાને ગુમાવ્યા એ જ અરસામાં ક્ષયરોગના કારણે ઘૂંટણ પાસેથી ડાબો પગ પણ કપાવવો પડ્યો. વિક્ટોરિયન યુગના પ્રમુખ અવાજોમાંનો એક એમનો હતો. અવારનવારની હૉસ્પિટલયાત્રાની વચ્ચે-વચ્ચે એમણે પત્રકાર અને સંપાદક તરીકે શાખ જમાવી. જે હૉસ્પિટલમાં હેન્લી હતા ત્યાં જ દાખલ પોતાની બહેનની ખબર કાઢવા આવતી અન્ના બોયલે સાથે ૧૮૭૮માં એમણે પ્રેમલગ્ન કર્યા. માર્ગારેટ નામની દીકરી જન્મી જે કાયમ બિમાર રહેતી હતી. આમ તો એ પાંચ-છ વર્ષનું આયુષ્ય ભોગવીને જ મૃત્યુ પામી પણ જે.એમ. બેરીની સુપ્રસિદ્ધ ‘પિટર પૅન’માં ‘વૅંન્ડી’ના પાત્રરૂપે એ અમર થઈ ગઈ. હૉસ્પિટલમાં જ જેમની સાથે અનન્ય મૈત્રી થઈ એ રૉબર્ટ લૂઈ સ્ટિવન્સનની જગવિખ્યાત ‘ટ્રેઝર આઇલેન્ડ’માં આવતું લોંગ જોન સિલ્વરનું પાત્ર એક પગવાળા હેન્લીના જીવનથી પ્રેરિત હતું. સ્ટિવન્સનના સાવકો પુત્રે હેન્લી માટે કહ્યું હતું: ‘લાલ દાઢી અને એક કાંખઘોડીવાળો મહાન, દેદીપ્યમાન, પહોળા ખભાવાળો માણસ; હસમુખો, હેરત પમાડે એટલો ચાલાક, અને હાસ્ય જાણે કે સંગીત; અકલ્પનીય આગ અને પ્રાણશક્તિથી ભરપૂર; સામાના પગ તળેથી જમીન ખેસવી લે એવો.’ ૧૧-૦૭-૧૯૦૩ના રોજ માત્ર ૫૩ વર્ષની નાની વયે લંડન નજીક વૉકિંગ ખાતે ઘરમાં જ નિધન.

વિક્ટોરિયન અને પરંપરાગત કાવ્યશૈલી એમની રચનાઓ અલગ તરી આવે છે. એ સમયના લાંબાલચક વિવરણોથી ઊલટું એમની કવિતાઓ પ્રમાણમાં ટુ-ધ-પૉઇન્ટ કહી શકાય એવી ટૂંકી અને આડંબરરહીત હતી. કાવ્યસ્વરૂપ અને તકનીકની બાબતમાં એ ખાસ્સા વૈવિધ્યસભર રહ્યા. એમના હૉસ્પિટલ કાવ્યો એમની યશકલગીમાંનાં છોગાં બની રહ્યાં છે. આંતરિક આત્મસંભાષણ, મુક્તકાવ્ય, ટૂંકાણ તથા પ્રયોગપ્રચુર એમની કવિતાઓ વીસમી સદીમાં પ્રાંરંભાયેલી આધુનિક કવિતા તરફનો પહેલો ઈશારો ગણી શકાય.

પ્રસ્તુત રચના અંગ્રેજીમાં લિરિક અને આપણી ભાષામાં ગીત તરીકે ઓળખાય છે. સોળ જ પંક્તિની ટૂંકીટચ રચનાને કવિએ ચાર-ચાર પંક્તિના ચાર બંધમાં વહેંચી દીધી છે. ચૌદમી અને સોળમી પંક્તિના અર્ધાનુપ્રાસને બાદ કરતાં બધા જ બંધમાં કવિએ અ-બ-અ-બ ક-ડ-ક-ડ પ્રકારે ચુસ્ત પ્રાસ જાળવ્યા છે. અંગ્રેજીમાં આ પ્રકારની કાવ્યવ્યવસ્થાને ‘હીરોઇક ક્વૉટ્રેઇન’ કહે છે. અંગ્રેજીમાં આયમ્બિક ટેટ્રામીટરની નજીક નજીક જતી આ રચનામાં કવિએ છંદવૈવિધ્ય ઉમેરીને એને વધુ રવાની બક્ષી છે. ચુસ્ત પ્રાસરચના તથા અપૂર્ણાન્વય (enjambment)ની જાણીતી કાવ્યપ્રયુક્તિના સ્થાને પૂર્ણાન્વય ચરણ (end-stopped lines)ની રીતિ પસંદ કરી છે. આ કારણોસર દરેક પંક્તિ એક સ્વતંત્ર વાક્યનો ભાસ ઊભો કરે છે અને આ કવિતા માટે આવશ્યક અધિકૃતતતા અને અંતિમતાનો ભાવ ઉજાગર થાય છે. હેન્લીએ ૧૮૭૫માં ‘ઇન્વિક્ટસ’ લખી એ વખતે કોઈ શીર્ષક આપ્યું નહોતું. કાવ્યસંગ્રહની બીજી-ત્રીજી આવૃત્તિમાં પણ કોઈ શીર્ષક નહોતું પણ અખબારોમાં આ કવિતા તંત્રીઓએ મનફાવે એ શીર્ષક આપીને છાપ્યે રાખી હતી, જેમ કે, ‘માયસેલ્ફ’, ‘સોન્ગ ઑફ અ સ્ટ્રોંગ સૉલ’, ‘માય સૉલ’, ‘ક્લિઅર ગ્રિટ’, ‘માસ્ટર ઑફ ફેઇટ’, ‘કેપ્ટન ઑફ માય સૉલ’, ‘ડિ પ્રોફન્ડિસ’ વિ. કવિતા લખાયાના ૨૫ વર્ષ બાદ ઈ.સ. ૧૯૦૦માં આર્થર ક્વિલર-કાઉચે ‘ઓક્સફર્ડ બુક ઑફ ઇંગ્લીશ વર્સ’માં આ કવિતા સમાવી ત્યારે ‘ઇન્વિક્ટસ’ શીર્ષક આપ્યું જે આજદિનપર્યંત કવિતાની ઓળખ બની રહ્યું છે. ‘ઇન્વિક્ટસ’ લેટિન શબ્દ છે, જેનો અર્થ અપરાજેય થાય છે. અંગ્રેજી કાવ્યનું શીર્ષક પાશ્ચાત્ય ઉપખંડની આદિમ ભાષામાંથી લેવામાં આવ્યું છે એ ન્યાયે ગુજરાતી અનુવાદનું શીર્ષક ભારતીય ઉપખંડની આદિમ ભાષા સંસ્કૃતમાંથી લેવામાં આવે એ જ ઉચિત ગણાય ને?

જે કામ ગાંધીજી માટે અન ટુ ધ લાસ્ટ પુસ્તકે કર્યું હતું એ કામ મહાનાયક મન્ડેલા માટે આ કવિતાએ કર્યું હતું. રંગભેદની નીતિના પ્રખર વિરોધી વિશ્વનેતા નેલ્સન મન્ડેલાને દક્ષિણ આફ્રિકાની સરકારે ૨૭-૨૭ વર્ષ સુધી કેદ રાખ્યા. આમાં રોબન ટાપુ પરની જેલમાં એમણે ૮ ફૂટ બાય ૭ ફૂટની કોટડીમાં ૧૮ વર્ષ ગાળ્યાં. રોબન ટાપુની જેલમાં ગયા ત્યારે એક રદ્દી કાગળના ટુકડા પર લખેલી હેન્લીની આ કવિતા એમની પાસે હતી. આ કવિતાએ એમને સંજીવની પૂરી પાડી, જીવનબળ આપ્યું અને આ કવિતાના અવારનવારના વાચન વડે એમણે સાથી કેદીઓમાં પણ હિંમત અને આશા જીવંત રાખ્યાં. આ કવિતાએ એમને શીખવ્યું કે છાતી પર ધસી આવતી દીવાલોવાળી સાંકડી કાળકોટડી એમને તોડી શકવા માટે અપૂરતી છે. ગોરા વૉર્ડનના જુલમ કે કપરો કાળ ગમે એ કસોટી કેમ ન કરે, એ જાણતા હતા, કે તેઓ પોતાના આત્માના સુકાની હતા, અપરાજેય હતા. મન્ડેલાએ કહ્યું હતું કે આ કવિતાનો સધિયારો ન હોત તો તેઓ આ જેલમાંથી કદાચ જ જીવતા બહાર આવી શક્યા હોત. સરકારને મન્ડેલાને કારાવાસમાંથી મુક્ત કરવાની ફરજ પડી એ બાદ તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ પણ બન્યા. ૨૦૦૯ની સાલમાં એમના જીવન પર ફિલ્મ બની જેનું નામ પણ ‘ઇન્વિક્ટસ’ જ હતું અને મન્ડેલાની ભૂમિકા ભજવનાર મૉર્ગન ફ્રીમેન ફિલ્મમાં આ કવિતાનું પઠન કરે છે એ દૃશ્ય અમર બની ગયું છે. બર્માની ક્રાંતિકારી અને શાંતિ માટેની નોબલ પુરસ્કાર વિજેતા ઑન્ગ સેન સુ કિના કહેવા મુજબ આ કવિતા આઝાદીની લડતમાં ન માત્ર એમના પિતાનો મુખ્ય પ્રેરણાસ્ત્રોત બની હતી પણ વિશ્વભરમાં અનેક લડાઈઓમાં અનેકાનેક લડવૈયાઓ માટે પ્રેરણાનું ભાથું બની ચૂકી છે. વિન્સ્ટન ચર્ચિલથી લઈને બરાક ઓબામા સુધીના વિશ્વનેતાઓ એમના ભાષણમાં ક્યારેક ને ક્યારેક આ કવિતા કે એની કાવ્યપંક્તિઓ ટાંકવી ચૂક્યા નથી. એ જ રીતે વિશ્વભરમાં અનેક નાટકો, પુસ્તકો અને ફિલ્મોમાં પણ આ કાવ્ય અથવા કાવ્યાંશ વપરાયા છે, વપરાતા રહેનાર છે.

આ છેડેથી પેલા છેડા સુધી વિસ્તરેલા ખાડા જેવી કાળી રાતના અંધારામાંથી બહાર આવવા બદલ નાયક દુનિયામાં જો કોઈ પણ ઈશ્વર કે દેવતાઓ હશે એમનો આભાર માને છે કે એ આવા અજેય આત્માનો માલિક છે. હેન્લીએ Pit શબ્દમાં ‘પી’ને કેપિટલ રાખ્યો છે, જે પોતે જ ખાડાની વિશાળતા શું હોઈ શકે એ સૂચવે છે. કવિને આટલું સૂચન અપૂરતું લાગે છે એટલે એ આ ખાડો એક Pole થી બીજા pole સુધી વિસ્તરેલો છે એમ કહે છે. કાવ્યાંતે પોતે પોતાના આત્માનો સુકાની છે એવી વાત આવે છે એટલે આ થાંભલો જહાજનો હોઈ શકે એમ પણ આપણે વિચારી શકીએ પણ પોલનો બીજો અર્થ ધ્રુવ પણ થાય છે. એટલે સહેજે સમજી શકાય કે આ અંધારો ખાડો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલો છે એમ કવિ કહેવા માંગે છે. આ સંદર્ભમાં ‘પી’માટે કેપિટલ લેટર પ્રયોજવાનું અને અંધારા ખાડાની પૃથ્વી સમી વિશાળતા ચાક્ષુષ કરવાની કવિની કાર્યકુશળતા તરત ધ્યાનમાં આવે છે. ‘પોલ’ના બંને અર્થ જન્માવી શકે એવો શબ્દ આપણી ભાષામાં ન હોવાથી ‘છેડા’થી ચલાવી લેવાની ફરજ પડે છે. ‘અંધારું’ શબ્દમાં માનવને પડતી તકલીફો, દુઃખો અને નિરાશાઓ તરફ પણ ઈશારો છે. અને આ અંધારો અનંત ખાડો ‘નરક’ની અર્થચ્છાયા પણ ઉપસાવે છે. આ અંધારા ખાડામાંથી બહાર આવી શકવાની ક્ષમતા નાયકના અપરાજેય આત્મા સાથે સીધો પરિચય કરાવે છે. નાયક દેખીતી રીતે તો આ માટે કહેવાતા ઈશ્વરોનો આભાર માને છે પણ એની કહેતીમાંથી કટાક્ષ અછતો નથી રહી શકતો. દેવગણ માટે ‘જે કોઈ પણ’ અને ‘હશે’ પ્રયોજીને નાયક સાફ કરે છે કે જીવનની અસીમ અંધારી સમસ્યાઓમાંથી એ આત્મબળે જ બહાર આવવામાં સફળ થયો છે. ઈશ્વરનો ઉલ્લેખ એના સ્વીકાર કરતાં અસ્વીકાર તરફ વધુ નિર્દેશે છે. ઈશ્વરના હોવા-ન હોવાથી નાયકને કોઈ ફરક પડતો ન હોવાનો ભાવ બળવત્તર થતો અનુભવાય છે.

કવિતાના દરેક બંધ આ જ રીતે આલેખાયા છે. નકારાત્મક ભાવમાંથી સકાર ઊઠતો સંભળાય છે. આખી કવિતાનો મૂડ ઉદ્વિગ્નતાસભર છે પણ નાયકનો આશાવાદી અભિગમ બરાબર એની સમાંતરે જ જાય છે. પહેલા ચતુષ્કમાં જ ચિત્તતંત્રને ખિન્ન કરે એવા શબ્દો -રાત, ખાડો, કાળી- ઉદાસીનતાનું વાતાવરણ રચે છે અને આગળ જતાં કાતિલ, નાગચૂડ, દૈવયોગ, ગદામાર, રક્તરંજિત, ક્રોધ, આંસુ, ઓછાયો, ભય, લળુંબવું, કેર, સાંકડો, સજાઓ જેવા શબ્દો સતત વાતાવરણને ભારઝલ્લુ જ રાખે છે. તો એની હારોહાર જ અમર આશા અને અપરાજિતતાની ભાવના મૂકતા રહીને કવિ પોતાને જે કહેવું છે એ યથાર્થ ઉપસાવવામાં સફળ રહ્યા છે. બે લાગણીઓ વચ્ચેનો વિરોધાભાસ તીવ્રતમ બનાવીને કવિએ ધાર્યું નિશાન સાધ્યું છે અને એટલે જ આ કવિતા વિશ્વભરમાં અંધારામાં ગરકાવ હજારો લોકો માટે આશાનું કિરણ બનતી આવી છે.

બીજા ચતુષ્કમાં નાયક સ્વીકારે છે કે એ સંજોગોની કાતિલ નાગચૂડમાં જકડાયેલો છે અને નસીબનો ગદામાર વેઠી-વેઠીને એનું માથું લોહીલુહાણ થઈ ગયું છે, પણ જીવનમાં ગમે એવા કપરા સંજોગો કેમ ન આવ્યા હોય, એણે કદી પીછેહઠ નથી કરી, આક્રંદ નથી કર્યું કે નથી કોઈની આગળ આ મસ્તક નમાવ્યું. એનું મસ્તક ઉન્નત જ હતું અને રહ્યું છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું: ‘હું શીખ્યો છું કે હિંમત એ ભયની ગેરહાજરી નહીં, પણ એની ઉપર વિજય મેળવવામાં છે. બહાદુર માણસ એ નથી જેને ડર જ લાગતો નથી, પણ એ છે જે ડર ઉપર જીત મેળવે છે.’ નાયક કહે છે કે આ સ્થળ માત્ર ક્રોધ અને આંસુઓથી ભરેલું છે. આ સ્થળ એટલે આ દુનિયા. માત્ર ક્રોધ અને દુઃખદર્દોથી ભરેલી આ દુનિયાથી દૂર બીજું કંઈ છે જ નહીં, સિવાય કે ઓછાયાનો ભય. ભય માટેના અંગ્રેજી શબ્દ ‘હૉરર’ના ‘એચ’ ને કવિ પુનઃ કેપિટલ અક્ષરે લખે છે. અને આ ભયને સાર્વત્રિક સ્વરૂપ આપે છે. માત્ર એક અક્ષરના આલેખનમાં ફેરફાર કરીને કવિ કેવી ખૂબીથી નાયકના આ ભયને વયષ્ટિનો મિટાવીને સમષ્ટિનો બનાવે છે, એ નોંધવા જેવું છે! કવિકર્મ પરત્વેની અપાર નિષ્ઠા વિના આવું કવિકર્મ સંભવ જ નથી. કવિતા અને ઉત્તમ કવિતા વચ્ચેનો તફાવત શું હોઈ શકે એ બે જગ્યાએ કરાયેલા કેપિટલ લેટર્સના પ્રયોજનમાત્રથી સમજી શકાય છે. ભય જ્યારે સાર્વત્રિક બને છે ત્યારે ઓછાયો મૃત્યુનો જ હોઈ શકે એ વાત પણ સાફ થાય છે. મૃત્યુનો ભય સતત માથે લળુંબતો જ રહેવાનો. જીવનના વર્ષો હંમેશા સંઘર્ષના વર્ષો જ હોવાના. હેન્લીની બાબતમાં તો આ વાત સોળ આની સાચી હતી.

ક્ષયરોગના કારણે સડવા માંડેલો બીજો પગ પણ તાત્કાલિક કાપી નાંખવામાં નહીં આવે તો બચી શકવાની કોઈ આશા જ નથી એવી પ્રવર્તમાન તબીબોની ગંભીરતમ ચેતવણી વિરુદ્ધ હેન્લી પડ્યા અને અડીખમ ઊભા રહ્યા. બીજો પગ બચાવવા માટે ૧૮૭૩માં એમણે જાણીતા સર્જન જોસેફ લિસ્ટરનું શરણું લીધું. નાની-મોટી શસ્ત્રક્રિયાઓમાંથી પસાર થયા પણ અંતે જમણો પગ બચી ગયો. ચાર-ચાર દાયકા જેટલી લાં…બી બિમારી અને હૉસ્પિટલમાં દિવસો-મહિનાઓ-વરસો કાઢવા પડવા છતાંય હેન્લીના ઊર્જા-ઉત્સાહ, યાદદાસ્તમાં ઓટ આવી નહોતી. હૉસ્પિટલનિવાસ દરમિયાન જ એમણે કવિતા કરવી શરૂ કરી અને ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ ભાષાઓ પણ શીખ્યા. હૉસ્પિટલમાં સાજા થઈ રહ્યા હતા એ દિવસોમાં આ બિમારી અને બાળપણની ગરીબી એમના માટે પ્રેરણા બની. એમણે ‘ઇન હૉસ્પિટલ’ નામે ૨૮ કવિતાઓનો કાવ્યગુચ્છ રચ્યો, જેમાં ૧૮૭૫ની સાલમાં આ રચના થઈ. ઘણીવાર કૃતિ કર્તા કરતાં મહાન સાબિત થતી હોય છે. મેરી એલિઝાબેથ ફ્રેને લોકો ‘ડુ નોટ સ્ટેન્ડ એટ માય ગ્રેવ એન્ડ વીપ’ના કવયિત્રી તરીકે જ યાદ રાખે છે. હેન્લી પણ ખૂબ પ્રતિભાશાળી કવિ હોવા છતાં એમના નામ સાથે ‘ઇન્વિક્ટસ’ કવિતા એ રીતે જોડાઈ ગઈ છે કે એમના બાકીના તમામ સર્જન ઝાંખા પડી ગયા. સાહિત્યનું આ દુર્ભાગ્ય ગણી શકાય પણ જનમાનસને રદીયો પણ કેમ આપી શકાય? આ રચના ભલે એકતરફ એમના નામનો પર્યાય કેમ બની ન ગઈ હોય, એ સાચા અર્થમાં હેન્લીની જાનલેવા બિમારી સામેની જિંદાદિલ લડતની આત્મકથા પણ બની ગઈ છે. હેન્લીનો સાચો મિજાજ આ કવિતામાંથી વ્યક્ત થાય છે. અન્ય એક કવિતામાં એ કહે છે: ‘ઓ, એ મૃત્યુ છે જે આપણા માટે નિશ્ચિત છે, પણ એ જીવન છે જે આપણે જીવી શકીએ છીએ.’

નાયક કહે છે, જિંદગી ભલે કાળો કેર કેમ ન વરસાવે, માથે ભલે મૃત્યુ જ કેમ ન લળુંબતું રહે, જીવન મને જ્યારે પણ શોધશે, નિર્ભય જ શોધશે. આખરી બંધમાં બાઇબલના બે સંદર્ભો જોવા મળે છે. રાજા જેમ્સના બાઇબલમાં લખ્યું છે: ‘કેમકે દરવાજો સાંકડો છે અને રસ્તો સંકીર્ણ છે, જે જિંદગી તરફ દોરી જાય છે, અને બહુ ઓછા હશે જે એને શોધી શકશે.’ (મેથ્યુ ૭:૧૪) અહીં જિંદગીનો અર્થ મોક્ષ કરી શકાય. મોક્ષ તરફ લઈ જતો માર્ગ અને દ્વાર બહુ સાંકડા હોવાથી એ તમામને સુલભ નથી. એ પછી સજાઓ ભરેલા સ્ક્રોલનો ઉલ્લેખ આવે છે જે ફરીથી બાઇબલની ‘બુક ઑફ રિવિલેશન’ તરફ આપણને દોરી જાય છે. આપણે ત્યાં જેમ ચિત્રગુપ્તના ચોપડામાં આપણા સૌના કર્મોના લેખાંજોખાં નોંધાતા હોવાની માન્યતા પ્રચલિત છે એમ બાઇબલમાં સ્ક્રોલનો ઉલ્લેખ છે. નાયક કહે છે કે સ્વર્ગ કે મોક્ષ તરફ દોરી જતો દરવાજો ગમે એટલો સાંકડો કેમ ન હોય, મારા માટે એનો કોઈ અર્થ નથી અને મારી ખાતાવહીમાં ભલેને ગમે એટલી સજાઓ કેમ ન નોંધવામાં આવી હોય, મને એની લગરિકેય પરવાહ નથી, કેમકે હું જ મારા ભાગ્યનો સ્વામી છું અને હું જ મારા આત્માના જહાજનો સુકાની છું, ટંડેલ છું. અંગ્રેજીમાં જે વાત બંને પંક્તિના પ્રારંભે ‘I am’ કહીને કવિએ દોહરાવી છે અને ‘તું તારા દિલનો દીવો થા ને’ની અભિવ્યક્તિને જે રીતે ધાર કાઢી આપી છે, એ ધાર યથાવત્ રહે એ માટે અનુવાદમાં બંને પંક્તિમાં ‘હા હા’ની પુનરોક્તિ પ્રયોજાઈ છે.

મન્ડેલા કહી ગયા: ‘જેવો હું મારી મુક્તિ ભણી દોરી જતા દરવાજા તરફ બહાર આવ્યો, હું જાણી ગયો કે જો હું મારી કડવાશ અને નફરતને પાછળ નહીં છોડી દઉં, હું હંમેશા જેલમાં જ રહીશ.’ અહીં પણ કાળી રાત છે, ઊંડો અફાટ ખાડો છે, સંજોગોની ક્રૂર પકડ છે, નસીબનો માર છે, ક્રોધ અને આંસુઓ છે, મૃત્યુનો અવિરત ડર છે, મોક્ષનો માર્ગ સાંકડો છે અને ઉપરવાળો સજાઓ સંભળાવવા તૈયાર જ બેઠો છે પણ નાયક ભયભીત નથી. નાયક હાર માની લે એવો નથી. એ દુનિયાની પીડાઓ, આંસુઓ સાથે લઈને આગળ વધે એમ નથી. નાયકને જિંદગી સાથે જ સાડીબારી છે. એ સંજોગોની જેલમાં સડી રહેનાર નથી. એ પોતાની મુક્તિની વાર્તા જાતે જ લખનાર છે. બાઇબલના ઉલ્લેખ છે પણ ઈશ્વરના સર્વોપરીપણાનો સ્વીકાર ક્યાંય નથી. મોક્ષ મળે કે ન મળે, કયામતના દિવસે નસીબમાં સજાઓ કેમ ન લખાઈ હોય પણ નાયક પોતાના જહાજનું સુકાન જે કોઈ પણ હોય એ દેવગણને સોંપવાના બદલે પોતાના જ હાથમાં રાખવા માંગે છે. મણિલાલ દ્વિવેદીની અમર ઉક્તિ ‘કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે’ તરત યાદ આવી જાય. શેખાદમ આબુવાલાએ પણ કદાચ આવા જ આત્મવિશ્વાસ માટે લખ્યું હશે:

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.

4 replies on “ગ્લૉબલ કવિતા : ૯૩ : अपराजेय – વિલિયમ અર્નેસ્ટ હેન્લી”

  1. આ હતો અપરાજે ય ગાંધી…
    જેને ચલાવી આંધી….

  2. Very much inspiring poetry and excellent translation in Gujarati.
    Kavi Shri Vivekbhai has provided nice background to to really understand the theme of the poetry. Excellent narration about the poet and the effect it created and inspiration it gave to great leaders is much appreciable.
    Congratulations & thanks for sharing such inspirational poetry.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *