ગ્લૉબલ કવિતા : ૭૭ : ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર

મહામાનવ ટાગોર: જીવન અને કવન

પવનમાં મંદમંદ ફરફરતી શ્વેત દાઢી, ઘટાદાર ધવલ કેશજટા, સીધી હૃદયમાં જ ઊતરી જાય એવી પાણીદાર છતાં કરુણાસભર આંખ અને ઘેરો મીઠો અવાજ… વીસમી સદીનો આ સંતકવિ ખુલતો ઝભ્ભો પહેરી ચાલવા નીકળતો ત્યારે સૃષ્ટિ પણ એમના સૌંદર્યનું આચમન કરવા બે ઘડી થંભી જતી. રવીન્દ્રનાથ ટાગોર. બંગાળીમાં રબીન્દ્રનાથ ઠાકુર. ઓગણીસમી સદીમાં બંગાળમાં જેના પગરણ મંડાયા એવા ઉપનિષદ આધારિત હિંદુત્વને પ્રમાણતા બ્રહ્મસમાજના અગ્રણી નેતા દેવેન્દ્રનાથ ટાગોરના ઘરે ૦૭-૦૫-૧૮૬૧ના રોજ કલકત્તા ખાતે જન્મ. શરૂનું શિક્ષણ ઘરે જ. માત્ર ૮ વર્ષની વયે એમણે કવિતા લખવી શરૂ કરી હતી. ૧૬ વર્ષની વયે તો ભાનુસિંહાના છદ્મનામથી એમની કવિતાઓ પ્રગટ થવા માંડી. સત્તર વર્ષની કૂમળી વયે વિદ્યાભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા પણ અભ્યાસ પૂર્ણ કર્યો નહીં. ઘરની વિશાળ જાગીરોની દેખરેખ માટે ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. આ કામમાં જોતરાવાના પરિણામે સામાન્ય વર્ગના માણસોના નજદીકી પરિચયમાં આવ્યા જેનો પછીની આખી જિંદગી અને તમામ સાહિત્યસર્જન પર પર ખૂબ વ્યાપક પ્રભાવ રહ્યો. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પણ અવારનવાર જોડાયા. ગાંધીજી એમના નજીકના મિત્ર હતા. પોતાના અરુઢ વિચારો અને નવા સમાજની કલ્પનાઓને સાકાર કરવા માટે એમણે ૧૯૦૧માં શાંતિનિકેતન નામની પ્રાયોગિક સંસ્થા શરૂ કરી, જે આજે બીજમાંથી વટવૃક્ષ બની ચૂકી છે. ૧૯૧૮માં વિશ્વભારતીની સ્થાપના કરી. ૧૯૧૫માં બ્રિટીશ સરકારે એમને નાઇટનો ખિતાબ આપ્યો જે ૧૯૧૯માં જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં એમણે પરત કર્યો. ૧૮૮૩માં માત્ર દસ વર્ષની મૃણાલિનીદેવી સાથે એમના લગ્ન થયા. ટાગોર સાચા અર્થમાં બહુશ્રુત પ્રતિભા હતા. કવિ. નાટ્યકાર. વાર્તાકાર. નવલકથાકાર. નિબંધકાર. પ્રવાસકથાકાર. આત્મકથાકાર. વિવેચક. ફિલસૂફ. સમાજસેવક. ચિત્રકાર. સંગીતકાર. રવીન્દ્રસંગીતના પ્રણેતા. પોતાની બંગાળી કૃતિઓના જાતે જ કરેલા અંગ્રેજી અનુવાદોના પરિણામે વિદેશમાં એમની ખ્યાતિ આભને આંબવા માંડી. પાશ્ચાત્ય વિશ્વ માટે એ ભારતના સાહિત્યિક વારસાનો પ્રતિનિધિ અવાજ હતા અને ભારતમાં એ જીવતીજાગતી યુનિવર્સિટી બની રહ્યા. ૦૭-૦૮-૧૯૪૧ના રોજ લાંબી બિમારીના અંતે એમનું દેહાવસાન થયું.

૧૯૧૨માં ઇંગ્લેન્ડ જતી વેળાએ જહાજ પર એમણે પોતાની રચનાઓનું અંગ્રેજીમાં ભાષાંતર આદર્યું. જહાજમાં સમય પસાર કરવાના એકમાત્ર આશયથી કરાયેલી આ પ્રવૃત્તિ જ્યોતમાંથી સૂર્યનું સ્વરૂપ લેશે એની એમણે કલ્પના પણ નહોતી. લંડનના સબવેમાં એમનો દીકરો ટાગોરની બ્રિફકેસ ભૂલી ગયો પણ કોઈક પ્રામાણિક માણસે એ પરત કરી. ટાગોરના મિત્ર રોથેન્સ્ટાઇનને આ કવિતાઓની જાણ થતાં એમણે જોવા માંગી. ખંચકાતા-ખંચકાતા ટાગોરે એમની નોટબુક એમને આપી. રોથેન્સ્ટાઇનને તો જાણે ધોળે દિવસે તારા દેખાયા. એણે તત્કાલીન મહાકવિ ડબ્લ્યુ. બી. યિટ્સને આ રચનાઓ વાંચવા અનુગ્રહ કર્યો. યિટ્સ તો આભા બની ગયા. એમણે આ રચનાઓની પ્રસ્તાવના લખી અને લંડનની ઇન્ડિયન સૉસાયટીએ આ કવિતાઓ ગીતાંજલિ નામથી પ્રગટ કરી. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી ૧૦૩ કવિતાઓનું ચયન કરીને એમણે આ પુસ્તક સર્જ્યું. પાશ્ચાત્ય દેશોમાં પુસ્તકે રાતોરાત ધમાલ મચાવી દીધી. આ અગાઉ પાશ્ચાત્ય વિશ્વે આવું કશું વાંચ્યું જ નહોતું. ૧૯૧૩માં ગીતાંજલિ માટે સાહિત્યનું નૉબેલ પારિતોષિક એમને એનાયત કરવામાં આવ્યું. શાંતિનિકેતનમાં કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. આવું વિરાટ બહુમાન ખાટનાર એ ન માત્ર પ્રથમ ભારતીય હતા, પ્રથમ બિનયુરોપીય નાગરિક પણ હતા. ટાગોર પહેલાં અને ટાગોર પછી પણ કોઈ ભારતીય સાહિત્યકારને આ બહુમાન આજદિનપર્યંત પ્રાપ્ત થયું નથી.

નોબેલ પારિતોષિકની વેબસાઇટ પર ટાગોરની કવિતાઓ માટે લખાયું છે: ‘એમની ગહન સંવેદનશીલતા, તાજગી અને સૌંદર્યસભર કવિતાઓ, જેના વડે, કુશળ કૌશલ્યસહિત, એમણે પોતાના કાવ્યાત્મક વિચારોને, જે એમના પોતાના અંગ્રેજી શબ્દોમાં અભિવ્યક્ત થયા છે, પાશ્ચાત્ય સાહિત્યનો એક હિસ્સો બનાવ્યો છે.’ નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યારે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

કવિવર અને અનેકાનેક સ્ત્રીઓનો સંબંધ પણ હંમેશા ચર્ચાના ચકડોળે રહ્યો. ટાગોર અને ભાભી કાદમ્બરી વચ્ચેનો સ્નેહસંબંધ કુટુંબમાં ચર્ચાવા લાગ્યો ત્યારે એમના પિતાએ કવિવરના લગ્ન માત્ર દસ વર્ષની કન્યા મૃણાલિણીદેવી સાથે કરાવી દીધા. કાદમ્બરીએ ટાગોરના લગ્નના ચાર મહિનામાં જ આત્મહત્યા કરી લીધી. ટાગોરની ત્રણેય પુત્રીઓના લગ્ન પંદર વર્ષથી ઓછી આયુમાં થયા અને ટાગોરે ત્રણેયના લગ્નમાં દહેજ પણ ખાસ્સું આપ્યું હતું. ટાગોરે પોતાની પત્ની કે પુત્રીઓને શાંતિનિકેતન કે વિદેશમાં અભ્યાસ કરવા કેમ ન પ્રેર્યા એ પણ એક પ્રશ્ન છે. પાંચ બાળકોને જન્મ આપીને મૃણાલિનીદેવી ૨૯ વર્ષની કાચી વયે જ ગુજરી ગયા. મોટી દીકરી માધુરી ૩૨ની વયે તો નાની દીકરી રેણુકા તો લગ્ન પછી માત્ર ૧૪ જ વર્ષની વયે નિધન પામી. કદાચ ટાગોરે સમાજસુધારાના મહાયજ્ઞની સામે પારિવારીક ભોગને નગણ્ય જ ગણ્યો હતો. ટાગોરના જીવનમાં સ્ત્રીઓ પણ ઘણી આવી. ઇંગ્લેન્ડ જતાં પહેલાં મુંબઈ જેમના ઘરે એ રહ્યા હતા એ પરિવારની અન્નપૂર્ણા તુરખુડ ટાગોરનો કદાચ પ્રથમ પ્રેમ હતો અને વાત લગ્ન સુધી જતાં-જતાં અટકી ગઈ હતી. એ કહેતી કે, ‘કવિ, હું માનું છું કે હું મૃત્યુશૈયા પર પણ હોઈશ તો તારાં ગીત મને ફરી જિંદગી બક્ષશે.’ લંડનમાં જેમના ઘરે એ પેઇંગગેસ્ટ તરીકે રહ્યા હતા એ મિ. સ્કૉટની બંને સુપુત્રીઓ એમના પ્રેમમાં હતી પણ ટાગોર શારીરિક પ્રોત્સાહન આપવાથી દૂર રહ્યા. ટાગોરની પહેલી પુત્રીના અવસાન પછી નિકટ આવેલી રાનુ અધિકારી સાથેના ટાગોરના સ્નેહસંબંધોમાં શરૂઆતનો પિતૃભાવ કાયમ ન રહેતાં બંને વચ્ચે કાયમી કહી શકાય એવો લાંબા ગાળાનો બહુઆયામી સંબંધ સ્થપાયો હોવાનું પણ કહેવાય છે. ટાગોરે એને ૨૦૦ પત્રો અને એક નાટક રક્ત કરાબી પણ લખ્યું હતું.

બંગાળી કવિતાને એમણે પારંપારિક ભારઝલ્લી સંસ્કૃત ભાષાના પ્રભુત્વથી આઝાદી અપાવી. ગદ્ય અને પદ્યને એમણે માત્ર બોલચાલની ભાષાના જ નહીં, પોતીકી આગવી શૈલીના નવાં કલેવર પણ પહેરાવ્યાં. ટાગોરના સર્જનની સંખ્યા, ગુણવત્તા અને વિવિધતા વિશે કશું જ બોલવું સંભવ નથી. ૬૦ વર્ષની વયે એમણે ચિત્રકળા અપનાવી પણ એમાંય એ ભારતભરના અગ્રણી કળાકારોમાંના એક બની રહ્યા. ૨૫૦૦થી વધુ ચિત્રો અને ૨૦૦૦થી વધુ કવિતાઓ રચી. ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત પણ એમની જ કલમે અવતર્યાં. આઇન્સ્ટાઇન સાથે વિજ્ઞાનની ઊંડા વાદવિવાદમાં પણ ઊતરી શકે એવી એમની કાબેલિયત હતી. વિશ્વભરમાં પ્રવાસો કરીને એમણે પ્રવચનો આપ્યાં અને એ રીતે સાચા અર્થમાં તેઓ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો મજબૂત સાંસ્કૃતિક સેતુ બની રહ્યા. જીવનના સેંકડો ક્ષેત્રોમાં આપેલા ઊંડા અને ઉમદા પ્રદાનોને લઈને એમને મહામાનવ ગણવામાં આવે છે એમાં લગરિક અતિશયોક્તિ નથી.
ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે. ઈશ્વર પ્રતિ અગાધ પ્રેમ અને અનન્ય વિશ્વાસના કવિ એટલે રવીન્દ્રનાથ અને ગીતાંજલિ એટલે જાણે વેદઋચાઓ… ગીતાંજલિના કેટલાક ફૂલોનો બૂકે આજે આપ સહુ માટે:

૧.

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય… “એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.

૨.

જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.

મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.

હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.

મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.

ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.

ઈશ્વર સર્વજ્ઞ છે. એ આપણી ઇચ્છાઓથી સુપેરે પરિચિત છે. આપણે એની સાથે જોડાવા તૈયાર નથી હોતા બાકી એ તો પોતાના બંને બાહુ ફેલાવીને આપણને આશ્લેષમાં લેવા સદાકાળ તત્પર જ ઊભો છે. એ આપણને એની નજીક પહોંચવાનો માર્ગ પણ બતાવે છે. એ આદેશ પણ કરે છે આપણને. કહે છે કે તારી અંદર જે કંઈ ગોપવીને બેસી રહ્યો છે એ બધું જ ખુલ્લું કરી દે કેમકે મારા સુધી આવવાનો એકમાત્ર માર્ગ સંપૂર્ણ સમર્પણ જ છે. ભવાટવિમાં ભેરવાઈ ગયેલ આપણને એનો સાદ જ કાને પડતો નથી. જે દિવસે આપણે એની આજ્ઞા સાંભળી લઈશું, અપાર આનંદથી ફાટ-ફાટ હૈયું આંસુઓથી છલકાઈ ઊઠશે. એની આજ્ઞા સાંભળતાવેંત આપણી અંદરની તમામ વિસંવાદિતતા ઓગળી જાય છે. આપણા શબ્દો કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આપણી તમામ નિઃસ્વાર્થ વૃત્તિ અને પ્રવૃત્તિમાં એને આનંદ જ આવે છે.

અહીં ગાયન એક પ્રતીક છે. કવિ કવિ હોવાના નાતે પોતાને ગાયક કલ્પે છે. આપણી પાસે જે કંઈપણ પ્રતિભા છે એને આપણે ઓળખી લઈએ અને આપણી શુદ્ધ પ્રતિભાનું પુષ્પ એના ચરણે ચડાવીએ ત્યારે એ નિરંજન નિરાકાર પ્રસન્ન જ થશે. આપણી અંદર એણે જે આપ્યું છે એ લીધા વિના એની સન્મુખ પહોંચવું શક્ય જ નથી. આ પાંખ વડે જ ઊડીને એનો ચરણસ્પર્શ કરી શકાશે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને, જે આમ તો આપણો માલિક છે એને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન – આ નવધા ભક્તિમાં મિત્ર પણ એક ભક્તિભાવ છે. અને મિત્ર તો શું, સમર્પણની ચરમસીમાએ તો આપણા મલિકનેય આપણે વેચવા નીકળી શકીએ છીએ. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?

૩.
મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.
તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.

મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.

ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એની બધી વાત, એની બધી જ છટા અનાદિકાળથી અકળ જ રહ્યાં છે. એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે. એના સૂરથી જગ આખું પ્રકાશિત છે. ઈશ્વરનું સંગીત એ સૃષ્ટિનો ધબકાર છે. એ બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈને રેલાય છે, જ્યાં-જ્યાં આકાશ જેવી મોકળાશ છે, ત્યાં-ત્યાં બધે એ વ્યાપ્ત છે. આકાશ જેવા ખુલ્લા હૈયાને ઈશ્વરનું સંગીત પ્રાણવાયુ બનીને ઠેઠ ભીતર સુધી સ્પર્શે છે. ભગવાનના પ્રેમનું ઝરણું ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે અને એકધારું વહેતું જ રહે છે. એની કૃપાઓનો કોઈ અંત નથી, એની આશિષને કોઈ અવરોધ નથી. એ સર્વથા સર્વદા છે. આપણે એના સૂરમાં સૂર પૂરાવવાની માત્ર કોશિશ જ કરી શકીએ છીએ. કેમકે એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે… એના સંગીત, એના ઝરણાંની સાથે તાલમેલ પૂરાવી શકે એવું એકમાત્ર ઝરણું જે આપણી પાસે છે એ પ્રાયશ્ચિતનો અશ્રુપ્રવાહ જ છે…

૪.

હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.

બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.

હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.

અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.

ટાગોરની આ રચના વાંચતા જ ચાર વેદના ચાર મહાવાક્યો યાદ આવે.

प्रज्ञानम् ब्रह्म (જ્ઞાન એ જ પરમાત્મા. ઐતરેય ઉપનિષદ:ઋગ્વેદ)
अयम् आत्मा ब्रह्म (આ જાત બ્રહ્મ છે. માણ્ડુક્ય ઉપનિષદ:અથર્વવેદ)
तत् त्वम् असि (તે તું છે. છાંદોગ્ય ઉપનિષદ:સામવેદ)
अहम् ब्रह्मास्मि (બૃહદારણ્યક ઉપનિષદ:યજુર્વેદ)

ટૂંકમાં, ઈશ્વર આપણી ભીતર જ વસેલો છે. આપણી ભીતર જે ચેતન છે એ જ ઈશ્વર છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…

શ્રીકૃષ્ણે પણ ભગ્વદ્ગીતામાં કહ્યું છે કે सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनञ्च| (હું જ બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન (બંનેનો નાશ) થાય છે.) આપણી ભીતર અંગાંગમાં એનો જીવંત સ્પર્શ છે, એ જ આપણા માનસમાં કારણનો પ્રકાશ રેલાવે છે, એ આપણા હૃદયમાં સૌથી અંદરના સ્થાને વિરાજમાન છે, અને એની શક્તિ જ આપણને ચાલકબળ આપે છે એની પ્રતીતિ જો સદા રહે તો मनसा कर्मणा वाचा न च काड्क्षेत पातकम् –મન, કર્મ અને વાણીથી પણ પાપ કરવાની ઇચ્છા ન થાય.

6 replies on “ગ્લૉબલ કવિતા : ૭૭ : ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર”

  1. The Great Man SRI Rabindra Nath Tagore background information and his multi talent and to know his imperfections or contradictions ( if inflation about Rabindra Nath Tagore is true in this post by Tahuko) such as, even though Rabindra Nath was considered activist to improve social Stone Age thinking, he still got married with 10=years old girl and also his own daughters were married at reasonably young age.
    My respect and admiration to Great Man Rabindra Nath Tagore, and thanks to Vivek Tailor for sharing this post .

  2. જ યા રે…વા ત નો સુ ર્….હો ય ટા ગો ર્…
    ત્યા રે….હુ આ વ તો ર હુ ટા ગો ર નિ કો ર્…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *