ગ્લૉબલ કવિતા :૭૬ : ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા – લૂસીલ ક્લિફ્ટન

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા

જો ત્યાં એક નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્ત
રાતી કિનાર ચંદ્રની જો

ત્યાં એક નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને પરત ફરતી
એ જ મુખત્રિકોણ પર જો ત્યાં

એક નદી હોય
આનાથીય વધુ બહાદુર
જે આવ્યા જ કરે આવ્યા જ કરે
આવેશના, દર્દના ઉછાળા સાથે જો ત્યાં એક

નદી હોય
જે વધુ પુરાતન હોય
કેઇન અને એબલની માતા
ઈવની આ પુત્રી કરતાં જો ત્યાં એક આવી

નદી હોય બ્રહ્માંડમાં જો
ત્યાં ક્યાંય પાણી હોય
વધુ તાકતવર આ જંગલી
પાણીથી
પ્રાર્થના કરો કે એ વહે
પ્રાણીઓમાંથી પણ
સુંદર અને વફાદાર અને પુરાતન
અને સ્ત્રી અને બહાદુર

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્ત્રાવની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ. કેલેન્ડરના મહિનાના પાનાં સાથે જિગરજાન યારી હોય એ રીતે પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીના જીવનના લગભગ ત્રણ-ત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર ચારથી પાંચ દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી રીતે થતા રક્તસ્ત્રાવને સહન કરે છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ કુદરતી એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ ક્લિફ્ટન એની કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર હતા, મા ધોબણ હતી અને કવિતા પણ લખતી. ઓછું ભણ્યા હોવા છતાં મા-બાપે બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતા રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા તો ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. પછી બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરે રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણું બધું બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને એ સરળ ભાષામાં લાઘવ સાથે પોતાની ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એ એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’
કવિતાનું શીર્ષક ‘ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યરીતે કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્ત્રાવ વિશે છે અને ત્રીજું એ ઋતુસ્ત્રાવનું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી ખરી? પણ વિચારતાં જ સમજાય કે કવયિત્રીએ જે વિષય અહીં હાથમાં લીધો છે એ હજારો વર્ષોથી આખી દુનિયાને સાફ દેખાતો હોવા છતાં હજારો વર્ષોથી છુપાવવામાં આવી રહેલો વિષય છે ને એટલે જ લૂસીલ આ અસ્પૃશ્ય વિષયમાં પ્રવેશતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (લેટિન mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિક સામાન્યતઃ પાંચ દિવસ ચાલે એમ આ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. કવયિત્રીએ છંદ પકડી રાખવાની મમત સેવી નથી પણ રચના આયંબિક ટેટ્રામીટરની નજીક-નજીક પહોંચે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી પ્રાસની કેદ પણ એમણે સ્વીકારી નથી. આ ઉપરાંત લગભગ દરેક અંતરો ‘જો ત્યાં એક નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્ત્રાવ (Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્ત્રાવ એ સ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે જો સ્ત્રીની યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક નસીબદાર શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થઈ જાય તો ફલીકરણ થાય છે અને ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્ત્રાવસ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયા પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પેડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત જ એ વાતની સાબિતી છે કે હજી આ દેશના લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારીનો અભાવ છે. અને આજે આ હાલત હોય તો જૂના જમાનામાં તો કેવી હાલત હશે? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવીને જોવામાં આવી. મોટાભાગના દેશોમાં ઇતિહાસકારો પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી ઓછી જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં આ ઋતુસ્ત્રાવના લોહીને કેટલીક દવાઓમાં પણ વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે આ લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સના ગ્રંથમાં ઓછું કે વધુ માસિક આવવાને બિમારી તરીકે નિર્દેશાયું છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ-થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્ત્રાવ ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો હજી પણ સમાજ એટલો પછાત અને ધર્મ એટલો બિમાર છે કે આજની તારીખે પણ મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

જો કે એ માહિતી ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પેડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો તો ગ્રીકસ્ત્રીઓ ઊનનો પેડ તરીકે પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્ત્રાવ કપડાંમાં થવા દેતી હતી. માસિકસ્ત્રાવ કપડાંમાં જ થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. દુઃખદાયક તંગ માસિક માટેના પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પેડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટેમ્પૂન બજારમાં મૂક્યા. ખરી ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટેમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ ફરી વળીએ. લૂસીલ કવિતાની શરૂઆત ‘જો’થી કરે છે. આ ‘જો’નો સીધો મતલબ એ જ થાય કે જે વાત માસિક વિશે અહીં કરવામાં આવી છે, એ અનન્ય છે; સંસારમાં એની કોઈ જોડ જડે એમ નથી. માસિક દરમિયાન થતા રક્તસ્ત્રાવને એ નદી સાથે, માફ કરજો, સુંદર નદી સાથે સરખાવે છે. અને આવી સુંદર નદી બીજે ક્યાંય જોવાય નહીં મળે એની પ્રતીતિ ‘જો’ મૂકીને કરાવે છે. નદી વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે. માસિકનો પ્રવાહ પણ ગર્ભધારણ માટેની પૂર્વતૈયારી જ તો છે. નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ પણ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં જૉર્ડન નદીને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. આ નદી લોહીની બની છે અને આ નદી સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. ચંદ્રના ઉલ્લેખ પરથી યાદ આવે કે માસિકને પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સાંકળવામાં આવ્યું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે.

નદી એક સ્થળ છોડીને આગળ નીકળી જાય પછી ત્યાં ફરી આવતી નથી. માસિકની નદીથી વધુ વફાદાર નદી બીજી કઈ હશે જે દર મહિને એના એ જ મુખત્રિકોણ પર પરત ફરતી રહે છે? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી અસહ્ય દુઃખાવામાંથી પસાર થતી હોય છે, પણ સ્ત્રીઓ આ દર્દને ચુપચાપ સહેતી રહે છે. માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતા કેમકે તેઓ માનતા કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને જંગલી પાણી બીજે ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે, નદી જે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે અને એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે આખી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્ત્રાવનો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’

2 replies on “ગ્લૉબલ કવિતા :૭૬ : ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા – લૂસીલ ક્લિફ્ટન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *