ગ્લૉબલ કવિતા : ૮૨ : શબ્દ – એલા વ્હીલર વિલ્કોક્સ

THE WORD

Oh, a word is a gem, or a stone, or a song,
Or a flame, or a two-edged sword;
Or a rose in bloom, or a sweet perfume,
Or a drop of gall, is a word.

You may choose your word like a connoisseur,
And polish it up with art,
But the word that sways, and stirs, and stays,
Is the word that comes from the heart.

You may work on your word a thousand weeks,
But it will not glow like one
That all unsought, leaps forth white hot,
When the fountains of feeling run.

You may hammer away on the anvil of thought,
And fashion your word with care,
But unless you are stirred to the depths, that word
Shall die on the empty air.

For the word that comes from the brain alone,
Alone to the brain will speed;
But the word that sways, and stirs, and stays,
Oh! that is the word men heed.

– Ella Wheeler Wilcox

શબ્દ

ઓહ! શબ્દ તો હીરો છે, કે પથ્થર છે કે ગીત,
કે જ્વાળા, યા બેધારી તલવાર છે એ ખચીત;
ગુલાબ છે ખીલેલું, કે છે અત્તર મધુર-મદીલું,
અથવા તો આ શબ્દ છે બસ, પિત્તનું એક ટીપું.

ચયન ભલે ને કરો શબ્દનું મર્મજ્ઞની પેઠે,
ને છો ઘસી-ઘસીને ચમકાવો કળાથી એને,
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
એ શબ્દ તો એ જ છે જે દિલથી સીધો વહે છે.

ભલે મચી રહો તમે એના પર અઠવાડિયા હજારો
પણ શબ્દ તમારો નહીં પામે એ શબ્દ સમો ઝગારો
જે વણશોધ્યો, ઊછળી આવે છે શુભ્ર થઈ તાવીને,
ઊડી રહ્યા હો ફુવારા સૌ ઊર્મિના જે ઘડીએ.

ભલે વિચારોની એરણ પર હથોડી લઈને ટીપો,
અને શબ્દને ખૂબ કાળજી લઈ લઈને ચીપો,
પણ વલોવાયા ના હો જો છેક તળ લગ આપ,
તો શબ્દને છે ઠાલી હવામાં મરી જવાનો શાપ.

કારણ કે જે શબ્દ છે નકરી દિમાગની જ બનાવટ,
એ ખટખટાવી શકે છે માત્ર દિમાગના કમાડ જ;
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
ઓહ! એ જ શબ્દ છે જેની લોક પરવાહ કરે છે.

– એલા વ્હીલર વિલ્કોક્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

शब्द ब्रह्म् કહીને શબ્દાદ્વૈતવાદે શબ્દને નખશિખ પરિપૂર્ણ સર્જનહારની સમકક્ષ મૂકી દીધો. શબ્દ એ મનની પીંછી છે. મન જે કંઈ અનુભવે છે એને શબ્દ મૌખિક યા લેખિત સ્વરૂપે તાદૃશ કરવાની કોશિશ કરે છે. મનના ભાવોને શબ્દની પીંછી વ્યવહારના કાગળ પર નાનાવિધ આકારો અને અસીમિત રંગોમાં ઢાળે છે. શબ્દ બે મનુષ્યો વચ્ચે પ્રત્યાયનનું સૌથી વધુ શક્તિશાળી સાધન છે. શબ્દથી જ એક માનવ અભિવ્યક્ત થઈ શકે છે અને શબ્દથી જ બીજો માનવ એને સમજી શકે છે. ટૂંક્માં, શબ્દ મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો એકમેવ સેતુ છે. શબ્દની શોધ ન થઈ હોત તો સભ્યતા અને સમાજની રચના જ શક્ય નહોતી. આદિમાનવની જંગલિયતનો શિકાર શબ્દે જ કર્યો. ને એથી જ પરાપૂર્વથી કવિઓ-લેખકો શબ્દની મહત્તાના ગુણગાન કરતા આવ્યા છે. પ્રસ્તુત રચનામાં પણ શબ્દની જ વાત છે પણ અહીં કવિ સાચા શબ્દની મહત્તા કરી રહ્યાં છે.

એલા વ્હીલર વિલ્કોક્સ. અમેરિકાના વિસ્કોન્સીન ખાતે ૦૫-૧૧-૧૮૫૦ના રોજ જન્મ. ચાર ભાઈ-ભાંડુઓમાં સૌથી નાનાં. ખૂબ નાની વયે કવિતા એમને વરી અને એ ગ્રેજ્યુએટ થયાં ત્યાં સુધીમાં તો એમના રાજ્યમાં કવિ તરીકે ખ્યાતિ પણ મેળવી લીધી. ૨૨ વર્ષની ઉમરે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૩ની વયે બીજો અને ૨૬મા વર્ષે ત્રીજો. એમના ચોથા પુસ્તકને પ્રકાશકે એમ કહીને નકારી દીધું કે એમાં વધુ પડતી કામુકતા છે અને જે કારણોસર એ નકારાયું એ જ કારણોસર ૩૩ વર્ષની વયે પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘પોએમ્સ ઑફ પેશન’ની સવાસોથીય વધુ વર્ષ પહેલાં ૧૮૮૩માં એમેઝોન જેવા ઓનલાઇન શોપિંગ એપ્સની ગેરહાજરીમાં માત્ર બે જ વર્ષમાં ૬૦૦૦૦ નકલો વેચાઈ ગઈ. પછીના વર્ષે તેઓ રૉબર્ટ વિલ્કોક્સ સાથે પરણ્યાં. એક પુત્ર જન્મ્યો પણ થોડા જ સમયમાં મરણ પામ્યો. પતિ-પત્નીએ એકમેકને વચન આપ્યું હતું કે જે પહેલાં મરણ પામશે એ બચી જનારનો સંપર્ક કરશે પણ મૃત પતિ તરફથી કોઈ સંદેશો ન મળતાં એલા વધુ દુઃખી થઈ ગયાં. મેક્સ હેઇન્ડલ નામના જ્યોતિષીએ એમને આ સમયે માર્ગદર્શન આપ્યું અને એલાના કહેવા મુજબ એ મૃત પતિના આત્મા સાથે સંપર્ક સ્થાપી શક્યાં હતાં. એમણે કહ્યું: ‘હું જીવંત સાક્ષી છું: મૃતકો જીવે છે: અને તેઓ આપણી મારફતે અને આપણી સાથે વાત કરે છે.’ એમણે ઘણાં કાવ્યસંગ્રહ આપ્યાં. કવિતા અને પત્રકારિત્વ ઉપરાંત વાર્તાઓ, બે આત્મકથાઓ, અને વિવેચનાત્મક લેખો પણ એમણે લખ્યા. ૩૦-૧૦-૧૯૧૯ના રોજ કનેક્ટિકટ ખાતે ૬૮ વર્ષની વયે કેન્સરની બિમારીના કારણે નિધન.

એમના સમયગાળાના કદાચ એ સૌથી લોકપ્રિય કવિ હતાં. વિવેચકો કરતાં એ લોકોના વધુ વહાલાં હતાં. એમની રચનાઓ ‘ખરાબ’ કવિતાઓના સંપાદનોમાં પણ સ્થાન પામી છે. પણ એમના માટે તો એમનું લખવાનું કારણ એ જ હતું જે કારણે એક પક્ષી ગાય છે. ગીતોમાં એમના સમયમાં બિનપરંપરાગત ગણાતી સાધારણ તિર્યક શૃંગરિકતાની છાંટના કારણે તેઓ વધુ જાણીતાં છે. પાછલી જિંદગીમાં આધ્યાત્મિકતા તરફના એમના વળાંક અને લખાણોના કારણે નૂતન વિચાર (New Thought) નામની તત્ત્વચિંતન ચળવળ પણ શરૂ થઈ હતી. એમની રચનાઓમાં જીવનવિષયક ધનમૂલકતા અને આશાનો સૂર ઊઠતાં નજરે પડે છે. ભારતીય મૂળની વિચારધારાથી તેઓ ખાસ્સા પ્રભાવિત હતાં. ‘દયાળુ બનવાની કળા’ એ એમનો ધર્મ હતો, જેનું એમણે આજીવન રોજેરોજ પાલન કર્યું હતું. એમની કવિતાઓ તથા લખાણોમાંની ઘણી સૂક્તિઓ કહેવતકક્ષાએ પહોંચવાનું બહુમાન પામી છે: ‘હસો, અને દુનિયા તમારી સાથે હસશે; રડો, અને રડો એકલા.’ ‘નફરત બુઝાવે છે એના કરતાં પ્રેમ વધુ આગ સળગાવે છે.’ ‘જ્યારે વિરોધ કરવો જોઈએ ત્યારે મૌન રહેવાનું પાપ માણસોને કાયર બનાવે છે.’ ‘નબળી મૌલિકતા સારી નકલ કરતાં વધુ સારી છે.’

એલાની આ કવિતા ‘ધ વર્ડ’ આયમ્બિક પેન્ટામીટરમાં પાંચ ચતુષ્કમાં અ-બ-ક-બ પ્રાસવ્યવસ્થામાં લખાયેલ ગીતરચના છે, જેનો લય વાંચતી વખતે સતત મનમાં રણકતો રહે છે. સરળ શબ્દોની પસંદગી અને ચપોચપ પ્રાસની સાથોસાથ સહજ પણ ઊંડા ભાવ લઈને આવતું હોવાથી આ ગીત સીધું હૈયાને સ્પર્શી જાય છે. એકદમ સાદી ભાષામાં એલા દિલની ઊંડાઈથી લાગણીની સચ્ચાઈ પકડીને આવતા શબ્દોનું માહાત્મ્ય કરે છે. વર્ડ્સવર્થે કવિતાની આપેલી ખૂબ જાણીતી વ્યાખ્યામાં કહે છે કે કવિતા શક્તિશાળી સંવેદનાઓનો આકસ્મિક ઊભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મ લે છે. કવિતા આવા જ શબ્દોનો સમૂહ છે. શબ્દ વિચારમાંથી-ચિંતનમાંથી જન્મે છે ત્યારે એ સૂક્ષ્મ અને અશ્રાવ્ય સ્વરૂપે હોય છે, અને પછી એ જ્યારે પ્રકટ થાય છે ત્યારે સ્થૂળ અને શ્રાવ્ય બને છે. કોઈકે કહ્યું છે કે તમે તમારા શબ્દોની પસંદગીથી તમારા જીવનની રાહ બદલી શકો છો. રેવ જે માર્ટિન લખે છે કે શબ્દો એ દરવાજાઓ ખોલે છે, જે હાથ નથી ખોલી શકતા. એમના ‘ધ પાવર ઑફ વર્ડ્સ’ પુસ્તકના મુખપૃષ્ઠ પર એ લખે છે: ‘શબ્દો તો મફત છે. તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો, એની તમારે કિંમત ચૂકવવી પડે છે.’ ચાણક્યે પણ શબ્દોને સૌથી શક્તિશાળી હથિયાર લેખાવ્યા હતા. પિઅરી ડુ પ્લેસિસ નામના એક સર્જકે માત્ર એક અંગ્રેજી ‘એલ’ અક્ષર ઉમેરીને બહુ સાચી વાત કરી હતી: ‘Words create worlds.’ (શબ્દો વિશ્વો સર્જે છે.) હર્મન બાર નામના એક લેખક પણ આવી જ વાત કરે છે: ‘શબ્દો માણસોના કાબૂમાં નથી, માણસો શબ્દોના કાબૂમાં છે.’ શબ્દો વિશે સર્જકો એટલું બધું લખી ગયા છે કે બધું ભેગું કરવા બેસીએ તો દળદાર મહાગ્રંથ સર્જાય.

કવિતાના પાંચ અંતરામાં એલાની સ્થિર પણ નિર્ધારિત ગતિ નજરે ચડે છે. પહેલા અંતરામાં એ શબ્દને વ્યાખ્યાયિત કરવા કોશિશ કરે છે અને ‘જે પોષતું તે મારતું’ જેવી સિક્કાની બંને બાજુ રજૂ કરે છે. શબ્દ કિંમતી હીરો છે અથવા મૂલ્યહીન પથરો છે; ગીત છે કે અગનજ્વાળા છે કે આવતાંય વેતરે ને જતાંય વેતરે એવી બેધારી તલવાર છે. શબ્દ ખીલેલાં ગુલાબ જેવો નૈસર્ગિક પણ હોઈ શકે અને મધુર અત્તર જેવો કૃત્રિમ પણ હોઈ શકે; શબ્દ પિત્તનું ટીપુંય હોઈ શકે. એરિસ્ટોટલ, હિપોક્રેટ્સ જેવા ગ્રીક વિચારકોના સમયથી મનુષ્યના સ્વભાવને પૃથ્વી, જળ, હવા અને આગ એમ ચાર મૂળભૂત તત્ત્વોના આધારે શરીરમાંના ચાર પ્રવાહી મેલન્કોલિક (કાળી પિત્ત) (ઉદાસ પ્રકૃતિ) , ફ્લેગ્મેટિક (ગળફો) (આળસુ પ્રકૃતિ), કૉલરિક (પીળી પિત્ત) (તામસી પ્રકૃતિ) અને સૅન્ગ્વિન (લોહી) (ઉત્સાહી પ્રકૃતિ)ના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. આપણે ત્યાં પણ પંચમહાભૂત – આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ-નું મહત્ત્વ છે. આ પંચમહાભૂત પરથી જ આયુર્વેદ મનુષ્યની કફ, વાયુ અને પિત્ત એમ ત્રિદોષ પ્રકૃતિનું નિદાન કરે છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે. આમ, પાશ્ચાત્ય તેમજ આપણી સંસ્કૃતિમાં પણ પિત્તને તામસી સ્વભાવ સાથે સાંકળવામાં આવ્યા છે. એ સંદર્ભે શબ્દને અત્તર અથવા પિત્તનું ટીપું કવિ કેમ કહે છે એ સમજી શકાય છે.

બીજા ચતુષ્કમાં એલા જે વાત કહેવા માંગે છે એ સીધી જ કહે છે. અહીં સીધી વાતનું મહત્ત્વ છે કેમકે જે શબ્દ સીધો દિલમાંથી આવ્યો છે એ શબ્દ જ આપણને હચમચાવી શકે છે, આપણી સંવેદનાને ઝંકૃત કરી શકે છે અને કાળાતીત થઈ શકે છે. મોટા મર્મજ્ઞની જેમ ભલે તમે ખૂબ જ કાળજીપૂર્વક શબ્દોનું ચયન કરો અને તમારી પાસે હોય એ બધી જ કળાથી એને ઓપ પણ કેમ ન આપો પણ જે શબ્દ દિલમાંથી જન્મ્યો નથી એ કદી શાશ્વતીને પામતો નથી. કુદરતી એ કુદરતી છે અને કૃત્રિમ એ કૃત્રિમ છે.

એઝરા પાઉન્ડની અમર કવિતા ‘ઇન એ સ્ટેશન ઑફ મેટ્રો’ જ્યારે એમણે લખી ત્યારે છત્રીસ પંક્તિની હતી પણ આ છત્રીસ પંક્તિઓ જે સંવેદના પેરિસના મેટ્રોસ્ટેશન પર બેઠાં-બેઠાં ટ્રેનમાંથી ઊતરતાં-ચડતાં અને પ્લેટફૉર્મ પર ચાલતાં સાવ અજાણ્યાં માણસોનાં ટોળાંને જોઈને થઈ હતી એ યથેચ્છ ઝીલી નથી શકી એમ એમને લાગ્યું એટલે થોડા સમય પછી કવિતા અઢાર પંક્તિની અને લગભગ એક વર્ષની લગાતાર તપશ્ચર્યાના અંતે માત્ર દોઢ પંક્તિ, ચૌદ શબ્દો અને સત્તર જ સિલેબલ્સમાં જ સીમિત કરી દીધી. આજે આ કવિતા માસ્ટર-પીસ ગણાય છે. કવિએ પોતાની અંદર જે લાગણી અનુભવી હતી એ જે સ્વરૂપે અનુભવી હતી એ જ સ્વરૂપે બહાર આવે એની રાહ જોવામાં એક આખું વર્ષ ગાળ્યું એટલે એમના આ શબ્દો અમરત્વ પામ્યા. વર્ડ્સવર્થની કવિતાની વ્યાખ્યા એમણે સાચા અર્થમાં આત્મસાત્ કરી હતી એમ કહી શકાય. જ્યાં સુધી દિલમાંથી શબ્દો સીધા ન આવ્યા ત્યાં સુધી એમણે કાગળ પર કાવ્યકૌશલ્યના ફળસ્વરૂપ આવતા રહેલા શબ્દોના ઘોડાપૂરને ખાળ્યે જ રાખ્યું. હજારો અઠવાડિયાઓ સુધી તમે શબ્દને ચમકાવવા માટે, ઝગારો અપાવવા માટે એના પર મચી કેમ ન રહો, એ બધું જ વ્યર્થ છે જો એ શબ્દ સમયની ભઠ્ઠીમાં તવાઈ તવાઈને શુદ્ધ થયેલી ધાતુની ઉષ્ણ શુભ્રતા સાથે વણશોધ્યો ઊર્મિના ઊછળતા ફુવારાઓમાંથી નીકળીને કાગળ પર અવતર્યો નહીં હોય તો. તપશ્ચર્યા શબ્દોને ચમકાવવા માટે નથી કરવાની, તપશ્ચર્યા ઊર્મિઓના ફુવારાઓ બંધ ન પડી જાય એ માટે કરવાની છે. પ્રતીક્ષા કરવાની છે, શબ્દ એની મેળે કોઈપણ જાતની શોધખોળને મહોતાજ થયા વિના, કવિ કે કવિતાની અંગત જરૂરિયાતને તાબે થયા વિના સ્વયંસ્ફુરિત થાય એ માટેની.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

વિચારોની એરણ પર સમયને હથોડી લઈ લઈને ટીપ્યા કરવાથી કે ખૂબ જ કાળજીપૂર્વક એને ચીપી ચીપીને ગોઠવવાથી કવિતા નહીં બને. જો કવિનો આત્મા ઠેઠ અંદર સુધી વલોવાયો નહીં હોય તો લાખ કોશિશ કરીને લખાયેલી કવિતા પણ માથે બાળમરણનો શાપ લખાવીને જ જન્મશે. જે શબ્દ દિલના ઊંડાણમાંથી નહીં પણ દિમાગની સપાટી પરથી જ જન્મ્યો છે એ શબ્દ વધુમાં વધુ ભાવકના દિમાગ સુધી જ જઈ શકશે, દિલને કદી સ્પર્શી નહીં શકે. ચાર્લ્સ સ્વેઇન વર્ડ્સ નામની એમની એક કવિતામાં આ જ વાત કરે છે: ‘ઓછું જ કહ્યું છે-પણ સાચું જ કહ્યું છે-કે જે શબ્દો માત્ર માથાં સુધી જ રહે છે અને દિલ સુધી પહોંચતાં નથી એ પ્રગાઢ આનંદ આપી શકતા નથી.’ સપાટી પર રમનારને કદી મોતી મળતાં નથી. એને માટે સમુદ્રના તળિયાનાં જોખમો વેઠીને ઠેઠ ગર્ભ સુધી જવું પડે છે. શબ્દ જ્યાં સુધી શ્વાસની પેઠે અનિવાર્ય બનતો નથી, કવિતા બનતી નથી. પણ,

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે,
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં?

ગુજરાતી ભાષા મરવા પડી છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ વાત સમજવી માત્ર આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ બની રહે છે કે કોઈપણ ભાષા એના કવિઓ થકી જ જીવતી રહે છે. મનુષ્યમાત્રને કળાની તરસ રહે જ છે. આદિમાનવો પણ ગુફામાં ચિત્રો દોર્યા વિના રહ્યા નહોતા. પાંચ-પાંચ હજાર વર્ષો જૂનાં કાવ્યોની ઉપસ્થિતિ જ એ વાતની સાબિતી છે કે સમય કે સંસ્કૃતિ કોઈપણ હોય, કવિતા વિના માનવજાતને ચાલ્યું નથી, ચાલવાનું નથી. જે માણસોને કવિતા સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી એ લોકોને પણ આપણે ફિલ્મી ગીતો ગણગણતાં જોઈએ જ છીએ. તાત્પર્ય એ જ કે જે ભાષાના કવિઓ પ્રામાણિક છે, દિમાગથી નહીં પણ દિલથી લખે છે એ ભાષાને મરણ પામવાનો કોઈ ભય હોય જ નહીં. પણ આપણે ત્યાં છેલ્લા ઘણા દાયકાઓથી આ ભય પ્રવર્તી રહ્યો છે કે ગુજરાતી ભાષા મરણશય્યા પર આવી પડી છે. એટલે હકીકતમાં તો આ ઘડી પ્રામાણિક આત્મવિશ્લેષણની ઘડી છે. અત્યારે એક આખી પેઢી છંદોલય અને કાફિયા-રદીફનો કસબ શીખી લઈને ગીત-ગઝલના કારખાનાં ચલાવવા મચી પડી છે. શબ્દોની રમતને અને હાથચાલાકીને કવિતાનો દરજ્જો મળી રહ્યો છે. માત્ર સાહિત્યિક સામયિકો જ નહીં, પાઠ્યપુસ્તક જેવા પાઠ્યપુસ્તકોમાં પણ કવિતાના નામે ગતકડાંઓ અને જોડકણાંઓ સ્થાન પામી રહ્યાં છે જેના પરિણામે આવનારી આખી પેઢીની માવજત જ ગેરવલ્લે જઈ રહી છે. સરકારને ભાષાની પડી નથી. શિક્ષણશાસ્ત્રીઓ સાચા રહ્યા નથી. સામયિકોમાં ખાલી ચણા જેવા સંપાદકો અને સાહિત્યિક સંસ્થાઓમાં વહાલાં-દવલાંઓના રાજકારણ ખેલીને કુપાત્રો મથાળે ચડી બેઠાં છે. અને એટલે જ ભાષાની દુર્ગતિ શરૂ થઈ છે..

જે શબ્દ તમારી ઠેઠ ભીતરથી તવાઈને શુદ્ધ શુભ્ર થઈને બહાર આવીને ભાવકના ભીતરને ઝંઝોડી નાંખે છે એની જ આ દુનિયા પરવાહ કરે છે અને એ જ ટકે છે એ સનાતન સત્ય આજનો સર્જક જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી ભાષાને બચાવવાના બ્યુગલો ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ જેવી શેખચલ્લી કથા બનીને જ રહી જશે…. સસ્તી પ્રસિદ્ધિથી વધીને મોટો કોઈ દુશ્મન નથી. સાચો શબ્દ સાગના લાકડાં જેવો હોય છે, એ કદી કહોવાતો નથી:

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ સાબૂત, હતું કાષ્ઠ સાગી.

17 replies on “ગ્લૉબલ કવિતા : ૮૨ : શબ્દ – એલા વ્હીલર વિલ્કોક્સ”

  1. અનેક વખત વાંચન કરીએ એવો અનુવાદ અને રસાસ્વાદ.

  2. શબ્દ સમુહ કવિતા નથી બનાવતો. હૈયાના વલોણામાં વલોવાય પછીજ શબ્દ કાવ્ય રચના માટે યોગ્ય બને છે.પુરી માવજતથી લાગણીઓની રંગોળી પુરવાની પ્રક્રીયામા પેલા વલોણમાંથી પેદા થયેલ શબ્દમંડળ ગોઠવાય ત્યારે કવિતા બને અને વાચકના હૈયાને સ્પર્શે.ભાવનુવાદ અદ્ભુત !! રસાસ્વાદ બેનમુન ! મનહર ભાઈ ને બેવડી સલામ .
    ઈન્દ્રવદન ગો. વ્યાસ

      • અરે હા, મારી ભુલ , વિવેકભાઈ, મનહરભાઈ, મારા કોલેજકાળના મિત્ર હતા એ સ્મરણે આ ભુલ થઈ. આપ શિકાગો આવેલા ત્યારે મે આપને જણાવેલુ કે આપના પિતા મનહરભાઈ વલ્લભવિધાનગર કાળના મારા મિત્ર હતા.

        • હા જી… आपने याद दिलाया तो मुझे याद आया…. હવે યાદ રહેશે… હવેથી જ્યારે જ્યારે આપનો પ્રતિભાવ આવશે ત્યારે ત્યારે પપ્પા સાથે મુલાકાત થઈ છે એવું લાગ્યા વિના નહીં રહે…

          • આપનો આ પ્રતિભાવ વાંચી આનંદ થયો.આને હું તમારા પપ્પાને તમે આપેલી શ્રધાંજલી ગણું છું.
            ધન્યવાદ !

  3. ” લોહીનું શાહીમાં રૂપાંતર એટલે કવિતા” હરીન્દ્રભાઈ દવે રાસાયાવાડ સ-રસઃ

  4. વ્વાહ વિવેકભાઈ,,,,અનુવાદ માટે ને વધુ તો રસાસ્વાદ માટે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *